Opinion Magazine
Number of visits: 9447808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદીની બોડી લેંગ્વેજ કહે છે કે તેઓ પરાજયના ભયથી ઘાંઘા થયા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 May 2019

દેશ આઝાદ થયો ત્યારે કૉન્ગ્રેસના નેતાઓના મનમાં સ્વતંત્ર ભારતની એક રૂપરેખા હતી. એ રૂપરેખા ભારતના બંધારણમાં મૂર્ત સ્વરૂપ પામી હતી. મૂર્ત સ્વરૂપ પામી એમ પણ કહેવું ખોટું છે. ખરું પૂછો તો સવાસો વરસના વિમર્શના અંતે વિકસેલી કલ્પના રાજ્યનો મુસદ્દો બની હતી. નાના-મોટા મતભેદો ઓગાળી દેવામાં આવ્યા હતા અને વ્યાપક સર્વસંમતી સાથે રાષ્ટ્રીય સંકલ્પ બંધારણના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યો હતો. એ સંકલ્પને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યોમાં રચાયેલી સરકારોની હતી. એ સમયે દરેક જગ્યાએ કૉન્ગ્રેસની સરકારો હતી એટલે એમ કહી શકાય એ કૉન્ગ્રેસની હતી. જવાહરલાલ નેહરુ દેશના પહેલા વડા પ્રધાન તરીકે દર પખવાડિયે રાજ્યોના મુખ્ય પ્રધાનોને લાંબા પત્રો લખીને વિચારવિમર્શ કરતા હતા. પહેલી પ્રાથમિકતા હતી વિકાસ માટેની અને સુદ્રઢ લોકતંત્ર માટેની સંસ્થાઓ સ્થાપવાની. બન્ને પ્રકારની મળીને સો કરતાં વધુ સંસ્થાઓ નહેરુના સમયમાં સ્થપાઈ હતી. જી હાં, સો કરતા વધુ. તમને નથી લાગતું કે આવું કામ એ જ કરી શકે જેને શું કરવું છે એની જાણ હોય?

આ તો એક પક્ષ થયો. એક બીજો પક્ષ પણ હતો જેને ગાંધી અને નેહરુની કલ્પનાના ભારત સામે જ મૂળભૂત વાંધો હતો. એવા બે પક્ષો હતા : એક સામ્યવાદીઓ અને બીજા હિન્દુત્વવાદીઓ. એ સમયે હિન્દુત્વવાદીઓ કરતાં સામ્યવાદીઓનો ભય વધુ હતો. સામ્યવાદીઓ પાસે ચુસ્ત વિચારધારા છે, જગતમાં અનેક દેશો સામ્યવાદી વિચારધારા અપનાવીને સામ્યવાદી બન્યા છે અને ભારતના સામ્યવાદીઓને રશિયા અને ચીનનો ટેકો સાંપડી શકે છે. તેઓ કદાચ બંધારણપ્રણિત ભારતીય રાજ્યને ઉથલાવી શકે છે. આ ઉપરાંત સામ્યવાદીઓ બુદ્ધિશાળી હતા, તેમને તેમના વિચારો રજૂ કરતા આવડતું હતું અને યુવાનોમાં સામ્યવાદ માટે આકર્ષણ હતું. એ સમયે હિન્દુત્વવાદીઓનો જરા ય ભય નહોતો, કારણ કે તેમની પાસે કોઈ સ્પષ્ટ વિચારધારા નહોતી, જે કાંઈ હતી એ સ્પષ્ટ નહોતી અને તેમને રજૂ કરતા આવડતી પણ નહોતી. આને કારણે દેશના હિંદુઓ તેમને ઘાસ નાખતા નહોતા.

અહીં એક વાત નોંધવી જોઈએ. ડૉ. રામમનોહર લોહિયા જેવા ડાબેરી સમાજવાદીઓ અને મોટા ભાગના કૉન્ગ્રેસીઓ સામ્યવાદથી ડરતા હતા અને હિન્દુત્વવાદીઓથી નિશ્ચિંત હતા ત્યારે જવાહરલાલ નેહરુનો અભિગમ જૂદો હતો. તેઓ સામ્યવાદ કરતાં હિંદુ રાષ્ટ્રવાદને વધારે ગંભીરતાથી લેતા હતા અને તેમાં તેમને દેશ સામે ખતરો નજરે પડતો હતો. બહુમતી કોમવાદ એટલે ફાસીવાદ અને ફાસીવાદ કરતાં મોટો કોઈ માનવતાનો દુ:શ્મન નથી એમ તેઓ માનતા હતા. સંઘપરિવારને જવાહરલાલ નેહરુ અને નેહરુ પરિવાર સાથે શા માટે દુશ્મની છે એ સમજાઈ ગયું હશે. બીજા આવો સ્પષ્ટ વિચાર ધરાવનારા વિચારક વિનોબા ભાવે હતા. બાકી મોટા ભાગના લોકો હિન્દુત્વવાદીઓ કરતાં સામ્યવાદથી વધુ ડરતા હતા.

સમય વિતતો ગયો એમ સ્થિતિ બદલાતી ગઈ.

કલ્પનાને સાકાર કરનારી કૉન્ગ્રેસ ચૂંટણી લડનારી અને યેનકેન પ્રકારેણ જીતનારી બની ગઈ. એ સમયના સમાજશાસ્ત્રી રજની કોઠારીની ભાષામાં કહીએ તો કૉન્ગ્રેસ ઈલેકશન વિનિંગ મશીનમાં ફેરવાઈ ગઈ. વિચારધારા, રાષ્ટ્રનિર્માણની પ્રાથમિકતા, કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ, લોકતાંત્રિક સંસ્થાઓનું સુદ્રઢીકરણ વગેરે પાછળ ધકેલાઈ ગયાં અને ચૂંટણીમાં વિજય અને સત્તા મુખ્ય બની ગયાં. આ બાજુ સામ્યવાદ જગત આંખમાં ખતમ થવા લાગ્યો અને ભારતમાં પણ તેમનો પ્રભાવ ઘટવા લાગ્યો. હિન્દુત્વવાદીઓને સેક્યુલર લોકતાંત્રિક વિરોધ પક્ષના અભાવનો લાભ મળવા લાગ્યો.

અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ સંઘપરિવારની ભારત વિશેની કલ્પના કેવી છે? તેમનો અધિકાર છે તેમની કલ્પનાના ભારતને સાકાર કરવાની, પણ કલ્પના શું છે? આજ સુધી આપણે આ જાણતા નથી. સંઘપરિવાર જગતનું એક માત્ર રાજકીય પરિબળ છે જે શું કરવા માગે છે એ કહેવામાં આવતું નથી. અનેક અવસરે – અનેક મોઢે – અનેક વિરોધાભાસી વાતો કરવામાં આવે છે. કેટલીક વાર તો એક જ અવસરે બે જણ વિરોધાભાસી વાત કરે છે. આ ગોપનીયતા છે કે ગમારપણું એ જગત સામે કોયડો છે.

હવે વડા પ્રધાનની ચૂંટણીસભાઓ પર એક નજર કરો. જો તેમને શાસન વિષે કાંઈ કહેવાનું ન હોય તો તેમને અક્ષરશ: કાંઈ કહેવાનું નથી. ૨૦૧૪માં તેમને વિકાસની બાબતે વચનો આપવાનો મોકો હતો; ‘હું આમ કરી આપીશ કે હું તેમ કરી આપીશ’ વગેરે, એટલે ઉછળી ઉછળીને બોલતા હતા. હવે જ્યારે શ્રેય લઈ શકાય એવું કોઈ કામ કરી શકાયું નથી, ત્યારે શું બોલવું એ તેમને સૂઝતું નથી. સામ્યવાદીઓની રાજકીય સ્થિતિ બી.જે.પી. કરતા ક્યાં ય નબળી છે, પણ એ છતાં તેઓ તેમની કલ્પનાના વૈકલ્પિક ભારત વિષે બોલી શકશે. સામ્યવાદી નેતા સિતારામ યેચુરીને ચૂંટણી પ્રચાર કરતી વખતે મમતા બેનર્જીની સાત પેઢીને યાદ કરીને ગાળો આપવાની જરૂર પડતી નથી. નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીની સાત પેઢીને યાદ કરીને ગાળો આપવી પડે છે; કારણ કે જો શ્રેય લેવા માટે કાંઈ નથી અને નવા દાવા કરી શકાય એમ નથી તો, કહેવા માટે પણ કાંઈ નથી.

નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીસભાઓમાં તેમની એક પણ સિદ્ધિની વાત નથી કરતા, કારણ કે ઝોળી લગભગ ખાલી છે. જે બીજાનો શ્રેય આંચકી જાય એ પોતાના શ્રેયની યાદ ન અપાવે એવું બને ખરું? ૨૦૧૪નો ચૂંટણીપ્રચાર જાણે કે દૂરના ઇતિહાસની ઘટના હોય એમ ભૂલી જવાયો છે. આનાં કરતાં તેમણે પોતાની કલ્પનાના ભારત વિષે વિચાર્યું હોત, એ કલ્પનાને વધુને વધુ સ્પષ્ટ કરી હોત, એ કલ્પનાને આત્મસાત કરી હોત, લોકોની સાથે તેને ઈમાનદારીપૂર્વક વહેંચી હોત, મુક્ત સંવાદ સાધ્યો હોત, લોકો સાથે વિચારોની આપ-લે કરી હોત, વિરોધીઓનો વિચારથી મુકાબલો કર્યો હોત તો આજે ગાળોનો આશ્રય ન લેવો પડ્યો હોત. તેઓ પણ જવાહરલાલ નેહરુની માફક રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સાથે પંદર વરસ સુધી ૧૫ પાનાંનાં પત્રો લખીને સહચિંતન કરી શક્યા હોત. જગત આખામાં વિરોધીઓને વિચારો દ્વારા તમે લડતા જોયા હશે. વિચારની જગ્યાએ ગાળોનો આશ્રય તેને જ લેવો પડે જેની પાસે વિચારદરિદ્રતા હોય.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી સંભવિત પરાજયના ભયથી ઘાંઘા થઈ ગયા હોય એમ તેમની ભાષા ઉપરાંત બોડી લેન્ગવેજ પણ કહે છે.

08 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 મે 2019

Loading

9 May 2019 admin
← આ ચૂંટણીમાં સૌથી મોટી હાર ઇલેક્શન કમિશનની થઈ છે !
‘સાર્થક જલસો’ છમાસિક એટલે અવનવી તાજગીસભર વાચનસામગ્રીનો ભરપૂર ચિત્રો સાથેનો ખજાનો →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved