Opinion Magazine
Number of visits: 9446996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગીતાના અર્જુનની જેમ તમે ય સવાલ કરો કે નેતા કેવી રીતે બોલે છે ? તેની ભાષા કેવી છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|2 May 2019

ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ૫૪મા શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, ‘स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव । स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम् ।।’ અર્થાત્ હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવો. તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને ચાલે છે?

અર્જુનના પ્રશ્નના જવાબમાં ભગવાન કૃષ્ણ પંચાવનમાં શ્લોકથી લઈને ૭૨મા શ્લોક સુધી સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વર્ણવે છે.

પણ આપણે ચર્ચા જુદી કરવી છે. અર્જુનની માફક આપણે સવાલ કરવો જોઈએ કે ચૂંટણીનાં મેદાનમાં પ્રચાર કરવા ઉતરેલા નેતાના લક્ષણો બતાવો. તે કેવી રીતે બોલે છે? તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને ચાલે છે? આ નેતા શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ પણ સમજવા જેવી છે. તે णीञ प्रापणे ધાતુ પરથી બન્યો છે. સંસ્કૃત શબ્દ પ્રાપણેનો અર્થ થાય છે; પહોંચાડવું, દોરી જવું, રાહબર, પ્રજાનું શ્રેય બતાવવું અને શ્રેયસિદ્ધમાં અગ્રજ બનવું. નીતિ, નેતા અને નાયક અને અભિનેતા શબ્દ સુદ્ધા આ णीञ ધાતુ પરથી બન્યા છે. નીતિના બે અર્થ છે નીતિ એટલે કે પોલિસી અને નૈતિકતા.

નેતાનો મૂળ અર્થ સમજી લીધા પછી ગીતાના અર્જુનની માફક સવાલ કરવો જોઈએ કે નેતા કેવી રીતે બોલે છે? તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને ચાલે છે? તમામ પક્ષોના તમામ નેતાઓ પર એક નજર કરી જુઓ, તમને નિરાશા સિવાય બીજી કોઈ ચીજ હાથ નહીં લાગે. મૂળ અર્થથી તેઓ ક્યાં ય દૂર છે.

એક પડાવથી બીજા પડાવ પર સમાજ જવા ઈચ્છે છે. સમાજમાં એવા લોકો પણ હોય છે જેમને વર્તમાન પડાવ પકડી રાખવામાં અને આગળ નહીં વધવામાં સ્થાપિત હિત રહેલું હોય છે. સમાજમાં એવા લોકો પણ હોય છે જેમને જૂનું એટલું સોનું લાગતું હોય છે અને તેઓ અતીતને વાગોળતા રહેતા હોય છે. સમાજમાં એવા લોકો પણ હોય છે જેમને અતીત સામે ભયંકર ફરિયાદ હોય છે અને ભવિષ્યમાં કોઈક આશા દેખાય છે. સમાજમાં એવા લોકો પણ હોય છે જેને પોતાના વર્તમાનથી કેવળ અને કેવળ અસંતોષ હોય છે.

અહીં નીતિ અને નેતાની ભૂમિકા આવે છે. અહીં નીરક્ષીર વિવેક કરવાની જરૂર પડે છે. સમાજનું આ વલણ કોઈ નવું નથી. સમાજ બન્ને દિશાઓ તરફ જોતો હોય છે, નેતાએ તેને તેના હિતની દિશા બતાવવી જોઈએ. આને માટે ખૂબ વિચાર-વિમર્શ કરવો પડતો હોય છે. ભારતની પ્રજાને જ્યારે પશ્ચિમનો પરિચય થયો એ પછી ભારતીય પ્રજાને પોતાને પોતાનો પરિચય થવા લાગ્યો હતો. કોઈના મનમાં પોતાપણા બાબતે અસંતોષ જાગ્યો હતો. કોઈના મનમાં પોતાના પોતાપણામાં શ્રેષ્ઠત્વ નજરે પડ્યું હતું તો કેટલાકને એમ લાગ્યું હતું કે આપણે સાવ નાખી દીધેલ પણ નથી અને એવા કોઈ મહાન પણ નથી. આપણે કેટલુંક અપનાવવું જોઈએ, કેટલુંક છોડવું જોઈએ અને કેટલુંક ધરાર જાળવી રાખવું જોઈએ. ૧૯મી સદીમાં ભારતમાં આ ત્રણ દૃષ્ટિકોણ વચ્ચે જબરો વિમર્શ થયો હતો. વિચાર અને કૃતિ માટેના આ ત્રણેય અભિગમોને ચાલના આપનારા નેતાઓ મળ્યા હતા. તેમની વચ્ચે સંઘર્ષ પણ થયો હતો; પરંતુ મહત્ત્વની વાત એ હતી કે તેમની પાસે ચોક્કસ નીતિ હતી, અભિગમ હતો, ચર્ચામાં ઉતરવાની તૈયારી હતી અને વિચારોને પ્રતિબદ્ધ નેતૃત્વ હતું. આ આપણા પહેલી પેઢીના નેતાઓ હતા.

૨૦મી સદીમાં ત્રીજા અભિગમની તરફેણમાં મહદ્ અંશે સહમતિ બની ગઈ હતી. એ ત્રીજો અભિગમ હતો આપણે સાવ નાખી દીધેલ પણ નથી અને એવા કોઈ મહાન પણ નથી. બીજાઓ પાસેથી આપણે કેટલુંક અપનાવવું જોઈએ, કેટલુંક છોડવું જોઈએ અને કેટલુંક ધરાર જાળવી રાખવું જોઈએ. આ આઝાદીના આંદોલન દરમ્યાન તમને આ અભિગમ નજરે પડશે અને કૉન્ગ્રેસના નેતાઓએ તેનું નેતૃત્વ કર્યું હતું. અપનાવવામાં, છોડવામાં અને આગ્રહપૂર્વક જાળવી રાખવામાં કોઈ ઝીઝક નહોતી અને નેતાઓ પ્રજાને એ માટે તૈયાર કરતા હતા. આ આપણા બીજી પેઢીના નેતાઓ હતા.

ઉપર મેં મહદ્ અંશે એમ કહ્યું છે એ એટલા માટે કે કેટલાક લોકોને અપનાવવા-છોડવા સામે વાંધો હતો. તેઓ સમાજ માટે શરમજનક અને અન્યાયકર્તા તત્ત્વોને પણ ધરાર જાળવી રાખવાનો આગ્રહ રાખતા હતા. આપણામાં કશું નથી એવી જે લઘુતાગ્રંથિની ભાવના હતી તે આઝાદીના અંદોલન દરમ્યાન પેદા થયેલી રાષ્ટ્રીય ચેતનામાં ઓગળી ગઈ હતી, પરંતુ આપણે શ્રેષ્ઠ છીએ એવી ગુરુતાગ્રંથિ કેટલાક લોકોએ જાળવી રાખી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવા અભિગમનું નેતૃત્વ કરતો હતો અને આજે પણ કરે છે.

મહદ્ અંશે સર્વસમંતિ હતી એટલે બંધારણમાં પુરસ્કૃત કરાયેલા આધુનિક ભારતનો જન્મ થયો હતો. હવે આઝાદીના આંદોલન દરમ્યાન ચોક્કસ દિશા બતાવનારા નેતાઓએ એ દિશામાં દેશને અને સમાજને લઈ જવા માટે નેતૃત્વ કરવાનું હતું. માત્ર એક જ ગ્રંથની હું ભલામણ કરું છું. જવાહરલાલ નેહરુ દર પખવાડિયે રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્રો લખતા જેમાં તેઓ રાષ્ટ્રચિંતન કરતા, મૂંઝવણ રજૂ કરતા, પડકારો વિષે ચર્ચા કરતા, રસ્તો બતાવતા અને રસ્તો પૂછતા પણ ખરા. જી હાં, દેશના અત્યાર સુધીના સર્વોચ્ચ અને લોકલાડીલા નેતા મુખ્ય પ્રધાન પાસેથી માર્ગદર્શન મેળવતા પણ ખરા. જો ખાતરી કરવી હોય તો માધવ ખોસલા સંપાદિત ‘લેટર્સ ફોર અ નેશન : ફ્રોમ જવાહરલાલ નેહરુ ટુ હીઝ ચીફ મિનીસ્ટર્સ-૧૯૪૭-૬૩’ પુસ્તક જોઈ જાઓ. ભારતના ઇતિહાસનું રેખાદર્શન કરાવનારા નેહરુએ આઝાદી પછી ભારતના ભવિષ્યનું રેખાદર્શન કરાવ્યું છે. આને નેતૃત્વ કહેવાય.

નેહરુની નીતિ સામે વાંધો હોઈ શકે છે, પરંતુ નેહરુના નેતૃત્વ સામે વાંધો એ જ ઉઠાવી શકે જે અંધાપાનો શિકાર હોય. હું શું વિચારું છું, હું ક્યાં મૂંઝાઉં છું, હું ક્યાં દિશાહીન છું એ જે લોકોને કહી શકે એ નેતા.

આની હજુ વધુ ચર્ચા આવતા અઠવાડિયે કરીશું.

01 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 મે 2019

Loading

2 May 2019 admin
← હવે એક પણ રાજકીય પક્ષને બિમાર નર્મદા મૈયાનાં ખબર અંતર પૂછવાની પડી નથી !
ઝાડનાં સૂકાં પાંદડાંને કચરો ગણતા લોકો શ્રદ્ધા, સમજ અને લાગણીના અભાવથી પીડાય છે →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved