ફોટામાં જે છોકરી તમને દેખાય છે, એ મારી દીકરી છે. એનું નામ ઝંખના ઉત્તમભાઈ પરમાર છે. એનું હુલામણું નામ ‘ગુલી’ છે. એનો જન્મ 4-11-1981ને દિવસે થયો હતો. એનું લગ્ન ૧લી ફેબ્રુઆરી 2004ને દિવસે થયું હતું. એના લગ્નની કંકોત્રી છપાવવા માટે મેં પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલી તો લગ્નનું મેટર જોઈને પ્રિન્ટર મારા પર ગુસ્સે થયો. આવી કંકોત્રી છાપવાની છે? હું ચાર પેઢીથી છાપખાનું ચલાવું છું. હજી સુધી આવી કંકોત્રી કોઈએ છપાવી નથી. આવી કંકોત્રીનો વિરોધ થશે અને તમારે ફરીથી કંકોત્રી છપાવી પડશે.
મેં કહ્યું ભાઈ, તું તારે કંકોત્રી છાપ, કંકોત્રીની ચિંતા તમારે કરવાની જરૂર નથી.
3,000 કંકોત્રીનું કાર્ટન મારા ઘરે આવી પહોંચ્યું. સ્વાભાવિક છે કે જેના લગ્ન હોય તેને કંકોત્રી જોવાનો ઉમંગ હોય. મારી દીકરી ઝંખનાએ કાર્ટનની પેકિંગ strip ખોલી, કાર્ટનના ફટાકિયા ખુલ્લા કર્યા. જેવી એની નજર કંકોત્રી ના કવર પર પડી અને એ મારા પર ગુસ્સે થઈ.
પપ્પા આ શું છે? અહીં પણ પોલિટિક્સ કરવાનું?
બન્યું એવું હતું કે મેં કંકોત્રીના કવર પર શુભ કાર્યના દેવતા ગણેશજીની જગ્યાએ ગાંધીજીની છબી છપાવી હતી.
ઝંખના કહે પપ્પા ગાંધીજીને મહાપુરુષ કહેવાય ભગવાન નહીં. મારે શુભ કાર્યના દેવતા ગણેશજી જોઈએ, ગાંધીજી નહીં.
ઝંખનાએ કંકોત્રી હાથમાં પકડી કવર ખોલી અંદરની પત્રિકા બહાર કાઢી. ત્યાં મારું બીજું પરાક્રમ હતું.
ગણેશજીની જગ્યાએ ગાંધીજીની છબી તો હતી જ, પરંતુ સાથે લખ્યું હતું કે મહર્ષિ માર્ક્સ મહાત્મા ગાંધી અને ક્રાન્તદ્રષ્ટા આંબેડકરના પુણ્ય પ્રતાપે મારી દીકરી ઝંખનાના લગ્ન ફલાણા ફલાણાના સુપુત્ર સાથે નિર્ધાર્યા છે, તો આપ આશીર્વાદ આપવા પધારશો.
ઝંખના કહે પપ્પા. આ ત્રણેય પણ મહાપુરુષો કહેવાય એ આપણી કુળદેવીનું સ્થાન ન લઈ શકે. મારી કુળદેવીના આશીર્વાદ જોઈએ, મહાપુરુષોના નહીં. પપ્પા, હું આ કંકોત્રી વહેંચવા નહીં દઉં; મારે તો આપણી પરંપરિત ગણેશજી અને કુળદેવીવાળી જ કંકોત્રી જોઈએ.
મેં કહ્યું બેટા, આપણે પાંચ મિનિટ વાત કરી લઈએ પછી તને મારી વાત ગળે ન ઊતરે એટલે આ કંકોત્રી ફાડી નાખીશું અને આપણી પરંપરિત કંકોત્રી ગણેશજી અને કુળદેવીવાળી ફરીથી છપાવી લઈશું.
ઝંખના મને કહે, બોલો શું કહેવું છે તમારે?
મેં કહ્યું બેટા, તું શું ભણી છો?
એટલે મને કહે હું બી.કોમ થઇ છું અને એલ.એલ.બીના ફર્સ્ટ યરમાં છું.
મેં કહ્યું તને કોણે ભણાવી.
એટલે એ કહે તમે મને ભણાવી.
મેં કહું મેં તને કેમ ભણાવી?
ઝંખના કહે છે દરેક સંસ્કારી મા બાપ પોતાનાં સંતાનોને ભણાવે છે એટલે તમે મને ભણાવી.
મેં કહ્યું તને ભણાવવાની પ્રેરણા મને કોણે આપી.
ઝંખના કહે દાદાજીએ આપી.
મેં કહ્યું દાદાજીને દીકરીને ભણાવવાની પ્રેરણા કોણે આપી?
ઝંખના કહે એમના પિતાજીએ આપી.
એટલે મેં કહ્યું કે બેટા, તું આમ સહેલાઈથી વંશના પગથિયાં ચડ્યા કરે છે, પરંતુ અહીંથી જૂઠનો ઇતિહાસ શરૂ થાય છે. તારા દાદાજીના પિતાના સમયમાં દીકરીને ભણાવવી એ કુસંસ્કારનો વિષય કહેવાતો. એ વખતે જે માબાપ દીકરીને ભણાવતાં એ વંઠી ગયેલાં મા-બાપ કહેવાતાં, કુસંસ્કારી મા-બાપ કહેવાતાં.
આ સાંભળીને ઝંખના કહે એવું તે વળી કઈ હોતું હશે, તો પછી આજે આટલી બધી બહેનો ભણી કેવી રીતે? અને નોકરી કેવી રીતે કરે છે?
મેં કહ્યું જો આ કંઈ ગપ્પાબાજી નથી એના ઐતિહાસિક પ્રમાણો છે.
1901માં ગુજરાતમાં માત્ર બે જ સ્ત્રીઓ ગ્રેજ્યુએટ હતી, અને તે પણ ઘરે રહીને ભણી હતી. બેટા, તું જે શાળામાં ભણી છે તે કીમ એજ્યુકેશન સોસાયટી ૧૯૪૪માં સ્થપાયેલ અને તેના પહેલા બેચમાં એક પણ છોકરી ભણતી નહોતી. 1885માં મુંબઈમાં એક પારસી સદગૃહસ્થ પોતાની દીકરીને યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા માટે ગયા હતા, પરંતુ યુનિવર્સિટીએ કહ્યું હતું કે દીકરીને ભણાવવાનું કોઈ પ્રાવધાન યુનિવર્સિટીના ઓડિયન્સમાં નથી.
આ સાંભળીને ઝંખના દિગ્મુઢ બની ગઈ.
ઝંખના પૂછે છે તો પછી બધી સ્ત્રીઓ ભણતી કેવી રીતે થઈ?
મેં કહ્યું કે સ્ત્રી શિક્ષણની શરૂઆત મહાત્મા ફુલે, સાવિત્રીબાઈ ફૂલે, રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવાં મહાપુરુષોએ શરૂઆત કરી. પરંતુ તે તેમના કાર્ય વિસ્તારના પોકેટ પૂરતી વાત હતી. જ્યારે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી આસામ સુધી એકસાથે વ્યાપક પ્રમાણમાં સ્ત્રી જાગૃતિ અને સ્ત્રી શિક્ષણનું કામ મહાત્મા ગાંધીને કારણે શક્ય બન્યું. 1915માં ગાંધીજી ભારતમાં આવ્યા પછી એક વર્ષ સુધી તેમણે મૂંગા મોઢે સમગ્ર ભારતનું નિરીક્ષણ કર્યું અને તેમાં તેમને 50% મહિલા જન રાશિની ભાગીદારી કોઈ જગ્યાએ જોવા મળી નહીં. આ નિરીક્ષણ પરથી ગાંધીજીએ તારણ કાઢ્યું કે જે દેશની ૫૦ ટકા વસતી મૃતપાય અવસ્થામાં રહેતી હોય તે દેશ ગુલામ રહે તેમાં કોઈ નવાઈ નથી. એટલે એમણે પહેલો કાર્યક્રમ એ શરૂ કર્યો કે મારા કોઈ પણ આંદોલન કે ચળવળમાં મારે બહેનોની ભાગીદારી જોઇએ. ગાંધીજીના આ ક્રાંતિકારી કાર્યક્રમને કારણે આખા દેશમાં ખૂણેખૂણામાંથી સ્ત્રીઓ સ્વાતંત્ર્ય આંદોલનમાં સામેલ થવા માંડી. મનુસ્મૃતિની નિર્માલ્ય અને નિર્બળ સ્ત્રીઓ મહાત્મા ગાંધીના ક્રાંતિકારી કાર્યક્રમને કારણે વીરાંગનાઓ બનવા માંડી. સ્ત્રીઓની આ સ્વાતંત્ર્ય આંદોલનની ભાગીદારીમાંથી જ સ્ત્રી શિક્ષણની જ્યોત આખા દેશમાં પ્રસરી ગઇ.
બેટા ઝંખના, તું આજે બી કોમ, એલ.એલ.એમ. થઈ છે. તેનું શ્રેય તારા બાપાને કે તારા દાદાને જતું નથી. પેલા આપણા ગણેશજીને કે કુળદેવીને પણ જતું નથી. એ ગણેશજીએ કે એ કુળદેવી એ તમારી સ્ત્રીઓની આર્થિક, સામાજિક, શૈક્ષણિક કે રાજકીય ભાગીદારી માટે નવા પૈસાનું પણ પ્રદાન કર્યું નથી.
બેટા ઝંખના, તારા ભાગ્ય વિધાતા ગણેશજી પણ નથી અને કુળદેવીઓ પણ નથી; પરંતુ મહર્ષિ માર્કસ મહાત્મા ગાંધી અને ક્રાન્તદ્રષ્ટા આંબેડકર છે.
આ સાંભળીને ઝંખનાએ રડી દીધું.
એ કહેવા લાગી કે આજે મારી 23 વર્ષની ઉંમરે મારા ગોડફાધર અને મારા ભાગ્ય વિધાતા મહર્ષિ માર્કસ, મહાત્મા ગાંધી, ક્રાન્તદ્રષ્ટા આંબેડકરનો મને સાક્ષાત્કાર કરાવો છો?
મેં કહ્યું બેટા, તું ભાગ્યશાળી છે કે તને તારા ભાગ્ય વિધાતાનો પરિચય 23માં વર્ષમાં થઈ જાય છે. મને આ સાક્ષાત્કાર થતાં ૩૨ વર્ષ થઇ ગયાં હતા. તું મારા કરતાં નવ વર્ષ પહેલાં આ સત્ય સમજી ચૂકી છે.
ઝંખના મહાત્મા ગાંધીને પોતાના હૃદયમાં બેસાડીને, આજે બેંકમાં ઓફિસર તરીકે સેવા બજાવી રહી છે.
05 ડિસેમ્બર 2019
(કીમ, સુરત જિલ્લો, ગુજરાત)