Opinion Magazine
Number of visits: 9507199
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવતા આદિવાસીઓ કરતાં આદિવાસી મ્યુઝિયમમાં આપણને કેમ વધુ રસ પડે છે ?

મનીષી જાની|Opinion - Opinion|31 July 2019

ઠેઠ 1961માં નર્મદા ડેમ યોજનાનો પાયો નંખાયો કેવડિયા ગામમાં. એ વખતે કેવડિયા અને આજુબાજુનાં છ ગામોની જમીનોને સરદાર સરોવર યોજના હેઠળ પોતાને હસ્તક લીધી.

કેવડિયામાં એ વખતે પછી યોજના અંગેની સરકારી કચેરીઓ ને મોટા મોટા ગેસ્ટ હાઉસ ઊભાં થયાં. આદિવાસીઓની જમીનો મામૂલી વળતરે સરકારે વિકાસનાં નામે આંચકી લીધી. એ વખતે વિસ્થાપિતો માટે પુનર્વસનનાં કોઈ ખાસ કાયદા ન હતાં. રોકડા રૂપિયા આપીને જમીનો એક્વાયર કરી લેવાની.

સૌથી પહેલાં એ છ ગામના આદિવાસીઓની જમીનોમાંથી થોડોક ઉપયોગ થયો. બાકીની જમીનો એમની એમ રહી. આદિવાસીઓની પેઢી દર પેઢી એ ખેડતી રહી. જેમની જમીનો ઉપયોગમાં લેવાઈ તેમની પાસે આવેલા રૂપિયા તો ખાસ લાંબુ ટક્યા નહીં અને સમય વીતે એ બધાં જમીનવિહોણા ખેતમજૂર કે દહાડી મજૂર બની રહ્યા.

મને યાદ છે. 1985-86ની આસપાસ આ વિસ્થાપિતોની કેવી હાલત-દશા થઈ છે તે જાણવા-સમજવા ફિલ્મકાર સંજીવ શાહ અને મેં આ છ ગામડાંઓમાં ફરી ફરી લોકોનાં વીડિયો ઈન્ટરવ્યુ રેકોર્ડ કર્યાં હતા. કેવડિયાના આગેવાન નારણભાઈ સહિત અનેક પરિવારોની મુલાકાત આધારિત નર્મદાકાંડ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પછી અમે બનાવી હતી.

આ મુલાકાતોમાં અમને જાણવા મળ્યું કે રોજીરોટીની શોધમાં સાબરકાંઠાથી માંડી વડોદરા, મુંબઈ, અમદાવાદ; ક્યાં ક્યાં આ વિસ્થાપન પછી આ આદિવાસી પરિવારોને ભટકવું પડ્યું છે. ઘણાં બધાં પરિવારો વિખરાઇ ગયાં અને નર્મદા કાંઠે જીવાતી જિંદગીમાંથી બદતર હાલતમાં પાણી માટે વલખાં મારતાં જીવવું પડ્યું છે.

આ એક જૂની દર્દકથા છે જ પરંતુ હમણાં આટલાં વર્ષો પછી ફરી પાછાં આ જ ગામોમાં રહેતાં આદિવાસી પરિવારો માટે ઊંઘ હરામ થઈ ગઈ છે.

વર્ષો પછી સરદાર સરોવર તો બની ગયું અને તેને લઈ, નર્મદા નદી કેવી મૃતપ્રાય બની ગઈ છે એ પણ સૌ કોઈ હવે જાણે છે. પણ સાથે સાથે અહીં દુનિયાનું સૌથી મોટું પૂતળું, સરદાર પટેલનું પૂતળું ગુજરાત સરકારે હજારો કરોડ રૂપિયાના ખર્ચે ઊભું કરી દીધું છે. અને તેને પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ બનાવી દીધું છે. હવે ગુજરાત સરકાર અહીં મોટા પાયે પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવા માંગે છે. ડિઝની લૅન્ડ જેવું મનોરંજનનું સ્થાન ઊભું કરવા માંગે છે. મોટા બગીચાઓ સાથે દેશનાં તમામ રાજ્યોનાં ભવનોનું નિર્માણ અને ખાસ તો દેશભરના આદિવાસીઓની સંસ્કૃતિ-કલા દર્શાવતું આદિવાસી મ્યુઝિયમ ઊભું કરવા માંગે છે.

અને આ બધાં માટે હવે ગુજરાત સરકારે અત્યાર સુધી 1961થી લઈ જેનો ઉપયોગ કર્યો ન હતો અને જ્યાં છે ગામોના આદિવાસીઓનાં ઘર-મકાન અને ખેતરો છે એ બધાંને આ જમીન એક્વાયર કરેલી છે અને તેને ખાલી કરવા નોટિસો ફટકારી દીધી છે. વળી આ પ્રવાસનધામ વિકસાવવા એવી કેટલીક જમીનો સરકારને જોઈએ છે કે જ્યાં વિસ્થાપિતોને વસાવવામાં આવેલાં છે.

હવે અત્યાર સુધી જેનો કબજો નથી લીધો અને 1961 પછી ત્રણ ત્રણ પેઢીઓથી અહીં પોતાનું ગુજરાન કરતાં પાંચ હજાર જેટલા આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કેટલી યોગ્ય કહેવાય ?

કાયદા પ્રમાણે જેનો આટલાં વર્ષો થી કબજો નથી લેવાયો તે જમીન જે તે વસવાટ કરનારાં ને ખેતી કરનારાની જ ગણાય અને તે ઉપરાંત જે કામ માટે લેવાનો હતો તેને બદલે બીજાં કામ માટે, હેતુફેર સાથે ના લઈ શકાય એવા મુદ્દા સાથે જનહીતની અરજી ગયા અઠવાડિયે ગુજરાત હાઇકોર્ટમાં થઈ છે.

હાઈકોર્ટે આ અંગે સરકારનો જવાબ માંગ્યો છે અને જમીન સંપાદનની કાર્યવાહી સ્થગિત કરવા આદેશ આપ્યો છે.

આ બધું વાંચતા-વિચારતા મારા મનમાં તો એ જ વાત ઘુમરાયા કરે છે કે પહેલાં એક લાખ આદિવાસીઓએ નર્મદા યોજનાને લઈ પોતાનાં ઘર-ખેતર- જંગલ-વારસો-વિરાસતને નર્મદા મૈયા છોડી વિસ્થાપિત બનીને શહીદી વહોરી અને તે સમયે ગુજરાતની જીવાદોરીરૂપે નર્મદા ડેમને ગણાવાયો ને આદિવાસીઓની જિંદગી બદતર બની તેને બલિદાન ગણાવાયું !

હવે પ્રવાસન, સુખી સંપન્ન લોકો માટે મોજમજા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી-માહિતી અને જ્ઞાન મેળવવાની વાતે તેમને જ, આદિવાસીઓને જ મૂળિયાંથી ઉખેડી નાખવાની વાત કેટલી યોગ્ય ગણવી રહી ?

મનોરંજન માટે જ્યાં જે ગામોમાં, ઘરોમાં, ખેતરોમાં આદિવાસીઓનાં જીવનના ધબકારા પેઢી દર પેઢીથી ધબકી રહ્યા છે તેને ટૂંપો દઈ દેવો કેટલો યોગ્ય ?

આ તે કેવો વિકાસ ? અને આ તે કેવી જીવતાં આદિવાસીઓ વિશેની કહેવાતા સભ્ય-સંસ્કારી સમૃદ્ધ લોકોની દૃષ્ટિ, માન્યતા અને સમજણ ? અને સ્વાર્થથી લથપથ થતી લાલચ ?

પણ આ લાલચ અને તે ય આદિવાસીઓની જમીન હડપ કરી દેવાની કેવી ભયાનક અને મોટાપાયે છે તે હજી પંદર દિવસ પહેલાં જ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉમ્ભા ગામે બનેલી હિંસક ઘટનાઓ દર્શાવનાર બની રહે છે. જ્યાં 10 આદિવાસી સ્ત્રી-પુરુષોનાં ગોળીબારમાં મોત થયાં.

જમીન માફિયાઓ અને સરકારી અધિકારીઓ અને તે ય પાછા ઉચ્ચ કક્ષાના આઇ.એ.એસ. અધિકારીઓની મીલીભગતથી આદિવાસીઓની જ જમીન હડપ કરી જઈ અને તેનો કબજો લેવા; ત્રણ ત્રણ પેઢીઓથી જે જમીનો આદિવાસી ખેડૂતો ખેડી રહ્યાં છે તેમના પર લાઠીઓ અને ગોળીઓ ચલાવી આતંકનો માહોલ ઊભો કરીને !

ખેતરોમાં જ્યાં ત્યાં પડેલી આદિવાસી ખેડૂતોની લાશોનાં ટીવી અને વીડિયો પરનાં દૃશ્યો વિચલિત કરી દે તેવાં હતાં.

અને ગરીબ આદિવાસીઓની જમીનો પચાવી પાડવાનું કારસ્તાન પણ ખૂલ્લેઆમ કેવડા મોટા પ્રમાણમાં ચાલતું હતું ! સરકારી અધિકારીઓને નેતાઓની છત્રછાયામાં ચાલતાં આ જમીન ઝૂંટવણીનું ષડયંત્ર લગભગ 46 કરોડ રૂપિયાની જમીનોનું હતું.

આ જમીનો બનાવટી કાગળો ઊભા કરી, પોતાના નામે કરી લઈ, આદિવાસી ખેડૂતોને તેમના ખેતરોમાંથી તગેડી મૂકવાની આખીયે યોજના કોર્ટમાં થયેલા એક કેસને કારણે ખૂલ્લી પડી ગઈ. આદિવાસીઓના હક્ક માટે કામ કરતાં એક સ્થાનિક વકીલે સોનભદ્ર કોર્ટમાં ખૂલ્લી પાડી. જમીન માફિયાઓએ એક મૃત્યુ પામેલા ખેડૂત પાસેથી જમીન ખરીદી છે તેવા ખોટા દસ્તાવેજ ત્યારે ખૂલ્લા પડી ગયા કે જ્યારે વકીલે એ કહેવાતા મરી ગયેલા ખેડૂતને કોર્ટમાં રજૂ કર્યો ! અને ખેડૂત જીવતો છે તે સાબિત કર્યું !

સાથે સાથે બીજા આવા જ કેસમાં તાલુકા કક્ષાના એક અધિકારીએ જૂની તારીખે જમીન ખરીદીના દસ્તાવેજો પોતાના બે દીકરાઓનાં નામે બનાવી દીધાં ! વકીલે સાબિત કર્યું કે આ બોગસ દસ્તાવેજની જે તારીખ છે એ વખતે જેમનાં નામે જમીન ખરીદાઈ છે તે દીકરાઓનો જન્મ પણ થયો ન હતો !

કોર્ટમાં આ રીતે જમીન ચોરીના કૌભાંડો ખૂલ્લાં પડી જતાં કોઈ પણ રીતે આદિવાસી ખેડૂતોને ડરાવી ધમકાવી જમીનો પચાવી પાડવા તેમના પર સશસ્ત્ર હુમલાઓ કરાયા.

બંદૂકની ગોળીથી ઈજા પામેલા એક આદિવાસી ખેડૂતે પત્રકારોને જણાવ્યું કે આ લોકોએ આવીને અમને ધમકી આપી કે "તમે જેમ ખેતર ખેડો છો ને ખેતી કરો છો એમ અમે કાગળ પર ખેતી કરીએ છીએ … અમારા કાગળ ઠેઠ લખનઉ .. દિલ્લી સુધી ચાલે છે …!"

10 નિર્દોષ આદિવાસીઓને મોતને ઘાટ ઊતારી દઈ કેટકેટલાં આદિવાસી બાળકોને અનાથ કરી દેવાયાં ! પણ આ મૃત્યુકાંડની આપણે શું ચર્ચા કરી ? કેવી ચર્ચા કરી ? 'પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રી આદિત્યનાથે સોનભદ્ર જતાં રોક્યાં .. એમની ધરપકડ કરી રોક્યાં !’ .. 'આદિત્યનાથ આદિવાસીઓ ને મળ્યાને દોષિતોને કડક સજા થશે તેવી જાહેરાત કરી  …!'

પણ ચર્ચા તો ખરેખર આ રોજેરોજ જેમની જમીનો ઝૂંટવાઈ જાય છે તેવાં આદિવાસી સમુદાયોની દશા – દિશા માટે થવી જોઈએ !

પણ આપણા દેશમાં રહેતાં 11,00,00,000 આદિવાસીઓને આપણે, આપણા દેશના નાગરિક ગણીએ છીએ કે નહીં ? – એ સવાલ મહત્ત્વનો બની રહે છે. આપણે જ્યારે આદિવાસી વિશે વાત કરીએ છીએ ત્યારે સમાજમાં એક જ પ્રકારની છાપ મોટાભાગે જોવા મળે છે. 'પોતાની મસ્તીમાં રાત-દાડો નાચનારા, વાજિંત્રો વગાડે, ભૂવા-બાધા -આખડીમાં માને, તીરકામઠાં ચલાવે, અભણ-નિરક્ષર, જંગલમાં ઝૂંપડાં બાંધી રહે, શહેરમાં ફૂટપાથ પર પડી રહીને પણ રોડકામ, મકાન બાંધકામની મજૂરી કર્યા કરે ! જાણે કે વગડાના ફૂલ !'

પણ તેઓ આપણા જેવા જ, આઝાદ દેશનાં ફળ ચાખવા માટેના હક્કદાર નાગરિકો છે એવું આપણે કેમ નથી માનતાં ?નથી સ્વીકારતા ?

આપણને તો આદિવાસીઓ જે કુદરતી સંપદાને સાચવીને તેમાં જ રહે છે તે સંપદાને હડપ કરી જવામાં જ રસ છે. અંગ્રેજોના સમયથી આ બધું ચાલ્યા કરે છે અને 'કાળા અંગ્રેજો'એ તેને વધુ ગતિદાર લૂંટ બનાવી દીધી છે.

આપણા ગુજરાતની જ વાત કરીએ. આપણા નેતાઓ, આપણી સરકાર આદિવાસીઓ તરફ કેવી ઉપેક્ષાથી જુએ છે તે હમણાં ગયા અઠવાડિયે જ ગુજરાત વિધાનસભામાં મૂકાએલો એક રિપોર્ટ દર્શાવે છે.

આદિવાસી કલ્યાણ પેનલ દ્વારા તૈયાર થયેલા આ રિપોર્ટમાં સરકારની કામગીરી ને નિષ્ક્રિયતા વિશે જે ટીકાટીપ્પણો થઈ છે તે ચોંકાવનારી છે.

આ રિપોર્ટ ભા.જ.પ. અને કૉન્ગ્રેસ બન્ને પક્ષના આદિવાસી ધારાસભ્યોની બનેલી કમિટીએ જ તૈયાર કર્યો છે. અને અગાઉ પણ આવો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં મૂકાયો હતો. આ રિપોર્ટમાં દર્શાવાયેલાં સૂચનોનો સરકાર અમલ નથી કરતી તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ તો આદિવાસી વિસ્તારોનાં શિક્ષણ અને રોજગારી તરફ સરકાર સંપૂર્ણ દુર્લક્ષ સેવે છે તે વાત રિપોર્ટમાં મુકાઈ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈ તૈયાર થયેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હજી ઘણાં ગામો એવાં છે જ્યાં વરસાદની સિઝનમાં નદી-નાળાઓમાં પાણી ભરાઈ જાય છે ને વિદ્યાર્થીઓને જીવનાં જોખમે નદી ક્રોસ કરી શાળાએ જવું પડે છે. આ નદીઓ પર પુલ બાંધવા વર્ષોથી માંગણી કરવામાં આવે છે પણ સરકાર તે બનાવતી નથી.

આશ્રમ શાળાઓને પૂરતી ગ્રાન્ટ અને પૂરતાં શિક્ષકો અને તે પણ સ્થાનિક આદિવાસી શિક્ષકોની ભરતી થાય તે આદર્શને પણ લઈને સરકાર ચાલતી નથી.

અરે ! આશ્રમશાળાનાં રસોડાં ચલાવવામાં પણ આદિવાસીઓની ભરતી થતી નથી અને બહારના કોન્ટ્રાક્ટરોને કામ આપી દેવાય છે !

ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષની આશ્રમશાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓની ભરતી તાત્કાલિક થવી જોઈએ.

આશ્રમશાળાઓ માં 50% આદિવાસી કન્યાઓને પ્રવેશના માપદંડને પણ સ્વીકારીને અમલમાં નથી મૂકાતો. આશ્રમશાળાઓના સ્ટાફને હજી પણ સાતમા પગારપંચનો લાભ નથી અપાતો !

તમામ પક્ષના આદિવાસી ધારાસભ્યોની નાની સરખી વાત, નાના પણ ગંભીર મુદ્દાઓને પણ સરકાર અમલમાં ના મૂકતી હોય અને દુનિયાનાં સૌથી ઊંચામાં ઊંચા પૂતળા અને તેની મુલાકાત લેતા પ્રવાસીઓની સેવાથી ઊંચી ના આવતી આ સરકારને લોકશાહી ઢબે ચાલતી સરકાર કહેવાય ખરી કે ?

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 31 જુલાઈ 2019

Loading

31 July 2019 admin
← માહિતી અધિકાર, ઈસ હમામ મેં …
સામ્યવાદી આંદોલને મોટા ગજાનાં વિચારકો ને નિ:સ્વાર્થ અકિંચન નેતા આપ્યા છે →

Search by

Opinion

  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved