આપણા સાહિત્યકારોને લોકોની વેદનામાં રુચિ નથી, એમને તો કોર્પોરેટ કથાકારોનાં ગોળગોળ પ્રવચનોમાં વાસ્તવિકતા દેખાય છે ! ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીને કોર્પોરેટ કથાકારમાં સર્વોત્તમ સાહિત્યના દર્શન થાય છે !
જે સાહિત્યકારો કોર્પોરેટ કથાકારોને નમે નહીં તે સાહિત્યકાર નહીં, પણ અર્બન નક્સલ છે, દેશદ્રોહી છે, ધર્મદ્રોહી છે, તેવું વાતાવરણ બાપુ પ્રેમી સાહિત્યકારોએ ઊભું કરી દીધું છે ! બાપુ પ્રેમી સાહિત્યકારો / પત્રકારો / પાંચ-પાંચ કોલમ લખનારા બાપુની વાહવાહી કરે અને બાપુ એમની ! આમ બન્નેનો ધંધો જોરદાર ચાલે !
બાપુ પ્રેમી સાહિત્યકારોની એક ખાસિયત એ છે કે તેઓ હિન્દુત્વવાદી, વધુ આસાન શબ્દોમાં કહીએ તો સામંતવાદી, એથી સરળ ભાષામાં કહીએ તો ગોડસેવાદી નેતાના પ્રશંસક હોય છે ! સત્તાપક્ષની / સરકારની આલોચના કરવી તેમને દેશદ્રોહી કૃત્ય લાગે છે ! તેઓ ધાર્મિક રાષ્ટ્રવાદી છે, માનવમૂલ્યોના સમર્થક નહીં ! બાપુઓ ગમે તેટલા આશીર્વાદ આપે પણ બાપુપ્રેમી સાહિત્યકારો સરૂપ ધ્રુવની ‘સળગતી હવાઓ’ કે પારુલ ખખ્ખરની ‘શબવાહિની ગંગા’ જેવી રચનાઓ આપી શકે નહીં !
ભાષા વિજ્ઞાની બાબુ સુથાર કહે છે : “રાજ્ય અને એક અર્થમાં સત્તા માત્ર પ્રત્યાયન વ્યવસ્થાને જડબેસલાખ બનાવવાનો પ્રયાસ કરે છે. એટલી બધી જડબેસલાખ કે એક છેડેથી મોકલેલો સંદેશો બીજા છેડે પહોંચે ત્યારે એના અર્થમાં સહેજ પણ વધારો ન થાય, ઘટાડો પણ ન થાય અને અર્થ બદલાય પણ નહીં. જો પ્રત્યાયનની વ્યવસ્થા પોતે જ અર્થમાં વધારો કે ઘટાડો કરે કે એમાં કોઈક પરિવર્તન શક્ય બનાવે તો રાજ્યને એ વ્યવસ્થાને ડર લાગે. એની સામે છેડે કવિતામાં એવું નથી થતું. કવિ કવિતા લખે. પછી વાચક વાંચે ત્યારે એ કવિતાનું અર્થઘટન કવિના આશય પ્રમાણે નથી કરતો. એ અર્થ ઘટાડે પણ ખરો, વધારે પણ ખરો ને ક્યારેક બદલી પણ નાખે. આ અરાજકતા રાજ્યને / સત્તાને ગમતી નથી. એથી જ રાજ્યને / સત્તાને સર્જકતાની બીક લાગતી હોય છે. પણ મિડિયોકર સાહિત્યકારો હંમેશાં એમની પ્રત્યાયન વ્યવસ્થા રાજ્યને કે સત્તાને વફાદાર રહે એની કાળજી રાખતા હોય છે. એથી જ આપણા ઘણા બધા સમકાલીન કવિઓ, આમ ભલે લોકોને ગમી જાય એવી કવિતા કેમ ન લખતા હોય, એમની પ્રત્યાયન વ્યવસ્થા રાજ્યની પ્રત્યાયન-વ્યવસ્થાનું પ્રતિબિંબ બની જતી હોય છે. એથી વિષ્ણુ પંડ્યા જેવા કે બીજા મિડિયોકર સાહિત્યકારો જ્યારે એમ કહે કે કવિએ આવું નહીં તેવું કહેવું જોઈએ ત્યારે હકીકતમાં તો એ લોકો ભાષાની પેલી પ્રત્યાયન વ્યવસ્થાને પોતાની આજ્ઞાંકિત બનાવવાનો પ્રયાસ કરતા હોય છે.”
મને એક લેખિકાએ પોતાની વાર્તાનું પુસ્તક મોકલ્યું. પ્રથમ પાને જ મોરારીબાપુના આશીર્વાદ દેખાયા ! મેં વાર્તાઓ વાંચવાનું છોડી દીધું ! મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા વરસોથી રામાયણ, મહાભારત અને ગીતાના પાઠ ભણાવે છે, છતાં કોઈ બદલાવ આવ્યો? માનવ મગજનો વિકાસ ન કરી શકે એવા કથાકાર કે એવી કથાનો મતલબ શો? એવા બાપુઓની પ્રેરણા વિના સાહિત્યસર્જન ન થઈ શકે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર