Opinion Magazine
Number of visits: 9448923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તા અને ધનશક્તિમાં અટવાતું ન્યાયતંત્ર !

મનીષી જાની|Opinion - Opinion|4 September 2019

કેટલીક નાનકડી ઘટનાઓ ક્યારેક ઘણી સૂચક બની રહેતી હોય છે. થોડાક મહિનાઓ પહેલાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીના કોઇક આર્થિક ગુના વિશેનો કેસ સુપ્રીમ કોર્ટમાં અને તે ય મુખ્ય ન્યાયમૂર્તિનાં વડપણમાં ચાલી રહ્યો હતો. અને ત્યારે કેસ પ્રક્રિયાની કોઇક નાજુક ક્ષણે એ કેસની તારીખ, મુખ્ય ન્યાયમૂર્તિએ નક્કી કરી હતી તે, તેમની જાણ કે સંમતિ વિના બદલાઈ ગઈ અને બોર્ડ પર મૂકાઇ ગઈ ! અને તે ય મુખ્ય ન્યાયમૂર્તિને તો જે તે નિશ્ચિત સમય બાદ તેની ખબર પડી !

તેમણે આ અંગે કોર્ટમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું અને આમ કેમ થયું અને તે માટે જવાબદાર કોણ તે માટે તપાસ સમિતિ પણ નીમી.

આ તપાસ સમિતિએ આ બદમાશી માટે કોને દોષિત ઠેરવ્યા અને દોષિતોને કેવી સજા થઈ તે અંગેના સમાચાર હજી વાંચવા કે જાણવા મળ્યા નથી એટલી વાત પાક્કી!

દેશના સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાય પ્રક્રિયામાં આઘુંપાછું, છેડછાડ અને ઘાલમેલ થઈ શકે છે એ પોતે જ કેવડો મોટો ગુનો ગણવો રહ્યો ? – એ કોઈને સમજાવવાની જરૂર લાગતી નથી.

પણ સવાલ એ વધારે મહત્ત્વનો છે કે આવું કેમ થાય છે ? શું કોઈને હવે કોઈનો ડર રહ્યો નથી ? કે પછી ધનશક્તિ એવી મોટા પાયે કામ કરે છે કે કૌભાંડ કરતાં પકડાઈએ તો એ ધનશક્તિ અધિકારી કે કર્મચારી તરીકે જે કામગીરી થાય છે, અને તે માટે જે પગાર મળે છે તેનાંથી ય કંઈક વિશેષ બની રહે એવી હોય છે ?

નૈતિકતા કે મૂલ્યોની ચર્ચા બાજુએ મૂકીએ, તેની ચર્ચા જ ન કરીએ, પરંતુ જ્યાં આખાને આખા તંત્રો, એકબીજા પર ચોકી કરતાં, તપાસ રાખતાં તંત્રો ન્યાયની પ્રક્રિયામાં જોડાયેલાં હોય, અનેક વ્યક્તિઓ તેમાં સંકળાયેલી હોય અને તેમાં એક સાથે મોટી શિથિલતા આવી જાય એ વધુ ચિંતાજનક બાબત બની રહે છે.

હમણાં જ ગયા અઠવાડિયે પટણા હાઇકોર્ટના એક વરિષ્ઠ અને નંબર ટુ ન્યાયમૂર્તિ રાકેશકુમારે ચાલુ કોર્ટમાં જ એક કેસની કાર્યવાહી દરમિયાન જ ભ્રષ્ટ થઈ ગયેલા ન્યાયતંત્ર અને તેમાં સંડોવાયેલા સાથી ન્યાયમૂર્તિઓનો ઉલ્લેખ કરતાં અને તે કેસની તપાસ સી.બી.આઇ.ને સોંપવાનો ઓર્ડર આપતાં જે વાત કરી, તેનાથી દેશમાં સહેજ સાજ ખળભળાટ થયેલો જણાયો પણ વિશેષ નોંધપાત્ર વાત તો એ છે કે આ વાતના બીજા જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિએ અગિયાર ન્યાયમૂર્તિઓની ખંડપીઠ બનાવી આ ન્યાયમૂર્તિ રાકેશકુમારના ચુકાદાઓ પર રોક મૂકી દેતા ટીકા કરી કે 'આ ચુકાદાઓ હાઈકોર્ટના નહીં પણ શેરીઓમાં નિવેદનો જેવા છે ..'

આમ મુખ્ય ન્યાયમૂર્તિએ તો આક્ષેપોને જ હાઈકોર્ટને લાંછનરૂપ ગણી, સાથે ખુલાસો માંગી ન્યાયમૂર્તિ રાકેશકુમારને જ ન્યાયના કઠેડામાં ઊભા કરી દીધા !

જસ્ટિસ રાકેશકુમારે વળતો જવાબ આપતાં જણાવ્યું કે હું મારી વાતને વળગી રહું છું અને સવાલ કર્યો કે જેમની સામે ભ્રષ્ટ હોવાની મેં વાત કરી છે તે ન્યાયમૂર્તિઓ ખુદ મારો ન્યાય કેવી રીતે તોલી શકે ?

આ ન્યાયમૂર્તિ રાકેશકુમાર કોઈ વિવાદાસ્પદ ન્યાયમૂર્તિ નથી. વીસેક વર્ષ તેમણે સરકારી અને સી.બી.આઈ.ના વકીલ તરીકેની કામગીરી કરી છે. સી.બી.આઈ.ના વકીલ હતા ત્યારે તેમણે જ ચારા કૌભાંડમાં બિહારના મુખ્ય પ્રધાન લાલુપ્રસાદને દોષિત પુરવાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આવા રાકેશકુમારને અત્યારે તો જાણે કે સમગ્ર પટણા હાઇકોર્ટના સત્તાધારી ને નિર્ણાયક તંત્રોએ એકલા પાડી દેવાની અને બધે જ જાણે કે ઢાંકપિછોડો કરી દેવાની રીતરસમો અપનાવી છે.

હાઈકોર્ટના વકીલોમાંથી પણ તાત્કાલિક કોઈ વ્યાપક પડઘો પડ્યો હોય એ ય લાગતું નથી. આવી ઘટનાઓ જાણે કે નિષ્ઠાવાન, પ્રામાણિક વ્યક્તિઓની ગૂંગળામણ વધારનારી બની રહે છે તે દુ:ખદ છે.

જસ્ટિસ રાકેશકુમારની લડત લાંબી ચાલશે પણ સાથે સાથે ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર સામે અને સમાજમાં રહેલા અન્યાયો સામે લડનારાઓની હિમ્મતને હતાશામાં ફેરવવામાં થોડા સમય માટે સફળ થશે એવું લાગે એ ય સ્વાભાવિક છે.

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિથી માંડી અગિયાર ન્યાયમૂર્તિઓ એક અવાજમાં ભ્રષ્ટાચાર સામે લડનારા પોતાના એક સાથીદારના અવાજને દબાવી દેવા ચારેબાજુથી ઘેરી લે ત્યારે એકલવીરની લડાઈ કેટલી કપરી બની રહે છે તે નોંધનીય છે. ન્યાયતંત્રના પોતાના સાથીદારો સામે આંગળી ચીંધવી જ જાણે કે આ મુદ્દે ગુનો બની હોય એવું લાગે છે.

આ બધી ઘટનાઓ જોતાં મહત્ત્વનો સવાલ એ થાય છે કે આ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને તેમના ન્યાયમૂર્તિઓ માટે શું કોઈ આમન્યા – ડર સુપ્રીમ કોર્ટ કે સેન્ટ્રલ ને બિહાર રાજ્ય સરકારોનાં રહ્યાં જ નથી કે શું ? અને આ ‘નીડર' બની જવાની હિંમત ક્યાંથી આવે છે ? સૌ કોઈ સ્થાપિત હિતોના સથવારે હવે ન્યાયતંત્ર અને ન્યાયતંત્રની પ્રક્રિયાઓનું ધોવાણ થયું છે કે શું ?

આપણા ગુજરાતમાં ગયા દસકામાં બનેલી ફેક એન્કાઉન્ટરની ઘટનાઓમાં જ્યાં રાજ્ય સરકારે ખુદ સ્વીકાર્યું હતું કે પોલીસ દ્વારા કરવામાં આવેલાં હતાં, કેટલાક ઉચ્ચ પોલીસ ઓફિસરો જેલ ગયા પણ છેવટે સ્થાપિત હિતોની સાંઠગાંઠમાં ન્યાયની પ્રક્રિયા એવી ચાલી કે અત્યારે ઘણા બધા આ પોલીસ ઓફિસરો નિર્દોષ છૂટી ગયા યા જામીન પર છૂટી ગયા. એનો અર્થ એટલો જ કે ફેક એન્કાઉન્ટરમાં વ્યક્તિઓને પોલીસ ઓફિસરો દ્વારા મારી નંખાઇ એ સાબિત થયું પણ કોણે, ક્યા પોલીસે મારી નાખ્યાં એ કોઈને ખબર નથી ! કેવી હાસ્યાસ્પદ અને વિચિત્ર ન્યાયિક પ્રક્રિયા !

અને ઉત્તરપ્રદેશમાં બનેલી તાજેતરની કેટલીક ઘટનાઓ સત્તા અને સ્થાપિત હિતો ન્યાયના ત્રાજવાને કેવી રીતે રમાડે છે તે અંગે અંગૂલિનિર્દેશ કરનાર બની રહે છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે તો ખુદ પોતાના પરથી અને અન્ય સાથીદાર રાજકીય નેતાઓ પરથી કેટલીક ક્રિમીનલ કેસોની ફરિયાદો જ હટાવી દીધી ! ન રહેગા બાંસ ઔર ન બજેગી બાંસુરી !

અને છેલ્લા છ મહિના દરમિયાન ઉતરપ્રદેશમાં ઉન્નાવ બળાત્કારની ઘટના અને તે પછી બનતી રહેતી બળાત્કારની ઘટનાઓ વિશે સત્તા, પોલીસતંત્ર, ધનતંત્ર અને ન્યાયતંત્રના મેળાપીપણામાં ન્યાય મળવો તો બાજુમાં રહ્યો પરંતુ ન્યાય માટે લડતી વ્યક્તિઓને જીવ ગુમાવવા પડે એવી ઘટનાઓ ઊભી થાય એ સમગ્ર દેશ માટે, નાગરિક સમાજ માટે લાંછનરૂપ છે તેવો વિચારવાનો મુદ્દો બની રહે છે.

ધારાસભ્ય સામે નોકરી અપાવવાના બહાને કરવામાં આવેલા બળાત્કારની ફરિયાદ થાય તે અંગે પોલીસ કોઈ કાર્યવાહી ના કરે અને કાર્યવાહી માટે ફરજ પાડવા હતાશ થયેલી પીડિત યુવતી જાહેરમાં અગ્નિસ્નાન કરવા મજબૂર બને ત્યારે ત્યારે પોલીસની કલમ કાગળ પર બે-ચાર અક્ષર પાડે અને તે દરમિયાન ફરિયાદ કરનાર યુવતીના પિતાને જ પકડીને પોલીસ અસહ્ય માર મારે અને એ મારથી જ પિતા પોલીસ કસ્ટડીમાં જ મૃત્ય પામે !

આ બધી જ ઘટનાઓ અંગે રાજ્યની હાઈકોર્ટ કે દેશની સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકાર ને કેન્દ્રની સરકાર; બધાં જ આવી દર્દનાક ઘટના વિશે સામેથી સ્વયં સક્રિય બનવાને બદલે મૌન ધારણ કરી આંખ આડા કાન કરવાની ભૂમિકા ભજવી એ સૌ કોઈએ અનુભવ્યું.

છેવટે મીડિયામાં હોહા થતાં કેસના કાગળિયા જરાક હલ્યા પણ ફિલ્મીઢબે બળાત્કારથી પીડિત યુવતી તેના સગાંસ્નેહી અને વકીલ, એ બધાંનાં કોર્ટ કાર્યવાહી માટે જતાં વાહન પર ટ્રક ફેરવી દઈ ગંભીર ઈજાગ્રસ્ત કરી મોતને ઘાટ ઊતારી દેવાનું કાવતરું પણ પાર પડી ગયું, ને છતાં ય ઉત્તરપ્રદેશની સરકાર, મુખ્યમંત્રી ચૂપ રહ્યા. સત્તાધારી પક્ષના અધ્યક્ષ આ પોતાના ખૂની ધારાસભ્યની પક્ષમાંથી તરત હકાલપટ્ટીની કાર્યવાહી ના કરે એ કેટલું અજુગતું ગણવું રહ્યું ?

અને આ આખી ય દર્દનાક બીના રાજકીય પક્ષો પોતાના નેતાઓને બળાત્કારના કિસ્સાઓમાંથી બચાવી લેવા કઈ કક્ષા સુધી તત્પર ને સક્ષમ છે તેની આ સાબિતીરૂપ દુર્ઘટના છે.

જ્યારે કોઈ કેસ હદ વટાવી બેહદ બની જાય છે, અને દેશભરમાં ચકચાર મચી જાય છે ત્યારે જ સરકાર, રાજકીય પક્ષો અને ન્યાયતંત્ર જાતે સહેજ સળવળાટ કરે છે. પણ એ ય ક્ષણિક. અવસર વીતે બધું જ પાછું એનું એ. કેસને ઢીલો કરી નાખવાં ફરી પાછાં સક્રિય બની રહેતાં હોય છે.

એનો અર્થ એ જ થાય કે પીડિતને ન્યાય મળે, દોષિતને સજા થાય, જનતા પોતાને નિર્ભય-સુરક્ષિત અનુભવતી થાય તેને બદલે પીડિત કોણ છે, કઈ જાતિ-જ્ઞાતિ-ધર્મની છે, તાકાતવાન છે કે વંચિત? દોષિત આરોપી કોણ છે, ગરીબ કે તવંગર કે રાજકીય પક્ષને લાભદાયક આગેવાન ? એ બધું ગણતરીમાં અગ્રસ્થાને હોય છે એવું દેખાઈ રહ્યું છે.

ન્યાયનાં કાટલાં બદલાઈ રહ્યાં છે. પણ ન્યાય પ્રક્રિયામાં થતી આવી બાંધછોડ ઘણી લાંબા ગાળાની અસરો છોડતી હોય છે.

આ જ ઉન્નાઉ માં હમણાં ફરી વાર એક ગેંગરેપની ઘટના બની.પિડિત યુવતીએ કલેક્ટર કચેરીએ સળગી મરવાનો પ્રયત્ન કર્યો એ પછી જ પિડિત ની ફરિયાદ ની નોંધ લેવાઈ.

અને બીજી બાજુ આ જ ઉત્તરપ્રદેશમાં કાયદાની માસ્ટર ડિગ્રી માટે ભણતી એક યુવતીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભગવાધારી સ્વામી ચિન્મયાનંદ સામે યૌન ઉત્પિડનની ફરિયાદ કરી અને તે અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં મૂક્યો અને એ ભા.જ.પ.ના આગેવાન સ્વામી પર પોલીસ કાર્યવાહી થતી નથી તેવી આ વીડિયો ક્લિપને લઈ યુવતી પર એટલાં બધાં દબાણો વધી ગયાં કે અઠવાડિયા માટે પરિવારજનોને ય યુવતીની ભાળ મેળવવી મુશ્કેલ બની ગઈ.

છેવટે હમણાં ચાર દિવસ પૂર્વે સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલ કરી યુ.પી. પોલીસને આ ગૂમ થયેલી સહરાનપુરની પીડિત યુવતીને શોધી કાઢી સુપ્રીમ કોર્ટમાં હાજર કરવાનું ફરમાન કર્યું તો તેને રાજસ્થાનથી શોધીને પોલીસે સુપ્રીમ કોર્ટમાં હાજર કરી. આ યુવતીને પોલીસ રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કોર્ટે કરી છે. જોઈએ હવે કે આ કેસમાં પણ અગળ ચાલનારી ન્યાયિક પ્રક્રિયા ઝડપભેર સુપેરે ચાલે છે કે નહીં કે પછી તે બળાત્કાર પીડિત યુવતી માટે એ વિઘ્ન દોડ બની રહે છે.

જેની પાસે સત્તા ને ધનશક્તિ છે તે કાનૂની જંગ લડવાની એવી યુક્તિઓ અજમાવે છે કે તમામ કાયદાઓ હોવાં છતાં આરોપી પરના આરોપો કાનૂની પ્રક્રિયાથી સાબિત થતાં નથી. ન્યાય મેળવવા માંગતી વ્યક્તિઓ આર્થિક અને માનસિક રીતે ખતમ થઈ જાય ત્યાં સુધી એક પછી એક મુદતો અને પછી એક પછી એક પછી એક કોર્ટના ચકકરોમાં તેમને અટવાવી દેવાય છે અને વર્ષો લગી ન્યાયની લડાઈ ચાલુ રહે છે. થાકી જાય એ હારી જાય છે એ ય આપણા લોકશાહી સમાજવ્યવસ્થાનાં ન્યાયતંત્રની મોટી કમજોરી છે.

રાજસ્થાનમાં 2017 માં જ્યારે ગૌહત્યાને નામે, ગાયની હત્યા કે ઊઠાંતરીની શંકા માત્રથી જે રીતે ગૌભક્તો રાજકીય છત્રછાયા હેઠળ ટોળાશાહીમાં ગાય માલિકોને, અને ખાસ કરીને મુસ્લિમોને દલિતોને જાહેરમાં રહેંસી નાંખવાની – મોબ લિન્ચિન્ગની ઘટનાઓ દેશભરમાં ઠેર ઠેર બની રહી હતી ત્યારે પહેલુખાન નામનો રાજસ્થાનના એટ નાનકડા ગામનો માલધારી, જ્યારે પોતાના દીકરા સાથે જયપુર પશુમેળામાંથી 45,000 રૂપિયા ર્ચી ને બે ગાય અને તેનાં બે વાછરડાં ખરીદીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને ગાયોનો ચોર ને કસાઈ ગણાવી આ પહેલુખાન ને દીકરા પર ગૌભક્તોએ હુમલો કર્યો .દીકરો છૂટીને ભાગી શક્યો પણ પહેલુખાનને જાહેરમાં રહેંસી નાખ્યો, મરણતોલ કરી મૂક્યો. તેના મરણોન્મુખ નિવેદનમાં પહેલુખાને 6 હુમલાખોરોનાં નામ પણ આપ્યા, દીકરો ઈર્શાદે પણ પોતાની આંખ સામે પિતા પર હુમલો કરનારાઓને જોયા હતા.

આ અંગે કેસ ચાલ્યો અને હજી પંદર દિવસ પહેલાં જ આ 6 આરોપીઓને સેસન્શ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. ગૌભક્તો અને રાજકીય પક્ષના આગેવાનોએ હારતોરા કરી આ 6 આરોપીઓનું જેલમુક્તિને લઈ સ્વાગત કર્યું.

સવાલ તો મહત્ત્વનો ન્યાયતંત્ર સામે એ રહે જ છે કે ડાઈન્ગ ડેકલેરેશન છે, આંખે જોનારા સાક્ષી છે છતાં ય આરોપીઓ નિર્દોષ છૂટી જાય તો પછી પહેલુખાનને કોણે મારી નાંખ્યો ?

ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ની સરકાર છે તો રાજસ્થાનમાં કૉન્ગ્રેસની. બન્ને ય જગ્યાઓએ વ્યક્તિનું મૃત્યુ નક્કી થાય છે પણ તેને મારી નાખનારાને ન્યાયતંત્ર નક્કી કરી શકતું નથી ! આ તે કેવો ન્યાય ?

પહેલુખાનની પત્ની જૈબુનબાનુ અને દીકરો ઈર્શાદ કહે છે કે 'અમે પેઢીઓથી ગાયભેંસ ઉછેરી દૂધ વેચવાનો ધંધો કરીએ છીએ. અમે હવે દૂધનો ધંધો જ હવે બંધ કરી દીધો. ગાય વગરનું હવે અમારું આંગણું છે. ભેંસ ને ચાર બકરી રાખી છે. જૂનું ઘર પડી જાય એવું છે .. રિપેરીન્ગ માંગે છે. અત્યારે અમે બે ટંક નહીં એક ટંક ખાવા પામીએ છીએ પણ અમે ન્યાય મેળવ્યા વિના નહીં ઝંપીએ …!'

'ઘરબાર વેચી દઈશું પણ આગળ લડીશું. અમારા પરિવારના મોભી પહેલુખાનના હત્યારાઓને સજા કરાવીને જ રહેશું ..!'

ન્યાય મેળવવા માટેનો આ મિજાજ જ્યાં જ્યાં જીવતો છે, ત્યાં કંઈક હજી આશાનો અજવાશ ઝગમગી રહ્યો છે. બાકી ન્યાયતંત્ર તો સત્તા ને ધનશક્તિની સાપસીડીની રમત બની ગઈ હોય એવું ક્યારેક લાગી રહ્યું છે.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 04 સપ્ટેમ્બર 2019

Loading

4 September 2019 admin
← લેખક હોવું એટલે
બજાર, રાજ્ય અને સમાજ અર્થતંત્ર ત્રણ સ્તંભ – દરેક વચ્ચે સંતુલન જરૂરી →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved