Opinion Magazine
Number of visits: 9446984
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુસ્લિમ કે હિન્દુ નહીં, માણસ મર્યો છે એવું વિચારવાનું કેમ આપણને ફાવતું નથી?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 March 2019

એક વાર વિનોબા ભાવે પોતાના ચા-પાંચ સાથીઓ સાથે ૨૦મી સદીના મહાન ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિને મળવા ગયા. તેમની વચ્ચે આપણા ખપની અને સમજવા જેવી ઘણી વાતો થઈ, પણ છેલ્લો સમજવા જેવો અને આપણા ખપનો સંવાદ થયો એ અહીં ટાંકુ છું. વિનોબાની સાથે જે ચાર-પાંચ જણા આવ્યા હતા તેમના તરફ દૃષ્ટિ કરીને જે. કૃષ્ણમૂર્તિએ પૂછ્યું કે “આ બધા કોણ છે? તમારા અનુયાયી?”

વિનોબાએ કહ્યું કે, “ના, મારા સાથી. અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”

કૃષ્ણમૂર્તિએ માત્ર આટલું જ કહ્યું : “આભાર! સાંભળીને મને રાહત થઈ!”

એ ચાર-પાંચ સાથીઓને વિનોબાએ અનુયાયી તરીકે ઓળખાવ્યા હોત તો કૃષ્ણમૂર્તિએ ઊંડી વેદના અનુભવી હોત અને એટલી સંવેદનશીલતા તેઓ ધરાવતા પણ હતા, પણ જ્યારે વિનોબાએ તેમને સાથી તરીકે ઓળખાવ્યા ત્યારે કૃષ્ણમૂર્તિએ રાહત અનુભવી હતી અને રાહત અનુભવી શકે એટલા તેઓ જાગ્રત પણ હતા.

જે. કૃષ્ણમૂર્તિ જીવનભર એક જ વાત સમજાવતા રહ્યા હતા : તમે તમારું સર્જન બનો, આજુબાજુના વાતાવરણ અને સંસ્કારોનું નહીં. સરેરાશ માણસ પોતાનાં યુગનું કે સમયનું સર્જન હોય છે. આજુબાજુના વાતાવરણનો પ્રભાવ ઝીલતો હોય છે અને એ મુજબ વર્તતો હોય છે. કૃષ્ણમૂર્તિને ચિંતા એ વાતની હતી કે એક તો માંડ એક મનુષ્ય જીવન મળ્યું હોય એમાં યુગપ્રભાવ ઝીલવામાં અને એ મુજબ જીવવામાં આયખું એળે જાય. તેઓ એનાથી પણ વધારે દુ:ખી એ વાતે હતા કે યુગપ્રભાવની બાબતમાં સારાસાર વિવેક કરવાની ક્ષમતા હોવા છતાં મનુષ્ય એ કરતો નથી અને ટોળાંમાં જોડાઈ જાય છે. વિવેક કરવાથી ગ્રંથિમુક્ત થવાય અને ભયમુક્ત પણ થવાય; પરંતુ એ કિંમતી જણસ તેને સમજાતી નથી. એ બુદ્ધ હોય, ગાંધી હોય કે કૃષ્ણમૂર્તિ હોય; ત્રણેયની ચિંતા એક જ વાતે હતી કે માનવી આજુબાજુના વાતાવરણના પ્રભાવમાં આવીને આયખું વેડફી નાખે છે.

ન્યુઝીલેન્ડમાં એક માથા ફરેલા માણસે બે મસ્જિદોમાં હુમલા કરીને દોઢસો જેટલાં મુસલમાનોને મારી નાખ્યાં. એ ઘટના પછી આપણા દેશમાં મેં બહુ થોડા લોકોને ગ્લાનિ પ્રગટ કરતાં જોયાં છે. શા માટે? કારણ કે તેઓ મુસલમાન છે અને મુસલમાન તેને લાયક છે. ફ્રાંસમાં છાપાની ઑફિસ પર હુમલો થાય તો આપણું દિલ પીગળી જાય અને ન્યુઝીલેન્ડમાં મુસલમાન મરે તો દિલને કોઈ અસર ન થાય, બલકે રાજી થાય એવું કેમ? શું કરુણા વ્યક્તિ કે સમૂહસાપેક્ષ હોય છે કે પછી કરુણા શુદ્ધ કરુણા હોય છે?

થોડાં વરસ પહેલાં સીરિયન શરણાર્થીઓનાં એક મૃત બાળકના સમુદ્ર કિનારે પડેલા દેહની તસ્વીર તમે જોઈ હશે. ત્રણેક વરસનું એ ભૂલકું તાજું જ મરણ પામ્યું હશે એટલે જોઇને લાગે કે તે સૂતું છે. ચડ્ડી, ઇન શર્ટ, પગમાં મોજાં સહિત બુટ, વ્યવસ્થિત વાળ ઓળાવેલા અને રૂપરૂપનો અંબાર! એ બાળક સમુદ્રની લહેરો સાથે જાણે લાકડું આગળ – પાછળ ધકેલાય એમ બે પડખે ધકેલાતું હશે. એ તસ્વીર જોઇને અનેક લોકોનાં દિલ દ્રવી ઊઠ્યાં હશે, પણ મારા એક હિન્દુત્વવાદી મિત્રે શું કહ્યું હતું ખબર છે? મને પૂછે કે ‘તમે એ બાળકના મૃતદેહને ધ્યાનથી જોયો? ખૂબ શ્રીમંત પરિવારનું એ બાળક હોવું જોઈએ. એ કોઈ અભાવના કારણે કે ધક્કામુક્કીમાં મરી ગયું હોય એવું લાગતું નથી. તેને જાણીબૂજીને મારી નાખીને, તેના મૃતદેહને સમુદ્રકિનારે મૂકવામાં આવ્યો હોવો જોઈએ.’

તે મિત્ર શું કહેવા માગે છે એ મને સમજાઈ ગયું હતું, પરંતુ એ છતાં મેં પૂછ્યું કે એવું શા માટે કોઈ કરે? તેણે તરત જવાબ આપ્યો: ‘કારણ કે આપણને, એટલે જગતની ગેર-મુસ્લિમ પ્રજાઓને બદનામ કરવા. તમે મુસલમાનોને ઓળખતા નથી. તેઓ કોઈ પણ હદે જઈ શકે એમ છે.

આવું વિચારવા માટે પણ ૫૬ ઈંચની છાતી જોઈએ અને આજના યુગમાં આપણે આવી છાતી ધરાવતા થઈ ગયા છે. ફ્રાંસના મૃત પત્રકારોને હજુ તો ફ્રેંચો અંજલિ આપે અને દુ:ખ વ્યક્ત કરે એ પહેલાં હડી કાઢીને દુ:ખ વ્યક્ત કરનારા આપણા વડા પ્રધાન ન્યુઝીલેન્ડની ઘટના બાબતે ચૂપ છે. તેઓ તો અસ્સલ ૫૬ ઈંચની છાતી ધરાવનારા વીર છે. દિલ ત્યારે જ રડે જ્યારે ‘આપણાં’ કે આપણને માફક આવે એવા લોકો સાથે અઘટિત ઘટના બની હોય અને મનમાં રાજીપો પણ થાય, જો આપણને ન ગમતાં ‘બીજાં’ સાથે કોઈ અઘટિત ઘટના બની હોય. એ બાળકના મૃતદેહને જોઇને આંખ ભીની થવાની જગ્યાએ તેનાં પહેરવેશ નીરખવાની અને એમાં કાવતરાં જોવાં માટેની વિકૃતિ ક્યાંથી આવી હશે?

આજુબાજુના વાતાવરણમાંથી. જો આવું દૃશ્ય ગાંધીજીના યુગમાં જોવા મળ્યું હોત તો કોઈ ડૉ. દ્વારકાદાસ કોટનીસ અભાગીઓની સેવા કરવા ત્યાં પહોંચી ગયા હોત, જેમ તેઓ ચીનમાં પ્લેગના દર્દીઓની સેવા કરવા પહોંચી ગયા હતા. ડૉ. કોટનીસ ચીન ગયા એ યુગપ્રભાવ હતો અને આજે બાળકના મૃતદેહમાં કાવતરાં જોનારાઓ કે ન્યુઝીલેન્ડની ઘટનાથી જરા પણ વિચલિત નહીં થનારાઓ – બલકે રાજી થનારાઓ – પણ યુગપ્રભાવને ઝીલે છે. એ ગાંધીનો યુગ હતો, જ્યારે આજે નરેન્દ્ર મોદી-ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ છે. ત્યારે દિલ દ્રવે એમાં જીવનની સાર્થકતા હતી, જ્યારે આજે ‘બીજાઓ’ને દુ:ખી જોઇને ‘આપણે’ રાજી થઈએ એમાં જીવનની સાર્થકતા છે. ‘બરોબર છે, તેઓ એ જ લાગના છે’ એમ કહેતા શરમ નથી આવતી.

આપણે માણસ મટીને કોઈના વાજિંત્ર બની જઈએ છીએ અને એ પણ ઉત્સાહથી. આજકાલ દેશપ્રેમનું વાજું વાગી રહ્યું છે. પુલવામાં જેવી ઘટનાઓ આ પહેલાં પણ બની છે. ત્યારે રડવું નહીં આવ્યું અને આજે જ કેમ આવે છે? બીજું જવાનોનું જીવન અમૂલ્ય છે એમાં કોઈ શંકા નથી, પણ ગોરખપુરમાં ઓક્સીજનના અભાવમાં પુલવામાં કરતાં પણ બેવડી સંખ્યામાં બાળકો મર્યા ત્યારે એ બાળકનું જીવન સસ્તું હતું? કેટલાંની આંતરડી કકળી હતી? કાશ્મીરમાં બકરવાલની દીકરી સાથે જે ઘટના બની ત્યારે કેટલાં દેશપ્રેમીઓએ શરમ અનુભવી હતી? જો તમે પક્ષપાત વિના મૂલ્યોના પક્ષે અને માણસાઈના પક્ષે નથી ઊભા રહેતા તો તમારા માણસ હોવાપણામાં જ કોઈક ખામી છે.

આગળ કહ્યું એમ જે. કૃષ્ણમૂર્તિની વેદના બે વાતની હતી. એક તો આ અમૂલ્ય આયખું આપણને એક જ વાર માટે મળ્યું છે અને ઉપરથી વિવેક કરવાની ભગવાને શક્તિ પણ આપી છે. એકની એક તક યુગના કુપ્રભાવથી બચીને માણસ તરીકે જીવવાની ક્ષમતા હોવા છતાં આપણે હોંશેહોંશે વેડફી નાખીએ છીએ. એટલે વિનોબાએ જ્યારે કહ્યું કે ‘મારી સાથે આવેલા લોકો મારા અનુયાયીઓ નથી, મારા સાથી છે’ ત્યારે કૃષ્ણમૂર્તિએ રાહત અનુભવી હતી. ચાલો આટલા લોકો તો કમસેકમ સાંકળે બંધાયેલા નથી અને બાંધવામાં આવ્યા નથી. સારાં કામ પણ પોતાના વિવેકથી કરવાં જોઈએ તો નઠારાંનો તો સવાલ જ નથી.

સોક્રેટીસ, બુદ્ધ, ગાંધી, કૃષ્ણમૂર્તિ વગેરેની એક લાંબી સાંકળ છે. એ છે તો સાંકળ પણ મુક્તિ અપાવનારી સાંકળ છે. માણસને માણસ તરીકેની ઓળખ અપાવનારી સાંકળ છે. બીજી સાંકળ માનવીને આંગળિયાત બનાવનારી છે. તમારું આયખું એક જ છે અને સારાસાર વિવેક કરવાની તમારી પાસે શક્તિ પણ છે તો આજે જ પસંદગી કરી લો.

19 માર્ચ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 માર્ચ 2019

Loading

21 March 2019 admin
← હ્યુમનોફોબિયા
વીજાણુ ‘વિશ્વમાનવ’ →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved