અમદાવાદ, રામાપીરના ટેકરાથી એડવોકેટ સુરેશ પરમાર જણાવે છે કે, જૂના વાડજમાં નારણકાકાનો વાડો, ચંદ્રભાગાનો ખાડો વિસ્તારમાં અંદાજે 45 દેવીપૂજક પરિવારો હાલ મુશ્કેલીમાં છે. જૂનાં કપડાંના બદલામાં વાસણ વેચતાં લોકો લૉક ડાઉનમાં ભૂખે મરી રહ્યાં છે. આ ઉપરાંત, ભાવસાર હોસ્ટેલની સામે, રબારી વસાહતમાં વાલ્મીકિ વસાહતમાં 55 વાલ્મીકિ પરિવારો ભૂખે મરે છે. એ વિસ્તારના કોર્પોરેટરો મુકેશ મિસ્ત્રી, પ્રદીપ દવે ફોન ઉઠાવતા નથી. મકરબા રોડ, હુસૈની બેકરી પાસે, અદાણી સ્કૂલની બાજુમાં સૈયદ સાહેબની વાડી, તલાવડીના વિસ્તારમાં મજૂરી કરતા, રીક્ષા ચલાવતા, ટ્રાન્સપોર્ટમાં લોડિંગ-અનલોંડિગનું કામ કરતા અંદાજે પચાસ પરિવારો સુધી કોઈ પહોંચ્યું નથી, એમ ઝોમેટો કંપનીમાં ડિલિવરીનું કામ કરતા મોહમદ યાસીનભાઈ જણાવે છે.
શાહપુરમાં પ્રાઇવેટ ટ્યુશન કરતા જાવેદ મલિક જણાવે છે કે દૂધેશ્વર ધોબીઘાટ ચાર રસ્તા પાસે આવેલા જૂના મ્યુનિસિપલ સ્ટાફ ક્વાટર્સમાં ધોબી, મારવાડી સમુદાયોના પરિવારોને હાલ ખાવાનાં સાંસાં છે. ઇસ્ત્રી કરીને કપડાં ધોઇને ગુજરાન ચલાવતા લોકો લૉક ડાઉનમાં હાથે પગે થઈ ગયા છે. સાબરમતી ટોલનાકા પાસે રહેતા ધવલ પરમાર જણાવે છે કે મોટેરા ગાંધીવાસમાં વીસેક ચાલીઓમા અંદાજે પંદર હજાર પરિવારો પૈકીના મોટા ભાગના લોકો હાલ સંકટમાં છે. મોટા ભાગના છૂટક મજૂરી કરે છે. એમને બી.પી.એલ. કાર્ડ હોવા છતાં અનાજ મળ્યું નથી. વાસણા બેરેજ પાસે, સ્મશાનની બાજુમાં દેવીપૂજકોના અંદાજે 60-70 છાપરાં છે. તેઓ વાસણા કડિયા નાકે કડિયાકામે જતાં હતાં અને કેટલાંક શાકભાજી વેચતાં હતાં. ધંધા ઠપ્પ છે. હાલ બધા બેકાર છે. રેશનકાર્ડ પર અનાજ મળતું નથી. કેટલાક લોકો એક-બે વાર ખીચડી લઇને આવેલા, પછી કોઈ ડોકાયું નથી. તેમના વિસ્તારના કોર્પોરેટર ફોન ઉપાડતા નથી, એમ અનિલ રામજીભાઈ ધાનેચાએ જણાવ્યું છે.
મોટેરા, એન્જિનિયરિંગ કોલેજની સામેથી વિશ્વ હિન્દુ પરિષદના સેવાપ્રમુખ રમેશપુરી ગોસ્વામી જણાવે છે કે, એમના વિસ્તારમાં પીજી તરીકે રહેતા બીજા રાજ્યોના અંદાજે 25 જેટલા યુવક-યુવતીઓ મુશ્કેલીમાં છે. તેઓ હિન્દીભાષી છે અને પોતાના વતનમાં જઈ શકે તેમ નથી. એમને મદદ કરવા ગોસ્વામીભાઈએ વિનંતી કરી છે. કાલુપુરમાં હંજર સિનેમા પાસે નાગોરી પટેલની ચાલીમાં રહેતા અબ્દુલ કુદ્દુસ જણાવે છે કે એમના વિસ્તારમાં સરવે કરવા ટીચરો આવ્યા નથી. એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતા અબ્દુલભાઈ ગઈ કાલ સુધી 200 જણા માટે રસોડું ચલાવતા હતા. હવે બંધ કર્યું છે. જમવાનું વહેંચવા માટે બહાર જઈ શકતા નથી. એમણે એમના ઝોનના એસ્ટેટ અધિકારી કિશોર પટેલને અસંખ્ય વાર ફોન કર્યા છે, પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી.
પિરાણા રોડ પર ચેપી રોગની હોસ્પિટલ સામે આવેલી દૂધાભાઈની ચાલીના રામજીભાઈ ઝાંખેશરા જણાવે છે કે આ ચાલીમાં અંદાજે પચાસ પરિવારો ભયંકર સંકટમાં છે. છૂટક મજૂરી પર નભતા લોકોને હાલ ખાવાના ફાંફા છે. અમરાઈવાડીમાં જોગણીમાતાના મંદિર પાસે ચામુંડાનગર ખાતે રહેતા સુનીલભાઈ સાધુ જણાવે છે કે એમને કાર્ડ પર અનાજ મળ્યું નથી. ટોરન્ટમાં ખાડા ખોદવા જતા સુનીલ સાધુનો પરિવાર હાલ સંકટમાં છે. વેજલપુરમાં ટોરન્ટ પાવરની પાછળ ઉવેશ પાર્કમાં રહેતા માજિદભાઈ જણાવે છે કે એમના વિસ્તારમાં કેટલાક પરિવારોની હાલત અત્યંત ખરાબ છે. એમને કોઈપણ પ્રકારની સરકારી સહાય મળતી નથી. અસારવામાં ઓમનગર પાસે રૂપસિંગની ચાલીમાં રહેતા ભેરુભાઈ પવાર જણાવે છે કે એમની ચાલીમાં ગરીબ પરિવારો ભૂખે મરે છે. ‘તમારા ધારાસભ્ય પ્રદીપ પરમારને જણાવો’ એવું મેં એમને કહ્યું, તો કહે છે એમની કોઈ મદદ મળતી નથી.
ઓઢવમાં સી.એમ.સી. ગળીના કારખાના સામે, ક્રિષ્ણા એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી વાલ્મીકિ વસાહતમાં છાપરામાં રહેતાં 40 પરિવારો હાલ ભૂખે મરે છે. એમની પાસે એ.પી.એલ. કાર્ડ છે. રાશનનું અનાજ મળતું નથી. એમને મદદની જરૂર છે, એમ ત્યાં રહેતા સુરેશભાઈ વાલ્મીકિ જણાવે છે. કઠવાડા, એસ.પી. રિંગ રોડ પર, જી.આઈ.ડી.સી. પાસે AUDA(ઔડા)નાં મકાનો છે, મધુમાલતી. અહીં 574 પરિવારો રહે છે. મોટા ભાગનાં ફેક્ટરી મજૂર છે. હાલ લૉક ડાઉનમાં ખાવાના ફાંફા છે, એમ સ્થાનિક રહીશ અને ભાજપના કાર્યકર રમેશભાઈએ જણાવ્યું છે. અહીં વરસાદનાં પાણી ભરાઈ ગયેલાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવેલા, એવું એમને યાદ છે.
‘તમારા કોર્પોરેટર કોણ છે?’
‘હિનાબેન પટેલ’.
‘તો એમને કેમ વાત નથી કરતા? સસ્તા અનાજની દુકાન ખોલાવીને બધાને રાશનપાણી અપાવી દો.’
જવાબમાં રમેશભાઈ હેં હે કરીને લાચારી વ્યક્ત કરે છે.
ઠક્કરનગર, નરેશ ટ્રેડર્સની પાસે વસંતનગરનાં છાપરા છે. ત્યાંથી કિશન પટણીનો ફોન આવ્યો. ત્રીસેક પટણી(દેવીપૂજક)નાં ઘર છે. કોઈ છૂટક મજૂરી કરતા હતા, તો કોઈ હીરાના કારખાનામાં જતા હતા, તો કોઈ કડિયાકામે જતા હતા. બધાં હવે ઘરે બેઠાં છે. રેશનકાર્ડ હોવા છતાં અનાજ મળ્યું નથી. ખાવાના ફાંફા પડી ગયા છે. ખોડિયાર માતાના મંદિર પાસે પાર્શ્વનાથ ટાઉનશિપમાંથી રાજુ ખુલ્ટે જણાવે છે કે અહીં કરિયાણું મળતું નથી. લોકો પરેશાન છે. કોર્પોરેટર હીરાબહેન પટેલ છે. સરસપુર, બોમ્બે હાઉસિંગ કોલોની પાસે પુષ્પજીત એસ્ટેટમાં વીસ લોકો લૉક ડાઉનમાં ફસાઈ ગયા છે. અત્યાર સુધી સીતારામ મઢુલીવાળા ખાવાનું આપતા હતા, હવે એ પણ બંધ થઈ ગયું છે, એમ ભા.જ.પ.ના કાર્યકર વિનોદ વર્માએ જણાવ્યું હતું. અહીં કોર્પોરેટરો કિરીટ પરમાર, તૌફિકખાન અને શાંતાબહેન પંચાલ છે, એમ તેમણે જણાવ્યું હતું. ઓઢવ સોનીની ચાલીમાં રહેતા તેજસ પ્રજાપતિ લૉક ડાઉનમાં પરેશાન છે. એમની પાસે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાનું કાર્ડ છે. આ કાર્ડ એસ.જી. હાઇવે પર રહેતા કોઈ શૈલેષ તિવારીએ એમને આપ્યું છે. ‘તિવારી માનવ અધિકાર અપાવી રહ્યા છે. ખાવાનું નથી અપાવતા?’ એમ પૂછતાં તેજસભાઈ મુંઝાઈ ગયા હતા.
નિકોલ ગામમાં નીલકંઠ મહાદેવના મંદિર પાસે મહાદેવવાસમાં લોકો ભારે તકલીફમાં છે. મોચીકામ કરતા દિલીપભાઈ રવજીભાઈ, ઇડલીની લારી ચલાવતા અમૃતભાઈ પ્રજાપતિ, નાસ્તાની લારી ચલાવતા કૌશિક ચાવડા, ટૂંકમાં બધાના નાના-મોટા ધંધા લૉક ડાઉનમાં બંધ થઈ ગયા છે. આ બધાં ભાડાનાં ઘરોમાં રહે છે. મહિના પછી ભાડુ કઈ રીતે ભરીશું એની ચિંતા એમને સતાવી રહી છે. બહેરામપુરા, જી.આઈ.ડી.સી. સામે, આંબેડકરબ્રિજની બાજુમાં આશાપુરા નગરથી દેવશીભાઈ મોહનભાઈ જણાવે છે કે ત્યાં છૂટક મજૂરી કરતા વીસ પરિવાર તકલીફમાં છે. મૂળ તેઓ વીરમગામના છે. રોજીરોટી માટે અમદાવાદ આવીને વસેલા છે. ‘સ્થાનિક કોર્પોરેટર કમળાબહેન કૉન્ગ્રેસનાં છે. એમને કેમ કહેતા નથી?’, તો કહે છે, ‘હું ભા.જ.પ.નો કાર્યકર છું’. આમને શું કહેવું?
ગોતા હાઉસિંગ, મહાત્મા ગાંધી વસાહતથી ધર્મેન્દ્ર સુથાર જણાવે છે કે, ત્યાં લીલાબહેન પંચાલ નામનાં એક વિધવા માજી છે, એમનો દીકરો અંધ છે. તે ભૂખે મરી રહ્યાં છે. એમના માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરો. ‘તમે પડોશીધર્મ બજાવો’ એવું ધર્મેન્દ્ર સુથારને હું કહી ના શક્યો, એનો વસવસો છે. શાહપુર ફાયરબ્રિગેડ પાસે રહેતા મયૂર સોલંકીની બાજુમાં 85 પરિવારો મુશ્કેલીમાં છે. છૂટક મજૂરી કરીને જીવનવ્યાપન કરતા આ લોકો પાસે કરિયાણું ખરીદવાના પણ પૈસા નથી, એમ મયૂરે જણાવ્યું છે. શાંતિવન સોસાયટી, ગેરતપુરથી મનોજ કુરીલ જણાવે છે કે ત્યાં 60 મકાનો છે. અમે ભા.જ.પ.ના જ કાર્યકર્તા છીએ. અમારા કોર્પોરેટર અતુલ પટેલ છે. પહેલા કૉન્ગ્રેસમાં હતા. હવે ભા.જ.પ.માં જોડાયા છે. પ્રદીપસિંહ જાડેજાના ખાસ મિત્ર છે. અતુલભાઈ સંકટ મોચન હનુમાન પાસે રસોડું ચલાવે છે, પણ હવે અમે ત્યાં જઈ શકીએ એમ નથી. ‘અતુલભાઈને કહો કે તમને બધાને સસ્તા અનાજની દુકાન ખોલાવીને ઘર દીઠ રાશન અપાવે. કોર્પોરેટર છે. આટલું કામ તો કરી શકે છે.’ મનોજ કહે છે કે, એવું થઈ શકે એમ નથી.
સ્વૈચ્છિક રીતે ગરીબો, જરૂરિયાતમંદ લોકોને જમાડતા સેવાભાવી લોકોનાં રસોડાં સરકારે બંધ કરી દીધાં. ‘તમારું બનાવેલું અમને આપો. અમે પહોંચાડી દઇશું’ એવી સરકારે જાહેરાત કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાત ઝોનના એસ્ટેટ અધિકારીઓનાં નામ, મોબાઇલ નંબર સાથે જાહેરાત કરી હતી. કોઈ અધિકારી ફોન ઉપાડતા નથી. લોકોની મુશ્કેલીઓ વધતી જાય છે. ભા.જ.પ.ના સામાન્ય, ગરીબ કાર્યકરો મુંઝાઈ ગયા છે. છપ્પનિયા દુકાળ જેવો ભયાનક સમય છે. કોરોના મારશે એ પહેલાં ગરીબો-બહુજનો ભૂખથી મરી જશે, એવી બીક લાગે છે. મને ફોન કરતા લોકોની વિગતો નોંધીને અહીં ટૂંકમાં મૂકી છે. આ તો હિમશીલાનું ટોચકું છે. બહુજનોની પીડાનું આભ ફાટ્યું છે.
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 11 ઍપ્રિલ 2020