Opinion Magazine
Number of visits: 9448974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરતારપુર કૉરિડોર: બે દેશ વચ્ચે કોઈ એક છેડેથી સહિયારો કાર્યક્રમ થવો જોઇતો હતો અથવા એક જ સમયે બે છેડે કાર્યક્રમ યોજવા જોઇતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|28 November 2018

કરતારપુર સાહેબ ગુરુદ્વારા ભારત અને પાકિસ્તાનની સરહદેથી માત્ર ચાર કિલોમીટર અંદર પાકિસ્તાનમાં છે. આ જગ્યાએ ગુરુ નાનક તેમની જિંદગીના અંતિમ ૧૮ વરસ રહ્યા હતા અને ત્યાં જ ૨૨મી સપ્ટેમ્બર ૧૫૩૯ના રોજ નિર્વાણ પામ્યા હતા. અત્યારનું દરબાર સાહેબ ગુરુદ્વારા ૧૯૩૯ની સાલમા પટિયાલાના મહારાજે મોટી સખાવત આપીને બંધાવ્યું હતું. ભારતનું વિભાજન થયું ત્યારે કરતારપુર પાકિસ્તાનમાં ગયું હતું અને ત્યારથી પંજાબના સિખો જ્યારે પણ ગુરુદાસપુર જાય છે ત્યારે સરહદે આવેલા ડેરા નવાબ સાહેબ ખાતે અચૂક જાય છે કે જેથી કરતારપુર સાહેબ ગુરુદ્વારાના દૂરથી દર્શન થઈ શકે. ચોમાસમાં મોટું હાથીની ઊંચાઈ જેટલું (એલિફન્ટ ગ્રાસ) ઘાસ ઊગી જાય છે એટલે દર્શન મુશ્કેલ બને છે. વધારે સારી રીતે સિખો દર્શન કરી શકે એ માટે ડેરા નવાબ સાહેબ ખાતે દૂરબીનો રાખવામાં આવ્યાં છે.

સાત દાયકાથી હજારોની સંખ્યામાં સિખો ડેરા નવાબ સાહેબ જઇને કરતારપુર સાહેબના દર્શન કરી રહ્યા છે ત્યારે કલ્પના કરો કે તેમની અંદર ગુરુ નાનકદેવની તપોભૂમિનાં અને નિર્વાણભૂમિનાં નજીકથી દર્શન કરવાનો કેવો ઝુરાપો હશે! આમ છતાં ઝૂરતાં દર્શનાર્થીઓને જોઇને આજ સુધી કોઈ શાસકને શરમ આવી નથી. કોઈને એમ નહોતું લાગતું કે ચાર કિલોમીટરની જમીન ખોલી આપવી જોઈએ. બાળક માટે તલસતી માની વેદના તેમને સમજાઈ હોત તો ભક્તની ભાવના તેમને સમજાઈ હોત. આ બધા રાષ્ટ્રવાદનાં પરિણામો છે. દુર્ભાગ્યે રાષ્ટ્રવાદને એક દુશ્મનની જરૂર પડતી હોય છે એટલે ભારત સરકારે ભૂતકાળમાં અનેકવાર ચાર કિલોમીટરનો જવા-આવવાનો પટો (કૉરિડોર) ખોલી આપવાની પાકિસ્તાનને ભલામણ કરી હતી, પરંતુ પાકિસ્તાનના ઇસ્લામિક રાષ્ટ્રવાદ સિખોની ભાવનાની કદર કરવામાં આડો આવતો હતો.

હવે સંકુચિત રાષ્ટ્રવાદની બીમારી ભારતમાં ફેલાઈ છે એટલે તો કૉરિડોરનો શિલાન્યાસ કોઈ એક જગ્યાએથી થઈ શક્યો નથી. ભારતમાં સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પંજાબમાં જઇને શિલાન્યાસ કર્યો અને પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાન બુધવારે કરવાના છે. ઇમરાન ખાને તો ભારત સરકારને આમંત્રણ પણ આપ્યું હતું કે ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પાકિસ્તાનમાં કરતારપુર આવે અને સમારંભમાં ઉપસ્થિત રહે. સુષ્મા સ્વરાજે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે અને તેમની જગ્યાએ વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન ઉપસ્થિત રહેવાના છે. બે દેશ પોતપોતાના છેડાથી અલગ અલગ દિવસે શરૂઆત કરે એ જ શોભાસ્પદ નથી. ગમે તેમ ભારત સરકારના રાજ્ય કક્ષાનાં પ્રધાન કરતારપુર જવાનાં છે, એ વાતનો સંતોષ માનવો જોઈએ. જો બે દેશોએ સાથે મળીને કૉરિડોરનું મંગળાચરણ કર્યું હોત તો વધારે સારું લાગત.

બે પ્રતિક્રિયાઓ નોંધવા જેવી છે. પંજાબની કૉન્ગ્રેસ સરકારના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરેન્દ્ર સિંહ ભા.જ.પ. કરતાં પણ સવાયા રાષ્ટ્રવાદી બની ગયા છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન સરકારનું લશ્કર ભારતની સરહદે છમકલાં કરતું હોય, અંકુશરેખા ઓળંગીને ભારતની સરહદમાં પ્રવેશતું હોય, ભારતીય સૈનિકો પર હુમલા કરતું હોય, ત્રાસવાદીઓને છૂટો દોર આપતું હોય, હત્યાઓ કરવા દેતું હોય તો એ પાકિસ્તાનમાં કૉરિડોરના ઉદ્ઘાટન માટે કેમ જવાય? કૉરિડોર ભલે પાકિસ્તાન સુધી જતી હોય અમે ત્યાં નહીં જઈએ. હું તો એ નાપાક પાકિસ્તાનમાં પગ મૂકું જ નહીં, કૉરિડોર ભલે જતી. આના કરતાં મોટી હાસ્યાસ્પદ ભૂમિકા બીજો કઈ હોઈ શકે?

બીજી બાજુ તેમના પ્રધાન મંડળના સભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાન જવાના છે. તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના તેઓ બન્ને સાથે ક્રિકેટ રમતા એ સમયના મિત્રો છે. ઇમરાન ખાને વડા પ્રધાન તરીકે સોગંદ લીધા ત્યારે પણ સિદ્ધુ અને કપિલ દેવ પાકિસ્તાન ગયા હતા. નવજોત સિંહ સિદ્ધુ કહે છે કે કરતારપુર માટેની જે કૉરિડોર ખુલ્લી થઈ રહી છે એ તેમના પ્રયત્નનું પરિણામ છે. તેમણે પાકિસ્તાન સરકારને કહ્યું હતું કે ગુરુ નાનક દેવની ૫૫૦મી જન્મજયંતી નિમિત્તે પાકિસ્તાન સરકારે કૉરિડોર આપવી જોઈએ. પાકિસ્તાન સરકારની સંમતિ મેળવીને તેઓ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મળ્યા હતા અને જરૂરી પહેલ કરવાની સૂચના તેમણે વિદેશ પ્રધાનને કરી હતી. નવજોતસિંહ સિદ્ધુની વાત ગળે ઊતરે એવી છે એટલે તેઓ તેમના મુખ્ય પ્રધાનની ભૂમિકાની અવગણના કરીને પાકિસ્તાન જાય છે, એનું સ્વાગત કરવું જોઈએ. બીજું, કોઈ ભૂમિકા ન હોય તો પણ પાકિસ્તાનમાં જે સમારોહ યોજાઈ રહ્યો છે એમાં પંજાબની ઉપસ્થિતિ હોવી જોઈએ. પાકિસ્તાનના વડા પ્રધાને પંજાબના મુખ્ય પ્રધાનને પણ આમંત્રણ મોકલ્યું હતું.

બીજું રસપ્રદ નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું છે. તેમણે કહ્યું છે કે પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચેની દીવાલ એક દિવસ તૂટી જશે એવી ક્યાં કોઈએ કલ્પના કરી હતી અને આપણને જોવા મળ્યું કે લોકોએ એને તોડી નાખી. આવું એક દિવસ ભારત અને પાકિસ્તાનની વચ્ચે પણ બની શકે છે. જરૂર બની શકે, પણ એને માટેનો માર્ગ અલગ છે. પહેલાં તો નરેન્દ્ર મોદીએ નક્કી કરી લેવું પડે કે તેઓ તેમની કઈ સિદ્ધિ માટે ગર્વ લેવા માગે છે; સર્જીકલ સ્ટ્રાઈક માટે કે બર્લિનની દીવાલને તોડી નાખવાની ભૂમિકા બનાવી જવા માટે? હમણાં કહ્યું એમ બન્ને રસ્તા અલગ અલગ છે અને વિરુદ્ધ દિશાના છે. જો બર્લિનની દીવાલ તોડવી હોય તો ધીરજ ધરતા, સંયમ રાખતા અને ઝેરનાં ઘૂંટડા પીતા આવડવું જોઈએ. તેમણે જે ડાહીડાહી વાતો કરી છે એ મુજબ તો ભારતની પાકિસ્તાનનીતિ છેલ્લા સાડા ચાર વરસ દરમ્યાન જોવા મળી છે તેનાથી અલગ હોવી જોઈએ. જો બર્લિનની દીવાલ તોડવી હોય તો તેમણે વિદેશ પ્રધાનને પાકિસ્તાન મોકલવા જોઈતા હતા. બે દેશ વચ્ચે કોઈ એક છેડેથી સહિયારો કાર્યક્રમ થવો જોઈતો હતો અથવા એક જ સમયે બે છેડે કાર્યક્રમ યોજવા જોઈતા હતા.

પણ આ તો રાષ્ટ્રવાદનો યુગ છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 નવેમ્બર 2018

Loading

28 November 2018 admin
← યાદ તને બહુ કરીએ ‘અખા’
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલે સાબિત કરી આપ્યું છે તેઓ નથી કરોડરજ્જુ ધરાવતા કે નથી અક્કલ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved