દુનિયાભરના મહેનતકશો પહેલી મેના દિવસે મજૂર દિન મનાવે છે, પરંતુ અમદાવાદની કાપડમિલોના મજૂરો વરસોથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ મનાવતા હતા. આજે તો અમદાવાદમાં મોટા ભાગની કાપડ મિલો બંધ થઈ ગઈ છે, પરંતુ એક જમાનામાં ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં બહુ ઉમંગથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ ઉજવાતો હતો. દુનિયાના કામદારો કરતાં અમદાવાદના મિલ કામદારોના નોખા મજૂર દિવસનો પણ અનોખો ઇતિહાસ છે. અમદાવાદમાં પહેલી કાપડ મિલ તો ઈ.સ. ૧૮૬૧માં શરૂ થઈ હતી. કામના અમર્યાદિત કલાકો અને ઓછા વેતનની કામદારોની નિયતિ અને તે સામેનો તેમનો વિરોધ અને હડતાળો પણ પડી હતી. પરંતુ ૧૯૧૭ની ચોથી ડિસેમ્બરે પડેલી હડતાળ ઇતિહાસના પાને કાયમ અંકિત થઈ ગઈ છે.
આજથી ૧૩૫ વરસો પૂર્વે, ૧૧મી નવેમ્બર ૧૮૮૫ના રોજ જન્મેલાં, અનસૂયાબહેન સારાભાઈએ જે સમયે ગુજરાતમાં મજૂર ચળવળ કે હડતાળ દૂરની વાત હતી, ત્યારે ૪થી ડિસેમ્બર ૧૯૧૭ની મજૂર હડતાળનું નેતૃત્વ કર્યું હતું. હડતાળ પર જનારા મોટાભાગના દલિત કામદારો હતા તે હકીકત પણ નોંધપાત્ર છે. પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૮)ના એ સમયે અમદાવાદની કાપડ મિલો ધૂમ ઉત્પાદન અને નફો કરતી હતી, ત્યારે જુલાઈ ૧૯૧૭માં પ્લેગની મહામારી અમદાવાદમાં પ્રસરતાં મિલ કામદારો વતનમાં જવા માંડ્યા. તેથી મિલમાલિકોએ તેમને ૭૦ ટકા પ્લેગ બોનસની લાલચ આપી રોકી લીધા. જો કે પ્લેગ બોનસ સાળ કે વણાટખાતાના મજૂરોને જ અપાતું હતું. અમદાવાદના સ્થાનિક અને સ્પિનિંગ કે તાણાખાતાના મજૂરો પ્લેગના ડરથી બીજે ક્યાં ય જવાના નહોતા એટલે તેમને આ બોનસ મળતું નહોતું. એટલે દલિત કામદારોએ ૨૫ ટકા પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી. અમદાવાદના મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયાબહેનના પ્રેરક નેતૃત્વમાં પડેલી આ હડતાળ સફળ રહી હતી.
બહુ નાની ઉંમરે અનસૂયાબહેને માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. એ જમાનાની રૂઢિ મુજબ એમના બાળલગ્ન થયેલાં પણ લગ્ન લાંબુ ન ટક્યું. ઉધ્યોગપતિ પરિવારનાં અનસૂયાબહેન અભ્યાસમાં તેજસ્વી હતાં. અભ્યાસ અધવચ્ચે છોડવો પડેલો પણ સારુ વાચન ચાલુ રહેલું. ધાર્મિક અને સેવા પ્રવૃત્તિના સંસ્કારો કુટુંબમાંથી જ મળેલા. સત્તાવીસ વરસની વયે, ઈ.સ, ૧૯૧૨માં, તેઓ ડોકટરીનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયાં. સંજોગોવશ ડોકટર તો ન થઈ શક્યાં પણ ત્યાંની મહિલા અને સેવા પ્રવૃત્તિને નજીકથી જોઈ અને સ્વદેશ પરત આવી અમદાવાદના મિલકામદારોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. અમદાવાદની જ્યુબિલી મિલ પાસેના અમરપુરામાં તેમણે મિલકામદારોનાં બાળકોની શાળાથી કામનો આરંભ કર્યો હતો. પછી તે રાત્રિશાળા, પ્રૌઢ શિક્ષણના વર્ગો,મહિલા પ્રવૃત્તિ, દવાખાનાથી માંડીને સહકારી મંડળી સુધી વિસ્તરી હતી.
આ સેવા કાર્યો ચાલતાં હતાં ત્યારે જ તેમને ગાંધીજીનો પણ પરિચય થતો હતો. દેશમાં ચાલતી હોમરૂલ લીગની પ્રવૃત્તિઓમાં તે જોડાયાં હતાં. સેવાકાર્યો સાથે કામદારોના પ્રશ્નોમાં પણ તેમણે રસ લેવા માંડ્યો. મજૂરોના પ્રશ્ને શંકરલાલ બેન્કર સાથે મળીને ‘મજૂર મિત્ર મંડળ’ની રચના કરી હતી. પ્લેગની અસર અને મજૂરોની હિજરતનો ડર ઓસરતાં માલિકોએ પ્લેગ બોનસ બંધ કર્યું. વિશ્વ યુદ્ધને કારણે મંદી અને મોંઘવારીનો માહોલ હતો. મજૂરોએ પ્લેગ બોનસના બદલામાં પગાર વધારો માંગ્યો, અને તે માટે અનસૂયાબહેનની મદદ માંગી. અનસૂયાબહેનને મજૂરોની માંગણી વાજબી લાગી. એટલે તેમણે ચંપારણ સત્યાગ્રહમાં વ્યસ્ત ગાંધીજીને કામદારોનો પ્રશ્ન ઉકેલવા વિનંતી કરી. ગાંધીજીએ અમદાવાદ આવી મિલમાલિકોને લવાદથી પ્રશ્ન ઉકેલવા વિનંતી કરી પણ મિલમાલિકો સંમત નહોતા એટલે ફેબ્રુઆરી-૧૯૧૮માં હડતાળ પડી. એકવીસ દિવસ ચાલેલી એ હડતાળ દરમિયાન ગાંધીજીએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને અંતે પગારવધારો મેળવવામાં સફળ રહ્યા.
૧૯૧૭ અને ૧૯૧૮ની સફળ હડતાળોથી કામદારોમાં નવાં જાગૃતિ અને જોમ આવ્યાં. અનસૂયાબહેન પ્રત્યેની તેમની આસ્થા અને વિશ્વાસ મજબૂત થયાં. સંઘર્ષ નહીં પણ સદ્દભાવ અને સમાધાનથી કામદારોના પ્રશ્નો ઉકેલવાની ગાંધીજીની રસમથી આગળ વધવા ગાંધીવાદી મજૂર સંગઠન ‘મજૂર મહાજન સંઘ’ની ૨૫મી ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ સ્થાપના થઈ. આ વરસે જેની સ્થાપનાનું શતાબ્દી વરસ છે તે ‘મજૂર મહાજન સંઘ’ના અનસૂયાબહેન સ્થાપક અને આજીવન પ્રમુખ હતાં. ‘મજૂર મહાજન સંઘ’ મારફતે તેમણે કામના કલાકોમાં ઘટાડો, કામના સ્થળે સલામતી, વેતન વધારો અને બોનસ જેવી માંગણીઓ તો સ્વીકારાવી સાથે સાથે કામદાર કલ્યાણનાં અનેક કામો કર્યાં. મજૂરોનાં જીવન ધોરણમાં સુધારો આણવા તેમણે પ્રયત્નો કર્યાં હતાં. મિલોમાં કામ કરતી મહિલાઓ માટે ઘોડિયાઘર અને સમાન વેતન અપાવ્યાં હતાં. મહિલા મંડળો,છાત્રાલય, કન્યાગૃહ, વ્યાયામ શાળા, વાચનાલય અને કામદાર કલ્યાણ કેન્દ્રો શરૂ કર્યાં હતાં.
અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓનાં અધિકારો અને કલ્યાણ માટેની તેમની પ્રવૃત્તિ આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થા ‘સેવા’માં વિસ્તરેલી જોવા મળે છે. અનેકવિધ પ્રવૃત્તિઓ કરતાં અનસૂયાબહેનમાં અભિમાન કે મોટાઈનો છાંટો પણ નહોતો. કામદારો અને તેમના પરિવારોમાં તેઓ ‘મોટાબહેન’ તરીકે જાણીતાં હતાં. મજૂર ચળવળનાં માતાતૂલ્ય અનસૂયાબહેનના માતૃવાત્સલ્યનો અનુભવ અનેકને થયો હતો. જેમ અંગત જીવનમાં લગ્નથી તેઓ દૂર રહ્યાં અને કામદારોને જ પોતાનું કુટુંબ માન્યું તેમ સત્તા, હોદ્દો, પદ કે માન-મરતબાથી પણ તે દૂર રહ્યાં હતાં.
અનસૂયાબહેને એકવાર કહેલું, ‘સૌને સમાન હક, તક અને સગવડ મળે, સૌનું સ્વમાન સચવાય, સૌની શક્તિનો ઉદય થાય અને કોઈ એકબીજાનું શોષણ ન કરે એવી સમાજરચના સ્થાપવા આપણે ઝંખી રહ્યા છીએ. જે સમાજરચનામાં મનુષ્યને મનુષ્ય માટે પ્રેમ, સ્વાર્થને સ્થાને એકમેકને માટે ત્યાગ કરવાની વૃત્તિ હોય એ જ સમાજરચના મનુષ્ય જાતિને સુખી કરી શકે.’
માલિકો અને કામદારોના સંબંધો વધુ નફો અને શોષણના બની ગયાં છે કામદાર ચળવળો વેતન વધારા અને સોદાબાજીમાં સીમિત થઈ ગઈ છે ત્યારે અનસૂયાબહેન સારાભાઈનું જીવનકાર્ય યાદ આવે છે.
(તા.૧૧-૧૧-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com