Opinion Magazine
Number of visits: 9446872
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મૃિતનાં ઝરણ પાસે ઊભેલો એક ગઝલકાર

ભરત ત્રિવેદી|Opinion - Literature|19 May 2013

અવલોકન : “એક લીલી પળ અતીતની” – કિશોર મોદી

અમેરિકામાં લખાતી કવિતા હવે પગભર થઈ રહી છે તેમ કહીએ તો તેમાં કશી અતિશયોક્તિ કરી રહ્યા હોવાનો ભય નથી જણાતો. અહીં ગીત, ગઝલ અને અછાંદસ કવિતા અઢળક લખાતી લાગે છે પણ ગઝલને એક ઊંચા સ્તરે અને તે પણ સાતત્યપૂર્વક લખતી કલમો તરફ અંગૂલિનિર્દેશ કરવો હોય તો આદિલ મન્સૂરી, અશરફ ડબાવાલા, શકુર સરવૈયા, મધુમતી મહેતા, સુધીર પટેલ, ઇન્દ્ર શાહ કે ભરત ત્રિવેદી પછી બીજાં શોધવા જહેમત ઉઠાવવી પડે. આટલી ટૂંકી યાદીમાંથી પણ આદિલજી અને ઇન્દ્ર શાહ હવે રહ્યા નથી.

અમેરિકામાં વસતો પણ દેશમાં શ્વસતો એક ગઝલકાર એવો પણ છે જે પહેલી નજરે કદાચ ધ્યાન પર ન આવે. પણ અહીં બનતી ઉત્તમ ગઝલની એન્થોલોજી બનાવવી હોય તો જેની ગઝલોને સારી એવી જગા કરી આપવી પડે – એ નામ છે :  કિશોર મોદી. ‘જલજ, ‘મધુમાલિકા’, ‘મોહિની’, અને હવે તેઓ લઈને આવ્યા છે ‘એક લીલી પળ અતીતની’.

ત્યારે હું વડોદરામાં એક બેંકમાં કામ કરતો હતો. હશે ૧૯૭૫/૭૬નો ગાળો ! એક તો ઉનાળાની બપોર અને બેંકની સબ-ઓફિસ એટલે ઝાઝી ભીડ પણ ના મળે. જોઉં છું કે બે યુવાન મારી કેબિન પાસે આવી ઊભા છે. એકને તો હું તરત જ ઓળખી ગયો. વતનનો મારો મિત્ર હેમંત ત્રિવેદી, પણ બીજો ચશ્માધારી યુવાન કોણ ?  હેમંત કહે : આ છે કિશોર મોદી ! ને મેં ઉમેર્યું – ને  ગઝલો લખે છે, બરાબરને ! તે દિવસે અમારી પહેલી મુલાકાત ! સામયિકોમાં તો તેમની ગઝલો જોઈ હતી … આજે રૂબરૂમાં તેમની પાસે તેમની એક/બે ગઝલ સાંભળવા પણ મળી !

કિશોર મોદીની ગઝલો મને ગમે છે કેમ કે એમાં આયાસનું પ્રમાણ નહીંવત્ ને સાદગી અને ચિંતનશીલતા વધારે. ‘એક લીલી પળ અતીતની’નો સ્થાયીભાવ છે : સ્મરણ. અનેક ઉત્તમ શે’રમાંથી જે મારા ચિત્ત પર સવાર થઈ બેઠા છે તે આ રહ્યા :

દરરોજ મારું ગામ આખું સ્મરતું હોય છે,
કાયમ નદી શી લાગણી ભીતર રહેલી હોય છે.

વતન-ઝુરાપો તો આપણા જેવા બે-વતનીને તો લમણે લખાયેલો જ હોય છે ને ? પણ અહીં દિલને દઝાડી મૂકતી યાદો નહીં પણ શાતા આપતી રહેતી લાગણીની વાત થઈ રહી છે. અહીં નદી શી કહીને વતનની નદીને પણ ખૂબ કુશળતાપૂર્વક યાદ કરી લેવાઈ છે. કલમ કસાયેલી હોય ત્યારે એ બધું ડગલે ને પગલે દેખાઈ આવતું હોય છે. એટલે જ તો ભાવક પાસે અડધે રસ્તે આવીને મળવાની અપેક્ષા રહેતી હોય છે. શે’રમાં વેધકતા પણ કેવી કામે લાગતી હોય છે તેનો પણ એક નમૂનો આ રહ્યો :

આટલો ગંભીર ક્યારે થઈ ગયો તું !
બાળપણના ચોતરાનું પૂછવું છે.

અહીં કોણ કોને પૂછી રહ્યું છે તે ખાટી/મીઠી મૂંઝવણ ધ્યાનાર્હ છે ને ?

કિશોર મોદી સ્વભાવે ચિંતનશીલ વ્યક્તિ છે તેથી તેમની ગઝલમાં તે પણ ખૂબ નોંધપાત્ર રીતે દેખાઈ આવે છે અને તેમનું ઋજુ  વ્યક્તિત્વ તેને ખૂબ પોષક પણ બને છે તેનો એક નમૂનો જોઈએ :

વૃક્ષો, ફૂલો, પહાડ જોઈ દંગ છે કિશોર
ઈશ્વરની આટલી બધી પરસાદી હોય છે.

ગીતાનો ‘પત્રં પુષ્પમ્ ફલમ્ તોયં’  શ્લોક સ્મરણપટ પર આવી ચડે છે ? અહીં કોણ કોને ‘પરસાદી’ ચડાવતો હોય છે ? ખુદ ઈશ્વર કે પછી તેનો આપણા જેવો અબુધ ભગત ! તમે જ કહો કોઈ ચિંતનશીલ વ્યક્તિ આવે સમયે દંગ રહી ના જાય તો બીજું કરે પણ શું ! જો કે અહીં પણ બે બાબતો ખાસ ધ્યાન ખેંચે છે. એક તો એ કે ગઝલકાર સરળતાને વરેલા છે. અદમ ટંકારવી સાહેબ ફરમાવે છે ને કે :

ગઝલ લખી દો સીધીસાદી અદમ,
જીવીકાકીની સવિતા જેવી.

તો આ રહી જીવીકાકીની સવિતા જેવી સરળ ગઝલો !

કિશોર મોદીનું ભાષાકર્મ કે ગામઠી કે સાચા અર્થમાં તો સુરતી બોલી વિશેષ નોંધપાત્ર છે. ‘એઈ વીહલા’ના સર્જક આ ગઝલસંગ્રહમાં પણ સતત ડોકાતા રહે છે. પટારે, ખાંભી, ઢોચકી, ડોલાભ જેવા અરૂઢ શબ્દો તેમની રચનામાં ધાણીની જેમ સતત ફૂટતા રહે છે.

કોઇ પણ સભાન સર્જક નિજી સર્જનપ્રવૃતિ વિશે ના વિચારે તેમ કેવી રીતે બની શકે ! ગઝલકાર કહે છે :

આ લીમડાની ડાળ હલે – ને ગઝલ મળે,
શ્વાસોની વાત રાત ચાલે – ને ગઝલ મળે.

આ સંદર્ભે 'લ્યો ત્યારે ગઝલ કહું'માં તો તેમણે એક સાથે અનેક વાત કહી દીધી છે પણ એવી સાદગીથી કે સંચયમાંની પૂરી સો ગઝલોમાં તો ક્યાંક નજર-અંદાજ થઈ જાય તો પણ ખ્યાલ ના આવે. મને આ ગઝલ કિશોર મોદીની સિગ્નેચર ગઝલ લાગી છે. કહે છે ને કે હાથ કંગનને આરસીની જરૂર ખરી ? આખે આખી ગઝલ ટાંક્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. તેથી આ રહી તે ગઝલ-જરા જેટલી પણ કાપકૂપ વિના :

લ્યો ત્યારે ગઝલ કહું
નામેરી નામે નંગ, લ્યો ત્યારે ગઝલ કહું,
શબ્દોથી થાતો દંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
હું તાકી તાકીને તને જોયા કરું પછી,
આંખોમાં આવે રંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
ચહેરા ઉપર હજી એના એ હાવભાવ છે,
છે એ જ સ્મિત, ઢંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
આજે જુદા પ્રકારનો અણસાર આવતો,
કોઈ નવ્ય છે તરંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
સ્મરણો વડે જીતી ગયો છું હું પૂરેપૂરો,
હોવાપણાનો જંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
‘કિશોર’ જિંદગી તો એવી હોવી જોઈએ,
નભ ડોલતો પતંગ, લ્યો ત્યારે ગઝલ કહું.

આદિલજી તો ગયા અને તેની સાથે જ જાણે અમેરિકામાં સર્જાતી ગઝલનો ગ્રાફ દેખાઈ આવે તેટલો નીચે ઉતરી આવ્યો જણાય, પણ અગાઉ નોંધ લેવાઈ છે તે કલમોની સાથે કિશોર મોદી પણ એક મહત્ત્વનું નામ ગણાય. તેમના આ ગઝલ-સંગ્રહના અવલોકન નિમિત્તે હું રાજીપો વ્યક્ત કરું છું.

***
સૌજન્ય : ભરતભાઈ ત્રિવેદીનો આ લેખ “ગુર્જરી ડાયજેસ્ટ”, એપ્રિલ 2013માં પ્રગટ થયો છે. આ લેખનું લખાણ યૂનિકૉડમાં કિશોરભાઈ મોદીના બ્લોગ www.kishoremodi.wordpress.com    પરથી મેળવવામાં આવ્યું છે. કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠની છબિ ધૃતિબહેન મોદી અને કિશોરભાઈ મોદીની સંયુક્ત સહાયથી મળી છે.  

Loading

19 May 2013 admin
← હિમાલય પ્રવાસ : અપૂર્વ અનુભૂતિ
ओपरेशन इक्वालिटी →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved