Opinion Magazine
Number of visits: 9449071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાણીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યેજ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 January 2019

ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓના સંમેલનમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણી પાણીપતની લડાઈ જેવી નીવડવાની છે. તેમણે કહ્યું હતું કે દેશભરમાં ૧૩૧ લડાઈ જીતનારા મરાઠાઓ પાણીપતના યુદ્ધમાં હારી ગયા હતા અને એ પછી બસો વરસ ગુલામી ભોગવવી પડી હતી.

પહેલા તો ભગવાનનો પાડ કે હિંદુ ભૂમંડલના રાજવીએ કબૂલ કર્યું કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો હતો; બાકી તેઓ તો આર્યાવર્તના ધણી છે, એટલે કહી શક્યા હોત કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો જ નહોતો. રાજસ્થાનની વિદાય પામેલી સરકારે આખા રાજસ્થાનમાં ઢોલ પીટાવીને જાહેરાત કરી હતી કે હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો વિજય થયો હતો. તમે ઇતિહાસ શીખવનારા કોણ? અમે કહીએ એ ઇતિહાસ. અમિતભાઈ એ રીતે નમ્ર તો ખરા જ. તેમણે ખેલદિલીપૂર્વક કબૂલી લીધું કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો હતો અને તેમણે એ પણ આડકતરી રીતે કબૂલી લીધું કે ૨૦૧૯ની પાણીપતની લડાઈમાં બી.જે.પી.નો પરાજય થઈ શકે છે.

અમિતભાઈએ ભેગાભેગ એ પણ વિચારવું જોઈતું હતું કે દેશભરમાં વિવિધ રાજકર્તાઓ સામે ૧૩૧ લડાઈ જીતનારા મરાઠાઓ પાણીપતની લડાઈમાં એક વિદેશથી આવેલા આક્રમક મુસલમાન સામે કેમ હારી ગયા? ના, આ પ્રશ્ન ઇતિહાસને આલોચવા માટેનો નથી, વર્તમાન માટેનો છે અને સો એ સો ટકા બી.જે.પી.ના આજના શાસકોને લાગુ પડે છે. જેણે એક પછી એક લડાઈ જીતીને આખા દેશ પર કબજો જમાવ્યો હતો એ મરાઠાઓ વિદેશથી આવીને ભારત પર ચડાઈ કરનારા સામે કેમ હારી ગયા? બીજું, અમિત શાહ કહે છે એમ ભારત જે બસો વરસ માટે ગુલામ થયું એ પાણીપતની લડાઈ જીતનારાની ગુલામી નહોતી, ત્રીજા પક્ષકાર અંગ્રેજોની ગુલામી હતી અને તેમની સંખ્યા તો ભારતમાં પાણીપતમાં વિજય મેળવનારા અહમદશાહ અબ્દાલીના સૈનિકો કરતાં દસમાં ભાગની પણ નહોતી. જેતા અને વિજેતા જોતા રહ્યા અને ભારત ત્રીજા પક્ષકાર એવા મુઠ્ઠીભર અંગ્રેજોના હાથમાં કેમ ગયું? અમિતભાઈએ આ વિષે પણ વિચારવું જોઈએ કારણ કે તે પણ તેમના અત્યારના શાસન માટે પ્રાસંગિક છે.

આપણે જ્યારે અમિત શાહને વિચારવા માટેની ટિપ્સ આપી રહ્યા છીએ તો હજુ એક ટિપ આપી દઈએ કે અત્યારે જે નકશામાં દેખાય છે (પહેલાં અવિભાજિત અને હવે વિભાજિત) એ ભારતની રચના કોણે કરી? મુઘલોએ? મરાઠાઓએ? કે પછી અંગ્રેજોએ? સુજ્ઞ વાચક જવાબ જાણે છે; અંગ્રેજોએ. જે ૧૩૧ લડાઈઓ જીતનારા ન કરી શક્યા એ પાંચ હજાર કિલોમીટર દૂરથી આવેલા માત્ર થોડા હજાર અંગ્રેજો કેવી રીતે કરી શક્યા? આ સવાલના જવાબમાં પણ વર્તમાન શાસકોને શાસન કેમ કરાય એનો જવાબ મળે એમ છે. આમ પાણીપતની વાત કાઢી જ છે તો તેમાંથી મળતો ધડો ખૂબ કામનો છે. જો પહેલાંથી જ પાણીપતનો ધડો સમજી લીધો હોત તો ૨૦૧૯માં પાણીપતનો ડર ન લાગ્યો હોત. આ માનસિકતાની મર્યાદા છે જે ટિપિકલ હિંદુ છે એટલે પેશવાઓ પાણીપતની લડાઈ હાર્યા હતા અને અત્યારે હારવાનો ડર લાગે છે.

પહેલી વાત તો એ કે ભારતમાં મરાઠાઓનું રાજ હતું એ કહેવું ખોટું છે, એ પુનાના ચિત્પાવન બ્રાહ્મણ પેશવાઓનું રાજ હતું અને દરેક અર્થમાં બ્રાહ્મણોનું રાજ હતું. બીજું એ કે એમાં સામ્રાજ્યવાદના કોઈ પદાર્થો નહોતા. અચાનક આક્રમણ કરવાનું, પૈસાની જરૂર પડે ત્યારે હર હર મહાદેવ કહીને શહેરોને લૂંટવાનાં, ધોલ-ધપાટ કરવાની અને પછી એના એ રાજવીને ચોથાઈ(આવકનો ચોથો ભાગ)ની શરતે ચાલુ રાખવાનો અને જો ચાલુ ન રાખવો હોય તો ત્રણ ભાગ તારા એક ભાગ મારો એ ધોરણે કોઈ માવળાને એજન્ટ તરીકે નીમવાનો. સિંધિયા, હોલ્કર, ગાયકવાડ વગેરે આવા એજન્ટ હતા. આ બાજુ પુનામાં પેશવાઓ ચોથાઈ મેળવીને લહેર કરતા હતા.

ટૂંકમાં શાસક તરીકેની દૃષ્ટિમાં જ સમગ્રતા નહોતી. જે ૧૩૧ લડાઈઓ જીતી તે આ રીતની હતી, પાણીપતમાં અબ્દાલી સામે પરાજય થયો એ સંગઠિત રણનીતિના અભાવને કારણે થયો હતો અને દેશ અંગ્રેજોનો ગુલામ થયો એનું કારણ મરાઠા સામ્રાજ્ય વિકસી નહીં શક્યું એનું પરિણામ હતું. તમે ઇતિહાસનાં પાઠ્ય-પુસ્તકમાં મરાઠા સામ્રાજ્ય એવો શબ્દ વાંચ્યો છે? આર.સી. મજુમદાર જેવા રાષ્ટ્રવાદી ભારતીય ઇતિહાસકારો મુઘલોના રાજને મુઘલ એમ્પાયર તરીકે ઓળખાવે છે અને મરાઠાઓના રાજને મરાઠા સુપ્રીમસી તરીકે ઓળખાવે છે. રાજકીય ચડિયાતાપણું યસ, સામ્રાજ્ય નહીં. એ સમયના પેશવાઓના હિન્દવી સામ્રાજ્યનો અર્થ લોકોને કે દુશ્મનોને મારવા, રંજાડવા, લૂંટવા અને ચોથાઈનો ભાગ એવો થતો હતો. બીજી બાજુ ઈંગ્લેંડથી આવેલા થોડાક હજાર અંગ્રેજોએ બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર પાંચ હજાર કિલોમીટર દૂરના પ્રદેશમાં કરી શક્યા હતા, કારણ કે તેમને રાજ કરતાં આવડતું હતું. સામ્રાજ્યોનું નિર્માણ  ધોલ-ધપાટ અને હિંદુ-ગર્વના કસુંબાઓથી નથી થતું.

માત્ર બી.જે.પી. નહીં, જે જે લોકો અસ્મિતાઓનું રાજકારણ કરે છે એ લોકો જ્યારે સત્તામાં આવે છે ત્યારે તેમની સમક્ષ શાસનના પ્રશ્નો પેદા થાય છે. તેમની પ્રવીણતા ગંદી ઇશારતો કરવી, ગાળો દેવી, લેબલ ચોડવા, ધોલ-ધપાટ કરવી વગેરે હોય છે અને શાસકીય પદાર્થો જુદા હોય છે. માટે અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાણીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યે જ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 જાન્યુઆરી 2019

Loading

14 January 2019 admin
← ભા.જ.પ.ના આત્મવિશ્વાસમાં ઓટ
વિપક્ષી એકતા ૨૦૧૯ની વાસ્તવિકતા, નીતિન ગડકરી થયા સક્રિય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved