પ્રિયા પ્રકાશ વેરિયર યાદ છે, જેની આંખના ઉલાળે સોશ્યલ મીડિયાના ધબકારા વધી ગયા હતા, અને હૈદરાબાદ પોલીસે, અમુક લોકોની ફરિયાદના આધારે, એની સામે ઈશનિંદા(ઈશ્વરના અપમાન)નો અપરાધ નોધ્યો હતો? સુપ્રિમ કોર્ટે આ ફરિયાદ કાઢી નાખીને કહ્યું છે કે, "તમારી પાસે બીજો કોઈ કામ-ધંધો નથી કે, કોઈ વ્યક્તિ ફિલ્મમાં ગીત ગાય અને તમે એની સામે કેસ ફાઈલ કરો છો?" મલયાલમ ફિલ્મ 'ઓરું અદાર લવ'ના ગીતમાં પ્રિયાએ મોહમ્મદ પયગમ્બરનું અપમાન કર્યું છે, અને મુસ્લિમ કૌમની લાગણી દુભાવી છે, તેવી ફરિયાદ ગયા વર્ષે નોધાઇ હતી.
ફરિયાદીઓએ કહ્યું હતું કે, "આ ગીતમાં એક સ્કૂલગર્લ અને છોકરો આંખોના ઉલાળા કરે છે. આંખો મારવી ઇસ્લામમાં પ્રતિબંધિત છે. મોહમ્મદ પયગંબર અને તેમની પત્નીની સ્તુિતમાં ગવાતા આ ગીતમાં આંખો મારતું દ્રશ્ય ગોઠવીને લાગણી દુભાવામાં આવી છે." કોર્ટે કહ્યું કે, "આંખ મારવાની વાત સાચી હોય તો પણ, એ ધાર્મિક લાગણી દુભાવાના આશયથી નથી, અને કોઈ ગુનો બનતો નથી."
પ્રિયાએ બેંચને રજૂઆત કરી હતી કે, "મોહમ્મદ પયગંબર અને એમની પહેલી પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા કરતા આ ગીતમાં ફરિયાદીઓએ ગેરસમજ કરી છે, અને આ પરંપરાગત ગીત તો ઉત્તર કેરળના મલબાર પ્રદેશમાં મુસ્લિમો દ્વારા પણ ગાવામાં આવે છે. અચાનક આ ગીત કેવી રીતે લાગણી દુભાવતું થઇ ગયું?" સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, આ મલાયાલી લોકગીત ૧૯૭૮થી પ્રચલિત છે, અને એમાં કોઈ નિંદા થતી નથી.
ફરિયાદીઓએ કુરાનની આયાત ટાંકીને કહ્યું હતું કે, ઇસ્લામમાં કોઈને સેકસુઅલ ઈશારા માટે કે જૂઠ બોલવા માટે આંખ મારવી હરામ છે. પહેલી વાત તો એ કે, ઇસ્લામમાં આવી કોઈ પાબંધીનો સંદર્ભ નથી. રૂઢિચુસ્ત મુસ્લિમો ફિલ્મો અને સંગીતને હરામ ગણે છે. પયગમ્બર અને અને એમની પહેલી પત્નીની પ્રશંસામાં ગવાતું આ મલાયાલી લોકગીત ફિલ્મમાં લેવાયું અને એમાં એક દ્રશ્યમાં પ્રિયા આંખ મારે છે, એટલે કેટલાક અધકચરા મૌલવીઓએ એવી તકરાર ઊભી કરી કે, આંખ મારવી એ હરામ છે.
અલગ અલગ સમાજોમાં આંખ મારવાને લઈને વિવિધ અર્થો છે. લેટિન અમેરિકન દેશોમાં એનો અર્થ સેકસુઅલ થાય છે. યુરોપમાં, ખાસ કરીને ફ્રાંસમાં, આંખ મારવાને રોમેન્ટિક ઈશારો નથી ગણાતો. ચીનમાં હાવભાવનો બહુ ઉપયોગ થતો નથી, આંખ મીલાવીને વાત થતી નથી, એટલે આંખ મારવી એ અપમાનનો સંકેત છે. પશ્ચિમ આફ્રિકન દેશોમાં મહેમાનની હાજરીમાં પિતા બાળકને આંખ મારે, તો એનો અર્થ એણે બીજા કમરામાં જતા રહેવું, એવો થાય છે. ઇસ્લામમાં સ્ત્રીની આંખમાં જોવું એ અસભ્યતા છે, એટલે આંખ મારવી એ અશ્લીલ ગણાય છે.
આંખ મારવી એ, ખાનગી અને જાહેર, બંને ક્રિયા છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ વેળા વડાપ્રધાન મોદીને આલિંગન આપ્યા પછી, રાહુલ ગાંધીએ આંખ મારીને દેશમાં કોલાહલ ઊભો કર્યો હતો. પ્રિયાએ ત્યારે કહ્યું હતું, "મઝા આવી ગઈ. આ તો મારી સિગ્નેચ્ચર હતી." ૨૦૦૮માં અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ૭ કરોડ દર્શકોની સામે વાઈસ-પ્રેસિડેન્ટપદની ઉમેદવાર સારાહ પાલીને એક નહીં, છ વાર આંખ મારીને અમેરિકાની આંખો પહોળી કરી નાખી હતી. તેના પ્રતિસ્પર્ધી જોઅ બીદને ત્યારે કહેલું, "આ કોક નાચનારી જેવી છે. આ અમેરિકાની પ્રેસિડેન્ટ બનશે?"
એ પહેલાં, ૨૦૦૭માં, વ્હાઈટ હાઉસમાં બ્રિટિશ મહારાણીના સ્વાગતમાં પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશે ગફલત કરી હતી કે, મહારાણીએ ૧૭૭૬માં યુ.એસ.ની ડબલ શતાબ્દીની ઉજવણીમાં મદદ કરી હતી. સાલ ૧૭૭૬ નહીં, ૧૯૭૬ હતી. ભૂલ સમજતાં, બુશે આંખ મારીને કહ્યું હતું, "એક મા એના બચ્ચાને લઢે એવી રીતે એમણે મારી સામે જોયું." ૭,૦૦૦ દર્શકો સામે બીજા દેશનો વડો એમને આંખ મીચકારે એવો, રાણી માટે આ પહેલો પ્રસંગ હતો.
એથી ય જૂના ઈતિહાસમાં, ભારત સમજીને અમેરિકાના કિનારા ઉપર ઊતરેલા ક્રિસ્ટોફર કોલંબસે ત્યાંની ખૂબસુરતી જોઇને ખુશીમાં આંખ મારી હતી. ૨૦મી જૂન ૧૯૬૯ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકતાં વેંત શુકન માટે ચંદ્રને આંખ મારી હતી. અમેરિકા-કેનેડામાં બીજી ફેબ્રુઆરીએ ગ્રાઉન્ડહોગ (મોટી ખિસકોલી) ડે ઉજવાય છે. માન્યતા એવી છે કે, ગ્રાઉન્ડહોગ એના દરમાંથી બહાર નીકળે, અને સાફ હવામાન છતાં, એનો પડછાયો જોઇને પાછી દરમાં ઘુસી જાય, તો એને અર્થ એવો થાય કે, શિયાળો છ મહિના ચાલશે. ૧૯૬૪થી એક માન્યતા એવી છે કે, એ દિવસે ખિસકોલી બહાર આવી, અને આંખ મારીને પાછી અલોપ થઇ ગઈ.
આ એક જ એવી દેહભાષા છે, જેની પાછળનો આશય ઈશારો કરનાર અને ઈશારો જોનારને જ ખબર પડે છે. વ્યક્તિ રિલેક્સ અનુભવે, ખુશીનો અહેસાસ થાય, વિજાતીય આકર્ષણ થાય ત્યારે આંખ મારે છે. એનો સૌથી જાણીતો ઉપયોગ ફ્લર્ટિંગ કે સેકસુઅલ ઈશારા માટેનો છે. માણસ આવું કેમ કરે છે, તેનો હજુ સુધી કોઈ સંતોષકારક ઉત્તર નથી. ભારતમાં આંખ મારવાને હસી-મજાકમાં કાઢી નાખવા સિવાય, કોઈ ગંભીર વિચાર થયો નથી. આપણે ત્યાં મોટાભાગે એને બીભસ્ત અને અશ્લીલ ગણીને ખારીજ કરવામાં આવે છે.
અંગ્રેજીમાં 'વિન્ક' શબ્દ અમુક સદી પહેલાંની જૂની ઇંગ્લિશના ક્રિયાપદ 'વિન્સિયન' પરથી આવે છે, જેનો મતલબ થયા છે, 'ઝડપથી આંખ દબાવવી.' દેહભાષા ઉપર વિશ્વમાં ખૂબ સંશોધન થયાં છે. આ આંખ મારવાનું રહી ગયું. બ્રિટિશ પ્રકૃતિવિદ ચાર્લ્સ ડાર્વિને (૧૮૦૯-૧૮૮૨) લાગણીઓની અભિવ્યક્તિ પર પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો (The Expression of the Emotions in Man and Animals), પણ એમાં આંખ મારવાની ક્રિયાનો ઉલ્લેખ ન હતો.
છેક ૬૦-૭૦ના દાયકામાં વિજ્ઞાનના પંડિતોને સવાલ થવા લાગ્યો કે, માણસો આંખ મારવાથી વિચલિત કેમ થાય છે. શરીરની સુંદરતાને નજરથી નવાજવાની વૃતિ જાણીતી છે. કોઈ આપણને આકર્ષે, તો આપણે સ્વેચ્છાએ કે અનિચ્છાએ રિએક્ટ કરીએ છીએ. કીકી અને આંખના રિફલેક્સમાં નિષ્ણાત, જર્મન બાયોસાઈકોલોજિસ્ટ એખાર્ડ હેસ્સને, આના પરથી પ્યુિપલોમેટ્રી (કીકીઓના વ્યાસમાં વધ-ઘટ)નો અભ્યાસ કરવાનો વિચાર આવેલો.
આંખની કીકી દેહભાષાનો હિસ્સો છે, જેના પર આપણું નિયત્રણ નથી. આંખોમાં આવતા પ્રકાશ પ્રમાણે એ એડજસ્ટ થતી રહે છે. જેવી રીતે તમે કોઈ ભવ્ય પર્વત કે સમુદ્ર જુવો, અને 'શ્વાસ થંભી જાય,' તેવું જ આંખનું છે. તમને કશુંક આકર્ષે ત્યારે કીકીઓ ફેલાઈ જાય, કંટાળો આપે તો સંકોચાઈ જાય. હેસ્સે તારણ કાઢ્યું કે, આંખ મારવી એ કીકીઓ વિસ્તરી છે એનું એલર્ટ છે. તમે લાંબો સમય કોઈની વિસ્તરેલી કીકીઓમાં જુવો, તો એ એક વિશ્વાસપૂર્ણ સંબંધના પૂલનું કન્સ્ટ્રકશન છે.
આમીર ખાનની 'ગુલામ' ફિલ્મના ગીત 'આતી ક્યા ખંડાલા…'ના શુટિંગમાં રાણી આમીર સામે સરખું જોતી ન હતી, એટલે બહુ રીટેક લેવા પડ્યા હતા. આમીરે રાણી મુખર્જીને ખખડાવી. રાણીએ ત્યારે કહેલું, "મને ડર લાગે છે કે, હું બહુ લાંબો વખત તારી આંખમાં જોયા કરીશ તો પ્રેમમાં પડી જઈશ." અમેરિકન સેલિબ્રિટીઓની દેહભાષાની નિષ્ણાંત પેટ્ટી વુડ કહે છે કે, આંખ મારવાથી સેકસુઅલ સંબંધનો ડર અને શર્મ દૂર થાય છે, અને એવો મેસેજ જાય છે કે, આંખ મારનાર વ્યક્તિ સેક્સ માટે સલામત છે.
એટલા માટે જ, અંગ્રેજીમાં આંખને આત્માની ખિડકી કહે છે. વ્યક્તિનું ગહેરું ભાવનાત્મક અસ્તિત્વ આંખમાં જ દેખાય છે. વ્યક્તિના મન અને શરીરમાં શું થઇ રહ્યું છે તે કીકીઓના હલનચલનથી માલુમ પડે છે. સામે સાપ હોય કે સુંદરી, આંખો પહોળી થઇ જ જાય, દિલના ધબકારા વધી જ જાય, રક્તચાપ ફાસ્ટ થઇ જાય, ઓટોમેટિક નર્વસ સિસ્ટમ જાગૃત થઇ જ જાય અને તમારે એના માટે કશુંક કરવું જ પડે. ગુલઝારે એટલે જ 'કજરા રે..’ ગીતમાં લખ્યું હતું :
આંખે ભી કમાલ કરતી હૈ, પર્સનલ સે સવાલ કરતી હૈ
પલકોં કો ઉઠાતી ભી નહીં હું, પરદે કા ખ્યાલ કરતી હૈ