Opinion Magazine
Number of visits: 9448633
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પત્રકારત્વની ઓક્સબ્રિજ સંસ્કૃિતની વચ્ચે કુલદીપ નાયર નામના દેશી ધીંગા પત્રકારે પોતાની જગ્યા બનાવી હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|25 August 2018

એક અઠવાડિયામાં ત્રણ વયોવૃદ્ધ મહાનુભાવોને આપણે ગુમાવ્યા. પહેલા લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજી, એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને હવે પત્રકારત્વમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા કુલદીપ નાયર. મારા મતે દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન હતા અને દેશના અત્યાર સુધીના શ્રેષ્ઠ સ્પીકર સોમનાથ ચેટરજી હતા. દાદાસાહેબ માવલંકર કે અનંત શ્યામ આયંગર કે બીજા કોઈ પણ સ્પીકર સ્વતંત્રતા, તટસ્થતા અને સંસદીય નીતિનિયમોની જાણકારીમાં સોમનાથદાની બરાબરી ન કરી શકે. સોમનાથ ચેટરજીના અવસાન પછી ત્રીજા જ દિવસે અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હોવાના કારણે સોમનાથદાના મૃત્યુની ઘટના ઢંકાઈ ગઈ હતી.

કુલદીપ નાયરને ભારતીય પત્રકારત્વના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે એ તેમની તીક્ષ્ણ   મેધાને કારણે કે તેમની અનનુકરણીય શૈલીને કારણે નહીં, પરંતુ હિંમત અને સપાટી નીચેના રાજકીય પ્રવાહોને પકડી પાડવાની ક્ષમતાને કારણે. તીક્ષ્ણ મેધા ગિરિલાલ જૈન અને શામલાલ જેવા પત્રકારો ધરાવતા હતા તો શૈલી ફ્રાંક મોરાયસ કે વિનોદ મેહતા ધરાવતા હતા. કુલદીપ નાયર આમાંના કોઈ ગુણ નહોતા ધરાવતા. ઊલટું હિન્દુસ્તાની ભાષામાં વિચારીને અંગ્રેજીમાં લખનારી તેમની ટિપિકલ ભારતીય દેશી અંગ્રેજી શૈલીની ઉચ્ચભ્રૂ પત્રકારો ઠેકડી ઉડાડતા હતા. કુલદીપ નાયરનો જન્મ અત્યારના પાકિસ્તાનમાં સિયાલકોટમાં થયો હતો અને તેમનું શાળાકીય શિક્ષણ ઉર્દૂ માધ્યમમાં થયું હતું. વિભાજન પછી દિલ્હીમાં સ્થાયી થયા પછી કુલદીપ નાયરે તેમની પત્રકારત્વકીય કારકિર્દી પણ ઉર્દૂ અખબારમાં સંવાદદાતા તરીકે કરી હતી. આમ તેમની દેશી અંગ્રેજી શૈલી હંમેશાં ઓક્સબ્રિજ પત્રકારોને સુગ ચડે એવી હતી. 

કુલદીપ નાયર કોઈ મેધાવી પત્રકાર પણ નહોતા. શામ લાલ કે ગિરિલાલ જૈનને વાંચીએ ત્યારે તેઓ વિવિધ દ્રષ્ટિકોણનો વિશાળ કેનવાસ રચી આપતા એવું કુલદીપ નાયરમાં ક્યારે ય નહોતું બનતું. કુલદીપ નાયરનું પત્રકારત્વ એટલે રાજકીય સમીકરણો અને સતત બદલાતા રહેતા સમીકરણોની લગભગ સચોટ માહિતી આપતું પત્રકારત્વ. આને કારણે એ યુગના રાજકારણીઓ પણ કુલદીપ નાયરની બાય લાઈન (પછી એ તેમના નામની સ્ટોરી હોય કે કોલમ હોય) પર નજર રાખતા. એ પછી તો રાજકારણીઓ તેમને અંદરની ખબર આપતા રહ્યા અને એ રીતે કુલદીપ નાયર વાંચવા જ પડે એવા અનિવાર્ય પત્રકાર બની ગયા હતા. એમ કહેવાય છે કે એ જમાનામાં વડા પ્રધાનનું કાર્યાલય પણ વડા પ્રધાનના કહેવાથી કુલદીપ નાયરને ફોલો કરતું. આજની જેમ ટ્રોલ્સને નહીં, એક માતબર પત્રકારને એ સમયના વડા પ્રધાનો ફોલો કરતા.

તેમની આ ખૂબીના કારણે કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ના સંચાલક રુસી ઈરાનીએ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાએ ઓક્સબ્રિજ પત્રકારોને બાજુએ મૂકીને કુલદીપ નાયરને તંત્રી બનાવ્યા હતા. બહુ મોટી નવાજેશ હતી એ જમાનામાં કુલદીપ નાયર માટે. એ પહેલાં વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમની મીડિયા સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. બધા માટે ખપ એ વાતનો હતો કે ભારતીય રાજકારણના આંતરિક પ્રવાહોની બારીકીઓ તેઓ પકડી શકતા હતા. આ બધી પ્રતિષ્ઠાઓ તેમને ત્યારે હાથ લાગી હતી જ્યારે કુલદીપ નાયર હજુ ચાલીસીના પણ નહોતા થયા.

વિદ્વાન શૈલીબાજ નહીં, પરંતુ હાર્ડ કોર પત્રકારને મળેલી આ સિદ્ધિ હતી. કહો કે પત્રકારત્વની ઓક્સબ્રિજ સંસ્કૃિતની વચ્ચે દેશી ધીંગા પત્રકારે પોતાની જગ્યા બનાવી હતી. એ દિવસોમાં કુલદીપ નાયરે ખૂબ અસૂયાનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય સમાજ ઉપરની પાયરીએ ઉચ્ચભ્રૂથી નીચે ઊતરતા ક્રમે નિસરણી જેવો છે અને તેમાં પત્રકારો અપવાદ નથી. કોઈ પણ ભારતીય એમાં અપવાદ નથી. અંગ્રેજી ભાષા જેમના પગ ચુમતી હોય એવા બહુશ્રુત ઓક્સબ્રિજ પત્રકારોની વચ્ચે એક દેશી યુવાને જગ્યા બનાવી હતી. ઉચ્ચભ્રૂ પત્રકારો કેબિનની બહાર નહોતા નીકળતા, એપોઇન્ટમેન્ટ વિના કોઈને નહોતા મળતા અને અંગ્રેજી સિવાય દેશી ભાષામાં (આવડતી હોવા છતાં) વાત નહોતા કરતા. આના બીજા અંતિમે કુલદીપ નાયર નેતાઓના રસોયા સાથે પણ સંપર્ક ધરાવે. કોંગ્રેસમાં વિભાજન થવાનું છે અને ઇન્દિરા ગાંધીને વડા પ્રધાનપદેથી હટાવવા કોંગ્રેસના વયોવૃદ્ધ નેતાઓએ તિરુપતિમાં મળીને યોજના બનાવી છે, એ સ્ટોરી સૌ પ્રથમ કુલદીપ નાયરે આપી હતી. વિદ્વાન પત્રકારો વિવેચનની થીસિસો ભલે રચતા હોય, પણ હથોડો તો કુલદીપ નાયરે માર્યો હોય.

ધીંગા પત્રકાર કુલદીપ નાયર લોકતંત્ર, સેક્યુલરિઝમ અને સમાનતા જેવાં આધુનિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ હતા. એટલે તો તેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો અને જેલવાસ વેઠ્યો હતો. તેમણે દેશપ્રેમીઓની માફક ઇન્દિરા ગાંધીની માફી નહોતી માગી કે નહોતી તેમણે સહયોગ કરવાની ઓફર કરી હતી. બીમારીના નામે પેરોલ પર છૂટવાનો પણ તેમણે પ્રયાસ નહોતો કર્યો. સાવ છેલ્લે જેમને છોડવામાં આવ્યા હતા તેમાં કુલદીપ નાયર એક હતા. એ સમયે મોટાભાગના પત્રકારો સરકાર સામે ઘૂંટણિયે પડી ગયા હતા જેમ આજે જોવા મળે છે. ફરક એટલો છે કે ત્યારના પત્રકારો ડરેલા હતા, જ્યારે આજના પત્રકારો વેચાયેલા છે. કુલદીપ નાયરને ૯૫ વરસનું દીર્ઘાયુ મળ્યું એમાં તેમને આજના દિવસો પણ જોવાના આવ્યા.

કુલદીપ નાયરે આજના વસમા દિવસોમાં પણ પોતાનું ટમટમિયું ક્યારે ય બુઝાવા નહોતું દીધું. મૃત્યુ પર્યંત તેઓ લખતા રહ્યા હતા. દેશ-વિદેશના ૮૫ અખબારોમાં તેમની કોલમ છપાતી હતી અને તેમની છેલ્લી કોલમ તેમના મૃત્યુ પછી છપાઈ છે. તેઓ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની બાબતે આગ્રહી અને સક્રિય હતા. બે દેશના લોકો વચ્ચે સંબંધો વિકસે એ માટે તેઓ પ્રયત્નશીલ હતા. ૧૪મી ઓગસ્ટની રાતે કુલદીપ નાયર વાઘા બોર્ડર પર કેટલાક લોકોને લઈને મીણબત્તી સાથે દોસ્તીનો પયગામ લઈને જતા અને સામેથી પાકિસ્તાન તરફથી પણ કેટલાક લોકો આવતા હતા. અત્યારે તો આ દર વરસે ઊજવાતી વાર્ષિક ઘટના બની ગઈ છે. કુલદીપ નાયરની એવી ઈચ્છા હતી કે જેમ ૧૯૮૯માં જર્મનીમાં બર્લિનમાં બન્યું હતું, એમ સરહદની બન્ને બાજુએ લાખો લોકો જમા થયેલા હોય અને તેઓ બોર્ડરને હોવા છતાં, નિરસ્ત કરી નાખવાની માગણી કરતા હોય. તેમની હયાતીમાં તો એવો દિવસ નહીં આવ્યો, પણ આપણે તેમના સ્વપ્નને સાકાર કરવા મથતા રહીએ એ તેમને આપવામાં આવેલી અંજલિ ગણાશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 અૉગસ્ટ 2018

Loading

25 August 2018 admin
← કૉલેજોમાં હાજરી લાકડાની તલવાર હોય ત્યારે ‘સતત આંતરિક મૂલ્યાંકન’ ફારસ બની રહેશે
ચાર દાયકા પછી જમ્મુ અને કાશ્મીરને રાજકારણી રાજ્યપાલ તો મળે છે, પરંતુ નવનિયુક્ત રાજકારણી રાજ્યપાલ નિસ્તેજ છે એનું શું? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved