Opinion Magazine
Number of visits: 9446693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીજાણુ ‘વિશ્વમાનવ’

કેતન રૂપેરા|Opinion - Opinion|22 March 2019

આલ્બેર કામૂ, પેરામ્બેલો, યુલિસિસ, સેઇન્ટ જોહ્‌ન પર્સ, (ફેડ્રિકો ગાર્સિયા) લોર્કા, (રેઇનર માર્કા) રિલ્કે, ઓક્ટેવિયો પાઝ, (ફ્રાન્ઝ) કાફકા, (બોરિસ) પાસ્તરનાક, દોસ્તોવયેસ્કી, ચેખોવ, રેમ્બ્રાન્ટ, જુલિયન ગ્રીન, બોદલેર … (હજુ ઓછા પડતાં હોય તો ઉમેરી શકાય). – વિશ્વ સાહિત્યનાં ખેરખાં કહી શકાય એવા એકસામટા આટલાં બધાં નામ, કોઈ એક જ નિમિત્તે અને એક જ પાનાં પર, ગુજરાતી ભાષાના કોઈ સામયિકમાં અંકિત થાય એવી કદાચ આ પહેલી ઘટના હોઈ શકે. કારણ? ગુજરાતી ભાષામાં એ ૩૬ વર્ષ ચાલેલી ઘટના જ એનો જવાબ છે –  એ છે ‘વિશ્વમાનવ’.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં સ્વનામધન્ય જ કહી શકાય એવા આ સામયિકનો એકવીસમી સદીમાં ડિજિટલ સ્વરૂપે પુર્નજન્મ થયો એમ કહીએ તો ચાલે. પોતાના નામને સાર્થક કરતાં, સાહિત્ય, કળા, સમાજકારણ, રાજકારણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને એવાં કંઈકેટલાં ય ક્ષેત્રોને આવરી લઈ માનવને વિશ્વમાનવ બનવા પ્રેરતા આ સામયિકની ડી.વી.ડી. લોન્ચ કરાઈ. નિરીક્ષક ફાઉન્ડેશન, ગુજરાતી લેક્સિકન અને ઓપિનિયન મૅગેઝિન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિચારપત્ર ‘નિરીક્ષક’ની પચાસ વર્ષની ઊજવણીનું નિમિત્ત પણ ભળ્યું ને આ ઉજવણીના પહેલા મણકારૂપે, ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં, ૨૩ ફેબ્રુઆરીના રોજ એક સરસ કાર્યક્રમ યોજાયો.

આ સામયિકનું ડિજિટલ વર્ઝન બહાર પાડવાનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ જો કોઈ હોય તો એ ‘વિશ્વમાનવ’ કોઈ રીતે કાયમી રૂપે સચવાઈ જાય એવી ત્યારની પેઢીની ઇચ્છા-અભિલાષા અને એ ઉપરાંત, અમે જે કંઈ આ સામયિક વાટે મેળવ્યું છે, જેણે વૈચારિક રીતે, અમારા વ્યાવસાયિક અને અંગત જીવનના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે તે ફાલ હાલની, નવી પેઢીને પણ મળે એવી ધખના. એ પણ હશે જ ને. ઘરની કોઈ વડીલ વ્યક્તિ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં ભાવિ પેઢી માટે શું વિચારે? પોતાના કુટુંબનો ભવ્ય વારસો આવનારી પેઢીને -પૌત્રપૌત્રાદીને – આપીને જવો. બસ, લગભગ એવી જ આ કલ્યાણભાવના.

… અને આ વારસાને સાચવવાની, એનું ગૌરવ અનુભવવાની જે લાગણી વ્યક્ત થઈ એ કાર્યક્રમના અંતે, ગુજરાતી લેક્સિકન સાથે સંકળાયેલા મૈત્રી શાહની અભિવ્યક્તિમાં. તેમણે કહ્યું કે અમારી પેઢીને આવા કોઈ સામયિકની ખબર જ નહતી, અને જે વર્ષમાં એ બંધ થયું એ જોતાં એ સ્વાભાવિક પણ છે, પરંતુ એના પર કામ કરતાં કરતાં લેખો પર જે નજર ફરી કે એનાં લેખકોનાં નામ વાંચવાનું થયું, ત્યારે થયું કે આટલું સરસ સામયિક, જે વિશ્વકક્ષાનું કહી શકાય એવું આપણી ગુજરાતી ભાષામાં એક વખતે પ્રકાશિત થતું હતું!

૧૯૫૮થી ૧૯૯૩નાં વર્ષોને ત્રણ ડી.વી.ડી.માં વહેંચી તેનું નિદર્શન પણ રજૂ કરનાર બહેન મૈત્રીની ને એમની આસપાસની આ એ પેઢી છે, જે અત્યારે ત્રીસથી ચાલીસ વચ્ચે રમી રહી છે. ‘નિરીક્ષક’ના આગલા અંકમાં (૧-૩-૧૯) જ ચેતન પગીએ કહ્યું તેમ “એંસી-પંચાસી પહેલાં જન્મેલા લોકો ખરા અર્થમાં નસીબદાર છે …. આ એ પેઢી છે, જેમને પોસ્ટકાર્ડ લખવાનો અનુભવ પણ મળ્યો અને હવે ફેસબુક લાઇવ પણ કર્યું છે …. જે એક વસ્તુ સતત અનુભવાતી તે એ હતી કે ઉદારીકરણ પહેલાંના પરિવર્તનની ઝડપ ભલે ધીમી હતી, પણ ત્યારની ‘નિરાંત’ એનું જમાપાસું હતી, ૯૧-૯૨ પછી અચાનક જાણે બધું ફાસ્ટ ફૉરવર્ડ થઈ રહ્યું હોય, એવું લાગવા માંડ્યું.” તો અહીં મુખ્ય તફાવત છે ‘નિરાંત’ અને બધુ ‘ફાસ્ટ’ હોવા વચ્ચેનો. એ ખરેખર જ નિરાંતનાં વર્ષો હતાં, જ્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણો વખત આપણી જાણ બહાર ચોરી જતા ન હતા. અને એ તથા એ પહેલાંનાં અરસામાં જ અનેક લેખકોએ ઘણા અભ્યાસ અને એકાગ્રતા સાથે સંશોધિત અને મૌલિક લેખોથી માંડીને વિશ્વભરની કવિતા અને લેખોના અનુવાદ આપ્યા, અને વાચકોએ દિલ ભરીને વાંચ્યા પણ ખરા. આજે આ બધા વિશ્વસાહિત્યકારોનાં અનેક સર્જનો ગુગલિંગ કરીને જોઈ-મેળવી-વાંચી શકાય છે, પણ એને ગુજરાતીમાં ઊતારવાની નિરાંત કેટલા પાસે છે, અને અપવાદરૂપ કેટલાક લેખકો પાસે એ નિરાંત છે તો પોતે આ કામ હાથમાં લે એવી આબોહવા ક્યાં છે?! અને એટલે જ જે જૂનું છે, એ સોનું છે એને કાયમીરૂપે સાચવી લેવાનો આ સુયોગ્ય સમય હતો, એ ‘એક સરસ કામ થયું.’

મૂળરૂપે, પહેલાં ગાંધીવિચાર અને પછી માર્ક્સથી લઈને પુનરપિ ગાંધી તરફ પાછા વળેલા ને ત્યાં જ ઠરેલા ભોગીભાઈ ગાંધીએ “જ્યાંય ક્યાંયથી ‘ઓઝોન’ મળે ત્યાંથી ખોબેખોબા ફેફસાંમાં” ભરી લેવાના તલસાટ સાથે ૧૯૫૮માં શરૂ કરેલા આ સામયિકમાં ઘણા નવયુવાનોને જોડેલાં. એમાંનાં કેટલાક ‘વિશ્વમાનવ’ અને ભોગીભાઈ સાથેનાં સંભારણા વાગોળવા મંચસ્થ હતા. ગુલામમોહમ્મદ શેખ, સુમન શાહ અને યોગેશ જોષીએ ભોગીભાઈ-સુભદ્રાબહેન અને ‘વિશ્વમાનવ’ સાથેનો પોતાનો પ્રારંભિક પરિચય, પછી નજદિકી, પછી સોબત અને પછી આજીવન હિસ્સો બની રહેનારા ને સ્મૃતિપટમાંથી ક્યારે ય ન ભૂંસાનારા પ્રસંગો, ઘટનાઓ, અનુભવો અને લાગણીસભર ક્ષણોનું તાદ્દશ વર્ણન કર્યું. જાણે ભોગીભાઈ, પ્રબોધ ચોકસી, સુરેશ જોષી વગેરેને ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં થોડી ક્ષણ માટે જીવંત કરી દીધા!

'વિશ્વમાનવ'ની ડી.વી.ડી.નું જાહેર લોકાર્પણ : શનિવાર, 23 ફેબ્રુઆરી 2019. ચિત્રમાં, ડાબેથી, વિપુલ કલ્યાણી, અમીતભાઈ ગાંધી (ભોગીલાલ ગાંધીના પુત્ર), નંદિનીબહેન ગાંધી (પુત્રવધૂ), પ્રકાશભાઈ ન. શાહ, ગુલામમોહમ્મદભાઈ શેખ, સુમનભાઈ શાહ તેમ જ યોગેશભાઈ જોશી.

સહજ અભિવ્યક્તિની આ પરાકાષ્ઠા કદાચ આ સૌમાં કદાચ એટલે આવી હશે કે આ ‘વિશ્વમાનવ’ વાંચીને કોઈકે પોતાનો એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો હતો, તો કોઈ એના થકી વિશ્વસાહિત્યમાં ઝબકતા તારલાઓના સંપર્કમાં આવ્યું હતું, કોઈ એમાં લખતાં લખતાં જ ને લખવાના કારણે જે અભ્યાસ થયો એના કારણે ભણતા ભણતા ભણાવવા લાગ્યું હતું તો કોઈકે એમાંથી સંસ્કાર પામવાને પોતાનું ને કોઈ પણ સાહિત્યકાર કે કળાકારના જીવનનું મોટું સદ્‌ભાગ્ય ગણાવ્યું હતું.

જો કે, વ્યાવસાયિક જીવનમાં સાહિત્ય અને કળાની દૃષ્ટિ ખિલવવાની અને વ્યક્તિગતજીવનમાં સંસ્કારઘડતરની ભૂમિકા ભજવવાના ‘વિશ્વમાનવ’ના ધર્મ વચ્ચે કેટલાક શ્રોતાઓને એક ખોટ પણ વર્તાઈ હોઈ શકે – એ ‘વિશ્વમાનવ’ની નાગરિકઘડતરની ભૂમિકા. સત્તા કે સ્થાપિતોના દુરાચરણ સામે ‘અક્ષરઆંદોલન’થી સતત સક્રિય રહેવાની ભૂમિકા. રઘુવીર(ચૌધરી)ભાઈ અને દિનેશ(શુક્લ)ભાઈ ઉંમર સહજ માંદગીને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. એમની હાજરીએ આ ખોટ પૂરી હોત? … અલબત્ત, પ્રકાશભાઈના હાથમાં સંચાલનનો દોર હતો, એટલે એ મર્યાદામાં રહીને એમણે જ્યાં જ્યાં આ વિષયે હાજરી પુરાવાય ત્યાં ત્યાં પુરાવી, પણ એની અનિવાર્યતા શેખસાહેબના જ વક્તવ્યના આ અંશોમાં છતી થયા વગર રહેતી નથી. ત્યારના રાજકીય-સામાજિક માહોલમાં પ્રગટતી ભોગીભાઈની ‘હમ બૈચેન હૈ’ જેવી કોઈ કોલમ આજના માહોલમાં કોઈકે શરૂ કરવા જેવી ખરી, એમ શેખસાહેબે દિલના ખૂબ ઊંડાણથી કહ્યું હોય એવું લાગ્યું. સાથે એમણે નિખાલસ એકરાર કરતાં ઉમેર્યું પણ ખરું કે “ભોગીભાઈ, પ્રબોધભાઈ અને સુરેશભાઈ વચ્ચે ઝરતી સાહિત્યની ચર્ચાઓમાં જ્યારે રાજકારણનો પ્રવેશ થતો, ત્યારે એ સંવાદ-વિસંવાદમાં માત્ર શ્રોતા તરીકે સામેલ ‘અમે એમાંથી બાકાત રહેતા કારણ કે અમારી એ કાળની સાહિત્ય દૃષ્ટિને એ ખપનું નહોતું’. એમણે એમ પણ કહ્યું કે “હજુ હમણાં સુધી અમને એ ખપનું નહોતું ને હજુ ઘણા વખત સુધી સાહિત્યકારોને એ ખપનું રહ્યું નથી … પણ સાંભળ્યું તે કોઈક પછીતે પડ્યું રહ્યું ને દાયકાઓ બાદ સાહિત્યકારણ અને રાજકારણની એરણ પર મૂલવવાનું નિમિત્ત થયું સંવાદ-વિવાદની એ ઉન્મત્ત પળોને ખોવાનો ખેદ થયો.” 

