Opinion Magazine
Number of visits: 9484011
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇમરાન ખાને નવા પાકિસ્તાનની રચના કરતાં પહેલાં જૂના પાકિસ્તાનની નિષ્ફળતાનાં કારણો શોધવાં જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 December 2018

આજકાલ જગત આખામાં જે નેતૃત્વ સામે આવી રહ્યું છે એની સર્વસાધારણ બીમારી એવી છે કે તેમનામાં સમજ ઓછી છે અને બોલે છે વધુ. બોલે એટલે આત્મવિશ્વાસ સાથે બોલે અને તથ્યો તપાસાવ્યા વિના બોલે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આવું બીજીવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં યુનોની સામાન્ય સભાની સાઈડ લાઈનમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન મળવાના હતા, એ બેઠક ભારતે ક્ષુલ્લક કારણસર રદ્દ કરી નાખી હતી. એ વિષે પ્રતિક્રિયા આપતા ઇમરાન ખાને ભારતના વડા પ્રધાનને મોટા પદ પર બેસી ગયેલા નાના માણસ તરીકે ઓળખાવ્યા હતા. તેમને એટલું ભાન નહોતું કે કોઈ દેશના વડાએ બીજા દેશના વડા વિષે કેવી ભાષામાં બોલવાનું હોય. ભાષા પરથી શાસકના સંસ્કાર ઓળખાઈ આવતા હોય છે. જો કે અત્યારે શાસકોમાં સંસ્કાર અને સભ્યતાનું સંકટ સાર્વત્રિક છે.

હવે ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં લઘુમતી કોમ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ દુય્યમ નાગરિકો જેવી છે. ઇમરાન ખાન અહીંથી અટક્યા નહોતા, તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુઓ અને અન્ય લઘુમતી કોમો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. ઇમરાન ખાને આગળ વધીને પાકિસ્તાનની ઓળખ પણ આપી છે. નવા પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો લીલાલહેર કરે છે, જ્યારે કે ૨૦૧૪ પછીના નવા ભારતમાં લઘુમતી કોમના લોકો ભયભીત છે.

આ વિવાદ ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ વિષે અને ઝડપભેર થઈ રહેલા કોમી ધ્રુવીકરણ વિષે જાણીતા ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે જે વક્તવ્ય આપ્યું એનાં કારણે પેદા થયો છે. નસીરુદ્દીનની વહારે મોટી સંખ્યામાં સેક્યુલર લિબરલ હિંદુઓ બહાર આવ્યા હતા. નસીરે કે કહ્યું છે એ સો ટકા સાચું છે. દુ:ખની વાત છે કે મુકેશ અંબાણીને ઘેર કઢી પીરસનારા મહાન અભિનેતાઓમાંથી કોઈ નસીરની મદદે બહાર આવ્યું નથી. એવી તેમની પાસે કોઈ અપેક્ષા પણ નથી. મીડિયાવાળાઓ પણ મૂલ્યોની ચર્ચા કરવાની જગ્યાએ બે રાજકારણીઓને કે એક હિન્દુત્વવાદીને તથા એક કટ્ટરપંથી મુસલમાનને સામ-સામે ભીડાવીને મુરઘા લડાઈ લડાવે છે. તેઓ પોતાની જાતને તો નહીં, પણ દેશની જનતાને છેતરે છે કે તેઓ મુક્ત દેશમાં ખુલ્લી ચર્ચા કરી રહ્યા છે. હકીકતમાં આ પડદા પાછળની સોદાબાજીનું પરિણામ છે. આ પહેલાં આમીર ખાનને પણ આવો જ અનુભવ થયો હતો. નરેન્દ્ર મોદીની ટીકા કરનારા પ્રકાશ રાજ નામના દક્ષિણના અભિનેતાને બોલીવૂડમાં કામ આપવામાં આવતું નથી.

પણ આમ હિંદુ અત્યારે જે પ્રમાણમાં અને જેટલી આક્રમકતા સાથે અઘોષિત ઈમરજન્સી અને ફાસીવાદી રાજકારણના વિરોધમાં બહાર આવ્યો છે, એ જોઇને જગત આખું મોઢામાં આંગળા નાખી ગયું છે. આ ભારત છે અને ભારતમાં જેનો કોઈ સ્વાર્થ નથી હોતો એવા સામાન્ય લોકો પરિસ્થિતિ સંભાળી લે છે. સ્થાપિત હિતો ધરાવનારાઓ વેચાઈ જાય, પણ સામાન્ય માણસને ખરીદી શકાતો નથી. તેનો વિવેક સાબૂત રહે છે અને મોકો મળ્યે ઘા મારે છે. ૧૯૭૫માં પણ આવું જ બન્યું હતું. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે ચરમબંધીઓ ડરી ગયા હતા અને કેટલાક તો ભાટાઈ કરવા લાગ્યા હતા, પરંતુ અદના ભારતીયે લોકતંત્રને બચાવી લીધું હતું. ભારતની રક્ષા સામાન્ય નાગરિક કરે છે, બાકી મોટેરાંઓ માટી પગાં હોય છે, એ આ વખતે ભારતમાં બીજી વખત સાબિત થઈ રહ્યું છે.

ઇમરાન ખાને પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈતો હતો કે આવું પાકિસ્તાનમાં કેમ નહીં બન્યું? શા માટે પાકિસ્તાનની બંધારણસભામાં પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી જિન્નાહનો પાકિસ્તાનના સ્વરૂપ વિષેનો ઠરાવ (ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન) પસાર ન થઈ શક્યો? શા માટે ખુદાના સાર્વભૌમત્વનો સ્વીકાર કરીને ઇસ્લામિક રાજ્યની દિશા પકડવામાં આવી હતી? જિન્નાહ સેક્યુલર પાકિસ્તાનની રચના કરવા માંગતા હતા. શા માટે મહમ્મદ અલી જિન્નાહને પાકિસ્તાનની સ્થાપના પછીની પહેલી અને છેલ્લી ઢાકા મુલાકાત વખતે બંગાળી ભાષાનો આગ્રહ રાખનારા બંગાળી વિદ્યાર્થીઓના દેખાવોનો સામનો કરવો પડ્યો હતો? શા માટે પૂર્વ પાકિસ્તાન અલગ થઈ ગયું? શા માટે પાકિસ્તાનમાંથી હિદુ લઘુમતી કોમે ઉચાળા ભરવા પડ્યા? ટકાવારીમાં ભારતમાં આજે જેટલા મુસલમાનો છે એનાં પાંચમાં ભાગના હિંદુઓ પણ પાકિસ્તાનમાં નથી. અને સૌથી મહત્ત્વનો સવાલ : શા માટે પાકિસ્તાનનો નાગરિક સમાજ દેશના થઈ રહેલા ઇસ્લામીકરણના વિરોધમાં રસ્તા પર ઊતરી ન આવ્યો જે રીતે અદના હિંદુઓ ભારતનાં થઈ રહેલા હિંદુકરણનો વિરોધ કરી રહ્યો છે.

આનાં બે મુખ્ય કારણો છે. એક તો એ કે હિન્દુ ધર્મ ઉદારમતવાદી છે અને અદનો હિંદુ એક હદે કોમવાદી થયા પછી પોતે જ શરમ અનુભવવા લાગે છે. બીજું કારણ એ છે કે ગાંધીજીના નેતૃત્વમાં અને એ પહેલાં પણ સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિષે સાંગોપાંગ ચર્ચા થઈ હતી અને એમાંથી સર્વસંમતિ બની હતી. એક સદી લાંબી ચર્ચાના પરિપાકરૂપે આધુનિક ભારતની રચના થઈ હતી. ભારતીય બંધારણ અને અત્યારે જે ભારતીય રાજ્ય છે એ ઉપરથી લાદવામાં નહોતાં આવ્યાં. ઇમરાન ખાને અવિભાજિત ભારતનાં, અવિભાજિત પાકિસ્તાનના અને એ પછીના વિભાજિત પાકિસ્તાનના ઇતિહાસનો અભ્યાસ કરવાની જરૂર છે.

છેલ્લે, ઇમરાન ખાનની પોતાની વાત. તેઓ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી લડતા હતા ત્યારે ચૂંટણી પ્રચાર દરમ્યાન પાકિસ્તાનના કુખ્યાત ઈશ્વરનિંદા(બ્લેસફમી)ના કાયદાને રદ્દ કરવામાં આવે કે તેને હળવો કરવામાં આવે તેનો વિરોધ કર્યો હતો. એને ઇસ્લામ વિરોધી પ્રવૃત્તિ ગણાવી હતી. આ કાયદો લઘુમતી કોમ વિરોધી છે અને તેનો લઘુમતી કોમની જમીન જાયદાદ પડાવી લેવા દુરુપયોગ કરવામાં આવે છે. ગયા ઓક્ટોબર મહિનામાં ૫૪ વરસની ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને સર્વોચ્ચ અદાલતે ઇસ્લામના પયગંબરની નિંદા કરવાના કાયદામાં નિર્દોષ છોડી મૂકી ત્યારે પાકિસ્તાનમાં તોફાનો થયાં હતા. ઇમરાન ખાને તોફાનોની નિંદા કરીને આસિયા બીબીને રાહત આપી હતી, પરંતુ એ સાથે જ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન કરવામાં આવશે એમ પણ કહ્યું હતું. વિદેશમાં આશરો મેળવવા ઈચ્છતી આસિયા બીબીને વિદેશ જવા દેવામાં નહીં આવે એમ પણ કહ્યું હતું. બ્લેસફમીના ચુકાદામાં રિવ્યુ પિટિશન શા માટે? એનો અર્થ એ થયો કે સરકારને લઘુમતી કોમને ન્યાય આપનારો ચુકાદો સ્વીકાર્ય નથી, જે રીતે ભારત સરકારને સ્ત્રીઓને ન્યાય આપનારો સબરીમાલાનો ચુકાદો સ્વીકાર્ય નથી.

આવું હશે ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 ડિસેમ્બર 2018

Loading

28 December 2018 admin
← હોગા કોઈ ઐસા ભી કિ ‘ગાલિબ’ કો ન જાને
વીતેલાં વર્ષનાં નોંધપાત્ર સાહિત્યેતર અંગ્રેજી પુસ્તકોમાંથી થોડાંક આવતાં વર્ષોમાં ય વાંચવા ગમશે! →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved