અમેરિકામાં જૉર્જ ફ્લૉયડની હત્યા પર
કાળાં ધોળાં, બધા જ કંપી ઉઠ્યાં,
ઘડીભરમાં તો આખું અમેરિકા
દારુગોળાની માફક બળી ઉઠ્યું,
સારા છે, એ અમેરિકી જેને
સહનશીલતાને ઘૂંટણ નીચે રોકી રાખી છે
એનાં માટે દેશનો મતલબ
ખાલી માટી, પહાડ, જંગલ-ઝરણાં નથી,
ના તો મતલબ છે, ખાલી સીમાઓ.
એનાં માટે દેશનો મતલબ
વ્યક્તિ છે, વ્યક્તિ પણ,
અને વ્યક્તિનો મતલબ દેશ પણ.
જૉર્જ ફ્લૉયડની હત્યા પર
સડક પર ઊતરેલા, એ લાખો અમેરિકીને,
એ કાળાં હોય કે ધોળાં
કોઈ અમેરિકી દેશ વિદ્રોહી નથી કહેતાં,
ના તો કોઈ એને આફ્રિકા, ઈંગ્લેન્ડ કે પછી
કેનેડા કે મેક્સિકો જવાનું કહે છે,
ના તો પોલીસ, વિરોધમાં શામિલ લોકોને દુશ્મન માને છે,
ના તો લાઠી મારે છે,
અને એ શરમશાર અનુભવે છે,
તેનાં સહકર્મીના અપરાધ ને ક્રૂર કૃત્યથી.
વ્હાઈટ હાઉસનો એ ગોરો સાહેબ પણ
ટોળાંના ભયથી, ભલે બંકરમાં છૂપાયો હોય
પણ ત્યાં ના તો કોઈ કારણ વગર બંદૂકો ફૂટી,
ના તો કોઈ દેખાવમાં મરાયાં.
કદાચ આપણે ભારતનાં લોકો પણ
એમની પાસેથી શીખી શકીએ,
લોકોનાં જીવની થોડી કદર કરી શકીએ,
સહનશીલતાને આપણાં ઘૂંટણ નીચે રાખી
સમય આવ્યે,
પૂરજોશમાં અવાજ ઉઠાવી શકીએ.
આપણે ભારતવાસીઓ પણ
ખરા સાહસી છીએ,
આપણે ઈંતજાર કરીએ છીએ,
પાણી ઘૂંટણ સુધી આવવાનો,
પછી એનાંથી કમર પલળવાનો,
પછી ખભા પર ચઢી
નાક સુધી આવવાનો,
અને આપણું ગળું દબાવવાનો.
આટલી સહનશીલતા !
ખબર નહીં સાહસ છે કે જડતા
અથવા એ સાહસ છે, તો આટલું સાહસ ક્યાં ?
અથવા એ જડતા છે, તો આટલી જડતા કેમ ?
કેમ સડકો-પાટાઓ પર પગપાળા ચાલતાં,
મરતાં-કપાતાં, લોકડાઉનના કારણે
હજારો લાખો મજૂર
પત્ની બાળકો સહિત ન ટૂટતી હારમાળાઓ,
ચૂપચાપ કિસ્મતને કોસે છે.
પણ જેને ગાદી પર બેઠાડ્યા
એની સામે ના તો કોઈ અવાજ ઉઠાવે છે,
ના તો કોઈ શિકાયત કરે છે,
ના તો કોઈ બળાપો માંડે છે.
આખરે આટલી નિરાશા કેમ ?
આખરે આટલી હતાશા કેમ ?
રસ્તામાં એ દિલ્લી પણ આવે છે,
જ્યાં સંસદ છે,
કેમ ન ઘેરાય એ સંસદ હજુ,
કેમ ન ઘેરાયા પ્રધાન હજુ,
સામૂહિક સહનશીલતાની તો શરમ છે આ
અને સામૂહિક સંવેદનાનો અંત.
તેથી જ તો અવાજ ઉઠાવનારને
સર્વોચ્ચ અદાલતમાં દેશ વિદ્રોહી કરાર અપાય છે,
ક્દાચ એટલે કોઈ અવાજ ઉઠાવતા નથી.
જો પાણી નાક પર પહોંચવાનો,
ચૂપચાપ ઈંતજાર કરતાં રહેશું, તો
આ જડતા આખા ભારતીયને
એક દિવસ નપાણિયા કરી નાખશે.
![]()



ગયા સપ્તાહના લેખનું સમાપન કરતા મેં લખ્યું હતું કે મહાત્મા ફૂલેએ જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પણ પૃથકતાવાદી છે એમ કહીને તેને નકારવા માંડ્યો અને બ્રાહ્મણો કપટી છે અને તેમનો ઈજારાશાહી એજન્ડા છે એમ કહેતાં ભાષણો કરવા માંડ્યા અને પુસ્તકો પણ લખ્યાં, તેઓ ખુલ્લી અંગ્રેજોની તરફદારી કરવા લાગ્યા ત્યારે; દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, સ્વામી વિવેકાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, દેવેન્દ્રનાથ ઠાકુર વગેરે થોડા આગળપાછળના સમયમાં હયાત હતા, પરંતુ તેમણે કોઈએ હાંસિયાની પ્રજાના અવાજને નહોતો સાંભળ્યો. જ્યારે હજુ તો આકાર પામી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈ નકારતું હોય ત્યારે કોઈ કહેતાં કોઈને એમ નહોતું થયું કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ.
હવે એક નજર વિકસી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને તે ખરા અર્થમાં ભારતીય નથી, સર્વસમાવેશક નથી એમ કહીને પડકારનારાઓ ઉપર કરીએ. એમાં બે વ્યક્તિ મુખ્ય હતી. એક હતા સર સૈયદ અહમદ ખાન અને બીજા હતા મહારાષ્ટ્રના જ્યોતિબા ફૂલે. સર સૈયદનો જન્મ ૧૮૧૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૮માં થયું હતું. જ્યોતિબા ફૂલેનો જન્મ ૧૮૨૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૦માં થયું હતું. આનો અર્થ એ થયો કે બંનેનો જન્મ ભારતમાં અંગ્રેજી શિક્ષણ લાગુ કરવામાં આવ્યું એ પહેલાં થયો હતો અને બંને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના કરવામાં આવી એ પછી અવસાન પામ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બંનેનો જન્મ ભારતીય રાષ્ટ્રવાદનું બીજ પણ નહોતું ફૂટ્યું એ પહેલા થયો હતો અને બંનેનું મૃત્યુ ભારતીય રાષ્ટ્રવાદ કૉંગ્રેસના નામે રાજકીય સ્વરૂપ પામ્યો એ પછી થયું હતું. ઉપર કહ્યા એ ભારતીય રાષ્ટ્રવાદના બધા જ શિલ્પીઓ સર સૈયદ અને ફૂલેના ઓછાવત્તા પ્રમાણમાં આગળપાછળના સમકાલીન હતા.