દેશ-દુનિયાના આજના માહોલમાં વિશેષપણે જીવનમાં ઉતારવાલાયક તે એ કે ત્યારે “મોભીઓ વચ્ચે વિવાદને કારણે મનદુ:ખ થયાનું જાણ નથી. અમે માનતા કે વિચારભેદ છતાં એમનો પરસ્પર આદર અકબંધ રહ્યો. આવું પણ અત્યારે જોવા મળતું નથી.”

આ ‘વિશ્વમાનવ’ હતું, અને આવા એના મોભીઓ હતા.

હવે તો ચિરંજીવ કહી શકાય એવો એનો આ ડિજિટલ જન્મ જ્યાં પણ ખાલી જગ્યા પડશે ત્યાં ભરશે અથવા ક્યાંક ક્યાંક પોતાની જગ્યા ઊભી પણ કરશે. કૉપીરાઇટના મામલાને ડિજિટલ પ્રકાશનકર્તા પાસેથી જાણી લેવો રહે, પણ નાગરિક ઘડતરના નિસબતની તેની પૃષ્ઠભૂ જોતાં ગુજરાતી ભાષાના અન્ય સામયિકો પણ ‘વિશ્વમાનવ’માંથી પ્રસંગોપાત અને સાંપ્રતમાં આકાર લેતી ઘટનાઓ-દુર્ઘટનાઓને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવા-સમજાવવા લેખોનું ચયન કરીને સૌજન્ય-નોંધ સાથે જો મૂકતા રહે એમાં નકાર તો ન ભણે. આપણા સૌ સામયિકો – જેનો જે ઉદ્દેશ છે – એની પૂર્તિ કરવામાં ‘વિશ્વમાનવ’ ઊણું નહીં ઊતરે, એટલી ખાતરી ચોક્કસ છે.

સાથે સાથે …

આ સંપૂર્ણ કાર્યક્રમ આ લિંક પરે ક્લિક કરીને માણી શકાશે :

https://www.facebook.com/pg/gujaratilexicon/videos/?ref=page_internal

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – વિપુલ કલ્યાણી

https://www.youtube.com/watch?v=MG_TZuEsa4M

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – પ્રકાશ ન. શાહ

https://www.youtube.com/watch?v=ocmFdIcqbjk&list=PLIjHkh9O5_8enNzjSzBKNvP7_8DbUggvp&index=4

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – ગુલામમોહમ્મદ શેખ

https://www.youtube.com/watch?v=5mqpkziYdYY

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – સુમન શાહ

https://www.youtube.com/watch?v=YL3SKOEWI-Y

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : યોગેશ જોષી

https://www.youtube.com/watch?v=HhVEQEYerlo

E-mail : ketan.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 10-11

Loading

22 March 2019 admin
← ૯૦ કરોડ મતદાર, ૫૪૩ બેઠકો વચ્ચે મતપત્રકના ગંજાવર ગંજીફાની ગોઠવણ
માણસની જરૂરિયાત ઘટી રહી છે, જોબ નથી … ! કેમ જીવશો જિંદગી ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved