Opinion Magazine
Number of visits: 9449545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે જ્યારે સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે ત્યારે એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી આગળ આવ્યો નથી કે, ‘ના સાહેબ, આ ખોટું છે. મેરિટ સાથે સમાધાન કરવાનું ન હોય. દેશ પહેલો’

રમેશ ઓઝા|Opinion - Opinion|13 January 2019

ગામમાં ફુલેકું નીકળે ત્યારે પૈસા ઉછાળવામાં આવે. એ પરચૂરણમાંથી જે ચાર-આઠ આની હાથમાં આવે એ માટે ગરીબો આપસમાં પડાપડી કરે અને ઝડપી લેવા મચી પડે. ફદિયા માટેની તેમની લાલચ જોઇને ગામના શ્રેષ્ઠીઓ મનોમન તેમને ધિક્કારે. આ પ્રજા ક્યારે ય સુધરશે નહીં એમ આપસમાં વાતો કરશે. એની વચ્ચે ફુલેકામાં ઉછાળવામાં આવતાં પરચૂરણમાંથી એક દોકડો અનાયાસે હાથમાં આવી જાય તો આજુ બાજુ કોઈ જોતું તો નથી ને એની ખાતરી કરીને ખિસ્સામાં મૂકી દે છે. અત્યાર સુધી થૂંક પણ ગળ્યા વિના મેરિટની વકીલાત કરનારા દેશભક્તોએ ચૂપચાપ હાથમાં આવેલો અનામતનો દોકડો ખિસ્સામાં મૂકી દીધો છે.

કેન્દ્ર સરકારે ભક્તોને કફોડી સ્થિતિમાં મૂકી દીધા છે અને ભક્તો પાછા મનોમન રાજી પણ થતા હશે. આ લોકો હજુ ગઈકાલ સુધી મેરિટવાળા હતા. મેરિટ સાથે સમાધાન કરવામાં આવે તો દેશ આગળ કેમ વધે? દેશભક્તો તો એવા કે તેમની સામે ભગત સિંહ પણ ઝાંખો પડે. તેમના મુખારવિંદેથી આવી દલીલો તમે સાંભળી હશે: ‘મેરિટ સાથે સમાધાન કરાય? લાયકાત વિનાના વિદ્યાર્થીઓ કોલેજોમાં ઘૂસી જાય, ભણી શકે નહીં અને એક સીટ બગાડે.’ ‘જો નસીબ હોય અને ભણી પણ ઊતરે તો પણ એવા ૩૫ ટકાવાળા બી.સી.ઓ દેશનું અને સમાજનું શું ભલું કરવાના’ એવી પણ તેઓ દલીલ કરતા હતા. ‘એવા ડોક્ટરોના હાથમાં હાથ મૂકતા પણ ડર લાગે.’ ‘નોકરીઓમાં તેઓ ઘૂસી જાય છે અને લાઈન તોડીને જવાબદારીવાળા હોદ્દાઓ સુધી પહોંચે છે. આ દેશનો જે દાટ વળ્યો છે ને, એ આ અનામતના કારણે અને મેરિટ વિનાના બી.સી.ઓના કારણે.’ ‘મેરિટ સાથે સમાધાન ન કરાય સાહેબ, મેરિટ એટલે મેરિટ.’ ‘અમારા બાપદાદાઓએ અન્યાય કર્યો એટલે શું અમને અન્યાય કરવાનો?’ ‘ન્યાયના નામે કેટલાં વરસ સુધી લાડ લડાવવાના? કોઈ માપ હોય કે નહીં?’ આમાંની એક દલીલ તમારા કાને ન પડી હોય એવી અજાણી નથી.

હવે કેન્દ્ર સરકારે જ્યારે સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે ત્યારે એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી ભક્ત આગળ આવ્યો નથી કે, ‘ના સાહેબ, આ ખોટું છે. મેરિટ સાથે સમાધાન કરવાનું ન હોય. દેશ પહેલો. અમને અનામતની જોગવાઈ નથી જોઈતી. જો આપશો તો મેરિટ સાથે સમાધાન કરવા માટે અમે તમારો વિરોધ કરીશું. દાયકાઓથી અમારી આવી ભૂમિકા છે અને તેની પાછળની પ્રેરણા દેશપ્રેમ છે. અમે અનામતનો અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છીએ એનું કારણ સ્વાર્થ નહોતું, પછાત કોમ માટેનો દ્વેષ નહોતું પણ મેરીટ માટેનો આગ્રહ હતું. પ્લીઝ સર, અમે મેરિટ સાથે સમાધાન કરીને દેશને નુકસાન નથી પહોંચાડવા માગતા. અમારી સિદ્ધાંતનિષ્ઠા અને શીલ અકબંધ છે અને રહેશે. તમે કાંઈ પણ કરો, અમે કસોટીમાં ઊણા ઊતરવાના નથી. અમે નખશીખ દેશભક્ત છીએ.’

એક પણ રાષ્ટ્રવાદી દેશભક્તને આવું કહેતા સાંભળ્યો છે? મેં તો નથી સાંભળ્યો. ગામમાં ફુલેકું નીકળે ત્યારે પૈસા ઉછાળવામાં આવે. એ પરચૂરણમાંથી જે ચાર-આઠ આની હાથમાં આવે એ માટે ગરીબો આપસમાં પડાપડી કરે અને ઝડપી લેવા મચી પડે. ફદિયા માટેની તેમની લાલચ જોઇને ગામના શ્રેષ્ઠીઓ મનોમન તેમને ધિક્કારે. આ પ્રજા ક્યારે ય સુધરશે નહીં, એમ આપસમાં વાતો કરશે. એની વચ્ચે ફુલેકામાં ઉછાળવામાં આવતાં પરચૂરણમાંથી એક દોકડો અનાયાસે હાથમાં આવી જાય તો આજુ બાજુ કોઈ જોતું તો નથી ને એની ખાતરી કરીને ખિસ્સામાં મૂકી છે. અત્યાર સુધી થૂંક પણ ગળ્યા વિના મેરિટની વકીલાત કરનારા દેશભક્તોએ ચૂપચાપ હાથમાં આવેલો અનામતનો દોકડો ખિસ્સામાં મૂકી દીધો છે. અરે ભાઈ, ભગત સિંહની પીઠ થાબડવાની હોય, ભગત સિંહ બનવાનું ઓછુ હોય! ભગત સિંહોની પીઠ થાબડવામાં હરીફાઈ કરવાની અને જો કોઈ પીઠ ન થાબડે તો તેને દેશદ્રોહી હોવાની ગાળો આપવાની. પત્યું. દેશપ્રેમ સિદ્ધ!

૧૯૮૧માં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન થયાં હતાં એ યાદ હશે. એ આદોલન મેરિટ બચાવીને દેશ બચાવવા માટેનું આંદોલન હતું. મેરિટ બચાવીને દેશ બચાવવાના એ આંદોલનમાં કોણ મોખરે હતા એ જાણો છો? હજુ તાજો તાજો સ્થપાયેલો ભારતીય જનતા પક્ષ જેણે આજે મેરિટ સાથે સમાધાન કરીને સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે અને એ જેણે એ જોગવાઈ ફુલેકામાં હાથ લાગેલા ફદિયાની માફક ચૂપચાપ ખિસ્સામાં મૂકી દીધી છે. ત્યારે તેઓ બન્ને મેરિટ બચાવો દેશ બચાવોવાળા હતા.

વાત એમ હતી કે ૧૯૭૯માં જનતા પાર્ટીનું વિભાજન થયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જૂના જન સંઘને ભારતીય જનતા પાર્ટીના નવા નામે પાછો જીવતો કર્યો હતો. બદલાયેલા સંજોગોમાં હિન્દુત્વ ઉપરાંત નવા સામાજિક સમીકરણો રાજકારણમાં દાખલ કરવા પડે તેમ હતાં. એમાં સામાજિક ન્યાયનો એજન્ડા સમાજવાદીઓ પાસે હતો અને તેમાં તેમની ઈજારાશાહી હતી એમ કહી શકાય. છેક ૧૯૬૦ના દાયકાથી ડૉ. રામ મનોહર લોહિયાએ સામાજિક ન્યાયને સમાજવાદી રાજકરણનું અંગ બનાવી દીધું હતું. આ બાજુ સવર્ણો, હરિજનો, આદિવાસીઓ અને લઘુમતી કોમો કૉન્ગ્રેસની સાથે હતી. બી.જે.પી.ના નેતાઓને લાગ્યું કે આમાંથી સવર્ણોને પ્રમાણમાં આસાનીથી કૉન્ગ્રેસની છત્રીમાંથી બહાર કાઢી શકાય. માટે અનામતનો વિરોધ અને મેરિટ બચાવ દેશ બચાવનું રાજકારણ અપનાવવામાં આવ્યું હતું.

આને માટે ગુજરાત પસંદ કરવામાં આવ્યું એનું પણ કારણ છે. ગુજરાતીઓ ડાહી અને વ્યવહારુ પ્રજા છે. ગુજરાતીઓ ભગત સિંહોની પીઠ થપથપાવીને દેશપ્રેમ વ્યક્ત કરે છે અને કૃતકૃત્ય થઈ જાય છે. સંઘ પરિવારે ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી બનાવી એનું પણ આ જ કારણ છે. સપાટી પરનો દેશપ્રેમ ગુજરાતમાં તીવ્ર છે અને સ્વાભાવિક છે કે સપાટી પરનો દેશપ્રેમ ઘોંઘાટિયો હોવાનો. સિદ્ધ કરવા માટે એક માત્ર ઘોંઘાટનો આશરો લેવો પડે છે. અર્નબ ગોસ્વામીઓના સ્ટુડિયોમાં ઘોંઘાટ શા માટે વધુ હોય છે એનું કારણ સમજાઈ ગયું હશે. ચામડી જ્યારે પોલા ઢોલ પર ચડાવો તો વાગે પણ એ જ ચામડી અંગ પર હોય તો ન વાગે. તો ગુજરાત ઘોંઘાટિયા ભક્તોની ખાણ છે.

તો ૧૯૮૧માં ગુજરાતમાં અનામતની જોગવાઈના વિરોધમાં અંદોલન કરનારા અને તેનું નેતૃત્વ કરનારા એ લોકો હતા જે અત્યારે ૩૮ વરસ પછી એ જ અનામત પામનારા અને આપનારા બની ગયા છે. રાજકારણ આવું સંકુલ હોય છે જે ભક્તોને સમજાતું નથી અને તેમની નહીં સમજી શકવાની શક્તિ જ તેમનો ખપ હોય છે.

ગુજરાતમાં અનામતની જોગવાઈ ‘વિરુદ્ધ’નું અને એ સાથે જ ‘માટે’નું બીજું આંદોલન ૧૯૮૫માં થયું હતું. આ વાક્યમાં તમને વિસંગતી નજરે પડી હશે. અનામતની વિરુદ્ધનું અને એ સાથે જ માટેનું આંદોલન એક જ સમયે એક જ રાજ્યમાં એક સાથે કેવી રીતે હોઈ શકે? આ તો ખૂબી છે ભારતીય સમાજની અને સમાજ પર આધારિત રાજકારણની.

બન્યું એવું કે ૧૯૭૮માં જનતા પાર્ટીની સરકારે સામાજિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના ઉપાયો સૂચવવા એક કમિશનની રચના કરી હતી જે વિખ્યાત કે કુખ્યાત મંડલ પંચ તરીકે ઓળખાય છે. ૧૯૮૦માં મંડલ પંચે તેનો અહેવાલ આપ્યો હતો જે ઇન્દિરા ગાંધીની સરકારે અભેરાઈ પર ચડાવી દીધો હતો. એના બે દાયકા પહેલાં ઇન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુએ આવો જ પછાત વર્ગોના વિકાસ માટે ઉપાયો સૂચવનારો કાકા કાલેલકર પંચનો અહેવાલ ફગાવી દીધો હતો. બે દાયકામાં ભારતના સમાજકારણમાં આટલો ફરક પડ્યો હતો. નેહરુયુગમાં આખો દેશ કૉન્ગ્રેસની સાથે હતો એટલે નેહરુ કાલેલકર અહેવાલને ફગાવી શક્યા હતા, જ્યારે ઇન્દિરા ગાંધી મંડલ પંચનો અહેવાલ ફગાવી શકે એમ નહોતાં એટલે અભેરાઈ પર ચડાવ્યો હતો.

૧૯૮૫ સુધીમાં બહુજન સમાજમાં જાગૃતિ આવી ચૂકી હતી. તેમને તેમની સંખ્યાની તાકાત સમજાઈ ગઈ હતી. તેમને એ પણ જાણ હતી કે મંડલ પંચની ભલામણો શું છે અને ભારતની કઈ કઈ કોમનો અનામત માટેની સંભવિત જોગવાઈની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જ્યારે આંદોલન થયું ત્યારે ‘મેરિટ બચાવ દેશ બચાવ’વાળા સવર્ણો એમાં કૂદી પડ્યા હતા. જેમનો મંડલ પંચની યાદીમાં સમાવેશ થતો હતો તેઓ દરેક ‘પછાત કોમને સામાજિક ન્યાય મળવો જ જોઈએ’ એમ કહીને આંદોલનમાં કૂદ્યા હતા. જે બ્રાહ્મણ અને વાણિયા નહોતા એવા પટેલિયાઓને વિમાસણ થઈ હતી કે બ્રાહ્મણો સાથે સવર્ણોની પંક્તિમાં બેસીને પોરસાવું કે પછી ‘હમ ભી પછાત’ કહીને મંડલની યાદીમાં સમાવેશ પામવા આંદોલન કરવું? જે પોરસાતા હતા એવા લોકો ‘મેરિટ બચાવ દેશ બચાવ’વાળા હતા અને જેમને એમ લાગતું હતું કે બ્રાહ્મણની બાજુમાં બેસીને પણ બ્રાહ્મણ તો બની શકાય એમ નથી તો પછી વાસ્તવિકતા સ્વીકારીને ‘હમ ભી પછાત’ કહીને લાભ શું કામ ન લેવા?

આમ બ્રાહ્મણની નીચેની, પણ તરતના સામાજિક થરની પ્રજા આંદોલનમાં બન્ને દિશામાં સક્રિય હતી. એ એવું આંદોલન હતું જેમાં મેરિટ બચાવ દેશ બચાવવાળા પણ હતા, હમ ભી પછાતવાળા પણ હતા અને એક કોમના બન્ને બાજુ વહેંચાયેલા પણ હતા. સમુદ્રમંથનમાંથી કાંઈક તો નીકળશે જ પછી જોઈએ આપણા હાથમાં કેટલું અમૃત આવે છે. જો હાથમાં આવે તો આપણે દેવ, ન આવે તો પણ આપણે જ દેવ અને સામેવાળા લઈ જાય કે રહી જાય, પણ દાનવ. હિસાબ બહુ ઉઘાડો હતો એટલે દરેક સમુદ્રમંથનમાં લાગ્યા હતા.

આ વખતે ભારતીય જનતા પક્ષ પડદા પાછળ રહીને સક્રિય હતો. ‘મેરિટ બચાવ દેશ બચાવવાળા’ઓને લાગતું હતું કે બી.જે.પી.વાળાઓ આપણી સાથે છે. ‘હમ ભી પછાત’ વાળાઓને લાગવું જોઈએ કે બી.જે.પી.વાળાઓ આપણી સાથે છે. વહેંચાયેલાઓમાંથી કોઈ સર્વણ તરીકે પોરસાનારો મળે તો કહેશે કે આપણે થોડા તેલી-તંબોળી વસવાયા છીએ અને બ્રાહ્મણો સામે થોડો અણગમો પ્રગટ કરનારો મળે તો કહેશે હા, સામાજિક ન્યાય તો મળવો જ જોઈએ. બી.જે.પી.ના નેતાઓને જાણ હતી કે સમુદ્રમંથનમાંથી જે નીકળવું હોય એ નીકળે, જેના ભાગે જવું હોય ત્યાં જાય; એક વાત નક્કી છે કે આને કારણે ભારતનું સામાજિક પોત બદલાશે જે કૉન્ગ્રેસને રાજકીય નુકસાન પહોંચાડશે. આમાં કોઈ સ્પષ્ટ ભૂમિકા નહીં લેવામાં ફાયદો છે. ૧૯૮૧માં બી.જે.પી.વાળાઓ મેરિટ બચાવ દેશ બચાવવાળા હતા. ૧૯૮૫માં ગંગા ગયે ગંગાદાસ જમુના ગયે જમનાદાસ હતા અને હવે બ્રાહ્મણો પણ પછાતના બીજા અંતિમે ગયા છે.

ફરી એકવાર શા માટે ગુજરાત? એનાં ત્રણ કારણો હતાં. એક તો એ કે ગુજરાત ભગત સિંહોની પીઠ થાબડનારા દેશભક્તોની ભૂમિ છે એટલે ઘોંઘાટ પેદા કરવો આસાન છે. બીજું કારણ એ કે સામાજિક ન્યાયના નામે બહુજન સમાજનું રાજકારણ કરનારા સમાજવાદીઓનો ગુજરાતમાં અભાવ છે. ત્રીજું કારણ એ કે ભારતનાં તમામ રાજ્યોની તુલનામાં મધ્યમવર્ગની સંખ્યા (કદ) તેમ જ શહેરીકરણની ઝડપ ગુજરાતમાં વધુ હતાં અને છે. નવો આકાર પામેલો શહેરી અને અર્ધ-શહેરી મધ્યમ વર્ગ ૧૯૫૦ના દાયકાની તુલનામાં જુદી રીતે વિચારતો થયો છે અને જુદી એષણા ધરાવે છે. ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન વખતે આ બધાં લક્ષણો જોવા મળ્યાં હતાં. આજે જેવું ગુજરાત છે એવું કાલે ભારત બનવાનું છે. અને બન્યું પણ એમ જ. ભગત સિંહોની પીઠ થપથપાવનારો મધ્યમ વર્ગ હવે ભારતમાં પેદા થઈ ચૂક્યો છે એટલે રાષ્ટ્રવાદનું અને દેશભક્તિનું રાજકારણ કરનારાઓને ઘી-કેળાં છે. ટૂંકમાં ૧૯૮૦ના મધ્યમાં બી.જે.પી.ને સમજાઈ ગયું હતું કે ગુજરાતમાં મૂળ ઘાલવાની ઉજ્વળ તકો છે.

શા માટે જવાહરલાલ નેહરુએ કાલેલકરપંચનો અહેવાલ ફગાવી દીધો હતો અને શા માટે ઇન્દિરા ગાંધીએ મંડલપંચનો અહેવાલ અભેરાઈએ ચડાવી દીધો હતો એ શાસન કેમ કરાય એ સમજવા માટેનો અગત્યનો મુદ્દો છે. એક વાક્યમાં કહીએ તો તેમને એટલી સમજ હતી કે દેશની પ્રજાને રમાડાય, બધાડાય નહીં. (ઇન્દિરા ગાંધીએ પંજાબમાં સીખોને બધાડવાનો પ્રયાસ કર્યો અને પ્રાણ ગુમાવ્યા) મંડલપંચની ભલામણોમાં આવી શક્યતા હતી જે હવે સાચી ઠરી છે.

બીજું, બંધારણમાં દલિતો માટે શિડ્યુલ કાસ્ટ શબ્દ વાપરવામાં આવ્યો છે, આદિવાસીઓ માટે શિડ્યુલ ટ્રાઈબ શબ્દ વાપરવામાં આવ્યો છે અને અન્ય પછાત કોમ માટે અધર બેકવર્ડ ક્લાસ (ક્લાસ, કાસ્ટ નહીં) શબ્દ વાપરવામાં આવ્યો છે એની પાછળનું શું તાત્પર્ય? વળી આ ત્રણેય પ્રકારના પછાતપણાની આગળ ચોખ્ખી ભાષામાં ‘સામાજિક’ (સોશ્યલ) શબ્દ વાપરવામાં આવ્યો છે. કોઈ જગ્યાએ આર્થિક કે બીજા કોઈ વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એક માટે કાસ્ટ, બીજા માટે ટ્રાઈબ, ત્રીજા માટે ક્લાસ અને દરેક માટે સામાજિક એ લાંબુ વિચારીને સભાનતાપૂર્વક વાપરવામાં આવેલા શબ્દો છે કે પછી અનાવધાને પેદા થયેલી વિસંગતી છે એ પણ સમજવા જેવું છે.

આ વિષે આગળ લખવાનો ઈરાદો છે. ઇન્શાલ્લા!

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 13 જાન્યુઆરી 2019

Loading

13 January 2019 admin
← નવી અનામત : જુમલે સે આગે જહાઁ ઑર ભી હૈ
અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાણીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યેજ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved