માનવ ઇતિહાસમાં પ્રારંભિક સામૂહિક વ્યવસ્થા સર્વજન સંમતિથી ચાલતી હશે. પરંતુ, કાળક્રમે તે વડીલશાહી, અગ્રવર્ગતંત્ર, રાજાશાહી, સામંતશાહી, ધનિકશાહી, સરમુખત્યારશાહી જેવી વ્યવસ્થાઓમાં સરકી પડી. આ સંજોગોમાં કોઈ પણ રાષ્ટ્રમાં લોકશાહીની સ્થાપના-સંગોપન-સંવર્ધન પડકારરૂપ બની રહે છે. ભારત જેવા વિશાળ અનેકવિધ ધર્મો-સંપ્રદાયો, ભાષા, રીત-રિવાજો, પરંપરાઓ વગેરે કારણે વૈવિધ્યપૂર્ણ તથા સામંતશાહી-રાજાશાહી તથા વર્ણવ્યવસ્થાની સુદીર્ધ સાંસ્કૃતિક પરંપરા ધરાવતા રાષ્ટ્રમાં તો લોકશાહીની સ્થાપના-સંગોપન-સંવર્ધન બહુ મોટો પડકાર બની રહે છે. કારણ કે, વાસ્તવમાં, લોકશાહી માત્ર એક તંત્ર-વ્યવસ્થા ઉપરાંત એક જીવનશૈલી છે જે માનવીય ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા, સહોદરભાવ જેવાં મૂલ્યો ધરાવતા સાંસ્કૃતિક પરિવેશમાં પાંગરે છે. પ્રજાના માનસમાં જ્યાં સુધી આ મૂલ્યોની રક્ષા-જાળવણીનો આગ્રહ વિકસે નહીં ત્યાં સુધી લોકશાહીનાં મૂળ દ્રઢ થતાં નથી. આ દ્રષ્ટિએ લોકશાહી એક અધિકાર હોવા સાથે તેની જાળવણી એક જવાબદારી પણ છે.
બંધારણ
સ્વાધીનતા પછી આપણી સમક્ષ નૂતન રાજકીય વ્યવસ્થા રચવાની સમસ્યા આવી. રાજાશાહી વ્યવસ્થામાં પાછા ફરવાનો તો સવાલ જ ન હતો. ભારતના ભાગલા, નિર્વાસિતોની હેરફેર, રાજ્યોનાં એકીકરણ (કાશ્મીર, જૂનાગઢ, હૈદ્રાબાદના વગેરેનાં જોડણની સમસ્યાઓ), કોમી ઉશ્કેરાટ, રણદીવે નીતિ અનુસારનો સામ્યવાદી બળવો, ગાંધીજીની હત્યા તથા પાકિસ્તાન સાથેના યુદ્ધના ઓથાર નીચે ઘડાયેલા નવા બંધારણ દ્વારા પ્રમુખશાહી કે સંસદીય પ્રથામાંથી આપણે સંસદીય લોકશાહી પસંદ કરી, કારણ કે પ્રમુખશાહીમાં સરમુખત્યારશાહીની સંભાવના રહેલી છે. સંસદીય લોકશાહીમાં આપણે અર્ધસમવાયી રાજ્ય વ્યવસ્થા, કારોબારી (પ્રધાનમંડળ) ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખતા સ્વાયત્ત ન્યાયતંત્ર સહિતનાં વિવિધ તંત્રોની જોગવાઈ, અનેક પક્ષપ્રથા, પ્રમાણસર પ્રતિનિધિત્વને બદલે એક મતવિસ્તાર એક પ્રતિનિધિ (પચાસ ટકાથી ઓછા મત મળ્યા હોય છતાં પ્રથમ સ્થાને આવનાર ચૂંટાય) જેવી વ્યવસ્થાઓ અપનાવી પણ પ્રત્યક્ષ લોકશાહીનાં જનમત, જનાદેશ, પ્રતિનિધિને પાછો બોલાવવાનો હક વગેરેનો સમાવેશ કર્યો નહીં.
એકંદરે બંધારણ આવકારદાયક અને વિગતવાર હતું, તેના આમુખમાં વ્યક્ત કરાયેલા આદર્શો તો સુંદર હતા, અલબત્ત, બંધારણની કેટલીક કલમો આ આદર્શોની સાથે સંપૂર્ણ સુસંગત ન હતી પણ અપેક્ષા હતી કે સમય જતાં, જનતા કેળવાતાં, તેને સુસંગત બનાવી શકાશે.
પ્રારંભ
બંધારણ તો ઘડાયું હવે તેના તંત્ર તથા આદર્શોને વ્યવહારમાં ચરિતાર્થ કરવાનો પડકાર ઝીલવાનો હતો. બંધારણીય લોકશાહીના પ્રથમ દાયકાઓમાં આપણને, સ્વાધીનતા લડતમાં જોડાયેલા આદર્શવાદી, ઉદારવાદી, લોકશાહી મૂલ્યોને વરેલા, જનહીત પ્રત્યે સચિંત, સમાનતાવાદી, પ્રામાણિક, મહદંશે સેક્યુલર નેતાઓનો લાભ મળ્યો. આ ગાળામાં આર્થિક, શૈક્ષણિક, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિલક્ષી વિકાસ પ્રવૃત્તિ હાથ ધરાઈ. કારોબારી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખતાં એકમો પણ આ વાતાવરણમાં પોતાની કામગીરી સુપેર બજાવી રહ્યાં હતાં. અલબત્ત, પ્રથમ ચૂંટણીમાં જ એક ચિંતાજનક એંધાણ દેખાયું, મજબૂત વિરોધપક્ષ તરીકે કોઈ પક્ષ ઊભર્યો નહીં અને કરીશ્મા ધરાવતા નેતૃત્વ તથા એકપક્ષ પ્રભાવપ્રથાનાં મંડાણ થયાં. પ્રજાએ યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાને બદલે માત્ર આંગળી ઊંચે કરે તેવા અનેક પ્રતિનિધિઓને ચૂંટ્યા. (જયપ્રકાશ, કૃપલાણી, લોહિયા, અશોક મહેતા જેવા સ્વાધીનતા લડતના અગ્રણીઓનું નેતૃત્વ ધરાવતા સમાજવાદી પક્ષનો સાવ બૂરો પરાજય થયો હતો.)
એટલું સારું હતું કે નહેરુ જેવા ઉદારવાદી-લોકશાહીપરસ્ત નેતાને કારણે વિરોધી નેતાઓ તથા મંતવ્યોને પણ ગણત્રીમાં લેવામાં આવતાં હતાં. પરંતુ એ હકીકત છે કે સત્તાપક્ષ પર નિયંત્રણ રાખે તેવા મજબૂત વિરોધપક્ષ, પોતાના તથા અન્યના અધિકારો માટે જાગૃત મૂલ્યનિષ્ઠ નાગરિક સંગઠનો, નિર્ભીત સંવહન માધ્યમો (પ્રારંભિક દાયકાઓમાં હતાં પણ ધીરેધીરે મોટા ભાગનાં સત્તાપક્ષનાં વાજીંત્ર બનતાં ગયાં છે), પગભર થયાં નહીં અને પ્રજાએ તે માટેની તત્પરતા પણ દાખવી નહીં. જનતામાં એવું વલણ રહ્યું કે ચૂંટણી સમયે મત આપ્યા પછી લોકશાહીની જાળવણી કરવાની પોતાની ફરજ પૂરી થઈ ગઈ.
