Opinion Magazine
Number of visits: 9448738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમિત શાહ સામે સર્વોચ્ચ અદાલતે સામે ચાલીને તિરસ્કારની નોટિસ કાઢીને ખટલો ચલાવવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|30 October 2018

દેશમાં હિન્દુ બહુમતી રાષ્ટ્રવાદીઓની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે આવી એ પછી ફાસીવાદીઓના અંતિમ વિધાનની હું રાહ જોતો હતો, જે હવે આવી ગયું છે. કેન્દ્રના પાર્ટ ટાઇમ નાણાપ્રધાન અને પૂરા સમયના બ્લોગર પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે રાજ્ય અને બંધારણીય લોકશાહી સંસ્થાઓ કરતાં રાષ્ટ્ર મહાન છે. આ વિધાન તેમણે બ્લોગ પર નથી કર્યું, પરંતુ ઇન્ડિયા ફાઉન્ડેશને યોજેલા અટલ બિહારી વાજપેયી સ્મૃિત વ્યાખ્યાન આપતાં કર્યું હતું એટલો ફરક છે. બીજી બાજુ દક્ષિણમાં કેરળમાં બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે સબરીમાલા વિશેના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને લાગુ કરનારા મુખ્ય પ્રધાન પિનરયી વિજયનની સરકારને લોકોએ સત્તા પરથી ઉખાડીને ફેંકી દેવી જોઈએ. નહીં, આવનારી ચૂંટણીમાં મત આપીને નહીં, ટોળે વળીને. કેરળમાં વિધાનસભાની ચૂંટણીને ત્રણ વરસની વાર છે. તેમણે બીજા શબ્દોમાં એમ કહ્યું છે કે ધર્મ મહાન છે, કાયદો અને ન્યાયતંત્ર નહીં. પછી સર્વોચ્ચ અદાલત કેમ ન હોય. એક કહે છે રાષ્ટ્ર મહાન અને બીજા કહે છે ધર્મ મહાન. આ બંનેમાં કોઈ ફરક નથી કારણ કે જે રાષ્ટ્ર તેમને અભિપ્રેત છે એ હિન્દુ રાષ્ટ્ર છે.  

આ જ વિધાન આઠ દાયકા પહેલાં ઈટાલીમાં બેનિટો મુસ્સોલિની અને જર્મનીમાં એડોલ્ફ હિટલરે કર્યા હતા. આ જ. અક્ષરસ: આ જ. ફાસીવાદના અને સરમુખત્યારશાહીના આ અંતિમ વિધાન છે. એ પછી જર્મનીનું અને ઇટાલીનું શું થયું એ ઇતિહાસ છે. જર્મનોએ અને ઈટાલિયનોએ તેમ જ આખા જગતે કેવી બર્બરતાનો અનુભવ કર્યો, એ આપણે જાણીએ છીએ. પણ જે થયું એ સારું થયું. અત્યાર સુધી ફરિશ્તાઓનાં કપડાં પહેરીને ફરતા હતા, સંસદભવનને પ્રણામ કરવામાં આવતા હતા, લોકતંત્રની દુહાઈ આપવામાં આવતી હતી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને આંસુ પાડવામાં આવતા હતા. સારું થયું મન કી બાત જાહેરમાં કરી દીધી. દેખાવનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં અને અસલી ચહેરો સામે આવી ગયો.

આગળ વધતાં પહેલાં હું અરુણ જેટલીને એક પ્રસંગની યાદ અપાવવા માગું છું. જેટલી જે પરિવારમાંથી આવે છે એ સંઘ પરિવાર આ પ્રસંગમાં લાભાર્થી હતો. ૧૯૪૮માં ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સંઘનો અને સંઘ માટે સહાનુભૂતિ ધરાવનારાઓ સંઘનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે એ માટે પ્રયત્નો કરતા હતા. ગાંધીજીની હત્યામાં સંઘની સીધી સંડોવણી નહોતી, નથુરામ ગોડસે સંઘ છોડી ગયો હતો, સંઘ તો ખોટે રસ્તે ચડી ગયેલાં દેશપ્રેમીઓનો સમૂહ છે, સંઘના સ્વયંસેવકોએ કૉન્ગ્રેસમાં જોડાઈને રાષ્ટ્રનિર્માણમાં સહયોગ કરવો જોઈએ, એવી ભાત-ભાતની દલીલો કરવામાં આવતી હતી. નેહરુ આ બધી દલીલોથી પ્રભાવિત નહોતા થતા. તેઓ કહેતા હતા કે સંઘ ફાસીવાદી સંઘટન છે અને એ દેશ અને સમાજ માટે જોખમી છે. જો આપણે સંઘ પરનો પ્રતિબંધ હટાવી લઈશું અને તેના નેતાઓને છોડી મૂકીશું તો જગત એમ કહેશે કે આપણે ફાસીવાદી પ્રવૃત્તિના સમર્થક છીએ અને સમર્થક ન હોય તો પણ તેના જોખમ પરત્વે ઓછા ગંભીર છીએ.

સરદાર વલ્લભભાઈ પટેલે વળતી દલીલ કરી હતી કે એ તો બરાબર પણ કોઈ પ્રકારના નક્કર આરોપ વિના કોઈ સંગઠન પર કાયમ માટે પ્રતિબંધ કઈ રીતે મૂકી શકાય અને તેના નેતાઓને કેસ ચલાવ્યા વિના જેલમાં કઈ રીતે રાખી શકાય? તેમના નાગરિક અધિકારોનું શું? રાજ્યે પ્રત્યેક નાગરિકને પોતાની વાત કહેવાની અને વાત કહેવા માટે સંગઠિત થવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. જવાહરલાલ નેહરુ એક મિનિટમાં સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અને સંઘના નેતાઓને છોડી મૂકવા માટે તૈયાર થઈ ગયા હતા. અરુણ જેટલી જેને રાષ્ટ્રનું હિત કહે છે એ તો સંઘના કે સંઘ જેવા તમામ ધર્મના કોમી સંગઠનોના ન હોવામાં છે. તેના પરનાં પ્રતિબંધમાં છે. કોમવાદી પ્રવૃત્તિ પરના સદંતર લગામમાં છે. કોમી વિખવાદ પેદા કરનારાઓને નેસ્તનાબૂદ કરવામાં છે. માત્ર કોમી નહીં; ભાષા, વંશ કે જ્ઞાતિના નામે સમાજમાં વિખવાદ પેદા કરનારાઓને નેસ્તનાબૂદ કરવામાં છે. આમ છતાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે અને સંગઠિત થવાના અધિકારનાં નામે તેમને સહન કરવામાં આવે છે. નેહરુએ એક ક્ષણમાં પોતાનો નિર્ણય બદલ્યો હતો. જો અરુણ જેટલી કહે છે એમ લોકતાંત્રિક સંસ્થાઓ કરતાં રાષ્ટ્રને વધારે મહત્ત્વ આપ્યું હોત, તો આજે અરુણ જેટલી પ્રધાન ન હોત. સંઘપરિવાર બંધારણને અને બંધારણ નિર્મિત રાજ્યનાં લાભાર્થી છે.

રાષ્ટ્ર છે શું? દરેકની પોતપોતાની રાષ્ટ્રની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે છે. ભારતમાં પણ અનેક લોકો ભારતીય રાષ્ટ્ર વિષે પોતપોતાની રીતે વિચારતા હતા. છેવટે રાષ્ટ્રની અવધારણા નક્કી કરવા અને એ મુજબ રાજ્યની નિર્મિતિ કરવા માટે બંધારણસભાની રચના કરવામાં આવી હતી. ભારતની પ્રજાની કલ્પનાનું રાષ્ટ્ર ભારતીય રાજ્ય તરીકે આકાર પામ્યું છે. બંધારણ આધારિત ભારતીય રાષ્ટ્ર/રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી કોઈને પણ મનસ્વીપણે રાષ્ટ્રની વ્યાખ્યા કરીને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી.

શું અરુણ જેટલી આ વાત નથી જાણતા? જાણે છે, પરંતુ તેમને અને તેઓ જે પરિવારમાંથી આવે છે તેમને આપણા બંધારણમાં અંકિત થયેલા કે આકાર પામેલા ભારતીય રાષ્ટ્ર/રાજ્ય સ્વીકાર્ય નથી. એટલે તો સરદાર પટેલે સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા સામે ત્રણ શરત રાખી હતી. પહેલી શરત હતી ભારતનાં બંધારણને માન્ય રાખવું. બંધારણને માન્ય રાખવાનો અર્થ થાય છે બંધારણમાં જે રાષ્ટ્ર અંકિત કરવામાં આવ્યું છે એને માન્ય રાખવું. એની બહારની કલ્પનાના રાષ્ટ્ર માટે કોઈ જગ્યા નથી. બીજી શરત હતી સંઘનું બંધારણ ઘડવું એટલે ખબર પડે કે તે કઈ વિચારધારામાં માને છે અને તેનો કેવો ઢાંચો છે. ભારતનાં બંધારણમાં કલ્પિત રાષ્ટ્રથી વિસંગત વિચારધારા ન હોય અને ઢાંચો લોકતાંત્રિક હોય એવો સરદારનો આગ્રહ હતો. ત્રીજી શરત સ્વયંસેવકોને અર્ધ-લશ્કરી તાલીમ આપવામાં ન આવે એવી હતી. આ ત્રણેય શરતો સંઘે પૂર્ણરૂપેણ પાળી નથી. સરદાર સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

રહી વાત અમિત શાહની તો તેમનું નિવેદન જોઇને કોની યાદ આવે છે? ઓસામા બિન લાદેનની? અફઘાનિસ્તાનમાં નજીબુલ્લાની સરકાર માટે તેમણે કહ્યું હતું કે આ ઇસ્લામ વિરોધી સેક્યુલર સરકાર છે એટલે લોકોએ તેને ઉખેડીને ફેંકી દેવી જોઈએ. તેમની સામે સર્વોચ્ચ અદાલતે સામે ચાલીને (સ્યુ મોટો) તિરસ્કારની નોટિસ કાઢીને ખટલો ચલાવવો જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 અૉક્ટોબર 2018

કાર્ટૂન સૌજન્ય : “ઇન્ડિયન એક્સપ્રેસ”, 30 અૉક્ટોબર 2018

Loading

30 October 2018 admin
← કેવા હતા સરદાર-ગાંધી-નહેરુના સંબંધ?
લગે હાથ એ પૂતળા નીચે લખવું જોઈએ કે ‘આ પૂતળાની ઊંચાઈ મોજીલા શાસકોની કલ્પના અને ખેલ માત્ર છે, તેના આધારે સરદાર વલ્લભભાઈ પટેલની ઊંચાઈ માપવાની ચેષ્ટા કરવામાં ન આવે.’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved