Opinion Magazine
Number of visits: 9447172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના નાગરિક સમાજે બે મુદ્દે આંદોલિત થવાની આજે જરૂર છે : નો ફાંસી, નો EVM

રમેશ ઓઝા|Opinion - Opinion|9 January 2018

આ દેશમાં હવે બે માગણી સાથે આંદોલન ચલાવવાની જરૂર છે.

પહેલી માગણી એ કે આ દેશમાં કોઈને પણ મોતની સજા કરવામાં ન આવે. આપણે ત્યાં ફોજદારી ગુનામાં અપરાધીને દંડવાની પ્રક્રિયા (ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) એવી છે કે આપણે કોઈને મોતની સજા કરવાનો નૈતિક અધિકાર નથી ધરાવતા. શું ખબર કદાચ નિર્દોષ પણ ફાંસીએ ચડતા હશે. બીજી માગણી એ કે મતદાન માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન(EVM)નો ઉપયોગ બંધ કરવામાં આવે. ઝડપ અને સુલભતા કરતાં લોકતંત્ર મહાન છે. આમ કરવાની શા માટે જરૂર છે એની દલીલ અહીં તમારા વિચારવા માટે પ્રસ્તુત છે.

ગઈ કાલના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં ખબર છે કે અલાહાબાદની વડી અદાલતમાં ચાર દાયકાથી અપીલો ચુકાદાની રાહ જોતી પડી છે. અલાહાબાદની વડી અદાલતે સર્વોચ્ચ અદાલતને આપેલી માહિતી મુજબ ૧૪ અપીલો – ૧૯૭૬ (બે), ૧૯૭૭ (ચાર) અને ૧૯૭૮ (આઠ) – ચુકાદાની રાહ જોતી પડી છે. યાદ રહે કે આ બધી અપીલો છે અને એ પણ ફોજદારી ખટલાની છે. જગત આખામાં દીવાની કરતાં ફોજદારી ખટલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, કારણ કે જેની સાથે જઘન્ય ગુનો આચરવામાં આવ્યો હોય તેને બને એટલો જલદી અને જો મોટી ઉંમર હોય તો તેને તેની હયાતીમાં ન્યાય મળવો જોઈએ. જો ગુનો ખૂનનો હોય તો તેના પરિવારજનોને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. બીજું એટલું જ મહત્ત્વનું કારણ એ છે કે આરોપીને પણ ઝડપથી ન્યાય મળવો જોઈએ. જો તે ખરેખર ગુનેગાર હોય તો તેને તેણે કરેલા ગુનાની યોગ્ય અને પ્રમાણસર સજા મળવી જોઈએ અને જો તે ગુનેગાર ન હોય તો વહેલાસર નિર્દોષ છૂટવો જોઈએ. ગુનાના આરોપ સાથે માત્ર યાતના જ નહીં, કલંક પણ જોડાયેલું હોય છે એટલે આરોપીને પણ ઝડપથી ન્યાય મળવો જોઈએ.

આ તો પહેલું પગથિયું થયું. જગત આખામાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એવી એક પ્રથા છે કે બને ત્યાં સુધી ફોજદારી ખટલામાં ન્યાય બે ત્રાજવે તોળવામાં આવે છે. એક નીચલી અદાલતમાં અને એક અપીલમાં. બન્નેમાંથી કોઈ એક પક્ષકાર, ક્યારેક બન્ને પક્ષકાર અને નહીં તો સરકાર વડી અદાલતમાં અપીલમાં જાય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈને ય ખોટી સજા, પ્રમાણ બહારની સજા, ખોટો છુટકારો, ખોટું કલંક અને ખોટો વિલંબ ન થવો જોઈએ. એટલે ફોજદારી ખટલાઓ જ્યારે ઉપલી અદાલતોમાં અપીલ તરીકે દાખલ કરવામાં આવે ત્યારે એને ઉપલી અદાલતો પ્રાથમિકતા આપે છે. પહેલાં તો ફોજદારી ખટલાને જ પ્રાથમિકતા આપવામાં આવે છે અને ઉપલી અદાલતોમાં અપીલમાં હજી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. જગત આખામાં આવી એક પ્રથા છે અને ભારતે પણ એક સભ્ય દેશ તરીકે આ પ્રકારની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સ્વીકારી છે, પણ પરિણામ?

પરિણામ આપણી સામે છે. અલાહાબાદની વડી અદાલતમાં / ચાર દાયકાથી / ૧૪ ખટલા / ફોજદારી ગુનાના / અપીલમાં પડ્યા છે. આ વાક્યમાં રહેલા દરેક મુદ્દાની ગંભીરતા એકસરખી છે. આરુષી તલવારની બાબતમાં શું બન્યું એ નજીકનો ભૂતકાળ છે. હરિયાણામાં રાયન સ્કૂલમાં જે બન્યું એ તો હજી વધુ તાજી ઘટના છે. ૧૯૮૪માં દિલ્હીમાં સિખો સાથે કરવામાં આવેલા નરસંહારના, ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવાની ઘટનાના, ૧૯૯૩માં મુંબઈમાં અને ૨૦૦૨માં ગુજરાતમાં કરવામાં આવેલા મુસલમાનોના નરસંહારના આરોપીઓ છૂટા ફરે છે અને તેમનો વાળ પણ વાંકો નથી થયો.

દાયકાઓનો વિલંબ, ખોટા અને અધૂરા ચુકાદા, ખોટી દિશાની તેમ જ અધૂરી તપાસ કરીને કેસનું કાસળ કાઢી નાખવું, સાક્ષીઓ ફોડવા અને ધમકાવવા, જજોને ખરીદવા, વકીલ માગે એટલી તારીખો માગવાની સવલત, દિવસોના દિવસ સુધી ઓરલ સબમિશનના નામે અદાલતમાં લવારા કરીને જજને ગૂંચવણમાં નાખવાની તરકીબ, લેખિત રજૂઆતના ફરજિયાતપણાનો અભાવ, મૅનેજ ન થઈ શકે એ રીતે હજારો પાનાંમાં વિસ્તરેલો કેસ અને મોંઘા વકીલો એ ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની જાણીતી બીમારીઓ છે. આના વિશે ઘણો ઊહાપોહ થયો છે અને હજી પણ થાય છે, પરંતુ સ્થાપિત હિતો એમાં સુધારા થવા દેતાં નથી.

આપણા જેવા સામાન્ય નાગરિકો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સુધારવાનો અધિકાર નથી ધરાવતા, પણ એક માગણી કરવાનો અધિકાર જરૂર ધરાવીએ છીએ. આપણે શાસકોને કહેવું જોઈએ કે જ્યાં સુધી તમે સમયસર અને પ્રમાણસર સજા કરવાની આવડત હાંસલ ન કરો ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને મોતની સજા આપવાનું બંધ કરો. જીવન છીનવી લીધા પછી એ પાછું મળતું નથી અને ફૂવડ શાસનને કોઈનું જીવન છીનવી લેવાનો અધિકાર નથી. કાયદાનું રાજ હોવા માટે માથું ઊંચકીને જીવવા જેટલી લાયકાત મેળવી લો ત્યારે જો જરૂરી લાગતી હોય તો મોતની સજા ફરી દાખલ કરજો.

આમ પણ જગતમાં મોટા ભાગના દેશોએ મોતની સજા કરવાનું બંધ કરી દીધું છે. બે મુખ્ય કારણ છે : એક તો માનવીને તેનું જીવન રાજ્યે આપ્યું નથી એટલે રાજ્યને એ છીનવી લેવાનો હક નથી. બીજું કારણ એ છે કે ગુનાની ઘટના સ્વભાવત: જટિલ હોય છે અને એમાં મોતની સજા કરવી પડે એવી ગંભીર ગુનાની ઘટના વધારે જટિલ હોય છે. જજે સગી આંખે ગુનો થતો જોયો હોતો નથી અને સંજોગોના આધારે ન્યાય તોળવામાં અન્યાય થવાની પૂરી સંભાવના રહે છે. આ સ્થિતિમાં કોઈનું અમૂલ્ય જીવન આંચકી લેવું એ પાપ છે. આવી માન્યતા એવા દેશો ધરાવે છે જ્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સક્ષમ છે, જ્યારે આપણે તો નાદારીની ચરમસીમાએ છીએ એ જોતાં મહેરબાની કરીને મોતની સજા કરવાનું બંધ કરવામાં આવે.

મતદાન માટે વપરાતાં EVMનો ઉપયોગ બંધ કરવો જોઈએ. બે મુખ્ય કારણ છે. એક તો આ જગતમાં આજ સુધી એવું મશીન નથી બન્યું જેમાં ખરાબી પેદા ન થાય અથવા એની સાથે ચેડાં ન થાય. બીજું, ભારતમાં લોકતાંત્રિક સંસ્થાઓ એટલી નિર્બળ છે કે ક્યારે કોણ વેચાઈ જશે કે દબાણમાં આવશે એની કોઈ ખાતરી નથી. જે દેશો ટેક્નૉલૉજિકલી ભારત કરતાં ક્યાં ય આગળ છે અને જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓ સ્વાયત્ત અને સક્ષમ છે, અદાલતો ઝડપી ચુકાદાઓ આપે છે, કુલ મળીને શાસનવ્યવસ્થા છીંડા વિનાની છે એવા દેશો પણ EVMનો ઉપયોગ કરતા નથી એની પાછળનાં આ જ કારણો છે : ૧. કોઈ પણ મશીન બગડી શકે છે, ૨. કોઈ પણ મશીન સાથે ચેડાં કરી શકાય છે અને ૩. કોઈ પણ માણસ ડરી જઈ શકે છે અથવા વેચાઈ શકે છે. ટૂંકમાં, ઝડપ અને સુવિધા કરતાં લોકતંત્ર મહાન છે.

તો નાગરિક સમાજે બે મુદ્દે આંદોલિત થવાની જરૂર છે : નો ફાંસી, નો EVM.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2018

Loading

9 January 2018 admin
← કથા-પુકુર : ૧
હવે આપણે, નાગરિકોએ નક્કી કરવાનું છે કે આ આધાર નામની બલાનું શું કરવું? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved