ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો પૈકીના એક ડૉ. જયકુમાર શુકલએ તાજેતરમાં વિદાય લીધી. દેવગઢ બારિયા ખાતે જન્મેલા જયકુમાર (૧૯૩૩-૨૦૨૦) અત્યંત ખંતીલા અધ્યાપક અને સંશોધક હતા. અમદાવાદની જાણીતી એચ.કે. આર્ટ્સ કૉલેજમાં વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ રહેલા શુકલસાહેબ અત્યંત મૃદુભાષી અને માનવતાવાદી અભિગમ ધરાવતા હતા.
“૧૯૪૨ની ‘હિંદ છોડો’ લડતમાં અમદાવાદનું પ્રદાન” શીર્ષકથી પોતાની ઈતિહાસસંશોધન યાત્રા શરૂ કરનાર જયકુમારભાઈએ ગુજરાતના ઇતિહાસમાં માતબર અને ગુણવત્તાસભર યોગદાન આપ્યું છે. બેંતાલીસમાં ગુજરાત, બેંતાલીસમાં અમદાવાદ અને ગુજરાતમાં હોમરુલ આંદોલન વગેરે તેમના અણીશુદ્ધ ઈતિહાસ ગ્રંથો છે. તે સિવાય દેશી રાજ્યોનું વિલીનીકરણ, રાષ્ટ્રસમૂહના દેશોનો ઇતિહાસ, મુઘલકાલીન રાજકીય સિદ્ધાંતો, સોવિયેત રશિયાનો ઇતિહાસ, અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસલેખન, ભારતનાં રાજ્યો વગેરે પણ તેમના મહત્વપૂર્ણ યોગદાન છે. ડૉ. શુકલે ગુજરાતના સ્વતંત્રતા સૈનિકો વિશે દળદાર ગ્રંથ તૈયાર કરીને ગુજરાતના ઇતિહાસલેખનની મોટી સેવા બજાવી છે. ‘કુમાર’, ‘પથિક’ જેવાં સામયિકો અને ગુજરાતી વિશ્વકોશમાં પણ તે નિયમિત લખતા રહ્યા હતા.
ડૉ. જયકુમાર શુક્લ એક આદર્શ અધ્યાપક અને ઇતિહાસકાર હતા. પ્રમાણભૂત માહિતીસ્રોતો, વસ્તુલક્ષી લેખન, વૈજ્ઞાનિક ભાષા વગેરે તેમના ઇતિહાસલેખનની આધારશીલા હતાં. તે ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ અને ટ્રસ્ટી પણ હતા. જ્યારે જ્યારે ૧૯૪૨નાં હિન્દ છોડો આંદોલનની વાત થશે ત્યારે ડૉ. જયકુમાર શુકલનું સ્મરણ પણ થતું રહેશે !
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 12