Opinion Magazine
Number of visits: 9448224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રસૂન જોશીના નરેન્દ્ર મોદી – લંડન ૨૦૧૮, અને સૌમ્ય જોશીનો ‘જાદુગર’ – અમદાવાદ ૨૦૦૨

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 May 2018

પ્રસૂન જોશીનો મોદી-શો અને સૌમ્ય જોશીનું નાટક                                                                                      ‘દોસ્ત,ચોક્કસ અહીં નગર વસતું હતું …’

ગુજરાતી કવિ-નાટ્યકાર સૌમ્ય જોશીનું નામ અત્યારે દેશભરમાં તેમની પોતાની લેખન પ્રતિભાને કારણે મોટા પડદે ચમકી રહ્યું છે. તો વળી હિન્દી કવિ-સ્ક્રિપ્ટરાઇટર પ્રસૂન જોશી વડા પ્રધાન મોદીના પ્રતાપે દુનિયાભરમાં નાના પડદે તાજેતરમાં ચમકી ગયા છે. સૌમ્યએ લખેલી ‘૧૦૨ નૉટ આઉટ’ ફિલ્મથી લોકો ખુશ થઈ રહ્યા છે; પ્રસૂન જોશીએ અઢારમી એપ્રિલે ઇન્ગ્લેન્ડમાં ‘ભારતા કી બાત સબ કે સાથ’ નામે   લીધેલી વડા પ્રધાનની બે કલાકની મુલાકાતથી ભક્તો અને ભગવાન બંને ખુશખુશાલ હતા. સૌમ્યએ લખેલી અને ઉમેશ શુક્લએ દિગ્દર્શિત કરેલી  ફિલ્મની મર્યાદાઓ બતાવવામાં આવી છે, પણ તેના ઇરાદાઓ વિશે શકનો સવાલ આવ્યો નથી. પ્રસૂને લીધેલી વડા પ્રધાનની મુલાકાત ઠીક ટીકાપાત્ર બની છે. આખો  કાર્યક્રમ મોદીનો, પાકી તૈયારી સાથેનો, પ્રભાવશાળી પ્રચારખેલ બની રહ્યો. તેનો યશ કવિ પ્રસૂનને આપવામાં આવ્યો.

ચાર વર્ષ દરમિયાન દેશમાં એક પણ પત્રકાર પરિષદ ન કરનાર વડા પ્રધાને, વિદેશના મંચ પરથી એક કવિએ પૂછેલા ‘રસમલાઈ જેવા સવાલો’ના અચૂક અભિનય સાથે જવાબ આપ્યા. અગવડવાળા સવાલની રાહ જોવામાં ભોળપણ હતું. મોદીની એક નમ્ર, નિખાલસ, ઉદારમતવાદી, માનવતાવાદી, ત્યાગી, કાર્યપ્રણવ, સ્વપ્નદૃષ્ટા, પ્રખર દેશપ્રેમી તરીકેની પ્રતીમા ઊભી કરવાના સંન્નિષ્ઠ પ્રયાસમાં પ્રસૂન જે ધન્યતા અનુભવી રહ્યા હતા, તે તેમના ચહેરા પર ચમકી રહી હતી. બ્રિટનમાં પેઢીઓથી વસીને હિન્દુસ્તાન માટે કાયમી દેશદાઝ દાખવનારા દેશભક્તોના ‘મોદી મોદી’ અને ‘વંદે માતરમ્‌’ના નારા રૉયલ પૅલેસમાં સંભળાતા હતા.

જો કે પ્રસૂનની કામગીરીથી તેની સર્જકતાના ચાહકોને આઘાત લાગ્યો હતો. તેમને પ્રસૂન ‘રંગ દે બસંતી’ કે ‘તારે જમીં પર’ જેવી બદલાવનો સંદેશ આપનારી ફિલ્મોનાં સંવાદ અને ગીતો, નિર્ભયા અત્યાચાર સામેની લડતમાંની કવિતા અને કેટલીક પ્રગતિશીલ અભિવ્યક્તિઓને  કારણે ગમતા હતા. પણ આ જ એડ્મૅને આમીર ખાન સાથે રહીને ‘ઠંડા મતલબ કોકા-કોલા’ની ઝુંબેશ કરી હતી. એ જ અરસામાં કેરળના પાચીમાડા ગામમાં આવેલી કોકા કોલાની ફૅક્ટરી થકી થઈ રહેલા ભૂગર્ભજળ અને પર્યાવરણના નુકસાનના વિરોધમાં ૨૦૦૨થી લોકલડત ચાલી રહી હતી, જેને પંદર વર્ષે સફળતા મળી.

જાહેર ખબરોની મોટી આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઊંચા હોદ્દે રહેલા પ્રસૂને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની પ્રચાર ઝુંબેશનું સૂકાન સંભાળ્યું હતું. એ દિવસોમાં તેણે ભાજપના પ્રચાર પદ્ય ‘સૌગંધ’ની પણ રચના કરી હતી જેને ખુદ મોદીએ જાહેર અવાજ આપ્યો હતો. પ્રસૂન ગયાં વર્ષે સેન્સર બોર્ડના વડા નીમાયા, તે પહેલાં ૨૦૧૫માં પદ્મશ્રીથી પોંખાયા હતા. નિરીક્ષકોએ આ શો બાબતે પ્રસૂનને ‘પૂરા દરબારી કવિ’ તરીકે નવાજ્યા. એક ગુજરાતી પત્રકારે મોદીનાં ‘વિરાટ સ્વરૂપનાં દર્શન’ અને પ્રસૂનની ‘અર્જુનમુદ્રા’ અંગે વ્યંગ લખ્યો. એક હિન્દી પત્રકારે જાણીતા હિન્દી અખબારને ટાંક્યું : ‘સાલ દર સાલ મોદી કી નાટકીય પ્રસ્તુિત મેં નિખાર આતા જા રહા હૈ … ક્યા ગજબ કે જાદુગર હૈ નરેન્દ્ર મોદી’. પછી તેમણે પ્રધાન સેવકની માયાજાળ સામાન્ય જાદુગરો કરતાં કેવી રીતે જુદી છે તે નોંધીને લખ્યું : ‘બેહિસ જાદૂગરિયોં મેં ચાર સાલ બિતા ચુકે પ્રધાનમંત્રી કે પાસ અબ વૈસે ભી બહુત કમ સમય બચા હૈ …’

આવા જ એક જાદુગરના પાત્રને સૌમ્ય જોશીએ સોળ વર્ષ પહેલાં ઑગસ્ટ ૨૦૦૨માં તખ્તા પર મૂક્યું હતું. જાદુગર ‘જાદુના વ્હાલા પ્રચારકો’ને કહે છે: ‘ભુલાવી દો. ભુલાવી દો. ભુલાવી દો. સમય બહુ ઓછો છે … ભૂખ્યાની ભૂખ ભુલાવો ને તરસ્યાની તરસ / ભુલાવી દો વીતી ગયેલાં સાડા ચાર વરસ…’ આ ‘ભુલાવી દો’ પછી ‘હુલાવી દો’માં ફેરવાય છે. બીજી કોમના માણસોને જલાવી દેવાનું, હુલાવી દેવાનું સંહારસત્ર ગુજરાતમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨થી ચારેક મહિના ચાલે છે. તેના અજોડ પ્રતિભાવ તરીકે સૌમ્યએ લખીને દિગ્દર્શિત કરેલા ‘દોસ્ત,ચોક્કસ અહીં નગર વસતું હતું …’ નામનાં નાટકમાં જાદુગરનું પાત્ર દસેક મિનિટનાં એક જ દૃશ્યમાં આવે છે. જાદુગરનાં ગદ્ય-પદ્ય મિશ્રિત લય અને ધારદાર શબ્દોવાળા લાંબા સંબોધનને, અત્યારે જાણીતા પત્રકાર તેજસ વૈદ્યે લાજવાબ રીતે મંચ પર રજૂ કર્યું હતું. દેશકાળના કોઈ પણ તબક્કે લોકોની લાગણીઓ ઉશ્કેરી,યાતનાઓ ભૂલાવી, હુલ્લડો કરાવી સત્તા મેળવતા ઘાતકી જાદુગરનું આ પાત્ર છે. એ ‘સંસ્કૃિતની રક્ષા કરતા કિમીયાગરો’માંથી એક છે. અમદાવાદથી ઓગણત્રીસ કિલોમીટર દૂર એનો નિવાસ છે. સૌમ્યએ તેના જાદુગરને જાહેરમાં ક્યારે ય મોદી સાથે જોડ્યો નથી. પણ ગોધરાકાંડ અને તેને પગલે થયેલાં હુલ્લડોના એ દિવસોમાં સંવેદનશીલ નાગરિકને નરેન્દ્ર મોદી આ નાટકમાં દેખાયા હતા. પ્રસૂન-મોદી ખેલ વખતે ફરીથી દેખાયા. 

‘દોસ્ત …’  નાટકમાં એક દટાયેલાં નગર અમદાવાદને ઇ.સ. 4002માં બે પુરાતત્વવિદો ખોદે છે. આ નગરનો નાશ થવાનાં કારણો તેમને દેખાય છે : મિલોના બંધ પડવાથી બેકાર અને ગરીબ બનેલા લોકો, તેમને હાથા બનાવીને ભડકાવવામાં આવેલાં કોમી હુલ્લડો, અને સહુથી વધુ તો શહેરના ધીમા નાશ તરફની તેના એક મોટા વર્ગની સંવેદનહીનતા. આ બધું આબેહૂબ દૃશ્યો, સંવાદો, ગીતો અને વૃંદગાન થકી તખતા પર લાવતું ‘દોસ્ત …’ પચાસ જેટલાં યુવા કલાકારોએ ભજવેલું, પોણા બે કલાકનું, ઊંઘ ઊડાડી દેનારું, સાંપ્રત ઇતિહાસની ઘટના સમું નાટક હતું. તેમાં ખુદ સૌમ્યએ એક કવિનું નાનકડું પણ પ્રસ્તુત પાત્ર ભજવ્યું હતું. કવિ વ્યંગ અને વ્યથાથી ભરેલી તેની એકોક્તિમાં સંહારકાળમાં કલાકારની શી સંવેદના હોઈ શકે તેની માર્મિક વાત કરે છે. સમૃદ્ધ પશ્ચિમ અમદાવાદનો આ ‘જરા નબળો કવિ’ છે. તે એકલો જ, કરફ્યુગ્રસ્ત પૂર્વ ઇલાકામાં ફરવા નીકળ્યો છે કેમ કે તેને ‘પુલની પેલી તરફની ઝાળ લાગી છે’. તેના સાથીઓની જેમ ‘વર્ષાઋતુના આગમનનું ચિત્ર’ દોરવા બેસી શકતો નથી. લાશની ભીનાશ, માંસની દુર્ગંધ, ચપ્પાની ધાર, બળેલી ભીંતોની વચ્ચેથી પસાર થતો આ કવિ કહે છે : ‘એક અનોખો છંદ શીખી લીધો. / આક્રંદ નામે સાવ નોખો છંદ છે / એક અનોખો પ્રાસ પણ જોઈ લીધો / જોયું કે અલ્લાહ-હરિના પ્રાસમાં બેસે છરી’.

સૌમ્યે ‘દોસ્ત …’ આ નાટક લખ્યું ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના બેતાજ બાદશાહ ગણાતા. નાટ્યકારે વ્યક્તિગત રીતે તેમને નહીં, પણ તેમના પ્રકારના કોમવાદી રાજકારણને ખુલ્લા પાડવાનું, તેની વિરુદ્ધ એક ભૂમિકા લેવાનું પસંદ કર્યું. સોળ વર્ષ બાદ પ્રસૂન જ્યારે મોદીની  મુલાકાત લે છે ત્યારે મોદી દેશના બેતાજ બાદશાહ હોવાની બહોળી છાપ છે. પ્રસૂન એ છાપને વધુ ઊઠાવ આપવાનું પસંદ કરે છે. આ પસંદગી કસોટીરૂપ હોય છે. તમામ પ્રકારની જાહેર અભિવ્યક્તિ સાથે કામ પાડનાર અને તેના માટે સમાજની ચાહના પામનાર વ્યક્તિઓએ સિવિલાઈઝેશનની કટોકટીમાં કરેલી પસંદગી તેમની મહત્તા નક્કી કરે છે. પ્રસૂને કરી તેવી પસંદગી તેમના જેટલા પોંખાયેલા તેના સમકાલીનોમાંથી બહુ ઓછાએ કરી છે. અલબત્ત, બધાં કલાકારો ઉમાશંકર જોશી કે આનંદ પટવર્ધન, પાસ્તરનાક કે પાશ, સોલ્ઝેનિત્સિન કે શીતલ સાઠે, કે તેમનાં જેવાંની હરોળમાં હોય એ જરૂરી નથી. એ લડતના સૈનિક ન હોય, વિરોધ પક્ષના નેતા ન હોય એમ બને. પણ એ શાસક પક્ષના પ્રવક્તાય ન હોય, અને વ્હાલા પ્રચારક તો ખસૂસ નહીં. આ વાત સૌમ્ય ફરીથી એકવાર તેની કોઈ મોટી કૃતિથી બતાવી આપે એવી અપેક્ષા અસ્થાને ન ગણાય.        

+++++++

૦૯ મે ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 11 મે 2018

Loading

11 May 2018 admin
← રાજકુમાર ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી કેમ નહોતા લડ્યા?
કાર્લ માર્ક્સ @ 200 →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved