Opinion Magazine
Number of visits: 9451699
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરુણાચલ: ભારત અને ચીન સિવાયનો ‘પ્રદેશ’

વિશાલ શાહ|Opinion - Opinion|13 June 2018

ચીનના સૈનિકો ઘૂસણખોરી કરે ત્યારે અરુણાચલ પ્રદેશ અચૂક સમાચારોમાં ચમકે છે, પરંતુ આ કારણથી વારંવાર સમાચારમાં ચમકતો નથી એવો પણ અરુણાચલમાં એક 'પ્રદેશ' છે. આ પ્રદેશ જાણે દેશથી અલગ પડી ગયો હોય એવા ઉત્તર પૂર્વ (નોર્થ-ઇસ્ટ) ભારતમાં આવેલો હોવાથી સરેરાશ ભારતીય તેના વિશે બહુ ઓછું જાણે છે. હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં ૬૬ પ્રજાતિનાં પક્ષી પહેલીવાર નોંધાયાં. આ ૬૬ પૈકી છ ઝડપથી લુપ્ત થઇ રહેલી પ્રજાતિમાં આવે છે. આશ્ચર્યની વાત છે કે, અત્યાર સુધી સરકારના લાગતા-વળગતા વિભાગોને ખબર ન હતી કે, આ ૬૬ પ્રકારનાં પક્ષીઓ અરુણાચલમાં પણ વસવાટ કરે છે. આજે ય ભારત સરકાર પાસે અરુણાચલ સહિતના હિમાલયના અંતરિયાળ વિસ્તારોનાં જંગલો, નદીઓ અને ઉપનદીઓની ચોક્કસ માહિતી નથી. આ પહેલાં બ્રહ્મપુત્ર નદીની સિરીઝ પોસ્ટ કરાઈ ત્યારે એ વિશે વિગતે વાત કરાઈ હતી.

કેવી રીતે મળ્યાં અરુણાચલમાં નવાં પક્ષીઓ?

અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ એન્વાયર્મેન્ટના સંશોધક અનિર્બાન દત્તા રોયે પીએચ.ડી. ફિલ્ડ વર્કના ભાગરૂપે એક રિપોર્ટ તૈયાર કરવાનો હતો. એ માટે તેમણે અરુણાચલના અપર સિઆંગ જિલ્લાનાં જંગલોમાં ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ફિલ્ડ વર્ક કરીને શોધી કાઢ્યું કે, અરુણાચલના સિઆંગ ખીણમાં કુલ ૨૫૨ પ્રકારનાં પક્ષીઓની પ્રજાતિ રહે છે, જેમાંથી ૬૬ પ્રકારનાં પક્ષીઓ પહેલીવાર નોંધાયાં છે. જેમ કે, એશિયન એમરાલ્ડ, કોમન હૉક અને ડ્રોંગો જેવી કોયલની નવ પ્રજાતિ. ગ્રે લેગ ગૂઝ, કોમન ટીલ, નોર્થન પિનટેઇલ, લિટલ ગ્રેબ અને મલાર્ડ જેવી માઇગ્રેટિંગ વોટરફાઉલ (જળકૂકડી)ની સાત પ્રજાતિ. આ સર્વેક્ષણ પહેલાં પક્ષીવિદ્દને અંદાજ પણ ન હતો કે, સિઆંગનાં જંગલોમાં આ પ્રજાતિના પક્ષીઓ પણ આવે છે! અરુણાચલમાં પહેલીવાર દેખાયેલાં પક્ષીઓ સામાન્ય રીતે શિયાળામાં આવે છે. આ પહેલાં અરુણાચલનાં જંગલોમાં શિયાળામાં પક્ષી સર્વેક્ષણનું કામ થયું ન હતું.

કોયલની ત્રણ પ્રજાતિ (ક્લોકવાઇઝ) એશિયન એમરાલ્ડ, ડ્રોંગો અને કોમન હૉક

અનિર્બાન દત્તા રોય

આ થકવી દેતાં કામમાં અનિર્બાન દત્તા રોય સાથે સેન્ટર ઓફ બાયોલોજિકલ સાયન્સ સાથે સંકળાયેલા સંશોધકો વિવેક રામચંદ્રન અને કાર્તિક તિગાલાપલ્લી પણ જોડાયા હતા. આ ત્રણેય સંશોધકોએ કરેલું સર્વેક્ષણ 'જર્નલ ઓફ થ્રેટન્ડ ટેક્સા' નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું છે.

અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની સંસ્કૃિત

આ ત્રણેય પક્ષીવિદ્દોએ રજૂ કરેલા રિસર્ચ પેપરમાં એક વાતની ખાસ નોંધ લીધી છે, અરુણાચલની અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની અનોખી સંસ્કૃિત. જેમ કે, અરુણાચલના સિઆંગ ખીણ વિસ્તારમાં 'આદિ' નામની પ્રજાતિના લોકો વસે છે. આ આદિવાસીઓ વર્ષોથી 'ફરતી ખેતી' કરે છે. ફરતી ખેતી એટલે એક જમીનના ટુકડા પર પાક ઉતાર્યા પછી, બીજી વાર એ જમીનનું 'શોષણ' નહીં કરવાનું. કુદરતી રીતે જ ત્યાં જે કંઈ થાય એ થવા દેવાનું. એ જમીન પર પાક નહીં લેવાનો ગાળો દરેક સ્થળે જુદો-જુદો હોઈ શકે છે. આજે મોટા ભાગના લોકો એક ખેતરમાં દર વર્ષે એકનો એક પાક લેતા હોવાથી અથવા પાકની ફેરબદલ વૈજ્ઞાનિક પદ્ધતિથી નહીં કરતા હોવાના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે, જ્યારે ફરતી ખેતી સમગ્ર કુદરત માટે લાભદાયી છે. આ વાત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ચૂકી છે.

માઇગ્રેટિંગ વૉટરફાઉલ(જળકૂકડી)ની (ક્લોકવાઇઝ) કોમન ટીલ, નોર્થન પિનટેઇલ, મલાર્ડ અને લિટલ ગ્રેબ નામની પ્રજાતિ

આદિ’ આદિવાસીઓના કૃષિ આધારિત સોલંગ ઉત્સવનું દૃશ્ય

ફરતી ખેતી થતી હોય ત્યાં પશુ-પક્ષીઓ, જીવડાં અને અન્ય વનસ્પતિઓની પ્રજાતિમાં પણ વૈવિધ્ય જોવાં મળે છે. આ રિસર્ચ પેપરમાં ખાતરીપૂર્વક કહેવાયું છે કે, જો સિઆંગ ખીણમાં ફરતી ખેતી ના થતી હોત તો અહીંની પક્ષી સૃષ્ટિમાં આટલું વૈવિધ્ય ના હોત! આ સંશોધન દરમિયાન પ્રોટેક્ટેડ ઝોનની બહાર પણ સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિ મળી આવી છે. એ રીતે આ રિસર્ચ પેપર ફરતી ખેતીની તરફેણનો પણ મજબૂત કેસ સ્ટડી છે.

અરુણાચલની વૈવિધ્યસભર જીવસૃષ્ટિ

વર્ષ ૨૦૦૦માં કરાયેલા સર્વેક્ષણ પ્રમાણે, અરુણાચલનો ૭૭ ટકા વિસ્તાર જંગલોથી હર્યોભર્યો હતો. હિમાલયની પર્વતમાળામાં જોવા મળતું ઘણું બધું જૈવવૈવિધ્ય અરુણાચલમાં પણ જોવા મળે છે. હિમાલયની વિશિષ્ટ ભૂગોળને કારણે અરુણાચલને આ લાભ મળ્યો છે. ૨૦૧૩માં એક સર્વેક્ષણમાં નોંધાયું હતું કે, અરુણાચલનું ૩૧,૨૭૩ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું જંગલ 'ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપ'નો હિસ્સો છે. આ લેન્ડસ્કેપ કુલ ૬૫,૭૩૦ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે, જે મ્યાંમાર, ચીન અને ભુતાનના કેટલાક વિસ્તાર સુધી પથરાયેલા છે. ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપની ભૂગોળ એટલી જટિલ હોય છે કે, ત્યાં કોઈ માનવીય પ્રવૃત્તિ થઈ જ નથી શકતી એટલે ત્યાં કુદરત ખીલી ઊઠે છે. આ કારણસર અરુણાચલમાં ૮૫ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, ૫૦૦થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અને દુનિયામાં ક્યાં ય નથી એવાં પતંગિયાં, ફૂદ્દાં, જીવડાં અને સરિસૃપ સજીવો જોવાં મળે છે.

અપર સિઆંગ જિલ્લામાંથી વહેતી સિઆંગ નદીની આસપાસનાં જંગલ

ભારતમાં અરુણાચલ અને અરુણાચલનો નકશો

અરુણાચલની બીજી પણ એક ખાસ વાત છે. અહીંનો દરિયાઈ સપાટીથી સૌથી નીચેનો વિસ્તાર આસામ સાથે સરહદ ધરાવે છે, જ્યાં બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારનાં જંગલો આવેલા છે. એવી જ રીતે, અરુણાચલનો સૌથી ઊંચો વિસ્તાર તિબેટ સાથે સરહદ વહેંચે છે, જ્યાં પૂર્વ હિમાલયના નીચાણવાળા વિસ્તારનાં લીલાં જંગલો આવેલાં છે. આ પ્રકારની ભૂગોળના કારણે અરુણાચલના લૉઅર સુબાનસિરી જિલ્લામાં ઔષધીય ગુણો ધરાવતી ૧૫૦ જાતની વનસ્પતિ પણ મળે છે.

અરુણાચલનો અનોખો 'બાયોસ્ફિયર રિઝર્વ'

વર્ષ ૧૯૯૮માં અરુણાચલમાં દિબાંગ ખીણ તેમ જ અપર સિઆંગ અને વેસ્ટ સિઆંગ જિલ્લાના કુલ ૫,૧૧૨ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારને 'દિહાંગ-દિબાંગ બાયોસ્ફિયર રિઝર્વ' જાહેર કરાયું હતું. આ બાયોસ્ફિયર રિઝર્વના ૪૮૩ સ્ક્વેર કિલોમીટર વિસ્તારને મોલિંગ નેશનલ પાર્ક જાહેર કરાયો છે, જેનો કેટલોક વિસ્તાર ઇસ્ટ સિઆંગ જિલ્લામાં પણ પડે છે. મોલિંગ 'આદિ' ભાષાનો શબ્દ છે. તેનો અર્થ 'લાલ ઝેર' અથવા 'લાલ લોહી' એવો થાય છે. એવું કહેવાય છે કે, અહીંની કેટલીક વનસ્પતિઓમાંથી લાલ રંગનો ઝેરી રસ નીકળે છે. આ કારણસર આ વિસ્તારને સ્થાનિકો 'મોલિંગ' તરીકે ઓળખતા હતા. આ ઉપરાંત અહીં ઝેરી સાપોની પણ અનેક પ્રજાતિઓ છે, પરંતુ તેનું સત્તાવાર દસ્તાવેજીકરણ કરવાનું હજુ બાકી છે.

(ક્લોકવાઈઝ) બાર્કિંગ ડિયર, રેડ પાન્ડા, ટેકિન અને સેરો (હિમાલયન)

મોલિંગ નેશનલ પાર્કમાં દરિયાઈ સપાટીથી ૪૦૦ મીટરથી ઊંચાઈએથી માંડીને ત્રણ હજાર મીટરની ઊંચાઈ સુધીનાં જંગલો છે. આ વિસ્તાર હિમાલયમાં ઊંચાઇએ આવેલા ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) અને નીચે આવેલાં સામાન્ય જંગલોની વચ્ચે પડે છે, જ્યાં બંગાળ વાઘ, દીપડા, લાલ પાન્ડા, બાર્કિંગ ડિયર, સેરો (કાળા રંગની જંગલી બકરી) અને ટેકિન (જંગલી ભેંસ જેવી ભારેખમ બકરી) પણ જોવાં મળે છે. આ જ બાયોસ્ફિયર રિઝર્વમાં ૪,૧૪૯ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું દિબાંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પણ આવેલું છે. અહીં કસ્તૂરી મૃગ સહિત હિમાલયમાં જોવાં મળતાં અનેક સસ્તન પ્રાણીઓ જોવાં મળે છે.

પક્ષીઓનું સ્વર્ગ એટલે, ઇગલનેસ્ટ સેન્ચુરી

અરુણાચલના વેસ્ટ કામેંગ જિલ્લામાં હિમાલયની તળેટીમાં ૨૧૮ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારને ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જાહેર કરાયો છે. ઇગલનેસ્ટની ઉત્તર-પૂર્વમાં સેસા ઓર્કિડ સેન્ચુરી અને પૂર્વમાં કામેંગ નદીની સમાંતરે પાખુઇ ટાઇગર રિઝર્વ આવેલું છે. ઇગલનેસ્ટ પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. આ નાનકડું જંગલ કામેંગ એલિફન્ટ રિઝર્વનો હિસ્સો છે, પરંતુ આપણે અહીં ઇગલનેસ્ટ સેન્ચુરીની જ વાત કરીએ. આ વિસ્તારમાં દરિયાઇ સપાટીથી ૫૦૦ મીટરની લઈને ૩,૨૫૦ મીટરની ઊંચાઈ સુધી જંગલો છે. વર્ષ ૧૯૫૦માં અહીં ભારતીય સેનાની રેડ ઇગલ ડિવિઝનની પોસ્ટ ઊભી કરાઈ હતી, જેથી આ વિસ્તાર 'ઇગલનેસ્ટ' તરીકે જાણીતો થયો. આ નામને બાજ કે સમડી સાથે કોઈ લેવાદેવા નથી.

બુગુન લિઓસિચલા

રમણ અથરેયા

દક્ષિણ અમેરિકામાં આવેલી એન્ડિસ પર્વતમાળાઓ પછી દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્ય ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં જોવાં મળે છે. અરુણચાલમાં જોવાં મળતાં ૫૦૦માંથી ૪૫૪ પ્રજાતિનાં પક્ષીઓ ઇગલનેસ્ટ સેન્ચુરીમાં વસે છે. અરુણાચલમાં ૧૯૯૫માં બુગુન લિઓસિચલા (Bugun liocichala) નામનું પક્ષી જોવા મળ્યું હતું. એ પછી ૨૦૦૬માં જાણીતા પક્ષીવિદ રમણ અથરેયાએ ફરી એકવાર ઇગલનેસ્ટમાં તેની નોંધ લીધી. એવું કહેવાય છે કે, હવે તેની વસતી માંડ ૧૪ રહી છે અને ઇગલનેસ્ટ સિવાય દુનિયામાં ક્યાં ય તે જોવા મળતું નથી.

આ ઉપરાંત ઇગલનેસ્ટમાં સસ્તન પ્રાણીઓની સાથે ઊભયજીવીની ૩૪, સાપની ૨૪, ગરોળીની સાત અને પતંગિયાની ૧૬૫ પ્રજાતિ પણ જોવાં મળે છે.

***

અરુણાચલના જંગલો અને જૈવ વૈવિધ્યની સુરક્ષા કરવામાં સ્થાનિક આદિવાસીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જેમ કે, ઇગલનેસ્ટ સેન્ચુરીનું રક્ષણ કરવામાં જંગલ ખાતાના અધિકારીઓને 'બુગુન' નામના આદિવાસીઓની પણ ભરપૂર મદદ મળે છે. આદિવાસીઓ કુદરત પાસેથી જોઇએ એટલું જ લેતા હોવાથી કુદરત જળવાઈ રહે છે. એટલે જ ભારત સરકારે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ અંતર્ગત ઠરાવ્યું હતું કે, રાજ્ય સરકારો નેશનલ પાર્ક કે સેન્ચુરીનો હિસ્સો ના હોય એવા વિસ્તારને 'કોમ્યુિનટી રિઝર્વ' જાહેર કરીને પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ અને પરંપરાગત જ્ઞાનના રક્ષણને પ્રોત્સાહન આપી શકે છે.

આ તો મીડિયામાં ચમકતા અરુણાચલ સિવાયના 'પ્રદેશ'ની એક નાનકડી ઝલક છે. અરુણાચલમાં નામડાફા  નેશનલ પાર્ક પણ આવેલો છે, જે દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટો સંરક્ષિત વિસ્તાર છે. અરુણાચલમાં કામલાંગ, મેહાઓ, ઇટાનગર, કેન અને ડાઇંગ એરિંગ જેવા નાના-મોટા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી તેમ જ પક્કે ટાઇગર રિઝર્વ પણ આવેલું છે. એક સમયે અરુણાચલમાં પણ લાકડું અને ઔષધીય વનસ્પતિઓ મેળવવા આડેધડ જંગલો કપાતાં હતાં અને બેફામ શિકાર પણ થતા હતા, પરંતુ ૧૯૯૬માં સુપ્રીમ કોર્ટે અરુણાચલના જંગલોમાં લાકડું કાપવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી ૨૦૦૬માં ફરી એકવાર બુગુન લિઓસિચલા મળી આવતા અરુણાચલની આંતરરાષ્ટ્રીય મીડિયાએ નોંધ લીધી હતી. આ પક્ષીને જોવા પ્રવાસીઓનો ધસારો અચાનક વધી જતા સ્થાનિકો પણ જંગલોનું મહત્ત્વ સમજતા થયા.

હવે સિઆંગ વેલીમાં દસ હજાર મેગા વૉટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો ડેમ પણ બની રહ્યો છે, પરંતુ સ્થાનિકો જ કુદરતના ભોગે વિકાસ નહીં એવું કહીને તેનો વિરોધ કરી રહ્યા છે.

સૌજન્ય : https://vishnubharatiya.blogspot.com/2018/06/blog-post_13.html?m=1

Loading

13 June 2018 admin
← ખૂટતી કડી
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved