ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફ્રાન્સમાં જાતે જઈને ૩૬ રફાલ વિમાનો અંગે કરેલ સોદા અંગે કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પક્ષ, કૉંગ્રેસ અને અન્ય વિરોધપક્ષો તેમ જ ખુદ ભારતીય જનતા પક્ષની વડાપ્રધાન વાજપેયીની સરકારના પૂર્વ પ્રધાનો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે અટલ બિહારી વાજપેયીની સરકારના પૂર્વ પ્રધાનો યશવંત સિંહા અને અરુણ શૌરી અને અન્ય લોકોએ સુપ્રીમ કૉર્ટમાં ભારતના બંધારણના આર્ટીકલ ૩૨ હેઠળ જાહેર હિતની ચાર જેટલી અરજીઓ કરેલી. સુપ્રીમ કૉર્ટે તા. ૧૪-૧૨-૨૦૧૮ના ચુકાદાથી આ ચારેય અરજીઓ રદ્દબાતલ કરેલ છે.
આ ચુકાદા પછી ત્રીજા દિવસથી સુપ્રીમ કૉર્ટ નાતાલની રજાઓના વૅકેશન પર છે જે તા. ૩૧મી ડિસેમ્બરના રોજ વૅકેશન પૂરું થતાં કાર્યરત થશે.
સુપ્રીમ કૉર્ટમાં જે અરજીઓ થયેલ તેમાં આ સમગ્ર સોદા અંગે તપાસની માગણી કરવામાં આવેલી જેના સમર્થનમાં અનેક ગંભીર ગેરરીતિઓ બતાવવામાં આવેલી.
આ ચુકાદામાં સુપ્રીમ કૉર્ટ એવા તારણ પર આવેલ છે કે કેન્દ્ર સરકારે રફાલ વિમાનોની કિંમત Comptroller and Auditor General(જે ‘કૅગ’ના ટુંકા નામે ભારતમાં જાણીતી છે)ને બતાવેલ છે અને કૅગે આ અંગેનો તેનો અહેવાલ પાર્લામેન્ટે નીમેલી જાહેર હિસાબ સમિતિને બતાવેલ છે, તેમ જ પાર્લામેન્ટ સમક્ષ મુકાયેલ છે. ભારતના બંધારણના આર્ટિકલ ૧૫૧ હેઠળ કૅગે કેન્દ્ર સરકારના હિસાબો તપાસી તેની નિયમિતતા કે અનિયમિતતા અંગેનો અહેવાલ રાષ્ટ્રપ્રમુખને આપવાનો હોય છે જે રાષ્ટ્ર પ્રમુખે એટલે કે કેન્દ્ર સરકારે પાર્લામેન્ટનાં બન્ને ગૃહો સમક્ષ મૂકવાનો હોય છે. સામાન્યતઃ કૅગનો અહેવાલ એક પ્રણાલિકા મુજબ પાર્લામેન્ટે નીમેલી જાહેર હિસાબ સમિતિ સમક્ષ ચકાસણી માટે મૂકાય છે. કૅગનો અહેવાલ જાહેર હિસાબ સમિતિ સમક્ષ મુકવામાં આવે પછી જાહેર હિસાબ સમિતિ ચકાસણી કરે છે અને અહેવાલ અંગે ટિપ્પણી કરી શકતી હોય છે, જે પાર્લામેન્ટ સમક્ષ મૂકવામાં આવે છે.
આ ચુકાદા પછી જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ ખડગેએ જાહેર કરેલ છે કે રફાલ વિમાનોના સોદા અંગે કૅગનો કોઈ અહેવાલ જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવેલ નથી. કૅગનો અહેવાલ જાહેર હિસાબ સમિતિ સમક્ષ મુકાયેલ નથી તે અંગે કેન્દ્ર સરકાર તરફથી કોઈ વિવાદ જાહેરમાં આવેલ નથી. સુપ્રીમ કૉર્ટનાં ચુકાદાના આ તારણો પર વિવાદનો વંટોળ ઊભો થયો છે. આ અંગે કેન્દ્ર સરકરે પણ સુપ્રીમ કૉર્ટમાં અરજી કરીને જણાવેલ છે કે કેન્દ્ર સરકારે બંધ કવરમાં આ અંગે જે રજૂઆત કરેલી તેમાં ટાઈપિંગની ભૂલો હતી અને તારણોમાં ગેરઅર્થઘટન થયેલ છે. આ અરજીઓની સુનાવણી નાતાલનું વૅકેશન ખુલ્યા પછી થવાનો સંભવ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનાં આ તારણો અંગે અસલ અરજદારો તેમ જ વિરોધપક્ષોનો એવો આક્ષેપ છે કે સરકારે સુપ્રીમ કૉર્ટ સમક્ષ ગેરરજૂઆત કરી સુપ્રીમ કૉર્ટને ગેરમાર્ગે દોરેલ છે અને જેને કારણે અરજીઓ રદ્દબાતલ થઈ છે.
સુપ્રીમ કૉર્ટના ચુકાદાના કૅગનો અહેવાલ જાહેર હિસાબ સમિતિ અને પાર્લામેન્ટ સમક્ષનાં તારણો દેખીતી રીતે ભૂલભરેલાં છે. આ અંગે સુપ્રીમ કૉર્ટ જે નિર્ણય કરે તેના અંગે ભવિષ્યમાં માહિતી મળશે.
સુપ્રીમ કૉર્ટે જે ચુકાદો આપેલ છે તેની સુનાવણીની પ્રક્રિયા અનેક રીતે અનોખી હતી. સરકારે બંધ કવરમાં સુપ્રીમ કૉર્ટ સમક્ષ જે રજૂઆત કરેલી તેમાં કૅગનો અહેવાલ જાહેર હિસાબ સમિતિ સમક્ષ મુકાયેલ હોવાની સંભવતઃ ગેર રજૂઆત હશે, જેને કેન્દ્ર સરકાર ટાઈપની ભૂલો હોવાનું તેમ જ કૅગના અહેવાલ જાહેર હિસાબ સમિતિ સમક્ષ મૂકવાની જે પ્રક્રિયા છે તેનો ઉલ્લેખ કર્યાનું કહે છે, પરંતુ હકીકતે આ રજૂઆત પર આધાર રાખીને સુપ્રીમ કૉર્ટ તેના ચુકાદામાં કૅગનો રિપોર્ટ જાહેર હિસાબ સમિતિ અને પાર્લામેન્ટ સમક્ષ મૂકાયેલ છે તેવાં તારણ પર આવેલ છે. કેન્દ્ર સરકારે બંધ કવરમાં જે રજૂઆત કરેલ છે તે અરજદારોને બતાવવામાં આવી ન હતી. જો એ રજૂઆત બતાવવામાં આવી હોત તો અરજદારો બતાવી શક્યા હોત કે કૅગનો કોઈ અહેવાલ પ્રસિદ્ધ થયેલ નથી, અને જાહેર હિસાબ સમિતિ સમક્ષ મુકાયેલ નથી. સામાન્યતઃ સુપ્રીમ કૉર્ટમાં સુનાવણીની પ્રક્રિયા પારદર્શક અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરીને હોય છે. કુદરતી ન્યાયના સિદ્ધાંતો આપણા મૂળભૂત અધિકારોનો એક ભાગ છે.
એવી હકીકત પણ બહાર આવી છે કે કૅગનો કોઈ અહેવાલ પ્રસિદ્ધ થયેલ નથી. ઉપરોક્ત સંદર્ભમાં પુરાવાના કાયદાની કલમ ૧૨૩ની જોગવાઈઓ લક્ષમાં લઈએ તો સદરહુ જોગવાઈ આ પ્રમાણે છે : “No one shall be permitted to give any evidence derived from unpublished records relating to any affairs of state, except with the permission of the officer at the head of department concerned who shall give or withhold such permission as he thinks fit.” કૅગનો અહેવાલ પ્રસિદ્ધ થયેલ ન હોય ત્યારે સરકારે આ અહેવાલમાં કંઈ પણ માહિતી હોય તે અંગેની રજૂઆત નાણા મંત્રાલય કે રક્ષા મંત્રાલયના વડાની પરવાનગી મેળવીને જાહેર કરી હોય તો કેન્દ્ર સરકારની રજૂઆતમાં આ અંગે ઉલ્લેખ કરવો જરૂરી હતો. સરકાર વતી જે વકીલે આ રજૂઆત કોર્ટ સમક્ષ રજૂ કરી હોય તે વકીલની આ રજૂઆત છે તેમ માની લેવામાં આવે તો પણ આ રજૂઆત કરનાર વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જવાબદાર ગણવી જોઈએ.
સુનાવણીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસરીને થઈ હોત તો બંધ કવરની રજૂઆતને લક્ષમાં લઈને જે તારણો પર સુપ્રીમ કોર્ટ આવેલ છે તે તારણો ચુકાદામાં આવ્યા ન હોત. આ તો દેખીતી રીતે હકીકતદોષ છે જે સુપ્રીમ કૉર્ટના ચુકાદામાં કદી હોતો નથી.
સુપ્રીમ કૉર્ટે તેના ચુકાદામાં બંધારણના આર્ટિકલ ૩૨ હેઠળની મર્યાદાના કારણે સુપ્રીમ કોર્ટ ૧૨૬ને બદલે ૩૬ રફાલ વિમાનોની કિંમતની સરખાણી કરી કઈ કિંમત યોગ્ય ગણાય તેનો નિર્ણય કરવા શક્તિમાન નથી તેમ ઠરાવેલ છે. ચુકાદામાં ડીસોટ સાથે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ કંપનીની પસંદગી અંગે સને ૨૦૧૨થી ડીસોટને રિલાયન્સ ડિફેન્સ કંપની સાથેના વહેવાર અંગે ભૂલ થયાનું અરજદારનું કથન છે કારણ કે, રિલાયન્સ ડિફેન્સ કંપની તરીકે સોદા પહેલાંના આઠ દિવસે રજિસ્ટર થયેલ કંપની છે તેમ જ તે અંગેની અન્ય રજૂઆતો લક્ષમાં લેવામાં આવેલ નથી.
નરેન્દ્રભાઈ મોદી સને ૨૦૧૪ના મે મહિનામાં વડાપ્રધાન બન્યા પહેલાં પાર્લામેન્ટ સમક્ષ કૅગનો અહેવાલ એવી રીતે મૂકાતો કે જેની પાર્લામેન્ટ પૂરી ચર્ચા કરી શકે. મોદી વડાપ્રધાન થયા પછી આ પ્રણાલિકા તેમણે બદલી છે અને બંધારણની જોગવાઈની પૂર્ણતા કરવા માટે પાર્લામેન્ટના છેલ્લા દિવસે કૅગનો અહેવાલ ગૃહ સમક્ષ મૂકવામાં આવે છે જેથી પાર્લામેન્ટના સભ્યોને આ અહેવાલ અંગે ચર્ચા કરવાની પૂરતી તક મળતી નથી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની વિધાનસભાના છેલ્લે દિવસે આ અહેવાલ ચર્ચા માટે મૂકતા હતા, જેથી ગૃહ યોગ્ય ચર્ચા કરી શકતું ન હતું. નરેન્દ્ર મોદીએ આ જે પ્રથા પાડી છે તે તદ્દન મનસ્વી અને બિનલોકશાહી છે.
સુપ્રીમ કૉર્ટના ચુકાદાથી એમ સ્પષ્ટ બને છે કે સુપ્રીમ કૉર્ટે આર્ટિકલ ૩૨ હેઠળની હકૂમતની મર્યાદાઓને અનુસરીને મર્યાદિત કારણે કિંમત વગેરે પર આપી શકેલ નથી. ઉપરોક્ત સંજોગોમાં સમગ્ર સોદાની તપાસ ખૂબ જરૂરી છે, જેને માટે જૉઈન્ટ પાર્લમેન્ટરી કમિટી એક ઉચિત સંસ્થા છે. આ ઉપરાંત સુનાવણીની પ્રક્રિયામાં બંધ કરવાની રજૂઆત પર આધાર રાખીને જે તારણો નીકળેલ છે તે જોતાં સુપ્રીમ કૉર્ટે આપમેળે આ ચુકાદો રિકોલ કરવો જોઈએ.
તા. ૨૭-૧૨-૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 04-05