Opinion Magazine
Number of visits: 9449641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રગીતનું ફરજિયાતપણું પાછું ખેંચાયું : જજો બીજું બધું ભૂલી જઈને બંધારણ સમજે તો ઘણું

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2018

સર્વોચ્ચ અદાલતે ઉપર-ઉપર ત્રણ ચુકાદાઓ એવા આપ્યા છે જે સેક્યુલર લોકતંત્રની રખેવાળી કરનારા છે.

આ ત્રણેય ચુકાદા સર્વોચ્ચ અદાલતની એક જ બેન્ચે આપ્યા છે એની નોંધ લેવી રહી. પહેલો ચુકાદો સમલિંગી સંબંધો વિશેનો હતો જેની વાત ગઈ કાલે (11 જાન્યુઆરી 2018) આ કૉલમમાં કરી હતી.

બીજો ચુકાદો મીડિયાના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય વિશેનો છે. બિહારના એક સજ્જને બિહારની પ્રાઇવેટ ચૅનલ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો અને ચૅનલના સંચાલકોને છેક સર્વોચ્ચ અદાલત સુધી ખેંચી ગયો હતો. સર્વોચ્ચ અદાલતે બદનક્ષીનો કેસ ફગાવી દેતાં કહ્યું હતું કે મીડિયાના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ ન મારી શકાય. સંબંધિત વ્યક્તિ બદનક્ષી માટે ફોજદારી કેસ કરી શકે છે, પરંતુ પ્રતિબંધો અને અંકુશો સ્વીકાર્ય ન હોઈ શકે. આપણે ત્યાં મીડિયા આજકાલ કેટલાં સ્વતંત્ર છે એ જુદી ચર્ચાનો વિષય છે, પરંતુ એનો અર્થ એ નથી કે એના પર અંકુશો મૂકવામાં આવે. વાડ (શેરડી) સાથે એરંડો પણ પાણી પીએ છે એવી ગુજરાતીમાં કહેવત છે. ખેતરમાં છોડને પાણી પાવામાં જેમ ભેદભાવ કરવામાં નથી આવતો એમ અભિવ્યક્તિનાં બેવડાં ધોરણો ન હોઈ શકે. મીડિયા બિકાઉ હોય તો પણ એના સ્વાતંત્ર્યનો આદર કરવો જોઈએ અને એને એની બાંયધરી આપવી જોઈએ.

ત્રીજો ચુકાદો સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવા વિશેનો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવું કે ન વગાડવું એ સિનેમા હૉલના માલિકોની મુનસફીનો સવાલ છે. તેઓ જો વગાડવા ન માગતા હોય તો કાયદા દ્વારા બળજબરી ન કરી શકાય. સર્વોચ્ચ અદાલતે આમ છતાં કહ્યું છે કે જો સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે તો બીજે કોઈ પણ સ્થળે રાષ્ટ્રગીત વાગે ત્યારે ઊભા થઈને આદર આપવામાં આવે છે એમ સિનેમા હૉલમાં પણ આદર આપવો એ નાગરિકની ફરજ છે. આમાં વૃદ્ધોને અને દિવ્યાંગોને ઊભા ન થવાની છૂટ આપવામાં આવી છે. રાષ્ટ્રગીત વાગે ત્યારે આદર આપવાના પ્રશ્ન વિશે સર્વોચ્ચ અદાલતે બાર સભ્યોની વિવિધ મંત્રાલયોની એક સમિતિની રચના કરી છે જે છ મહિનામાં એની ભલામણો આપશે.

ઉપરના બે ચુકાદાની જેમ આ ચુકાદો પણ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડની બેન્ચે આપ્યો હતો. આમાં મુખ્ય ન્યાયમૂર્તિનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તેઓ જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિ નહોતા અને સર્વોચ્ચ અદાલતમાં જજ હતા ત્યારે તેમણે ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે અને જ્યારે રાષ્ટ્રગીત વાગે ત્યારે દરેકે ઊભા થઈને ફરજિયાત આદર આપવો પડશે એવો ચુકાદો આપ્યો હતો. હવે સર્વોચ્ચ અદાલતની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે ચુકાદાને ઉલટાવ્યો છે એમાં તેમની સંમતિ છે અને એનું મહત્ત્વ છે. એ સમયે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ રાષ્ટ્રગીતના વાદનને ફરજિયાત કરતાં કારણ આપ્યું હતું કે ભારતના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વિકસાવવા માટે અને રાષ્ટ્ર માટેની પ્રતિબદ્ધતા વિકસાવવા માટે આ જરૂરી છે.

આની પૃષ્ઠભૂમિ એવી છે કે દીપક મિશ્રા જ્યારે જબલપુરની વડી અદાલતમાં ન્યાયમૂર્તિ હતા ત્યારે શ્યામ નારાયણ ચોક્સે નામના એક માણસે મધ્ય પ્રદેશમાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે એવી માગણી કરતી એક પિટિશન કરી હતી જેને ન્યાયમૂર્તિ મિશ્રાએ માન્ય રાખી હતી. ન્યાયમૂર્તિ મિશ્રા જ્યારે બઢતી પામીને સર્વોચ્ચ અદાલતમાં ગયા ત્યારે મોકો જોઈને ચોક્સેએ આખા દેશમાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવે એવી અપીલ કરી હતી. યોગનુયોગ નહીં પણ આયોજનપૂર્વક ચોક્સેની અપીલ ન્યાયમૂર્તિ મિશ્રાની અદાલતમાં સુનાવણી માટે આવી હતી અને તેને ભાવતો ચુકાદો મળી ગયો હતો. ન્યાયમૂર્તિ મિશ્રાના પ્રતિબદ્ધ રાષ્ટ્રવાદની દલીલ સામે અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને સર્વોચ્ચ અદાલતે ચુકાદો ઉલટાવવો પડે એવી સ્થિતિ પેદા થઈ હતી.

મુખ્ય મુદ્દો એ હતો કે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ સર્વોચ્ચ અદાલતના આગળના એક ચુકાદાને કારણ આપ્યા વિના ઉલટાવ્યો હતો અને એ પાછો વિશાળ બેન્ચનો ચુકાદો હતો. સિંગલ ન્યાયમૂર્તિ વિશાળ બેન્ચના ચુકાદાને ન ઉલટાવી શકે. વાત એમ હતી કે ૧૯૮૫માં કેરળની એક સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે અને એમાં દરેક વિદ્યાર્થીએ ઊભા થઈને આદર આપવો જોઈએ એવો આદેશ બહાર પાડ્યો હતો. એ આદેશને ત્રણ યહૂદી વિદ્યાર્થિનીઓએ ધર્મસ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારના નામે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. ૧૯૮૬માં ન્યાયમૂર્તિ ઓ. ચિનપ્પા રેડ્ડીના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે વિદ્યાર્થિનીઓના વાંધાને માન્ય રાખ્યો હતો અને કહ્યું હતું કે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય એ મૂળભૂત સ્વાતંત્ર્ય છે અને એમાં મૂંગા રહેવાનો પણ સમાવેશ થાય છે. મૂંગા રહેવું એ પણ અભિવ્યક્તિ છે. બેન્ચે બીજો અભિપ્રાય એ આપ્યો હતો કે ઊભા રહેવું એ સભ્યતા છે અને એ સભ્યતાના આદેશ ન હોય.

તો પહેલો અને મોટો વાંધો એ હતો કે ન્યાયમૂર્તિ મિશ્રાએ સર્વોચ્ચ અદાલતનો ત્રણ જજોની વિશાળ બેન્ચનો ચુકાદો ઉલટાવ્યો હતો જેનો તેમને અધિકાર નથી. બીજું, રાષ્ટ્ર માટેની પ્રતિબદ્ધતા એટલે શું? કોણ નક્કી કરશે? બંધારણમાં કોઈ જગ્યાએ રાષ્ટ્રવાદ અને એના પરત્વેની પ્રતિબદ્ધતાની કોઈ વ્યાખ્યા છે? વ્યાખ્યા નથી તો એના આચરણ વિશેના ખુલાસા પણ નથી મળવાના. રાષ્ટ્રવાદની વ્યાખ્યા અને આચરણ વિશેના માર્ગદર્શનના અભાવમાં શું દેશપ્રેમના ઠેકેદારોને પ્રતિબદ્ધતાની વ્યાખ્યા કરવાનો અને પ્રતિબદ્ધ ન હોય એને ઠોકવાનો અધિકાર આપવાનો? કહેવાતા દેશપ્રેમી સમાજકંટકો કાયદો હાથમાં ન લે એ માટે શું ભારતમાં પ્રત્યેક સિનેમાઘરમાં પોલીસ મૂકવામાં આવશે? કોઈ માણસ ઉંમર કે આરોગ્યના નામે ઊભો ન રહે તો તે સાચું બોલે છે કે ખોટું એ નક્કી કરવા દરેક સિનેમાઘરમાં એક ડૉક્ટર રાખવામાં આવશે? ન્યાયમૂર્તિ મિશ્રાનો દેશપ્રેમનો એ વાહિયાત ચુકાદો હતો જેને સર્વોચ્ચ અદાલતના બાળચુકાદા તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.

ઘણા માણસો જીવનભર ઓળખનું વળગણ લઈને જીવતા હોય છે અને ઓળખનું રાજકારણ કરનારાઓ એનો લાભ લે છે. કોઈને જ્ઞાતિપ્રેમનું વળગણ હોય છે, કોઈને ધર્મનું હોય છે, કોઈને પ્રાંત અને ભાષાનું હોય છે અને કોઈને દેશપ્રેમનું વળગણ હોય છે. એની વાત આવે ત્યારે તેઓ ભાન ભૂલીને ગળગળા થઈ જતા હોય છે. અનુ કપૂર એક જમાનામાં અંતાક્ષરી કે એવા કોઈ કાર્યક્રમનું ઍન્કરિંગ કરતો હતો. એમાં કોઈ પાર્ટિસિપન્ટ દેશભક્તિનું ગીત ગાય તો અનુ કપૂર ગદ્ગદ થઈને રડી પડતો. ધીરે-ધીરે સ્પર્ધકોને સમજાઈ ગયું હતું કે જો વધારે સમય અને વધારે અટેન્શન જોઈતું હોય તો દેશભક્તિ ફાયદાકારક છે. અનુ કપૂરની માફક દેશભક્તિ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની નબળાઈ છે એ મધ્ય પ્રદેશનો શ્યામ નારાયણ ચોક્સે જાણતો હતો એટલે દીપક મિશ્રાની પાછળ-પાછળ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો હતો.

જજોનું કામ સભ્યતા અને સંસ્કારનું રક્ષણ કરવાનું નથી, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. જો કોઈ અસભ્ય વર્તન કરશે તો તેવા માણસને દંડવા માટે કાયદાઓ છે. એને માટે સર્વોચ્ચ અદાલતે જહેમત ઉઠાવવાની જરૂર નથી. બીજું, સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત એ અવ્યવહારુ દેશપ્રેમ છે. જ્યારે દેશપ્રેમને સરકારનિષ્ઠા, મોદીનિષ્ઠા, હિન્દુિનષ્ઠા અને સંઘનિષ્ઠામાં કુંઠિત કરવામાં નહોતો આવ્યો અને દેશપ્રેમ મોકળાશ અનુભવતો હતો એ જમાનામાં સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું. પૂછી જુઓ તમારાં મમ્મી-પપ્પાને. એની શરૂઆત જવાહરલાલ નેહરુ નામના ‘દેશદ્રોહી’એ કરી હતી. પાછળથી ધ્યાનમાં આવ્યું હતું કે દેશપ્રેમના વિકાસ માટે સિનેમાઘરો યોગ્ય સ્થાન નથી અને ઊલટું રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું અપમાન થાય છે. લોકો ધી એન્ડનું સૂચન આવે એ પહેલાં જ ભાગવા માંડતા હતા. કેન્દ્ર સરકારે (ઘણું કરીને જનતા પાર્ટીની સરકારે) સમજીને એ આદેશ પાછો ખેંચી લીધો હતો જે રીતે નરેન્દ્ર મોદીની સરકારે સર્વોચ્ચ અદાલતને સોગંદનામું કરીને ચુકાદો પાછો ખેંચવા વિનંતી કરી હતી.

રહી વાત ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના દેશપ્રેમની તો આપણી અપેક્ષા તેમની પાસે બંધારણપ્રેમની છે. જજો બીજું બધું ભૂલી જઈને બંધારણ સમજે તો ઘણું.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 જાન્યુઆરી, 2018

Loading

12 January 2018 admin
← ગરીબી હટાવવાની એક નવીન રોમાન્ટિક ઊપજ
સંવાદ અને સહયોગનો નવો તબક્કો →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved