લગભગ દોઢ-બે વર્ષ અગાઉ, રાતના આઠ-નવના સુમારે તમે ટાઉન હૉલની ‘હૅવમોર’ હોટેલમાં ગયા હોત – અંદર નહિ, બહાર લૉનમાં પથરાયેલી ખુરશીઓ તરફ, તો ત્યાં એક મોટો અવાજ સતત તમારું ધ્યાન ખેંચ્યાં કરત. એ મોટા અવાજ સામે કાનથી જોતાં ઘડીભર તમે વિચારત કે માણસ કાં તો માઈક ગળી ગયો છે કે પછી બાળપણમાં તેની માતાએ ગ્રાઇપવૉટરને બદલે ભૂલમાં માઇકવૉટર પાઈ દીધું છે. પછી તમે વેઇટરને બોલાવીને કૂતુહલથી ‘આ માણસ હંમેશાં તત્પર હોય છે. શાણા માણસો નિરંજન સાથે દલીલમાં ભાગ્યે જ ઊતરે છે, કેમ કે તેમની સાથે દલીલમાં ઊતરનાર શરૂઆતમાં ભલે તેમની સાથે સંમત ના થાય, પણ છેવટે તો નિરંજન સાથે સંમત થયે જ છૂટકો. દલીલોથી (ને ખાસ તો તેમના પેલા મોટા અવાજથી) થાકી-હારીને ય સંમત થવું જ પડે.’
મારા પ્રોફેસર હોવાનું સદ્ભાગ્ય જ થોડાકને સાંપડેલું એમાં ભગતસાહેબનો સમાવેશ પણ થાય છે. ભગતસાહેબ દલીલોથી ભલભલાને થકવી નાખે છે એટલું જ નહિ સામો માણસ કાચોપોચો હોય તો તેને રડાવી પણ નાંખે છે. એલ.એ. શાહ લૉ કૉલેજના આટ્ર્સ વિભાગમાં અમે સીનિયર બી.એ.માં ભણીએ. લાઇબ્રેરીમાં હું ને જાની ઊભેલા. ભગતસાહેબ પણ ત્યાં હતા. લાઇબ્રેરિયનને તે લાઈબ્રેરી એટલે શું એ વિષય પર ભાષણ આપતા હતા. મારી બાજુની ખુરશીમાં બેઠેલા એક નવા જ ભરતી થયેલા વિદ્યાર્થી સિન્ધુસાગરે મને ધીમેથી પૂછ્યું : ‘આ માણસ પોતાની જાત વિષે શું માને છે?’
‘ચાલ, એમને જ પૂછી લઈએ.’ મેં કહ્યું એટલે ભરપાઈ ગયેલા અવાજે તે બોલ્યો : ‘એવું તો પુછાતું હશે, એમને?’ હું જરા ગમ્મતના મૂડમાં હતો. ભગતસાહેબ પાસે જઈ મેં કહ્યું : ‘સાહેબ, પેલો સિન્ધુસાગર એમ પૂછે છે કે આ સાહેબ પોતાના વિશે શું માને છે?’
બસ, પત્યું ભગતસાહેબની દયા પર સિંધુસાગરને છોડીને અમે ક્લાસમાં ગયા. ઇકનૉમિક્સના બે પીરિયડ સાથે હતા. તે ભરીને દોઢ કલાક પછી લાઈબ્રેરીમાં આવ્યા. ભગતસાહેબે હજુ ય પેલાને છોડ્યો નહોતો. પેલો અધમૂઓ થઈ ગયો હતો – ભગતસાહેબના ભાષણની ઝીંકથી. તેની આંખમાં આંસુ તગતગી રહ્યાં’તા. ‘ભૂલ થઈ ગઈ… ભૂલ થઈ ગઈ’ એવું વચ્ચે વચ્ચે તે બબડતો’તો.
નિરંજન ધગધગતો લાવારસ છે. સમાજશિક્ષણકારો, પૉલિટિશિયનો તેમ જ સમગ્ર માનવજાત પ્રત્યે તે કાયમ ખિજવાયલા રહે છે. તેમના મત પ્રમાણે એંશી ટકા કરતાં વધારે પ્રજા જૂઠી ને લબાડ છે. સમાજ અસત્યના તળાવમાં ખદબદી રહ્યો છે. લોકો તેમને ‘સિનિક’ કહે છે એ ય તે જાણે છે. જે લોકો પર ગુસ્સો ચડે એમને તે અંગ્રેજી ગાળો ભાંડે છે. સ્કાઉન્ડ્રલ, રાસ્કલ, હીપોક્રીટ, બૅસ્ટાર્ડ, બગર્સ વગેરે તેમની પ્રિય ગાળો છે. કેટલીક વાર તો તેમનું આખું ય વાક્ય આ ગાળોથી જ ભરેલું હોય છે. એમની ગાળો ક્યારેક મને વાજબી લાગે છે (ખાસ કરીને મને ના દેવાતી હોય ત્યારે). પશ્ચિમની પ્રજામાં, ત્યાંના સર્જકોમાં નીતિમત્તાનું ધોરણ આપણા કરતાં ઘણું ઊંચું છે એવું દાંત પીસીને તે એક વાર બોલ્યા એટલે મેં પૂછ્યું : ‘એવું કેમ માનો છો?’
‘વિનોદ, અનુભવ વગર હું કોઈ પણ વાત નથી કરતો … મને એનો પૂરો અનુભવ છે.’ પછી નિરંજને મને આપણા જ એક શ્રેષ્ઠ કોટિના સર્જકનો દાખલો આપ્યો. વાત કહી. વાત કંઈક આવી હતી : નિરંજન ટાઉનહૉલની હૅવમોરમાં બેઠેલા. એમને શોધતા શોધતા પેલા નવલકથાકાર હૅવમોરમાં આવ્યા. ‘ઓહો! તમે અહીં ક્યાંથી ?’ નિરંજને પૂછ્યું.
‘તમને જ મળવા આવ્યો છું. ઘેરથી બાએ કહ્યું કે નિરંજન હૅવમોરમાં છે; એટલે પછી આપણે તો અહીં આવ્યા …’
‘સારું કર્યું … બોલો, કંઈ કામ હતું ?’ નિરંજને પૂછ્યું.
‘હા … કામ તો ખરુસ્તો !’
‘ફરમાવો.’
‘મારું એક નાટક તમારે વાંચવાનું છે.’
‘ભલે, તમારું નાટક વાંચવાનું તો ગમશે.’
‘ચોવીસ કલાકની અંદર અંદર વાંચી નાખીશ. પછી ?’
‘પછી શું ?’ કોઈ છાપા-બાપામાં એના વિષે તમારે લખવાનું છે. એટલું જ નહિ ભૈ, એની પ્રશંસા કરવાની છે. એક ઉત્તમ નાટક તરીકે એને બિરદાવાનું છે,’ સાંભળીને નિરંજન ડઘાઈ ગયા. પણ તમ્મર ચડી જાય એવો છેલ્લો ફટકો તો હજી બાકી હતોઃ ‘આ નાટક મેં આઈ.એન.ટી.ની હરીફાઈમાં મોકલ્યું છે. એને રૂપિયા પાંચ હજારનું ઇનામ મળે એ માટે તમારે તમારા મિત્ર ભાઈ દામુ ઝવેરીને દબાણ કરવાનું છે.’
નિરંજન લગભગ બેભાન જવા થઈ ગયા. સહેજ કળ વળતાં તેમણે આ લેખકને કહ્યંું : ‘તમારું ચસ્કી તો નથી ગયું ને ?’ નિરંજન આ વાક્ય ના આટલા બોલ્યા હોત તો તેમનું જ ચસ્કી જાત!
ફેવરીટીઝમ, ઘાલમેલ, ચશમપોષી – એ બધાં તરફ નિરંજનને ભારે સૂગ છે. કીર્તિની ભૂખ, પૈસાનો મોહ, ચંદ્રકો, પરિષદની વ્યાસપીઠ, શાલદુશાલા, સાંસ્કૃિતક પ્રવાસ – આ બધી માયાથી તે સદા અળગા રહ્યા છે. આમાંનું કશું જ તેમને સ્પર્શી શક્યું નથી. સારું લખવું એ જેટલું કપરું કામ છે એટલું જ એથી ય વધુ કપરું કામ ઉપર જણાવેલી માયાથી દૂર રહેવાનું છે. આ બધાથી તે કાયમ દૂર ભાગતા રહ્યા છે. નિરંજન સાચા અર્થમાં ભગત છે. દાદાએ વારસામાં આપેલી અટક તેમણે યથાર્થ કરી છે. કદાચ એટલે જ પેલા સર્જકનો બનાવ ભગતને હલબલાવી નાખે એ સ્વાભાવિક છે. એ લોકોને પોતાના જેવા ભગત કરવા માગે છે ને લોકો એવા નથી થતા એટલે એ વધારે દુઃખી થાય છે.
અત્યારે તો એ થોડા ય બહાર નીકળે છે. કોઈ સમજાવી પટાવીને લઈ જાય ત્યારે એ બહાર જાય છે. પણ ઘણાં વર્ષ તેમણે એકાંત સેવ્યું. લખવાનું યે છોડ્યું. ઘણાં વર્ષો સુધી નહીં લખવા છતાં કવિ તરીકે એ ભુલાયા નહીં.
આ કવિ નિરંજન માટે કેટલાંક વર્ષો અગાઉ એક સમારંભ યોજવામાં આવેલો – એમની કવિતાના સંદર્ભમાં. કદાચ ‘છંદોલય’ માટે ય હોય, બરાબર યાદ નથી. હૉલ ખીચોખીચ ભરાઈ ગયેલો. પ્રેક્ષકો સમયસર આવી ગયેલા. વ્યાસપીઠ પર બેસનારા એથી ય થોડા વહેલા આવીને વ્યાસપીઠ પર ગોઠવાઈ ગયેલા. જેને અનુલક્ષીને આ કાર્યક્રમ યોજાયેલો એ નિરંજન થોડા મોડા પડ્યા, એટલે પ્રેક્ષકોએ કાઢેલાં પગરખાં પર તે બેસી ગયા કોઈનું ધ્યાન ન પડે એમ, પ્લૅટફૉર્મ પર બેઠેલા એક મહાનુભાવની નજર નિરંજન પર પડી. કોઈને રીમાન્ડ પર લેવાનો હોય એ રીતે તેમને પ્લૅટફૉર્મ પર તાણી જવાયા. થોડી વાર માઈક પરથી જાહેરાત થઈ : ‘હવે શ્રી નિરંજન ભગત પોતાની કવિતા વિષે કંઈક કહેશે.’
બસ થઈ રહ્યું, કવિનો મિજાજ બગડી ગયો! કવિએ તરત જ કહી દીધું : ‘એટલે એનો અર્થ એ જ કે મારી કવિતા કશું બોલી શકી નથી. તો પછી એ કવિતા વિષે આટલો બધો તાયફો મારવાની જરૂર જ શી હતી?’
નિરંજન સાચુકલો માણસ છે. ખોટું કશું તે સાંખી શકતો નથી. પ્રેમમાં યે નહિ, ઉમાશંકર પ્રત્યે અનન્ય પ્રેમભવ હોવા છતાં એમને ય સુણાવી દેતા આ જણ લાંબો વિચાર નથી કરતો. ઉમાશંકર તેમ જ અન્ય મિત્રો જાણે છે કે નિરંજન સાચો છે એટલે એની વાતનું માઠું યે નથી લગાડતા. રાજકારણમાં પ્રવેશ્યા પછી ઉમાશંકર અસત્યના (એટલે કે અસત્ય આચરનારાઓના) સંપર્કમાં વધુ હોવાથી સત્યને કદાચ તે નિરંજન કરતાં ય વધારે સારી રીતે સમજતા હશે; એટલે ક્યારેક તેમને વારવા કહેતા ય હશે : ‘નિરંજન સત્યનો દેખાડો ના હોય.’
જેટલો ગુસ્સો કરી શકે છે એટલો પ્રેમ પણ કરી શકે છે. નિરંજન સામેના માણસનો ખ્યાલ પણ એટલો જ કરે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘લ્યુકેિમયા’ની ચિંતા ય કરે છે. અનિરુદ્ધને શ્રમ ના લેવા વિનવે છે, અચ્યુત જેવા મિત્ર માટે મકાન શોધવા ય રખડે છે. ઘણા લાં…બા પ્રવાસે જતા મડિયાને વળાવવા જનાર દોસ્તોમાં તે એક જ હતાને!
નાના બાળકની જેમ વાતવાતમાં તે વંકાઈ જાય છે. નાની અમથી વાતમાં ય દાઝી ઊઠે છે; કેમ કે મન સાથે તે સમાધાન નથી કરી શકતા. બસમાં કોઈ વિદ્યાર્થી ભૂલચૂકે ય એમની ટિકિટ કઢાવવા પ્રયત્ન કરે તો તેને – તે સાથે આખી ય બસના પૅસેન્જરોને – લાંબુ ભાષણ સાંભળવું પડે છે. એક દિવસ કોઈ વિદ્યાર્થીએ ‘કામા’ (હવે ‘બીઝી બી’) હોટેલમાં નાસ્તો કરતા ભગતસાહેબનું બિલ ચૂકવવાની ચેષ્ટા કરી. ભગતસાહેબે ખિજાઈને કાઉન્ટર પર બેઠેલા મૅનેજરને ધમકી આપી : ‘જો એની પાસેથી મારા બિલના પૈસા લેશો તો આ ડિશ તમારા પર છુટ્ટી ફેંકીશ!’
નિરંજનને પચાસ વરસ પૂરાં થવા આવ્યાં છતાં એમનાં બાને નાના બાળકની જેમ એમની કાળજી લેવી પડે છે. બધું યાદ રાખવું પડે છે ને છતાં કશું યાદ અપાવવા જતાં નિરંજન છેડાઈ પડે છે. એક વખત તેમની સાથે મેં નક્કી કરેલું કે રવિવારે સવારે દસથી સાડા દસની વચ્ચે મારે એમને ત્યાં જવું. ત્યાંથી અમારે સાથે હૅવમોર પર જવાનું હતું. નિરંજને બાને કહી રાખેલું કે રવિવારે સવારે લગભગ સવા દસે એમને ત્યાં હું પહોંચી ગયો. ત્યાં મોહનભાઈ પટેલ (વિદ્યાપીઠ ફેઇમ) બેઠેલા. અંગ્રેજી પાંચમાથી કે આઠમાથી એના પર ચર્ચા ચાલતી’તી. ભગત તેમના ઓરિજિનલ લહેજામાં બૂમો પાડતા’તા. રસોડામાંથી બાએ ડોકું બહાર કાઢતાં નિરંજનને વારતાં કહ્યું : ‘તું અહીં બેઠો બેઠો વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરે એમાં કંઈ ના વળે. એ તો વાલીઓ દંડો લઈને શિક્ષણકારોની પાછળ પડે તો જ કંઈ થાય … સાડા દસે તારે વિનોદ સાથે ટાઉનહૉલ જવાનું છે એ યાદ છે ને?’ નિરંજને એ ક્ષણે એક અણગમતો શ્વાસ છોડ્યો. થોડી વારે મોહનભાઈ ગયા પછી નિરંજન બા પર ગુસ્સે થઈ ગયા :
‘આમ કેમ કર્યું, તમે?’… મહેમાનની હાજરીમાં ટાઉનહૉલ જવાનું કેમ યાદ કરાવ્યું? મહેમાનને માઠું ના લાગે?’ બા જેટલા નીચા જવાબ આપે એટલા ઊંચા અવાજે નિરંજન પ્રશ્નો મૂક્યા કરે. ખીજમાં નિરંજન શાક લેવા માટેની થેલી લીધા વગર જ બહાર નીકળવા માંડ્યાં. શાકવાળાઓમાં, પૈસા લીધા વગર શાક નહીં આપવાનો દૃષ્ટ રિવાજ હોય છે એ બા જાણે, એટલે તેમણે રૂપિયા પાંચની નોટ નિરંજનના હાથમાં મૂકી; જે લઈને બાને ‘જાઉં છું’ યે કહ્યા વગર તેમણે મારી સાથે ચાલવા માંડ્યું.
અમે શાકવાળાની દુકાને ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં, કયું શાક લાવવાનું છે એ બાને પૂછવાનું જ તે ભૂલી ગયેલા. ભીંડા પર આંગળી મૂકતાં તેમણે શાકવાળાને કહ્યું : ‘આ ભીંડા આપો’ … પછી હાથ પરવળના ટોપલા પર મૂક્યો; પણ પરવળ નામ (નહીં આવડતું હોય એમ તો ના કહેવાય) મોઢે ચડે નહીં. મેં મદદ કરી (પરણેલા માણસને આવું બધું ઝટ યાદ આવી જતું હોય છે). શાકવાળાને તેમણે કહ્યું : ‘આ બે શાક આપો.’
‘કેટલાં? પેલાએ પૂછ્યું.’
‘ગયે વખતે કેટલાં આપેલા?’
‘યાદ નથી …’
‘હું એકલો જ છું … એકલા માણસને કટલાં જોઈએ?’
‘બસો ગ્રામ ચાલે …’
‘બસ, એટલાં જ આપો.’
તેમનું ‘હું એકલો જ છું’ વાક્ય મને સ્પર્શી ગયું. લગ્નની વાત નીકળી. નિરંજન કહે : ‘કુંવારાઓ અંગ્રજીમાં ‘ગેબૅચલર’ કહેવાય છે.’
‘તમને શું લાગે છે?- કુંવારા રહેવું સારું કે પરણેલો?’
‘આમ તો બંને …’ નિરંજન બોલ્યા : ‘પણ કુંવારા રહેવામાં’ વધારે મઝા છે; જો કે મોટા ભાગનાઓ આ વાત સ્વીકારતા નથી.’
‘સ્વીકારે છે -’ મેં કહ્યું : ‘- પરણી ગયા પછી.’
‘મારા જેવો બેજવાદાર માણસ કુંવારો જ રહે … આવા માણસને શું પરણવું’તું મને માનીને ય મને કુંવારો રાખ્યો હશે.’ કહી તે હસી પડ્યા, મોટેથી – બાળકો હસે છે એવું ખિલ ખિલ …
નિરંજનમાં ‘સેન્સ ઑવ હ્યુમર’ પણ ઊંચા પ્રકારની. તેમનામાં રહેલી રમૂજીવૃત્તિનો લાભ કૉલેજમેળામાં અમને ઘણો મળતો. કોઈ અડફેટે ચડવો જોઈએ. કૉલેજના પહેલા જ વર્ષમાં, પહેલા દિવસે ભગતસાહેબના પીરિયડમાં (નામ જાણવાની ઉત્કંઠથી જ કાં તો) ‘સાહેબ નામ કહો … નામ કહો’ એવી બૂમો પડવા માંડી, ભગતસાહેબ એ બધાની સામે બે મિનિટ જોઈ રહ્યા. એક વિદ્યાર્થી જરા વધારે હિંમતવાળો નીકળ્યો. ઊભા થઈને તેણે પૂછ્યું : ‘સાહેબ, તમારું નામ શું?’
‘તમે પોલીસ છો? ભગતસાહેબે સામે પૂછ્યું.’
જે માણસ પાસેથી નામ કઢાવવું આટલું અઘરું હોય તેની પાસેથી જ્ઞાન કઢાવવું કેટલું અઘરું પડે? (ત્રિરાશી મૂકો જો!) … પણ હું ને વિનોદ જાની ભગતસાહેબની નાડ પારખી ગયેલા.
એક વખત વિનોદ જાનીને રવીન્દ્રનાથ ટાગોર વિષેના એક પરિસંવાદમાં બોલવા જવાનું હતું. બહારનું (અરે અભ્યાસક્રમનું ય) વાંચવાની કુટેવ જાનીએ પહેલેથી જ નહીં પાડેલી, એટલે તેની પાસે ટાગોર વિષે ખાસ સામગ્રી નહીં. તે મૂંઝાતો હતો. અમે બંને લાયબ્રેરીમાં ગયા – ટગોરનાં પુસ્તકો માટે. ત્યાં ભગતસાહેબને બેઠેલા જોયા. ભગતસાહેબ એટલે મોબાઇલ લાઈબ્રેરી. ટાગોર વિષે જાણવા જેવું બધું જ તેમની પાસેથી મળી શકે. પણ પૂછવું કઈ ભાષામાં? એ ભાષા મેં ને જાનીએ સંકેતથી નક્કી કરી નાખી. તેમની પાસે ગયા. સલામ કરી. પછી જાનીએ શરૂ કર્યું : સાહેબ, તમે જ ટાગોરને ચડાવી માર્યા છે. ટાગોર મહાન છે એવું એક તમે કહો છો – કહ્યા કરો છો.’
નિરંજન પહેલાં તો જાની પર ખિજવાઈ ગયા. લાઈબ્રેરી ગજવી મૂકી ને પછી ટાગોર કેટલી મોટી હસ્તી છે એની વાત બે કલાક સુધી કરી. ટાગોરની ઉત્તમ રચનાઓમાં કેટલાક ટુકડાઓ સંભાળ્યા … જાનીનું કામ પાર પડી ગયું.
આજે તો આવા શિક્ષકો ય ક્યાં છે કે જેને રસ્તા પર જોતાં જ હાથ એની મેળે ઊંચકાઈને સલામ બની જાય છે.
આ કવિ નિરંજને પોરબંદરની સાહિત્ય પરિષદમાં ‘કવિતા અને યુગધર્મ’ પરનો નિબંધ વાંચતાં વાંચતાં પ્રેક્ષકોની આંખ ભીંજવી નાખેલી. કવિ ને કવિતાની તાકાતનો પરચો બતાવી દીધેલો.
તેમણે નર્મદ અને રણજિતરામ સુવર્ણચંદ્રકો સ્વીકારીને એ બન્નેનું બહુમાન કર્યું છે એવું હું જ નહિ કદાચ પે લા બેય માનતા હશે! તેમને ‘નિરંજન ભગત સુવર્ણચંદ્રક’ મેળવ્યા જેટલો આનંદ થતો હશે. સ્વર્ગમાં ય એ બંને ધન્યતા અનુભવતા હશે.
(વિનોદની નજરે, ૧૯૭૯) (ડિસેમ્બર, ૧૯૭૬)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 05-07