Opinion Magazine
Number of visits: 9446915
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત કવિના બૌદ્ધિક અભિગમની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 July 2019

ગામથી શબ્દ લઈને નીકળેલા ‘જાહેરજીવનના કવિ’ ઉમાશંકર જોશી (ઈ.સ. ૧૯૧૧ – ૧૯૮૮) આજીવન શબ્દનો વિસારો વેઠયા વિના અનેક ઊંચા આસને બિરાજ્યા હતા. દેશની સાંપ્રત સ્થિતિમાં ૨૧મી જુલાઈની ઉમાશંકર જયંતીએ તેમના શબ્દ અને જીવનની યાદ સ્વાભાવિક છે.

માંડ સત્તર વરસની ઉંમરથી લખવા માંડેલા ઉમાશંકરે એક વાર એ મતલબનું લખેલું કે કોઈ પુસ્તકને પાઠયપુસ્તક તરીકે ભણવાની વાત પુસ્તકનો સ્વાદ બગાડવા પૂરતી હોય છે, પરંતુ વિદ્યાર્થી ઉમાશંકરને કોલેજના બીજા વરસમાં ખુદનો કાવ્યસંગ્રહ ભણવાનો આવેલો ! આવાં તો કંઈક કૌતુકો આ કવિની જિંદગીમાં જોવા મળે છે. બંધારણ મુજબ વડાપ્રધાન માટે અનામત રખાયેલી રવીન્દ્રનાથની વિશ્વભારતીના આચાર્ય તરીકેની તેમની નિયુક્તિ એક અપવાદ હતો. તેઓ ૧૯૭૦થી ૧૯૭૬ સુધી રાજ્યસભાના રાષ્ટ્રપ્રમુખ નિયુક્ત સભ્ય હતા. તે દરમિયાન ૧૯૭૨ની લોકસભા ચૂંટણીમાં તેમનું નામ અમદાવાદની લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર તરીકે સૂચવાયું હતું. જો કે તેમના બદલે અન્યને ટિકિટ મળી તો ગેરસમજ ટાળવા ખુદ વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ ઉમાશંકરભાઈને પત્ર લખી સ્પષ્ટતા કરી હતી. ઇંદિરા ગાંધીએ લખેલું કે રાજકારણની ધાંધલ ધમાલમાં એક કવિને ખેંચવા અંગેના ડહાપણ વિશે શંકા થતાં તેમને ઉમેદવાર બનાવાયા નહોતા. ઉમાશંકરભાઈ રાજકારણના વિકલ્પે જાહેર બાબતો – પબ્લિક એફ્ર્સ શબ્દ પ્રયોજતા હતા. એટલું જ નહીં તેમના માટે કવિતા, રાજકારણ અને ધર્મ એકંદરે જુદાં નહોતાં . ૧૯૫૬માં પદ્મશ્રી અને ૧૯૭૨માં પદ્મવિભૂષણના ખિતાબો સ્વીકારવાનો તેમણે ઈક્નાર કર્યો હતો. તો સાંસદ તરીકે મળતું પેન્શન પણ લીધું નહોતું.

બચપણમાં આર્થિક અભાવોનો જાતઅનુભવ કરી ચૂકેલા ઉમાશંકર જોશી આરંભે ‘ઓછા વિદ્યાપોષણ’ ઉપર ઉછરેલા. બામણા અને ઈડર પછી એ વધુ ભણવા અમદાવાદ આવેલા. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયની સમૃદ્ધ વાચનસામગ્રીથી તે ઘડાયા, આઝાદીની લડતમાં ખેંચાયા. શબ્દના અતૂટ નાતા સાથે તે જાહેરજીવનમાં રહ્યા અને ‘મથામણોની ન મણા હજો મને’ ગાતા આ કવિએ ૧૯૮૪માં પ્રગટ ‘સર્જકની આંતરકથા’માં લખ્યું હતું, ‘ઉત્સાહ હજુ શિખાઉનો છે.’

‘ચેતના ઉપર સર્વોપરી કૃતિની કલામયતા’ એમ સ્વીકારતાં છતાં એ સાહિત્યને જીવન સંદર્ભથી છેટું માનતા નથી. તેમણે લખ્યું છે, ‘હું હજી સમજી શકતો નથી કે શા માટે માણસ કવિતામાં પોતાના જમાનાનો નિર્દેશ કરી ન શકે.’ ( થોડુંક અંગત, પૃષ્ઠ-૧૦૩). કાકાસાહેબ કાલેલકરે બહુ આરંભમાં જ ઉમાશંકરની આ સમજ પારખીને કહેલું કે ‘તું કવિ છે પણ તારો અભિગમ બૌદ્ધિક છે.’ કવિ ઉમાશંકરનો આ બૌદ્ધિક અભિગમ એમના ૧૯૬૮ના ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખીય વક્તવ્યમાં જોવા મળે છે. સૌ સર્જક સાહિત્યકાર-કલાકાર માટે ‘કવિ’ શબ્દ જ પ્રયોજતા ઉમાશંકર એલિયટને ટાંકતા કહે છે, ‘કોઈ કૃતિ એ કાવ્ય છે કે કેમ એ કાવ્યકલાના ધોરણે નક્કી થાય, પણ એ કાવ્યકૃતિ મહાન છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં જ નક્કી કરવાનું રહે.’ શુદ્ધ કવિતાને અશક્ય આદર્શ લેખાવીને તેમણે આ જ ભાષણમાં કહ્યું હતું,

“બીજી લલિતકલાઓમાં શુદ્ધ કલા સિદ્ધ કરવાનું સંભવિત હશે તેટલું કાવ્યકળામાં નથી. કવિનું માધ્યમ શબ્દ એ સામાજિક નીપજ હોઈ એના અર્થ-અંશમાં સમાજને અનેક બિંદુએ સ્પર્શતો સંદર્ભ પ્રવેશે છે.”(પરિષદ પ્રમુખોનાં ભાષણો, પૃષ્ઠ-૪૫૯)

દેશનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જોશીને મળ્યું હતું. ૧૯૬૮માં તે સ્વીકારતી વેળા તેમણે કહ્યું હતું, “ એટલું જરૂર કહી શકું કે કવિ તરીકે વિકસવું હોય એણે ઉત્તરોત્તર વધુ ને વધુ બહોળા સમાજ સંદર્ભમાં ઓતપ્રોત થતા રહેવાનું હોય છે.” ૧૯૮૫માં તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ફેલો તરીકે વરાયા ત્યારે આપેલા પ્રતિભાવમાં તેઓ કહે છે, “મારે એ સ્વીકારવું જોઈએ કે જાહેરજીવનના પ્રશ્નોમાં હું વારંવાર અને નજીકથી સામેલ ન થયો હોત તો મારા માટે લેખક બનવું શક્ય ન હતું.”

સામાજિક નિસબત અને જાહેરજીવનના સવાલો તેમના લેખન-સર્જનમાં અવિનાભાવે જોડાયેલા હતા. “ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકણી ન લાધશે” એ અમર કાવ્યના આ સર્જક કવિનું કહેવું હતું કે, “વળી જનતાના જીવનમાં તો ખૂણેખૂણે કવિતા ઉભરાય છે, જ્યારે શબ્દસ્થ કવિતા, જનતાના નીચલા થરો સુધી પહોંચતાં હજી ડરતી, અચકાતી હોય એવું જણાય છે.” ભૂખ્યાજનોના જઠરાગ્નિના માર્ક્સવાદી ઉદ્ગારને તેઓ “કાંઈક વહેલો, આપણી ભાષાઓ માટે” ગણે છે. “રામજી! કાં રોટલા મોંઘા? લોહીમાંસ આટલાં સોંઘાં?” એવી ઉમાશંકરની કાવ્યપંક્તિ અભાવની પીડા અને આક્રોશ વ્યક્ત કરે છે. ‘સાપના ભારા’ના એકાંકીઓ અને થોડી વાર્તાઓ સર્જક ઉમાશંકરની સામાજિક નિસબતની ગવાહી રૂપ છે.

સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક માટે તેમણે ૧૯૪૭થી ૧૯૮૪નાં ૩૮ વરસ ‘સંસ્કૃતિ’ સામયિક ચલાવ્યું.

તેમાં લખાતી તેમની ‘સમયના રંગ’ની નોંધો (જે પછી ‘સમયરંગ, ‘શેષ સમયરંગ’ અને ‘વિશ્વરંગ’ રૂપે ગ્રંથસ્થ છે) એક કવિના બૌદ્ધિક અભિગમને અને જાહેર અગત્યની બાબતો પરના તેમના અભિપ્રાયોને વ્યક્ત કરે છે. તેમના અનેક વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જાન્યુઆરી ૧૯૪૯ના ‘સંસ્કૃતિ’માં તેમણે લખ્યું હતું, “પ્રજાજીવનને સરકારની આજુબાજુ એટલે કે સત્તાની આસપાસ રાસ લેતું કરી મૂકીશું તો તે જેવીતેવી આપત્તિ નહીં હોય. પ્રજાજીવનના કેન્દ્રમાં સત્તાનું તત્ત્વ હોય અને જો એ ધનિકોનું કિં-કર બની રહે તો એ પરિસ્થિતિ ભારે બેચેન કરનારી થઈ પડે.” તો ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું ?”ના પ્રત્યુત્તરમાં એમણે જે લખેલું તે ગાંધીના સાર્ધશતાબ્દી વરસે પણ એટલું જ સાચું છે કે, “આ આખું વરસ એ નામ (ગાંધીનું) ઉચ્ચારવું નહીં.”

સામાજિક ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા ઉમાશંકર જોશીની પહેલી પ્રાથમિકતા હતાં. ‘આર્થિક-સામાજિક અન્યાયોને ઝડપથી દૂર કરવાની લોકશાહીની અશક્તિને’ તેઓ ‘અનૈતિક’ ગણાવે છે અને ‘લોકશાહી સ્વાતંત્ર્યના માળખામાં સામાજિક ન્યાય હાંસલ કરવો એ પ્રજાસત્તાક હિંદનું ધ્યેય છે.” એમ સ્પષ્ટપણે કહે છે. નવોદિતો જોગ સલાહના તેમના બોલ છે કે, “હું જ્યારે ખીલતો લેખક હતો ત્યારે કોઈની સલાહ સાંભળતો નહીં. કોઈની સલાહથી અબાધિત રીતે સર્જક આવેગ પ્રફુલ્લિત થઈ રહેવો જોઈએ.” અને “હું નનૈયો ભણાવનાર (ડોન્ટ્સ આપનાર) કોણ? કોઈના નનૈયાને માન આપીશ નહીં, માંહ્યલાને બોલવા દેજે.” લેખકમાત્રને સાચું કર્તવ્ય ચીંધતા તેમણે કહ્યું હતું, “હા, લેખકે જેમાં ભાગ ભજવવાનો છે તે આ છેઃ સમાજનું માનુષીકરણ. લેખકો પરિવર્તનના સાધકો છે, હૃદયપરિવર્તનના.”

ઉમાશંકરની આ વાણી ન માત્ર કાળજે ધરીએ તેને અમલી પણ કરીએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 17 જુલાઈ 2019

Loading

19 July 2019 admin
← અમે યુ.કે.ના રહેવાસી, અમે યુ.એસ.ના રહેવાસી
કોઈ વ્યક્તિ કે વિચારની આંગળી ઝાલતા પહેલાં એ આપણને ક્યાં લઈ જશે એનો વિચાર કરવો જોઈએ →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved