ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના માનવ અધિકારોના લડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર(૧૮૯૧-૧૯૫૬)ના નિર્વાણને હવે તો ખાસ્સા પોણા સાત દાયકા થયા છે. પણ તેમનાં જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરા ય ઘટી નથી. ઘણા દેશી-વિદેશી લેખકોએ લખેલાં તેમનાં જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે અને નવા નવા પ્રકાશિત થઈ રહ્યાં છે. તેમાં તાજેતરનું નોંધપાત્ર ઉમેરણ નવા સંશોધનો સાથેનું પ્રા. આકાશસિંહ રાઠોડ લિખિત Becoming Babasaheb છે.
જેમ બાબાસાહેબનું જીવન તેમ તેમના વિચારો પણ અભ્યાસીઓના રસ-રુચિ અને આકર્ષણનું કેન્દ્ર છે. ડો. આંબેડકરના આટઆટલાં જીવનચરિત્રો છતાં હજુ તેમના જીવનનું માનવીય પાસું કોઈ એક જીવનચરિત્રમાં પૂર્ણપણે ઉઘડ્યું નથી. આંબેડકર હોય કે ગાંધી, નહેરુ હોય કે સરદાર, માર્ક્સ હોય કે લેનિન – આખરે આ સૌ આપણા જેવા હાડચામના માણસો હતા. એ વાત તેમના વિભૂતિમત્વના આલેખનમાં વિસરાઈ જાય છે. બાબાસાહેબ એક વિદ્વાન તરીકે તો જરૂર આલેખાયા છે, પણ એક માણસ તરીકેનું તેમનું ચિત્રણ બાકી છે. એટલે બાબાસાહેબનાં એકાધિક જીવનચરિત્રો અને સ્વજનો-મિત્રોએ લખેલાં સ્મરણોમાંથી તારવી-સારવીને તેમનું માનવીય પાસું વ્યક્ત કરતા થોડા પ્રસંગો પ્રસ્તુત છે.
મહાનગર મુંબઈની ડબક ચાલ, બી.આઈ.ટી. ચાલ અને પોયબાવાડી ચોકી પાસેની ખોલીઓમાં કણકી અને રોટલા પર ડો. આંબેડકરે દહાડા ટૂંકા કર્યા હતા. પિતાની સલાહ તો છાંયડે બેસીને થાય તેવા કામો કરવાની હતી. પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી તેમણે કદી જોયું નથી.
૧૯૦૬માં ડો. આંબેડકરના લગ્ન થયા હતા. લગ્નનું સ્થળ હતું, મુંબઈના ભાયખલાનું મચ્છી બજાર. રાત્રે ખાલી થઈ જતાં આ બજારમાં ખુલ્લા આકાશ નીચે, દીવા અને ફાનસના અજવાળે, વગર મંડપે, વગર બેન્ડવાજે તેઓ પરણ્યા હતા. ગંભીર પ્રકૃતિના આંબેડકરનો પત્ની રમાબાઈ સાથેનો વર્તાવ અત્યંત પ્રેમાળ હતો. પત્નીને તે ભાગ કે રામુ કહીને બોલાવતા હતા. ‘પાકિસ્તાન ઔર ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયા’ ગ્રંથ બાબાસાહેબે રમાબાઈને અર્પણ કરતાં લખ્યું છે, ‘ઉમદા માનસ, ચારિત્ર્યની પવિત્રતા, ઠંડી ધીરજ અને મારી સાથે સહન કરવાની તૈયારી-ખાસ કરીને અમારા જેવા જૂથ પર આવી પડેલ અછત અને ચિંતાના મિત્રવિહોણા દિવસોમાં – દર્શાવનાર રમુને, સ્નેહના પ્રતીક રૂપે’.
૧૯૩૫ની યેવલા પરિષદ સુધી ડો. આંબેડકર પાસે ખુદની મોટરકાર નહોતી. મુંબઈની મ્યુનિસિપલ બસનો તે ઉપયોગ કરતા.હતા. જ્યારે કાર વસાવી ત્યારે પુસ્તકોની ખરીદીના બિલ જેટલા પૈસા પાસે ના હોય તો બાકી બિલ પેટે પ્રકાશકને કાર સોંપી ચાલી નીકળતા પણ તે ખચકાતા નહોતા. પિતા રામજીએ તેમના બધા સંતાનોને અંગ્રેજી લખતાં, વાચતાં, બોલતાં કરેલા. એક વાર મુંબઈની મારવાડી વિદ્યાલયમાં જસ્ટિસ ચંદરવાકરના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં એક યુવાને અસ્ખલિત અંગ્રેજીમાં ઘણાં સવાલો પૂછ્યા. સભા પૂર્ણ થયા પછી ન્યાયમૂર્તિ ચંદરવાકર તે યુવાન પાસે ગયા અને વાતો કરવા માંડી .. કદાચ તેઓ તે યુવાનને આંબેડકર સમજી બેઠા હતા. એટલે પેલા યુવાને ગેરસમજ દૂર કરતાં કહેલું, વિલાયતમાં જે ભણે છે તે આંબેડકર છે, એ મારો નાનો ભાઈ છે. હું તો તેનો મોટો ભાઈ બલરામ છું. ભાષાઓ પ્રત્યે બાબાસાહેબને ગજબનો લગાવ હતો. મરાઠી એમની માતૃભાષા. પણ અંગ્રેજી બહુ સારું. એમ તો અમદાવાદની સભામાં ડો. આંબેડકરે ગુજરાતીમાં વક્તવ્ય પણ આપ્યું હતું ! જીવનના ઉત્તરાર્ધમાં એ પાલી શિખતા હતા.
આંબેડકરનો બાહ્ય દેખાવ બહુધા સૂટેડ-બૂટેડનો છે. પરંતુ મુંબઈના માટુંગાની દલિત વિદ્યાર્થીઓ માટેની કુમાર વિનય મંદિર શાળાના એક શિક્ષકે નોંધ્યું છે તેમ, બાબાસાહેબ એક દિવસ તેમની શાળાની મુલાકાતે આવ્યા હતા. બધા વિચારતા હતા કે તેઓ સૂટ અને હેટ પહેરીને આવશે. પણ સવારે લગભગ આઠેક વાગે એક સુદ્રઢ કદ-કાઠીની વ્યક્તિ મદ્રાસી ઢબની લૂંગી બાંધી, ઉપર ખમીસ અને પગમાં ચંપલ પહેરી કોઈ કસરતબાજ પહેલવાનની જેમ શાળામાં આવી અને તે ડો. આંબેડકર છે તે જાણીને બધા અચંભિત થઈ ગયા હતા.
અમેરિકી પત્રકાર વિન્સેન્ટ શીએને ભારતના અનેક મહાનુભાવોના જીવન વૃત્તાંતના દળદાર પુસ્તક ‘હુઝ હુ’નો ઉલ્લેખ કરી કહ્યું છે કે આ પુસ્તકમાં પોતાના પરિચયમાં કોઈ મહાનુભાવે પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો નહોતો. પરંતુ ડો. આંબેડકરે કર્યો હતો. અને લખ્યું, જાતે અસ્પૃશ્ય. પોતાના બીજાં પત્ની ડો. શારદા કબીરના પરિચયમાં લખ્યું હતું, જાતે બ્રાહ્મણ. જો કે આઝાદ ભારતની સંસદમાં જ્યારે આભડછેટ નાબૂદીનો કાયદો પ્રસ્તુત થયો ત્યારે બાબાસાહેબે કાયદાના નામ અંગે જ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સ્વતંત્રતા અને બંધારણ પછી હવે આ દેશમાં કોઈ સ્પૃશ્ય નથી અને કોઈ અસ્પૃશ્ય નથી. બધા એક સમાન નાગરિક છે. એટલે આભડછેટ નાબૂદી કાયદાનું નામ નાગરિક હક સંરક્ષણ ધારો હોવું જોઈએ.
ગંભીર વિદ્વાન આંબેડકર કરતાં વ્યક્તિ આંબેડકર ઘણા રસિક હતા. એમને ચિત્રો દોરવા ગમતા હતા. વાદ્ય શિખતા અને વગાડતા. વિવિધ પ્રકારની ફાઉન્ટન પેનોનું તેમને આકર્ષણ હતું. તેમના હસ્તાક્ષરો બહુ સુંદર હતા. શરાબ કે સિગારેટને કદી હાથ લગાવ્યો નથી. પિતા, પત્ની, સંતાનો અને ખાસ અંગત મિત્રોના જ નહીં પેટ ડોગના અવસાન સમયે પણ તેમણે ભારે આક્રંદ કર્યું હતું. ક્યારેક ક્રિકેટ, ચેસ અને બ્રિજ રમતા. સમુદ્રસ્નાન કરતા. અઠંગ વાચક આંબેડકરે અછૂત કન્યા, અંકલ ટોમ, ઓલિવર પ્રિસ્ટ અને ગરીબો – દલિતોકેન્દ્રી કેટલીક ફિલ્મો સજળ આંખે જોઈ હતી. જાતભાતની રસોઈ આવડતી પણ ભોજન માટેની ચોક્કસ વાનગીનો કદી આગ્રહ રાખતા નહીં. ખાવાનું અને બોલવાનું બંધ કરીને તેઓ કોઈ વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ખરા પણ જો એ ગાળો લંબાય તો અરે હું તો એકલો પડી ગયો કહીને ગુસ્સો થૂંકી કાઢતા. આજાર શરીરે નિર્વાણના ચાર દિવસ પહેલાં દિલ્હીના કોનોટ પ્લેસની પુસ્તકોની દુકાને જઈ પુસ્તકોની ખરીદી કરી હતી. બાળ ભીમરાવને કોઈ પાઈ પૈસો આપે તો રોપો ખરીદી લાવે અને વાવે. મહારાષ્ટ્રના પછાત મરાઠાવાડા વિસ્તારના ઔરંગાબાદમાં કેળવણીકાર આંબેડકરે કોલેજ શરૂ કરી તો કોલેજ કેમ્પસમાં એક છોડ વાવવાની શરતે તે મુલાકાતીઓને મળતા હતા. ૫૫ વરસના થયા ત્યાં સુધી માથાનો એકેય વાળ કાળો થયો નહોતો પણ દાંત બહુ વહેલા જવા માંડેલા.
બાબાસાહેબે આત્મકથા લખી નથી. પરંતુ પરદેશીઓને ભારતની જાલિમ જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાનો પરિચય કરાવવાના હેતુથી ‘વેઈટિગ ફોર વિસા’ મથાળે થોડા આત્મકથનાત્મક લખાણો લખ્યા હતા. ડો. આંબેડકરને જ્ઞાતિમુક્ત ભારત અને જ્ઞાતિમુક્ત માનવના પરવાનાની પ્રતીક્ષા હતી. તેમના નિર્વાણ દિને આપણે પણ તેની પ્રતીક્ષા જ કર્યા કરીશું શું?
e.mail : maheriyachandu@gmail.com