Opinion Magazine
Number of visits: 9448917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બીજાને ગાળો આપવી એ નથી નિદાન, નથી ઇલાજ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 October 2018

એક વાત તમારા ધ્યાનમાં આવી કે નહીં? ૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ દિલ્હી જવા ઉચાળા ભર્યા, ત્યારે તેઓ કહેતા હતા કે હું આ કરીશ, હું પેલું કરીશ, કઈ ચીજ કેમ કરાય એની મને આવડત છે, ગુજરાતમાં મેં કરી બતાવ્યું છે, વગેરે વગેરે. હું કર્તુત્વવાન છું અને કરી શકું છું. હવે તેઓ કહે છે કે કૉન્ગ્રેસમાં દોકડાની આવડત નથી, નેહરુ ખાનદાનનાં લોહીમાં જ કાંઈક ખામી છે, કૉન્ગ્રેસે દેશને લૂંટ્યો છે, સાત દાયકામાં કોઈ વિકાસ થયો નથી, વગેરે. જ્યાં જાય છે ત્યાં કોન્ગ્રેસ પર પ્રહારો કરે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને અંજલિ આપતાં કોન્ગ્રેસને ગાળો, શિરડીમાં સાંઈબાબાનાં દર્શન કરીને કોન્ગ્રેસની ટીકા, એમ જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસને યાદ કરવામાં આવે છે.

ટૂંકમાં ‘હું’ નામના ઇલાજની જગ્યાએ ‘તેઓ’ નામની બીમારી કેન્દ્રમાં આવી ગઈ છે. ઓસડ કામમાં આવતું નથી, એટલે બીમારીનો વાંક કાઢનાર આ વૈદ છે. સાચી વાત તો એ છે કે તેમની પાસે ઓસડ હતું જ નહીં. જડતું નથી એમ પણ ન કહી શકાય, કારણ કે તેમણે ઈમાનદારીથી ઈલાજ કરવા ઓસડ શોધ્યું પણ નથી.

આમાં નવું તેઓ શું કહી રહ્યા છે? બીમારી કેવી છે અને કેવી પીડે છે, એ બીમારને કહેવાનું હોય? બીમાર માણસથી વધારે બીમારીને કોણ જાણી શકે? બીમાર માણસ વૈદોના ઓટલા એટલા માટે ભાંગે છે કે તેમને ઇલાજ જોઈએ છે. બીમારીને દૂર ફગાવવી છે. એક જમાનો હતો જ્યારે કૉન્ગ્રેસ ઇલાજ હતી. આઝાદીની લડત દરમ્યાન જ દેશની બીમારીનું નિદાન અને તેના ઇલાજ વિષે ચર્ચા થતી હતી. આ જગતમાં ભારત સિવાય બીજો કોઈ દેશ નથી જેણે બીમારીના નિદાન અને ઇલાજ વિષે આખી એક સદી, સદી શું દોઢ સદી ચર્ચા કરી હોય. ૨૦મી સદીમાં ગાંધીજીએ તેમની પ્રચંડ લોકપ્રિયતા છતાં નિદાન અને ઇલાજ વિશે ચર્ચા થવા દીધી હતી. સાધારણપણે લોકપ્રિય નેતાઓ ભિન્ન મતને સાંખી શકતા નથી, પરંતુ ગાંધીજી એમાં અનોખા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી જગતના જેટલા દેશો આઝાદ થયા, એમાંથી ભારતમાં લોકતંત્ર ટકી ગયું એનું એક કારણ આઝાદી પહેલાં બીમારીનું નિદાન અને ઇલાજ વિષે મુક્ત મને ચાલેલી ચર્ચા છે.

જે નિદાનો અને ઇલાજો આઝાદી પહેલાં સૂચવવામાં આવતાં હતાં, એમાં એક ઇલાજ બહુમતી રાષ્ટ્રવાદનો પણ હતો. દયાનંદ સરસ્વતી અને વિનાયક દામોદર સાવરકરે બીમારીનું નિદાન કરતાં કહ્યું હતું કે હિન્દુઓ એક ધર્માનુયાયી પ્રજા તરીકે સંગઠિત નથી એ બીમારીનું કારણ છે અને ઇલાજ તરીકે સૂચવ્યું હતું કે હિન્દુઓએ હિન્દુ તરીકે સંગઠિત થવું જોઈએ. આ નિદાન અને આ ઇલાજ ત્યારે પણ અનેક લોકોને ગળે ઊતર્યાં નહોતાં, પરંતુ જે લોકો એમ માનતા હોય તેમને તેમ માનવાનો અને ઇલાજ કરવાનો અધિકાર છે. એ તો દેખીતી વાત છે કે ઓસડ શોધવાની જવાબદારી એની છે જે અચૂક નિદાન થઈ ચૂક્યું હોવાનો અને ઇલાજ મળી ગયો હોવાનો દાવો કરતા હોય. તેમનો ઇલાજ હતો; હિન્દુઓને સંગઠિત કરવાનો, પણ પછી શું? માત્ર સંગઠિત થવાથી રોગ મટી જવાનો છે?

સંગઠિત થઈને હિન્દુઓ રોજગારી પેદા ન કરી શકે. હિન્દુ શું જગતની કોઈ પ્રજા રોજગારી પેદા ન કરી શકે. માત્ર સંગઠિત થવાથી કૃષિ ઉત્પાદન વધતું નથી, રસ્તાઓ બંધાતા નથી, ડેમ બંધાતા નથી, ટ્રાન્સપોર્ટનો વિકાસ થતો નથી, મત્સ્યોદ્યોગ વિકસતો નથી, આરોગ્યકીય કે શૈક્ષણિક વિકાસ થતો નથી, વગેરે. આ સેક્યુલર પ્રદેશ છે જે અ-જાતીય અને અ-ધાર્મિક છે. એટલે કે ધર્મ અને જ્ઞાતિની બહારનો છે. પટેલો કે મરાઠાઓ સંગઠિત થઈને કોઈને ધોલ-ધપાટ કરી શકે, બહુ બહુ તો રોજગારની કે બીજી કોઈ જરૂરિયાતની માગણી કરી શકે, રોજગારની ટાંચ હોય તો અનામતની જોગવાઈની માગણી કરી શકે; પણ જેમાંથી સુખાકારી પેદા થાય છે એ વિકાસ તો વિકાસની કોઈક પ્રક્રિયા દ્વારા જ થવાનો છે.

જે વાત પટેલોને કે મરાઠાઓને લાગુ પડે છે એ વાત હિન્દુઓને અને મુસલમાનોને કે બીજી કોઈ પણ પ્રજાને લાગુ પડે છે. ધર્મ અને જ્ઞાતિના નામે સંગઠિત થઈને કોઈ ચીજ માગી શકાય, આંચકી શકાય, જોઈએ તો છુપાવી શકાય; પણ તેની નિર્મિતિ ન થઈ શકે. સેકયુલરિઝમનો મૂળ અર્થ આવો છે. આપણા દુન્યવી પ્રશ્નોને ધર્મ કે સમાજને વચ્ચે લાવ્યા વિના દુન્યવી માર્ગે જ ઉકેલવા રહ્યા. કોઈને ભૂખ લાગે તો ભગવત્‌ ગીતા આપવાથી નહીં ચાલે, તેને રોટલો જ આપવો પડશે.

આ રોટલો રળવાની કે ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એ સેક્યુલર છે. એકલો પટેલ, એકલા હાથે સો ટકા બીજાના અવલંબન વિના રોટલો ન રળી શકે. એ શક્ય જ નથી. પટેલ, મરાઠા, હિન્દુ, મુસ્લિમ, યહૂદી એમ કોઈ એકલે હાથે રોટલો ન રળી શકે. કેટલા માણસોનાં નાનાં-મોટાં યોગદાન પછી રોટલો બને છે. જે જે માણસ રોટલાની નિર્મિતિમાં યોગદાન આપે છે એ પણ પોતાનું પેટ ભરવા રોટલો રળવા માટે જ આપે છે. એમાં કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું. તો રોટલો રળવાની જે દુન્યવી પ્રક્રિયા છે એ સેક્યુલર છે. પેટ તમારા ધર્મ અને જાતિ કરતાં આદિમ છે અને જીવવું હોય તો તેને ભરવું જ પડે છે. માણસ પેટ લઈને જન્મ્યો છે, ધર્મ અને જ્ઞાતિ લઈને નહીં. એ ઓળખ તો તેના કપાળે પછી ચોંટાડવામાં આવે છે. જન્મ્યા પછી તરત જ બાળક ધાવે છે, ગાયત્રીમંત્ર કે કુરાનની આયાત નથી બોલતું.

આમ છતાં કેટલાક લોકોને લાગતું હતું કે ભારતની બીમારીનું કારણ બહુમતી હિન્દુઓનું વિઘટન છે અને ઇલાજ સંગઠન છે. અહીં મેં જે દલીલો કરી એ બધી જ દલીલો મારા વૈચારિક વડવાઓએ કરી હતી અને આજે પણ અમે કરીએ છીએ. સુખાકારીનો પ્રદેશ સેક્યુલર છે એમ અમે કહેતા રહીએ છીએ અને તેઓ દોઢસો વરસથી કહે છે કે બીમારીનું કારણ હિન્દુઓનું વિઘટન છે અને ઇલાજ સંગઠન છે.

ઓલ રાઈટ, તેમનો તે હક છે. સવાલ એ છે કે નિદાન અને ઇલાજ વિષે એક નિર્ણય પર આવ્યા પછી ઓસડ શોધવાની જવાબદારી કોની? પાંચ વરસ ઇલાજનો આભાસ પેદા કર્યા પછી તમે એમ કહો કે બીમારી જૂની છે, હઠીલી છે, જૂના વૈદોએ સરખો ઇલાજ નહીં કર્યો, તેમને ઇલાજ કરતાં જ આવડતું જ નહોતું, વગેરેનો શો અર્થ છે? તેમનાથી ઇલાજ થયો નહીં એટલે તો અમે તમારી પાસે આવ્યા છે. તમે તો ઇલાજ અને ઓસડ દાવો પણ કર્યો હતો તો એ છે ક્યાં? યાદ રહે, દવા લાગુ પડી નથી એવું નથી, દવા આપવામાં જ નથી આવી, તેમની પાસે કોઈ ઓસડ છે જ નહીં. સારવારનો આભાસ પેદા કરવા ઓસડનાં નામે નોટબંધી નામની એક જંગલી વનસ્પતિ આપી હતી જેની આડઅસરથી દેશ હજુ પણ મુક્ત થયો નથી. વૈદરાજે પણ એ રામબાણ ઉપાય વિષે બોલવાનું બંધ કરી દીધું છે.

બીમારીના નિદાન અને ઇલાજ વિશેનો એક સદી કરતાં લાંબો વિમર્શ હોય, એમાં નિદાન અને ઇલાજ વિષે તમારો ચોક્કસ અભિપ્રાય તેમ જ દાવો હોય અને એ પછી તમે કોઈ ઓસડિયાં ન વિકસાવી શકો? તો પછી એક સદી કર્યું શું? દેશને સમસ્યામુક્ત કરવા માટે ક્યાં છે હિન્દુ ફાર્માંકોપિયા? આ સવાલ તમે કોઈ પણ ભૂમિમાં ત્યાં દાદાગીરી કરનારી બહુમતી કોમને પૂછી શકો છો. નિદાન અને ઇલાજ બરોબર, ફાર્માંકોપિયા બતાવો? ગુજરાતમાં પટેલોને પૂછી શકો છો, મહારાષ્ટ્રમાં મરાઠાઓને પૂછી શકો છો, ભારતમાં હિન્દુઓને પૂછી શકો છો, પાકિસ્તાનમાં મુસલમાનોને પૂછી શકો છો; ક્યાં છે તમારાં ઓસડિયાં, બતાવો. બીજાને ગાળો આપવી એ નથી નથી નિદાન નથી ઇલાજ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉક્ટોબર 2018

Loading

28 October 2018 admin
← અમને ચોમેરથી સુવિચારો ને સદ્દભાવ પ્રાપ્ત થાઓ
કોમી એકતાની જાળવણી પ્રાર્થના અને સંગીતના માધ્યમથી →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved