ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો, તબીબી ચેતાશાસ્ત્ર એટલે કે ક્લિનિકલ ન્યુરોફિઝિયોલૉજીની સમજનું માળખું બેસાડવાનો શ્રેય યૉર્કશાયરમાં જન્મેલા જહૉન એચ. જેક્સન(૧૮૩૫-૧૯૧૧)ને જાય છે. મને એમના કામમાં ત્યારે રસ પડ્યો, જ્યારે હું સાંસ્કૃતિક સ્મૃતિભ્રંશ પર એક નાનું પુસ્તક તૈયાર કરી રહ્યો હતો. લીડ્ઝ યુનિવર્સિટીએ માનદ્દ ડૉક્ટરેટ એનાયત કરી હોય તેવા સૌથી શરૂઆતના લોકોમાં જેક્સન એક હતા. મગજની રચનાની ખામીના કારણે કોઈ માણસને દિશાનું ભાન ન પડતું હોય એવા કિસ્સાઓના સંશોધનમાં જેક્સને જે વિવિધ સ્થિતિઓ વર્ણવી હતી, તેમાંથી મને વિશેષ રસ પડ્યો નેવિગેશન ઇમ્પેરમેન્ટમાં, જેને તબીબી પરિભાષામાં ટોપોગ્રાફિકલ એગ્નોસિયા કહે છે. ‘એગ્નોસિયા’ ગ્રીક શબ્દ છે, એનો અર્થ થાય છે ‘જ્ઞાનનો હ્રાસ’. જે વ્યક્તિને જ્ઞાનનો આ પ્રકારનો હ્રાસ થયો હોય, તેને કોઈ પરિચિત સ્થળે જવાનો રસ્તો યાદ આવતો નથી, ભલે એને રસ્તામાં આવતાં અન્ય સ્થળો યાદ હોય. જેક્સનના કામના આધારે હું એંસીના દાયકાની બૌદ્ધિક ચર્ચાવિચારણાઓમાં દિશાને લગતી સંજ્ઞાઓ પર ધ્યાન આપતો થયો. એ સમયે ખ્યાતનામ વિચારક ઍડવર્ડ સઇદ(૧૯૩૫-૨૦૦૩)ના પુસ્તક ‘ઓરિએન્ટાલિઝમ’(૧૯૭૮)ની અસર હેઠળ સૌથી વધુ ચલણમાં ફરતી સંજ્ઞાઓ હતી ‘ઓરિએન્ટાલિઝમ’, અને તેના વિરોધાર્થમાં ‘ઑક્સિડેન્ટાલિઝમ’.
‘ઓરિએન્ટ’ શબ્દ અગિયારમી સદીથી વપરાશમાં છે. તેનો અર્થ છે ઊગતો સૂર્ય અથવા પૂર્વ. ‘ઑક્સિડેન્ટ’ એટલે સૂર્યાસ્તની દિશા. ઍન્ગ્લો-સેક્સનકાળની શરૂઆતથી લઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સુધી આ સંજ્ઞાઓના અર્થ એ મુજબ જ રહ્યા. યુરોપની દક્ષિણે આવેલા દેશોમાં યુરોપીય સંસ્થાનવાદના ફેલાવા સાથે ઓરિએન્ટનો અર્થ પૂર્વ વત્તા દક્ષિણ એવો થવા લાગ્યો. ઑક્સિડેન્ટ મુખ્યત્વે ઉત્તરમાં રહ્યો અને તેમાં અર્થના વિસ્તરણ તરીકે પશ્ચિમનો સમાવેશ થયો. સંસ્થાનવાદનો પ્રભાવ જ્યારે સૌથી વધુ હતો, તે સમયે દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો તફાવત સાવ ભૂંસાઈ ગયો, ૧૮૮૯માં રુડયાર્ડ કિપ્લિંગે યુવાનીના જોશભરી પંક્તિઓ લખી હતી, “ઓહ, ધ ઈસ્ટ ઇઝ ઈસ્ટ, એન્ડ ધ વેસ્ટ ઇઝ વેસ્ટ, એન્ટ નેવર ધ ટ્વેઈન શેલ મીટ, ટીલ અર્થ એન્ડ સ્કાય સ્ટૅન્ડ પ્રેઝન્ટલી એટ ગૉડ્ઝ ગ્રેટ જજમેન્ટ સીટ.” તેના એક દાયકા પહેલાં ડૉ. જેક્સને તેમનાં સૌથી મહત્ત્વનાં તારણો પ્રકાશિત કર્યાં હતાં. તેમણે દક્ષિણ/પૂર્વ અંગેના સંસ્થાનવાદી ડિસ્ઓરિએન્ટેશન(દિશા-મૂંઝવણ)ને ‘ટોપોલૉજિકલ એગ્નોસિયા’ ગણાવ્યું હોત.
જે સમયે યુરોપમાં ન્યુરોલૉજિસ્ટ એટલે કે ચેતાવિજ્ઞાનીઓ ચેતાતંત્રની વિવિધ પ્રકારની વ્યાધિઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે જ સમયે યુરોપના ભાષાવિજ્ઞાનીઓ એક એવી પૂર્વધારણાનો પાયો રચી રહ્યા હતા, જેના કારણે માનવ-ઇતિહાસમાં એક અતિ ભયંકર નરસંહાર સર્જાવાનો હતો. ‘ઇનઇક્વાલિટી ઓફ ધ હ્યુમન રેસીઝ’ (૧૮૫૩) નામના પુસ્તકમાં ભાષાવિજ્ઞાની આર્થર દ’ ગોબિનોએ એવો વિચાર વહેતો મૂક્યો કે ‘આર્યન’ સંજ્ઞાનો સંકેત પ્રાગૈતિહાસિક યુરોપીય સંસ્કૃતિ તરફ છે, જે શક્યતઃ આયરલૅન્ડમાં કેન્દ્રિત હતી. ઐતિહાસિક હકીકત એ છે કે આ સંજ્ઞા માત્ર ઇન્ડો-ઇરાનિયન અને જૂની સંસ્કૃત બોલતી પ્રજા પોતાની ઓળખ આપવા માટે પ્રયોગ કરતી હતી. કાર્લ પ્લેન્કા ‘આર્યનોનું વતન’ એ શીર્ષક હેઠળના ૧૮૮૬ના તેમના અભ્યાસમાં કાલ્પનિક સ્થળને ખસેડીને સ્કેન્ડિનેવિયા લઈ ગયા. ભાષાવિજ્ઞાન અને નૃવંશશાસ્ત્રના તમામ વૈજ્ઞાનિક નિયમોને કોરાણે મૂકીને તેમણે પૂર્વધારણામાં ઉમેરો કર્યો અને આર્યનો એક વંશ (રેસ) હોઈ શકે એવો વિચાર આપ્યો. નૃવંશશાસ્ત્રીઓએ આર્યનવંશની સર્વોપરિતા સિદ્ધ કરવા માટે ‘ઝાન્થોક્રોઈ’ સંજ્ઞાનો ઉપયોગ કર્યો, એટલે કે ભૂખરા વાળ અને ગોરી ત્વચા ધરાવતી કોકાસોઇડ પ્રજાને આર્યન ગણવાનું શરૂ થયું. એ પછી ઇતિહાસમાં શું થયું તેની વિગતો રજૂ કરવાની જરૂર નથી – એડોલ્ફ હિટલરે આ પૂર્વધારણાનો ઉપયોગ કરીને યહૂદીઓ, સામ્યવાદીઓ, પોલૅન્ડના લોકો અને વિચરતા જિપ્સી લોકોને મોટી સંખ્યામાં મારી નાંખ્યા. ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં યુરોપમાં અને ભારતમાં આર્યન થિયરી અને તેમના કાલ્પનિક વતનની વાતોમાં એક વર્ગને ઘણો રસ પડ્યો. બી.જી. ટિળક(૧૯૫૭-૧૯૨૦)ના પુસ્તક ‘ઓરિયન’(૧૮૯૩)માં ઋગ્વેદની રચનાના સમયને સ્કેન્ડિનેવિયાના લોકો સાથે સંબંધ છે, એવી ધારણા માંડવામાં આવી.
આર્યન નામની આ કલ્પનામાં જ ઊભી થયેલી પ્રજાએ એક સમયે ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં કેવી પ્રગતિ કરેલી અને એ માનવજાત માટે કેવો સુવર્ણયુગ હતો, એ વિષય ભારતમાં વીસમી સદીના પહેલા બે દાયકામાં ઘણો ચર્ચામાં રહ્યો. આવા કલ્પિત ઇતિહાસને અમુક ગૂઢવાદીઓએ પણ સમર્થન આપ્યું. દાખલા તરીકે, હેલેના પેત્રોવ્ના બ્લાવિટ્સ્કી(૧૮૩૧-૯૧)ના થિયોસૉફી વિચારને એની બેસન્ટ (૧૯૪૭-૧૯૩૩) ભારતમાં લાવ્યાં, અને શ્રી અરવિંદ(૧૮૭૨-૧૯૫૦)નાં શરૂઆતનાં લખાણોમાં પણ આવી છાંટ હતી. અહીં ઉમેરવું જોઈએ કે, આ બંને આર્યન થિયરીમાંના ફાસીવાદી વિચારથી જલદી વેગળા થઈ ગયા હતા, ભારતમાં સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા હતા અને હિટલરના ફાસીવાદનો સક્રિયપણે વિરોધ કરતા રહ્યા હતા. પરંતુ ભારતમાં આર્યન સર્વોપરિતાની ધારણાના વિષાણુને અંતે ફળદ્રુપ જગ્યા સાંપડી ખરી, ૧૯૨૫માં સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘની વિચારધારામાં. બી.એસ. મૂન્જે (૧૮૭૨-૧૯૪૮), વિ.દા. સાવરકર (૧૮૮૩-૧૯૬૬) અને કે.બી. હેગડેવાર (૧૮૮૯-૧૯૪૦) એ દાયકાઓમાં કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં આવ્યા. જ્યારે આર્યન સર્વોપરિતાનો વિચાર યુરોપમાં અને ભારતમાં ફેલાઈ રહ્યો હતો અને તેઓ સ્પષ્ટપણે તેના પ્રભાવમાં આવ્યા. પરિણામે, બે પ્રકારની – જર્મન અને ભારતીય – સર્વોપરિતાની પણ એક સ્પર્ધા શરૂ થઈ. તેમને આ વિચારની બે મુખ્ય ભૂલો – ભાષાકીય લક્ષણને વંશીય ઓળખ તરીકે જોવું તે અને ટોપોલૉજિકલ એગ્નોસિયાની ચેતાતંત્રી ખામી – પરખાઈ નહિ. બીજી તરફ, ગાંધીને આ ભૌગોલિક જ્ઞાન-હ્રાસની બિમારીનો ચેપ ના લાગ્યો, તેઓ પૂર્વને પશ્ચિમની વિરુદ્ધ લડાવવામાં પડ્યા જ નહિ અને અહિંસક વૈશ્વિક સાર્વત્રિક માનવીય એકતાની વાત લાવ્યા. તેમની જેમ જ, ડૉ. આંબેડકરે પણ તેમના અનેક વિદ્વત્તાપૂર્ણ લેખોમાં ભારતીય સંદર્ભમાં આર્યન સર્વોપરિતાની થિયરીનો વિરોધ કર્યો અને ફાસીવાદના મૂળ પાયાને જ ફગાવી દીધા. દક્ષિણ ગોળાર્ધ તરફથી દક્ષિણ તરીકેના આ સૌથી વધુ મહત્ત્વનાં આધુનિક વિચારબિન્દુઓ હતાં.
હિટલર અને તેના ભયાનક વંશભેદી વિચારો વિશ્વના તખતા પર આવ્યાને એક સદી વીતી ગઈ છે. સંસ્થાનવાદી સામ્રાજ્યો પણ હવે ભૂતકાળ થઈ ગયાં છે, ત્યારે પ્રાચીન અને અર્વાચીન, બંને વિશ્વની આપણી સમજનો ફેરવિચાર કરવાની જરૂર છે. પૂર્વની ભૂલભરેલી વ્યાખ્યા લગભગ પડતી મુકાઈ છે અને વૈશ્વિક દક્ષિણે પોતાની ઓળખની સમજ કેળવી લીધી છે. છેલ્લી સદીની સ્વાતંત્ર્ય ચળવળો પર ઊડતી નજર નાંખીએ – તો પણ સ્પષ્ટ દેખાય છે કે તેનો હેતુ દક્ષિણમાં – દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયામાં – સ્વ અને સ્વમાનનું પુનઃસ્થાપન કરવાનો હતો. અલબત્ત, એ યાદ રાખવું ઘટે કે આજે દક્ષિણ એ ભૌગોલિક વાસ્તવિકતા પણ છે, અને ગરીબો-દલિતોના રૂપક તરીકે પણ છે.
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં સંખ્યાબંધ પ્રગતિશીલ વિચારો અને મુક્તિદાયી ચળવળોની શરૂઆત દક્ષિણ ભારતમાં થયેલી. તેમાં વિવિધ હિન્દુ રીતરિવાજોના વિરોધમાં આઠમી સદીથી શરૂ કરીને આગળ આવેલા વિવિધ ભક્તિપંથોનો સમાવેશ થાય છે. જ્યોતિબા ફુલે (૧૮૨૭-૧૮૯૦), કોલ્હાપુરના શાહુ મહારાજ (૧૮૭૪-૧૯૨૨), નારાયણગુરુ (૧૮૫૬-૧૯૨૮), પેરિયાર ઇ.વી. રામસ્વામી (૧૯૭૯-૧૯૭૩) અને ડૉ. ભીમરાવ આંબેડકર (૧૮૯૧-૧૯૫૬) જેવા આધુનિક સુધારાવાદીઓ દક્ષિણમાંથી આવ્યા. તેમણે વંશ કે જાતિના ભેદભાવનો અને વીતેલા સમયની ભૂલભરેલી મહિમાસ્તુતિનો વિરોધ કર્યો.
આજના શાસકોને ભૌગોલિક દિશાચૂક અને ઇતિહાસની ખોટી સમજ વિચારધારામાં વારસાગત મળી છે અને તેની આપણા વર્તમાન પર વરવી અસર પડી રહી છે. આર્થિક સૂચકાંકો વણસી રહ્યા છે અને તેઓ આપણને ઠસાવવા માગે છે કે તે સુધરી રહ્યા છે. ભારતની સલામતી પર ખરો ભય ઉત્તરમાં છે, પણ સરકાર દેશનું ધ્યાન પશ્ચિમ તરફ લઈ જવા માગે છે. બેરોજગારોની કતારો લાંબી થઈ રહી છે. તે તરફ ધ્યાન આપવાના બદલે, નવી શિક્ષણનીતિમાં કહ્યું છે તેમ, આપણને ‘સનાતન વિઝડમ’ તરફ પાછા વળવાનું કહેવામાં આવે છે. શું તે ટોપોલૉજિકલ ડિસઓરિએન્ટેશન છે કે પછી સાદી ભાષામાં કહીએ તો દિશાવિહીન નેતૃત્વ અને ખોટી પ્રાથમિકતાઓ છે?
[ગણેશ દેવી સાંસ્કૃતિક કર્મશીલ છે અને સાઉથ ફોરમના સભ્ય છે.]
e.mail : ganesh_devy@yahoo.com
(આ લેખ મૂળ અંગ્રેજીમાં ૦૪ સપ્ટેમ્બર 2020ના ‘ધ ટેલિગ્રાફ’માં પ્રસિદ્ધ થયો હતો. અનુવાદ : આશિષ મહેતા.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 03-04
આ મૂળ લેખની લિંક અહીં આપીએ છીએ. અનુવાદક આશિષ મહેતાની ન્યાલ કરતી આ કમાલ સમજવામાં સહાયક નીવડે : વિ.ક.
https://www.telegraphindia.com/opinion/india-is-suffering-from-navigation-impairment/cid/1790910
![]()


જાણીતા સામાજિક આગેવાન અને ગુજરાતના યુવક સેવા-રમતગમત વિભાગના પૂર્વમંત્રી ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ સમાજકલ્યાણ અધિકારી હસમુખ પરમાર અને યુવાઅગ્રણી હરેશ મકવાણાની ત્રિપુટી દ્વારા સંપાદિત ‘લોકપ્રહરી ભીમાભાઈ રાઠોડ’ આવો જ એક ઉત્કૃષ્ટ સ્મૃતિગ્રંથ છે.
વાચકો માટે એકલો આ પત્ર ભીમાભાઈના જીવનઆદર્શનો પરિચય મેળવવાને પર્યાપ્ત બની રહેશે. જાણે કે જગતકલ્યાણ માટે સંસાર છોડવાનો નિર્ધાર કરતા સિદ્ધાર્થ(ભગવાન બુદ્ધ)માંથી પ્રેરણા લઈ, ભીમાભાઈ પણ પોતાના દલિતસમાજ માટે લગ્ન જેવાં દુન્યવી સુખોને ફગાવી દેવાનો નિર્ધાર ન કરી રહ્યા હોય !
૨૯મી જુલાઈએ કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ-૨૦૨૦ને મંજૂરી આપી. આજે જ્યારે આપણે કોવિડની મહામારીના સંકટનો સામનો કરી રહ્યા છીએ, જ્યારે શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ છે, ત્યારે આ નીતિ અંગે જાહેર, ખુલ્લી ચર્ચાઓ કરવી લગભગ અશક્ય અને ઘણું જ મુશ્કેલ છે. ઉપરાંત અત્યારે સંસદ પણ કાર્યરત નથી, ત્યારે સંસદમાં પણ આ નીતિની ચર્ચાની લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસર્યા વગર આટલી ઉતાવળથી એને મંજૂરી આપવાની શી જરૂર હતી એ એક સ્વાભાવિક પ્રશ્ન સૌને થાય. આ ખાસ ચિંતાનો વિષય એટલે છે કે દેશનાં દરેક બાળકોનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે. એટલે આટલી ઉતાવળમાં આવા મોટા નિર્ણયો વ્યાપક ચર્ચા વગર ન થવા જોઈએ.
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં જણાવ્યા મુજબ સમગ્ર ઉચ્ચશિક્ષણ આંતરશાખાકીય [multidisciplinary] હશે. એકશાખાકીય કૉલેજો વખત જતાં બંધ થઈ જશે અને દરેક સંસ્થામાં વિદ્યાર્થીઓ એકસાથે અનેક વિષયો ભણશે. માનવવિદ્યા અને વિજ્ઞાનની જુદી-જુદી ડિગ્રીઓ, નહીં પરંતુ દરેકને એકસમાન બી.એલ.એ.(બૅચેલર્સ ઑફ લિબરલ આટ્ર્સ)ની ડિગ્રી મળશે. કાયદાનું, તબીબી, તક્નિકી વગેરે શિક્ષણ પણ આંતરશાખાકીય હશે. આ એક આકર્ષક લાગે એવો વિચાર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી યુનિવર્સિટીઓમાં આ જાતનું શિક્ષણ પ્રચલિત છે. સાહિત્ય, ઇતિહાસ વગેરેનાં શિક્ષણ અને સંશોધનમાં ઇતર વિષયોનો અભ્યાસ એ પોતાના વિષયનું જ્ઞાન ઊંડું અને વિસ્તૃત કરવામાં મદદરૂપ અને જરૂરી બને છે. પરંતુ અહીં એ પ્રકારનું આંતરશાખાકીય શિક્ષણ આપવાની વાત નથી. નીતિમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રાચીન સમયમાં તક્ષશિલા જેવી વિશાળ સંખ્યાવાળી સંસ્થાઓ, જેમાં હજારો વિદ્યાર્થીઓએ એકસાથે ભણતા તેમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું, જેમાં અનેક કળાઓ [skills] એકસાથે શીખવવામાં આવતી. પ્રાચીન ગ્રંથોમાં પણ અનેક કળાઓનો ઉલ્લેખ છે, જેમાં સંગીત, વિજ્ઞાન, સાહિત્ય ઉપરાંત વ્યાવસાયિક કળાઓનો પણ સમાવેશ થાય છે. આ નીતિમાં ઉદારમતવાદી કળાઓ[liberal arts]ના શિક્ષણનો અર્થ અનેક પ્રકારની કળાઓનું શિક્ષણ [liberal use of arts] કરવામાં આવ્યો છે, જે પણ મૂળ પ્રાચીન ભારતીય વિચાર છે અને આજના સમયની, વૈશ્વિક મૂડીવાદની જરૂરિયાતો પૂરી કરવા માટે એ શ્રેષ્ઠ અભિગમ છે! આંતરશાખાકીય શિક્ષણ આમ નવી શિક્ષણનીતિના દાવા મુજબ પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થાનો મૂળ વિચાર છે અને આજે ૨૧મી સદીમાં રોજગારી માટે તેમ જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આ પ્રકારનું શિક્ષણ અત્યંત જરૂરી છે. આ યોજનામાં વિદ્યાર્થીને સર્વગ્રાહી [holistic] શિક્ષણ આપવામાં આવશે, જેમાં એકથી વધુ વિષયો – શૈક્ષણિક તેમ જ વ્યાવસાયિકનું તેને જ્ઞાન હોય. આજે વૈશ્વિક બજારમાં ખૂબ ઝડપથી ફેરફારો થતા જાય છે અને રોજગારીના પ્રકાર હંમેશાં બદલાતા રહે છે, તેથી એકથી વધુ વિષયોનું જ્ઞાન જરૂરી બને છે. શિક્ષણમાં વિષયોની સામગ્રી [content] પર ઓછું અને નવાં તેમ જ બદલાતાં ક્ષેત્રોને કેવી રીતે અનુરૂપ થવું, સમસ્યાઓ કેવી રીતે હલ કરવી, વગેરે વિશે વિદ્યાર્થી વિચારી શકે અને નવા વિચારો રજૂ કરી શકે એ માટેનું જ્ઞાન વધારે આપવામાં આવશે, જેથી એવા પ્રકારના વિદ્યાર્થીઓ તૈયાર થાય કે જે દરેક ક્ષેત્રમાં સરળતાથી કામ કરી શકે. આમ, આંતરશાખાકીય અનેકવિધ વિષયના શિક્ષણનું ધ્યેય વૈશ્વિક બજાર માટે યુવાનોને તૈયાર કરવા એ છે. આજે જ્યારે આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે અને તેનું કારણ નવઉદારિકીકરણ છે, ત્યારે આ નવઉદારિકીકરણના બજાર માટે વિદ્યાર્થી યુવાનોને તૈયાર કરવા એ એક અપ્રામાણિક પ્રસ્તાવ છે. કેવળ અને કેવળ મૂડીવાદને અનુકૂળ અને તેને સધ્ધર બનાવવા માટે જરૂરી એવું શિક્ષણ આપીને યુવાનોને તૈયાર કરવા એ આ નીતિની વૈચારિક ભૂમિ અને મુખ્ય ઉદ્દેશ છે.