કાળમુખો કહે ભાગ હવે, ને કાળ કહે કે આવ,
બંધ પડી સૌ ચોખટો, તેની કોને કરવી રાવ ?
શહેર સડ્યું છે સન્નાટે, ને બંધ સમયના કપાટો !
પૂર્યા પેટના ખાડા જેણે, એ જ મારતું થપાટો ?
તારા હાથમાં ચાબૂક છે, ને મારે હાથ ચકામા
કામ પત્યું તો કાઢી મૂકયાં સમજીને નકામા !
માંગ્યા પેટે ઠોકે પોલીસ, મળ્યો ડંડાનો માર,
પાપી પેટે ખખડાવ્યું પણ ખૂલ્યું ન એકે દ્વાર !
લઈને માથે, લૂ વરસતું વૈશાખી આ આભ,
નીકળ્યા ખાલી પેટ, પાટા છે કે છે ભાવિનો ગાભ ?
ગતિમાન સૌ ગંઠાયાનો અમ જીવનમાં ખાર,
જીર્ણવસ્ત્રની ફાટી ધાર, ને થયું’તું તારે તાર.
વાટે આવી વૈતરણી તે કોણ કરાવે પાર ?
આવીશ, એવું કહી ગયો ‘તો, આવ્યો ન ધરાર !
સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ – 380 001
![]()


પૃથ્વીને આપણે નારંગી કે સંતરા જેવી કહીએ છીએ. કાર્લ માર્ક્સે આ જ રૂપકનો ઉપયોગ કરીને તેમના મહાગ્રંથ 'દાસ કેપિટલ'માં લખ્યું છે કે 'આ મૂડીવાદીઓ પૃથ્વીના ગોળાને સંતરાની માફક નિચોવશે.' અમેરિકા પોતાને ત્યાં કનાવા ઘાટીમાં માંડ બનાવી શકે તેવો ઝેરી વાયુ ભારતના હૃદયસમા ભોપાલમાં બનાવતા અચકાતું નથી, અને બંધ કંપનીના લિકેજના કારણે 30 હજાર નાગરિકો મરી જાય છે ! 1990 પૂર્વેની આ ઘટના યુરોપના દેશો સલામત સ્થળ અને સસ્તા શ્રમ માટે શું કરી શકે એની ચેતવણીરૂપ હતી. 1990 પછીના નવ્ય ઉદારવાદમાં આવી ઘટનાઓ વધી. કોરોના એનું જ પરિણામ જણાય છે. કોરોનાએ દુનિયા આખીને પોતાની ઝપેટમાં લીધી છે. તે એક વૈશ્વિક મહામારી છે અને વૈશ્વિકીકરણ સાથે એનો પ્રગાઢ સંબંધ છે.
કોરોનાના આ અનુભવ પછી આપણને એ સમજાયું છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓની નફો મેળવવાની અમાનુષી તરકીબો અને બીજી તરફ વૈશ્વિકીકરણના પ્રભાવમાં રાજ્ય દ્વારા ક્રમશ: આરોગ્ય સુવિધાઓનું ખાનગીકરણ એના પ્રસાર માટે ઘણી હદે જવાબદાર છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ આ વાઇરસ પ્રયોગશાળામાં નથી બન્યો એ ભલે કહ્યું. એ વાત સાવ સાચી પણ છે. છતાં આ સંકટ માનવસર્જિત છે તે સ્વીકારવું પડશે. 1906માં લખાયેલી અપ્ટન સિંક્લરની નવલકથા 'જંગલ'માં માંસ ઉત્પાદન કરતી કંપનીનું વર્ણન કરતાં લખાયું છે કે, 'તમે ત્યાંથી પસાર થાવ તો તમને ભૂંડની કિકીયારીઓ સિવાય બીજું કશું નહીં સંભળાય.' ગઈ સદીની આ કિકીયારીઓ આજે તો ખૂબ જ વધી ગઈ છે.
ફ્લુ, જીકા, મર્સ અને હવે કોરોના જેવાં વાઇરસ છે. રોબ વાલેસના પુસ્તક ‘બિગ ફાર્મ્સ મેક બિગ ફ્લુ’માં આની ઝીણી વિગતો છે.