પતન
સમય જતાં, આ પ્રકારના નેતૃત્વનો યુગ આથમવા લાગ્યો. લોકશાહીને સ્થાને પક્ષશાહીનું વરવું સ્વરૂપ પ્રગટ થયું. સત્તા અને તેના લાભો અંકે કરવાની લાલસા ધરાવતા, વચનોના વાયદા કરતા, લોકરંજક, ધાકધમકી, ગુંડાગીરી અને ભ્રષ્ટાચારને તથા સંકુચિત જૂથવાદને પોષતા અને આચરતા પ્રતિનિધિઓના આગમને લોકશાહીને વિકૃત કરી નાંખી. સ્વાયત્ત બંધારણીય નિયંત્રક તંત્રો ઉપર કાબૂ જમાવીને તેમની કામગીરી પણ પાંગળી કરી દેવાઈ છે.
લોકશાહીને સ્થાને પક્ષશાહી આકાર પામી. જનતાનું, જનતા દ્વારા અને જનતા માટેનાં, સૂત્રમાં જનતાનું સ્થાન પક્ષે ગ્રહણ કરી લીધું. પ્રતિનિધિઓની પસંદગી જનતા નહીં પણ પક્ષ કરે, તેઓ પક્ષને જવાબદાર રહે જનતાને નહીં. પક્ષમાં પણ સામૂહિક નેતૃત્વ કે લોકશાહી વ્યવસ્થાને બદલે સર્વોચ્ચ નેતા પ્રત્યેની વફાદારીને અગ્રસ્થાન અપાવા લાગ્યું. આ પ્રકારની પક્ષશાહીને કારણે લોકશાહીનો પિરામિડ સાવ ઊલટો થઈ જાય છે. પાયામાં જનતા રહેવાને બદલે સર્વોચ્ચ નેતા સ્થાન પામે છે.
વિશાળ મતવિસ્તારોમાં ચૂંટણી લડવા માટે, પ્રચાર, સંપર્ક, કાર્યકરોનાં પોષણ, કેટલાંક જૂથ અગ્રણીઓને ખુશ કરવા વધુ અને વધુ નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા તથા નિવૃત્તિ પછી આરામથી રહેવા માટે યેનકેન પ્રકારે નાણાં એકઠાં કરવાની દોડમાં ભ્રષ્ટાચાર, ફાળો આપનારાઓને લાભોની વહેંચણીનાં કૌભાંડો ફેલાતાં ગયાં. તદુપરાંત વિરોધ પક્ષના સભ્યો તથા સરકારોને તોડવાની કૂટનીતિ માટે પણ અઢળક નાણાંની કે લાભોની લાલચ આપવી પડે છે. પરિણામે, ભ્રષ્ટાચારમાં ફુગાવો વધતો ગયો.
ચૂંટણીના રાજકારણે એક વધુ હાનિ સર્જી છે. રાષ્ટ્રીય એકતા માટે જરૂરી બૃહદીકરણ(સેક્યુલરાઈઝેશન)ની પ્રક્રિયાને અવગણીને, મતબેંકો ઊભી કરવાના આશયથી, ટૂંકી દ્રષ્ટિ ધરાવતા બેજવાબદાર, સત્તાલાલસુ નેતાઓએ ધર્મ, કોમ, જ્ઞાતિ, ભાષા, પ્રાદેશિકતા જેવી સંકુચિત વફાદારીઓને ઉત્તેજી. પરિણામે, સમાજમાં સહોદરભાવ કે બંધુત્વ સર્જાવાને બદલે ભાગલાવાદી અને વિવિધ જૂથો વચ્ચે અવિશ્વાસ અને ધિક્કારનાં વલણોને ઉત્તેજન મળ્યું છે.
વધુમાં, અર્ધસમવાયી વ્યવસ્થામાં કેન્દ્ર સરકારને ફાળવાયેલી વિશેષ સત્તાઓનો લાભ લઈને કેન્દ્રીય સરકારમાં બહોળા પ્રમાણમાં સત્તાનું કેન્દ્રીકરણ થવા લાગ્યું. વાસ્તવમાં, લોકશાહીમાં શાસનમાં જનતાની ભાગીદારી વધે તે હેતુથી સત્તાનું મહત્તમ વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેના બદલે અહીં તો ઊલટી ગંગા વહેવા લાગી. રાજ્યોની સરકારો તથા સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓની સ્વાયત્તતા ઉપર કાપ મુકાતો ગયો. રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ કેન્દ્રની મોહતાજ અને પ્યાદા બની રહી. કોઈ રાજ્યમાં તથા સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓમાં વિરોધપક્ષની સરકાર હોય તો તેને ગુંગળાવી, નાકામયાબ બનાવી, કેન્દ્રમાં સત્તા ઉપર હોય તે પક્ષનું એકચક્રી શાસન સ્થાપવાની પેરવીઓ થવા લાગી.
કૉન્ગ્રેસમાં ભાગલા પાડી વિરોધપક્ષોના મતની સહાયથી ઈન્દિરા નહેરુ-ગાંધી સત્તાધીશ બન્યાં. તેમણે અપનાવેલી બેંકો વગેરેનાં રાષ્ટ્રીયકરણ તથા પરમીટ રાજના જોરે અર્થતંત્ર ઉપર સરકારનો કાબૂ વધતો ગયો. તે સાથે સરકારી તંત્રમાં લાંચ-રુશ્વતખોરીનું પ્રમાણ વધતું ગયું. આમ પણ નોકરશાહી સંસ્થાનવાદી માનસનો વારસો ધરાવતી હતી અને તે જનતાના સહાયક હોવાને બદલે તેમના ઉપર શાસન કરવા નિમાયા હોવાનું વલણ તો ધરાવતા હતા. હવે, તેમનું વલણ વધુ તુમાખી બનતું ગયું. રાજગોપાલાચારીના નેતૃત્વ નીચેના સ્વતંત્ર પક્ષે અર્થતંત્રનાં સરકારીકરણ સામે વિરોધ જગાવ્યો પણ તેની કોઈ અસર થઈ નહીં. આ ઘટના સૂચવે છે કે વિરોધપક્ષો બિનઅસરકારક બની હાંસિયામાં ધકેલાઈ રહ્યા હતા. વાસ્તવમાં, આ પગલાંઓથી આપણી વ્યવસ્થા સમગ્રતાવાદી તંત્રની દિશામાં પગરણ માંડવા લાગી હતી તેમ કહી શકાય.
હજી પ્રજામાં જોમ હતું. ભ્રષ્ટાચારી નેતાઓની સામે ગુજરાતમાં પ્રગટેલા નવનિર્માણ આંદોલને સ્વાધીનતા આંદોલનના સમયની હવા તાજી કરી. જયપ્રકાશ જેવા નેતાઓ દ્વારા દેશભરમાં તેનો વ્યાપ ફેલાવવાની કોશિશ થઈ. યુવાશશક્તિ દ્વારા આ દેશમાં ફરી પ્રામાણિક, નિષ્ઠાવાન, લોકાભિમુખ નેતાગીરી સર્જાશે તેવી આશા બંધાઈ.
આ પછીની ચૂંટણીમાં ઈન્દિરાની ચૂંટણીને અદાલતે ગેરરીતિ માટે રદ કરતાં ઈન્દિરાએ કટોકટી લાદી. ભારતની પાંગરતી લોકશાહી માટે આ પગલું મોટા ફટકારૂપ હતું. કટોકટી સામે તમામ વિરોધપક્ષો, લોકશાહીના સમર્થક નાગરિકો દ્વારા આંદોલન જગાવવામાં આવ્યું. સરકારે જયપ્રકાશ સહિત અનેકને જેલભેગા કર્યા, અખબારો અને સંવહનનાં માધ્યમો ઉપર સેન્સરશીપ લાદવામાં આવી. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવ્યું, અદાલતના દ્વાર બંધ થયાં, ડર અને ભયનું સામ્રાજ્ય પ્રવર્તવા લાગ્યું. આમ છતાં, વિરોધનું આંદોલન ચાલતું રહ્યું. આ આંદોલનમાં એક દૂષણ પણ પ્રવેશ્યું. હમણાં સુધી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સંઘ પરિવાર અને જનસંઘ(ભા.જ.પ.)ને રાજકીય-સામાજિક સ્વીકૃતિ સાંપડી અને ભારતીય રાજકારણમાં કોમવાદી-ફાસીવાદી પરિબળોને સ્થાન સાંપડ્યું.
કટોકટી દરમિયાન કૉન્ગ્રેસ(ઈ)ના નેતાઓ દ્વારા ઈન્દિરા પ્રત્યે જે ભક્તિભાવ અને ચાપલૂસી દર્શાવાયાં તેનાં પરિણામે અનેક લોકશાહી ચાહકોનો કૉન્ગ્રેસમાંથી વિશ્વાસ ઊઠી ગયો. વધુમાં, ઈન્દિરાએ કૉન્ગ્રેસના ભાગલા પાડતાં તેની સંગઠન પાંખ વેરવિખેર થઈ ગઈ હતી. તદુપરાંત, વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો તથા પ્રદેશવાદના ઉદયને કારણે કૉન્ગ્રેસ નબળી પડતી ગઈ. કટોકટી પછીની ચૂંટણીઓમાં કૉન્ગ્રેસ(ઈ)નો પરાજય થયો પણ સત્તા પર આવેલા જનતા પક્ષમાં ભાગીદાર પક્ષો તથા નેતાઓ વચ્ચે સત્તા માટેની આંતરિક ખેંચતાણમાં તેનું પતન થયું અને ફરી કૉન્ગ્રેસ(ઈ) સત્તા પર આવી. પરંતુ, એ દુખદ હકીકત છે કે તેના વિકલ્પે લોકશાહીને સમર્થક વિરોધ પક્ષનો ઉદય થવાને બદલે કોમવાદી અને ફાસીવાદી પરિબળોને મોકળું મેદાન મળ્યું.
આંતરરાષ્ટ્રીય પરિબળો
આ સમયગાળામાં આંતરરાષ્ટ્રીય પરિવેશમાં પણ પરિવર્તન આવી રહ્યું હતું. ભારતની સરહદો પર ચીનનો પગપેસારો, સ્વતંત્ર બાંગ્લાદેશનું સર્જન, ઈન્દિરા અને તેમના અનુગામી રાજીવની હત્યા, પશ્ચિમ એશિયાનાં ઈસ્લામિક રાષ્ટ્રોમાં (ઈઝરાયલ તથા પશ્ચિમી સત્તાઓની દરમિયાનગીરી પણ એક કારણ) ઊથલપાથલના પગલે અલ કાયદા, તાલિબોનો જેવાં આક્રમક ઈસ્લામી સંગઠનોનો ઉદય તથા તેમના નેજા નીચે ભારત સહિત વિવિધ દેશોમાં આતંકવાદી હુમલા, ભારતમાં નક્ષલવાદી અને ખાલિસ્તાની તથા પૂર્વોત્તર વિસ્તારો અને કાશ્મીરમાં વિવિધ પરિબળો દ્વારા સશસ્ત્ર પ્રતિકારને કારણે આતંકનો માહોલ પેદાથયો હતો જે કોમવાદી (ભારતમાં મુસ્લિમ વિરોધી) જમણેરી કટ્ટરવાદી પરિબળોને પોષક હતો.
ફાસીવાદી વ્યૂહરચનાની સફળતા
આ સંજોગોમાં, ભારતમાં પચાસેક વર્ષથી મૂળિયાં નાખી રહેલા કોમવાદી જમણેરી ફાસીવાદી વિચારધારાના પુરસ્કર્તા હિંદુત્વવાદી રાષ્ટૃીય સ્વયંસેવક સંઘ, તેની રાજકીય પાંખ જેવા ભારતીય જનતા પક્ષ તથા તેના પરિવારના સંગઠનોને જનતાનો ટેકો મેળવી વ્યાપ વધારવાની તથા સત્તા માટેની સ્પર્ધામાં આગળ આવવાની તક સાંપડી. રામમંદિર માટે બાબરી મસ્જિદના ધ્વંસ તથા તે પછીનાં રમખાણો, ગોધરા કાંડ અને તેના અનુસંધાનમાં ગુજરાતમાં આચરાયેલા વ્યાપક હત્યાકાંડ, મુંબઈમાંના આતંકવાદી હુમલા જેવી પરિસ્થિતિઓનો લાભ લઈને જનતામાં કોમવાદી ઉશ્કેરાટ ફેલાવી લોકમતને અંકે કરી સત્તાધીશ બનવાનો કારસો રચવામાં સફળતા સાંપડી.
સત્તાસ્થાને આવતાં જ તેમણે પોતાના ફાસીવાદી કાર્યસૂચિનું અમલીકરણ આરંભ્યું. સંવહનના માધ્યમો (મીડિયા) ઉપર કાબૂ જમાવ્યો, અગાઉના સ્વાધીનતા લડતના સેક્યુલર, ઉદારવાદી નેતાઓને બદનામ કરવાની તથા તેમાંના અમુક પોતાના સમર્થક હોવાનો પ્રચાર શરૂ કર્યો (કારણ કે, વાસ્તવમાં, તેઓ સ્વાધીનતા લડતમાં બ્રિટિશ શાસકોના સમર્થક હોવાથી પોતાના કોઈ નેતાને આગળ ધરી શકે તેમ ન હતા.), બિનહિંદુઓ (પોતાની આગવી ખાનપાન, પહેરવેશ વગેરેની જીવનશૈલી ધરાવતા લોકો), દલિતો, સેક્યુલરિસ્ટો, રેશનાલિસ્ટો, ફાસીવાદી પદ્ધતિઓના ટીકાકારો ઉપર હુમલા, તેમને ધાકધમકી તથા સરકારી એજન્સીઓ દ્વારા કનડગત કરી, ડરાવી, ભય ફેલાવી ગુંગળાવી દેવાની ઝુંબેશ હાથ ધરાઈ. આ હેતુથી સંઘ પરિવારનાં સમર્થક ટોળાંઓ દ્વારા હત્યા, મારઝૂડને પણ ઉત્તેજન અપાયું. આમ, અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, વૈચારિક સહિષ્ણુતા જેવાં લોકશાહી મૂલ્યોનો ખાતમો કરવાની શૈલી શરૂ થઈ.
સત્તા મળતાં તેનો ઉપયોગ કરી વિરોધપક્ષો, વિરોધી મત ધરાવતા નાગરિક સંગઠનોને પાંગળા બનાવી નાબૂદ કરીને પોતાના શાસનના દ્રઢિકરણ માટે સત્તાપક્ષ દ્વારા હાથ ધરાયેલી કાર્યશૈલી પણ ફાસીવાદી શૈલીની સૂચક છે. ચૂંટણી ઉપરાંત, ગોબલ્સ ઢબના બહોળા ભ્રામક પ્રચાર તથા તે માટેના કર્મચારીઓની ફોજને પોષવા, વિરોધપક્ષના સભ્યોને ફોડી વિરોધપક્ષની સરકારોને ઉથલાવવા વગેરે માટે અઢળક નાણાંની જરૂર પડે છે. આ હેતુની પરિપૂર્તિ માટે ધનીનિકો અને ઉદ્યોગગૃહોનો લાભો આપીને (જનતાના હિતોનો ભોગ આપીને) તથા વ્યાપારિક સોદાઓમાં કટકી વગેરે દ્વારા અબજો રૂપિયા એકત્ર કરવામાં આવતા હોય છે. આ રીતે કોર્પોરેટ સેકટર સાથેની સાંઠગાંઠ તથા રુશ્વતખોરી અને કૌભાંડોનો વ્યાપક સિલસિલો પ્રવર્તે છે.
સાંસ્કૃતિક પરિબળો
મોટાભાગના સત્તાધીશોનું વલણ, સારા કે ખોટા હેતુઓ માટે વધુ અને વધુ સત્તા હાથ કરવાનું હોય છે. પરિણામે લોકશાહીની રક્ષા કરવાની જવાબદારી મુખ્યત્વે જનતા તથા તેના પ્રબુદ્ધ નેતૃત્વના શીરે રહે છે.
બંધારણીય વ્યવસ્થાની અવજ્ઞા તથા વિકૃતિ અને રાજકારણ તથા નેતૃત્વના આ પતન ઉપરાંત આપણી લોકશાહી સામેનો મહત્ત્વનો પડકાર આપણા પ્રજામાનસમાં સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રવર્તતાં વલણો અને અભિગમને કારણે પેદા થાય છે. લોકશાહી એક જીવનશૈલી હોવાથી રાષ્ટ્રની જનતામાં તેની રક્ષા, સંગોપન, સંવર્ધન માટે કેટલાંક વૈચારીક મૂલ્યો તથા વ્યાહવારિક વર્તન લોકશાહીનાં મૂળિયાંને દ્રઢ કરવા જરૂરી છે. ભારતની જનતાના માનસમાં રહેલાં લોકશાહી વિરોધી વલણો દૂર કરી તેના સ્થાને લોકશાહીને સમર્થક વલણો વિકસે તેવી સાંસ્કૃતિક ક્રાંતિની આવશ્યક્તા છે.
જનતામાં એવી સમજ જરૂરી છે કે આપણા પ્રશ્નો-સમસ્યાઓ આપણે જ ઉકેલવાની છે કોઈ અલૌકિક કે દિવ્ય શક્તિ ઉપર તે માટે આધાર રાખી શકાય નહીં. આપણી સમસ્યાઓ આપણે જ સર્જેલી છે તે પૂર્વજન્મનાં કર્મો, પ્રારબ્ધ, ગ્રહો કે પાપને કારણે સર્જાયેલી નથી તેથી તેના નિવારણની જવાબદારી પણ આપણા માથે જ છે.
સમસ્યાઓને સમજવા તથા તેના નિવારણ માટે વૈજ્ઞાનિક-તાર્કિક-બૌદ્ધિક (રેશનલ) પદ્ધતિથી વિચારવું અને વર્તવું જોઈએ.
દરેક વ્યક્તિ સમાન છે, તેનું વ્યક્તિ તરીકે ગૌરવ કરવું જોઈએ અને કોઈની સાથે લિંગ, ધર્મ, જાતિ, રંગ, જ્ઞાતિ જેવાં કારણે ભેદભાવ આચરવો જોઈએ નહીં.
માનવી તરીકે આપણને મળેલા સ્વતંત્રતા, સમાનતા વગેરે અધિકારો કોઈની ભેટ કે દાન નથી પણ આપણો જન્મસિદ્ધ હક છે. આપણા તથા અન્યના તેવા જ અધિકારોની જાળવણી અને રક્ષા કરવાની ફરજ અને જવાબદારી આપણા શીરે જ છે.
આપણી તમામ સમસ્યાઓ અને તકલીફો કોઈ તારણહાર નેતા દ્વારા દૂર થશે તેવો ભ્રમ સેવવો અને વ્યક્તિપૂજા કે કરિશ્માવાળા નેતૃત્વને ઉત્તેજન આપવાનું વલણ લોકશાહી સાથે સુસંગત નથી.
ભારતમાં લોકશાહીના વિકાસનું આ ચિત્ર નિરાશાજનક છે. આપણે લોકશાહીનાં વૃક્ષને ઉછેરવાને બદલે તેનાં પુષ્પ મસળી નાંખીએ છીએ, પાંદડાં ચૂંટી કાઢીએ છીએ, ડાળીઓ કાપી રહ્યાં છીએ, થડ છોલતા રહ્યા છીએ અને મૂળિયાંમાં તો સડો છે. આ સ્થિતિમાં પરિવર્તન ના થાય ત્યાં સુધી લોકશાહીનાં ફળની આશા રાખવી સંભવિત નથી.
e.mail : jaykepatel@gmail.com