Opinion Magazine
Number of visits: 9448929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમયના પ્રવાહમાં તમે અલ્પવિરામ તરીકે આવ્યા છો, ભાઈ, પૂર્ણવિરામનો ભાર વેંઢારીને શા માટે ભારમાં રહો છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 December 2018

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારમાંના વરિષ્ઠ નેતાઓએ એક વાત સમજી લેવાની જરૂર છે કે લોકોના મનમાં શાસકો વિશેનો અભિપ્રાય બનાવનારા અનેક પરિબળો હોય છે, માત્ર પ્રચાર નથી હોતો. એક બાજુ હજારો કરોડ રૂપિયા પબ્લિસિટી પાછળ ખર્ચવામાં આવે, ઠેકઠેકાણે વડા પ્રધાનના ફોટા સાથે હોર્ડિંગ્સ મૂકવામાં આવે, ગોદી મીડિયા પર દેકારો બોલાવવામાં આવે અને બીજી બાજુ કવરાવનારા નક્કર પ્રશ્નોનો સામનો કરવાની જગ્યાએ ભાગવામાં આવે તો એનાથી જે ઈમેજ બને છે એ ભાગેડુની બને છે, પુરુષાર્થીની નથી બનતી. કોણ જાણે કેમ, પણ આ સાદી વાત તેમને સમજાતી નથી. કડવી વાસ્તવિકતાથી દૂર ભાગવાનો વડા પ્રધાનનો સ્વભાવ લાગે છે કે પછી કોઈ સવાલ કે શંકા કરે એમાં તેઓ નાનપ અનુભવતા લાગે છે.

ઉકરડા પર જાજમ બિછાવી દેવાથી કે સવાલ કરનારનો અવાજ દબાઈ જાય એટલી હદે બીજી બાબતે ફાલતું ઘોંઘાટ કરાવવાથી ઉકરડો અને સવાલનાં અસ્તિત્વ ખતમ નથી થવાનાં. એ બન્ને પોતાની જગ્યાએ કાયમ રહે છે અને પગના જોડાના ડંખની માફક સતાવ્યા જ કરે છે. આ ટેક્ટિકમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે એ વાત તેમને સમજાતી નથી. સતત, એકધારી, કંટાળો આવે એ રીતે, એકની એક ટેક્ટિક અપનાવવામાં આવે તો કોઈને પણ ત્રાસ થાય અને ભક્તમાં જો થોડી બુદ્ધિ હોય તો શંકા પણ કરતો થાય કે એવું શું છે કે તેમના સિવાય બીજા કોઈનો ય અવાજ આપણા કાન સુધી પહોંચવા દેવામાં આવતો નથી. વિરોધીઓનો તો ઠીક તેમના પોતાના લોકોનો અવાજ પણ રૂંધવામાં આવે છે? જરૂર આ દેશપ્રેમ અને રાષ્ટ્રવાદના ઘોંઘાટની પાછળ એવું કશુંક બની રહ્યું છે જે આપણા કાન સુધી ન પહોંચે તેની વ્યવસ્થા કરવામાં આવે છે.

આનું દેખીતું પરિણામ એ આવે કે માત્ર બેવકૂફ જ મંજીરા લઈને ઘોંઘાટમાં વધુ ઘોંઘાટનો ઉમેરો કરવા મંડી પડે, પણ જેનામાં થોડીક બુદ્ધિ હોય એ ત્યાંથી ધીરેકથી સરકીને રોકવામાં આવતા ઝીણા અવાજોને સાંભળવા દૂર જતો રહે. આ માનવસ્વભાવ છે. માણસને માઈકમાં થતી વાત કરતાં કાનમાં થતી વાત સાંભળવી બહુ ગમે છે. તો બને છે એવું કે ભગવાનની આરતી ઉતારનારા સત્સંગ હૉલમાં એ જ લોકો બચે છે, જેમને આરતી ઉતારવાના પૈસા મળતાં હોય અથવા કંઠીધારી ભક્તો હોય. અંગ્રેજીમાં આને કન્વીન્સિગ ધોઝ હુ આર ઓલરેડી કન્વીન્સ્ડ કહેવામાં આવે છે. અતિરેક હંમેશાં નુકસાનકારક નીવડે છે. જે શંકા કરતો ન હોય એ પણ શંકા કરવા લાગે છે. બીજાને નાના ચિતરીને રોજ ચોવીસે કલાક સાહેબને મોટા શા માટે મોટા ચિતરવામાં આવે છે એવો પ્રશ્ન સ્વાભાવિકપણે થાય છે.

આનું બીજું પરિણામ એ આવે છે કે અવાજ ગમે એટલો ઝીણો હોય, તેનું અસ્તિત્વ મિટાવી શકાતું નથી અને કર્ણોપકર્ણ છેલ્લા માણસ સુધી પહોંચે જ છે એમ ઉકરડાને ગમે એટલો ઢાંકવામાં આવે એ તેની હાજરી બતાવે જ છે. અરે ભાઈ, ગામમાં રહેનારા માણસને પોતાનું ગામ કેવું છે એની જાણકારી ન હોય? મંદિરોનું સુશોભન કરો, ચોવીસે કલાક રામધૂનની રમઝટ બોલાવો, રોજેરોજ ભંડારા કરો, શ્રી શ્રી રવિશંકર જેવા પાળીતાઓનાં પ્રવચનો ગોઠવો, પાલખીઓ કાઢો અને ઉત્સવો ઉજવો; પણ પેલા ઉકરડાનું શું? સરઘસ જ્યારે ઉકરડાની નજીકથી પસાર થાય ત્યારે વાસ તો આવવાની જ છે. જરાક વાસ આવી નહીં કે એક સરઘસી બીજા સરઘસીની આંખમાં પ્રશ્નવાચક દૃષ્ટિથી જોશે. આ પ્રશ્નવાચક દૃષ્ટિ શબ્દમાં ફેરવાય નહીં અને ફેરવાય તો બીજા કાને પહોંચે નહીં એ માટે સત્સંગીઓ હજુ વધુ મોટા અવાજમાં જયનાદ શરૂ કરશે.

આ ચવાઈને ચૂંથો થઈ ગયેલી બહુ જૂની ટેક્ટિક છે જેનો તાત્કાલિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી બજારમાં ટકવું હોય તો નક્કર જણસ હોવી જોઈએ, તેની ગુણવત્તા હોવી જોઈએ, ટકાઉ હોવી જોઈએ, ધંધાના નીતિ-નિયમ પાળવા જોઈએ, શેઠના શબ્દની કિંમત હોવી જોઈએ વગેરે. આ બધું હોય ત્યારે શાખ બને છે. માત્ર માર્કેટિંગનો ઘોંઘાટ કરવાથી થોડા દિવસ દુકાન ચાલી પણ જાય, લાંબો સમય ન ચાલે. તો આ ટેક્ટિકમાં નુકસાન એ છે કે છેલ્લે સત્સંગ હૉલમાં એ લોકો જ બચે છે જેમને અક્કલ સાથે દુશ્મની હોય.

સમજદારી અને પુરુષાર્થ બન્ને મુકાબલો કરવામાં છે. વિરોધી અવાજોને પ્રગટ થવા દેવામાં છે અને તેનો પ્રતિવાદ કરવામાં છે. સમજદારી ઉકરડાના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં છે અને તેને કઈ રીતે દૂર કરી શકાય અથવા સરકાર દૂર કરવા સારુ શું પ્રયત્ન કરવા ધારે છે એની વાત કરવામાં છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય એ દરેક માણસ જાણે છે એમાં તમે કારણ વિના નાનપ શા માટે અનુભવો છો? એ ઉકરડો તમે એકલાએ ક્યાં પેદા કર્યો છે? ઉત્તરોત્તર સુખાકારી માટેનો પુરુષાર્થ એ સમાજની અને શાસનની નિરંતર પ્રક્રિયા છે. એમાં એક કે બે મુદ્દત માટે ફાળો આપવાનો અને એ પ્રક્રિયાનું નેતૃત્વ કરવાનો તમને મોકો આપવામાં આવ્યો છે એટલું જ. તમારાં પહેલાં પણ નાનામોટા પોતપોતાના ગજા મુજબનાં પુરુષાર્થીઓ થઈ ગયા અને તમારા પછી પણ થવાના છે એની વચ્ચે અલ્પવિરામ તરીકે તમે આવ્યા છો તો કારણ વિના પૂર્ણવિરામનો ભાર શું કામ ઢસરડો છો?

અશુભ જોઇને આંખ મીંચી દેવાથી અને ન ગમતા અવાજો રોકવા કાનમાં રૂનાં પૂંમડાં ભરાવવાથી અશુભ અને અવાજ બન્નેનું અસ્તિત્વ સમાપ્ત નથી થવાનું. લોકો સુધી એ અશુભ અને એ અવાજ ન પહોંચે એ માટે જો વધારે પડતા આંખ-કાનમાં વાગે એવા પ્રયત્નો કરવામાં આવશે તો એ વધારે ઝડપથી પહોંચશે. આ સમાજનો દસ્તુર છે. આના કરતાં મુકાબલો કરવો જોઈએ. એમાં પુરુષાર્થ છે અને લોકોને પણ પ્રમાણિક, જમીન પર બે પગ રાખીને ઊભનારો, પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમનારો, લોકોને દરેક નિર્ણાયક વળાંકે વિશ્વાસમાં લેનારો, શંકાઓનું સમાધાન કરનારો, હામમાં વધારો કરનારો નેતા ગમતો હોય છે. આને પુરુષાર્થ કહેવાય અને પેલી ભાગેડુવૃત્તિ કહેવાય. 

નરેન્દ્ર મોદીએ પત્રકારોને મળવું જોઈએ, તેમના પ્રશ્નો લેવા જોઈએ, સંસદમાં બેસવું જોઈએ, ચર્ચામાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોના ઉત્તર આપવા જોઈએ, વિરોધ પક્ષના નેતાઓને મળતાં રહેવું જોઈએ, નાગરિક સમાજ સાથે સંવાદ રાખવો જોઈએ, નિષ્ણાતોના અભિપ્રાયો માગવા જોઈએ અને સાંભળવા જોઈએ, ખુશામતખોરો કરતાં નિંદકોની વાત સાંભળવી જોઈએ, એન.ડી.ટી.વી. જેવી ચેનલો પર પક્ષના પ્રવક્તાઓ મોકલવા જોઈએ અને ક્યારેક લોકોની વચ્ચે પોતાની જાત પર પણ હસી લેવું જોઈએ. સમયના પ્રવાહમાં તમે અલ્પવિરામ તરીકે આવ્યા છો ભાઈ, પૂર્ણવિરામનો ભાર વેંઢારીને શા માટે ભારમાં રહો છો?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 ડિસેમ્બર 2018

Loading

15 December 2018 admin
← સ્વાયત્તતાના અવસાન પર જ્યાફત
નાખતા રહેજો મત મસાણે →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved