તમને આ લેખ સાથે જેની તસવીર છે, તે યાદ છે? સીરિયન ગૃહયુદ્ધથી ત્રાસીને ગ્રીસ જવા નીકળેલા પરિવારની ખટારા જેવી બોટ પાણીમાં ડૂબી ગઈ, એમાં પરિવારના ત્રણ વરસના બચ્ચા આયલન કુર્દી[Aylan Kurdi]ની લાશ બીજી સપ્ટેમ્બર, 2015ના રોજ તુર્કીના તટ ઉપર રેતીમાં ઊંધા મોઢે તણાઈ આવી. આ તસવીરે દુનિયાને ઝકઝોળી નાખી હતી, અને સીરિયામાં આતંકી ISIS અને પશ્ચિમનાં સૈનિક દળો વચ્ચેની લડાઈથી પલાયન થઈ રહેલી વસ્તીની યાતનાની જગતના બેખબર લોકોને ખબર પડી.
આપણી જનતા સુખ-સુવિધાના અફીણી કેફમાંથી અને આપણા બૌદ્ધિકો સોશિયલ મીડિયાની નકલી ચર્ચામાંથી બહાર આવે તો ખબર પડે કે વિસ્થાપિતોને લઈને માનવજાત સામે કેટલી મોટી મુસીબત છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ, દુનિયામાં અત્યારે 6.5 કરોડ બેઘર લોકો શરણાર્થી અવસ્થામાં છે, અને આ સંખ્યા લગાતાર વધી રહી છે. આપણી ચર્ચાઓમાં વિસ્થાપિતોનો નક્કર વિષય આવતો નથી, કારણ કે આપણી પાસે હિંદુ-મુસ્લિમ કે સરકાર વિરોધી-સરકાર તરફી બહસની બનાવટી પ્રાથમિકતાઓ છે.
કંઇક આવી જ શાહમૃગીય વૃત્તિના કારણે ભારતના પૂર્વોત્તર પાડોશી દેશ મ્યાનમારમાં સર્જાયેલી રોહિંગ્યા મુસલમાનોની શરણાર્થી સમસ્યા આમ જનતામાં નજરઅંદાજીનું અને અમુક વર્ગમાં સાંપ્રદાયિક વિવાદનું કારણ બની છે. મ્યાનમારના રખાઈન ઇલાકામાં 12મી સદીથી રોહિંગ્યા સમુદાય વસેલો છે, અને આજે એની સંખ્યા 10 લાખની આસપાસ છે. મ્યાનમાર બૌદ્ધ બહુસંખ્યક દેશ છે, અને બૌદ્ધોએ આ સમુદાયને સ્વીકાર્યો નથી. 2010 સુધી મ્યાનમારમાં સૈનિક શાસન હતું અને તે દરમિયાન સાંપ્રદાયિક સંઘર્ષો અને તનાવનો એક લાંબો ઇતિહાસ છે. રોહિંગ્યા લોકો પોતાને આરબ અને ફારસી વેપારીઓના વંશજ માને છે, અને એમની રોહિંગ્યા ભાષા બાંગ્લાદેશની બાંગ્લા સાથે મળતી આવે છે. મ્યાનમાર સરકાર પણ રોહિંગ્યાને અવૈધ પ્રવાસી માને છે, અને નાગરિકતા આપતી નથી. એમની ઉપર જાત-ભાતના પ્રતિબંધો પણ છે.
2012માં રખાઈન પ્રાંતમાં અમુક સુરક્ષાકર્મીઓની હત્યા થઇ પછી ત્યાં હિંસા ભડકી છે. મ્યાનમાર સેનાએ કટ્ટરપંથી રોહિંગ્યાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે, અને બૌદ્ધોએ પણ હુમલા તેજ કર્યા છે. અત્યાર સુધીમાં તેમાં 400 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, અને 2015થી ત્યાંથી મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસલમાન પલાયન થઈ રહ્યા છે. આ લોકો બાંગ્લાદેશ, ભારત, ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડની સીમાઓ લાંઘી રહ્યા છે. ગયા સપ્તાહે જ બાંગ્લાદેશમાં મ્યાનમારથી આવેલા રોહિંગ્યા મુસલમાનોની સંખ્યા 64 હજારથી વધીને 2 લાખ અને 70 હજાર થઇ ગઈ છે. ભારતમાં આવી રીતે ભાગી આવેલા વિસ્થાપિતોની સંખ્યા 40 હજાર છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રવક્તાએ મ્યાનમારની સ્થિતિને ગંભીર ગણાવી તત્કાલ કદમ ભરવા કહ્યું છે.
ભારતે આ વિસ્થાપિતોને લઈ આકરું વલણ અપનાવ્યું છે, અને એમને પાછા ચાલ્યા જવા કહ્યું છે. રોહિંગ્યા સમુદાયના બે લોકોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને તેમને ભારતમાં જ રહેવા દેવામાં આવે તેવી વિનંતી કરી છે, કારણ કે મ્યાનમારમાં એમનું જીવન સુરક્ષિત નથી. સામે, ભારત સરકારે ગુપ્તચર સૂચનાના આધારે એવું કહ્યું છે કેટલાક રોહિંગ્યાઓ આતંકી સંગઠનો સાથે મળેલા છે અને દેશની સુરક્ષા માટે ખતરો છે એટલે અહીં રહી ન શકે. સરકારે એમ પણ દલીલ પેશ કરી છે કે આ વિષય જીવન જીવવાના સંવેધાનિક અધિકાર હેઠળ આવતો નથી એટલે સુપ્રીમ કોર્ટે આમાં દખલ કરવી ન જોઈએ, અને સરકાર રાષ્ટ્ર સંઘના નિયમો અનુસાર કાર્યવાહી કરવા સ્વતંત્ર છે.
ભારતમાં બનતું આવ્યું છે તેમ, માનવીય પીડાનો આ મુદ્દો જાત-પાતના લેબલમાં ખોવાઈ ગયો છે. વિસ્થાપિતોની સમસ્યા જુદી જુદી રીતે દરેક દેશમાં સંકટનો મુદ્દો બને છે. બાંગ્લાદેશના સર્જનનો ઇતિહાસ જો યાદ હોય તો પૂર્વી પાકિસ્તાનમાં સૈન્યના જુલમથી ત્રાસેલા બાંગ્લા ભાષી મુસલમાનો ભારતની સીમાની અંદર પલાયન થવા લાગ્યા ત્યારે આ ‘મહેમાનોને’ સંભાળવાનું અઘરું લગતા ભારતીય સૈન્યે દરમિયાનગીરી કરવી પડી હતી.
શરણાર્થીઓની સમસ્યા આજે દુનિયામાં સૌથી ગંભીર છે. એને લઈને આપણો વ્યવહાર માનવતાનો હોવો જોઈએ કે પછી એ કઈ જાતિ, ધર્મ, ભાષા કે મુલ્કના છે એ હોવો જોઈએ એનો કોઈ સરળ જવાબ નથી. માનવતાની વાત કરવી એટલે આતંકવાદીનું સમર્થન કરવું કે દેશવિરોધી કામ કરવું એવું માની લેવાય છે. આવું દુનિયામાં બધે જ છે. યુરોપનો એક સર્વે કહે છે કે ત્યાંના લોકો આતંકવાદની સમસ્યા માટે શરણાર્થીઓને જવાબદાર ગણે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ શરણાર્થીઓ ઉપર હિંસાનો ખતરો સતત હોય છે. પાકિસ્તાનમાં શિયાઓની ‘સફાઈ’ કરવાનું ‘કામ’ ઘણા સમયથી ચાલે છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોને આતંકવાદી ગણીને જ મારવામાં આવી રહ્યા છે.
ભારતમાં શરણાર્થીઓનો એક લાંબો અને રસપ્રદ ઇતિહાસ રહ્યો છે, પણ શરણાર્થીઓ સાધન-સંપત્તિ માટે ‘બોજરૂપ’ છે એવી વિચાર-વૃત્તિ નવી છે, અને એ પશ્ચિમમાં શરણાર્થીઓને સંખ્યામાં જોવાની ટેવમાંથી આવી છે. શરણાર્થીઓ એમના નંબર્સના કારણે ‘સંકટ’ નથી બનતા, પણ એમને જ્યારે ‘ના વેંઢારી શકાય તેવા ભાર’ તરીકે જોવામાં આવે ત્યારે એ પ્રોબ્લેમ બને છે. મોટાભાગના દેશો કાં તો એમને પાછા તગેડી દેવા ઉતાવળા હોય છે અથવા એમને અમાનવીય જગ્યા-અવસ્થામાં મરવા છોડી ડે છે.
બહારથી આવતા લોકો નવી જાણકારી, હુન્નર અને આર્થિક તરક્કી લઈને આવે છે એવી એક પરંપરાગત માન્યતા વિશ્વમાં થઈ રહેલા જબ્બર વિકાસમાં ‘નક્કામી’ થઈ ગઈ છે. ઉદાહરણ તરીકે ઇઝરાયલ પછીની યહૂદીઓની સૌથી મોટી આબાદી અમેરિકામાં છે, જે 19મી સદીમાં જર્મનીમાં યહૂદી વિરોધી વાતાવરણથી અમેરિકામાં ખસવા લાગી હતી. આપણે જેને આધુનિક અમેરિકા કહીએ છીએ તેના વિકાસમાં યહૂદીઓનું યોગદાન ગજબનું છે, પછી ચાહે તે વિજ્ઞાન હોય, કળા હોય, રાજકારણ હોય, મેડિસિન હોય, ખેલ હોય કે પછી વ્યાપાર હોય. યહૂદીઓ ન હોત તો અમેરિકા અમેરિકા ન હોત. આજે અમેરિકાને કોઈની જરૂર નથી રહી એટલે એ ‘પરગ્રહ’ જેવો બની રહ્યો છે.
ભારતમાં પારસી વિસ્થાપિતોને આવા ફળદાયી ગણી શકાય. ભારતમાં તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, કાશ્મીર અને પાકિસ્તાનથી વિસ્થાપિતો સ્થાયી થયા છે. સ્ટીવ જોબ્સ, દલાઈ લામા, અાલ્બર્ટ આઈનસ્ટીન, બાબ માર્લે, તસ્લીમા નસરીન, જેકી ચાન, કાર્લ માર્ક્સ, હેન્રી કિસીન્જર .. આ બધા વિસ્થાપિતો હતા જે, સગવડો મળી તો ‘બેવતનમાં’ ઝળહળી ઊઠ્યા હતા. યુગાન્ડાના પાડોશમાં રવાન્ડા અને સાઉથ સુદાનમાં ઘણી મારકૂટ ચાલે છે, અને એના કારણે દાયકાઓથી શરણાર્થીઓ યુગાન્ડામાં આવતા રહે છે. યુગાન્ડાએ આ આફતને અવસરમાં પલટી છે. તેની રાજધાની કમ્પાલામાં 21 પ્રતિશત વ્યાપાર શરણાર્થીઓના હાથમાં છે એને એમાં યજમાન દેશના 40 પ્રતિશત લોકોને રોજગારી મળે છે.
જેના માટે અમેરિકાએ તેના દરવાજા બંધ કર્યા છે અને યુરોપમાં જેને લઈને ભયંકર ગુસ્સો થઈ રહ્યો છે, તેવા સીરિયન શરણાર્થીઓ માટે જોર્ડને સ્પેિશયલ ઇકોનોમિક ઝોન બનાવ્યા છે, જેમાં 6 લાખ વિસ્થાપિત સીરિયન ધંધો કરી રહ્યા છે. પેલો આયલન કુર્દી જેનો હિસ્સો હતો એવા 50 લાખ સીરિયનો અત્યારે બેવતન છે, જે ઇતિહાસનું સૌથી ગંભીર શરણાર્થી સંકટ છે. આયલન કુર્દીના પરિવારની જેમ ગમે તેમ ભાગી છૂટવાની લાયમાં 4 હજાર લોકો દરિયામાં ડૂબી ગયા છે.
આજના યુરોપ પહેલાંનાં ઝળહળતા રોમન સામ્રાજ્યમાં સેનટુરીએશન (centuriation) નામની એક વ્યવસ્થા હતી જેમાં નિવૃત્ત સૈનિકોને શરણાર્થીઓને ઉજ્જડ જમીનો આપવામાં આવતી હતી, જેનાથી રોમનોની નવી કોલોનીઓ અસ્તિત્વમાં આવી હતી. આના કેટલાક ફાયદા હતા; જેમ કે, એક તો સૈનિક છાવણીઓ બનતી હતી, અને બીજું કે, એને ઉપજાઉ બનાવીને એની પેદાશ અને આવક બજારમાં ફરતી કરાતી હતી. રોમન સેનટુરીએશનના આવા અનેક ટુકડા આજે પણ ઇટલી, દક્ષિણ ફ્રાન્સ અને સ્પેનમાં જોવા મળે છે. જે દેશોમાં શરણાર્થીઓ આવી રહ્યા છે, એમને આવી રીતે દેશના ફાયદા માટે ઉપયોગમાં ન લઇ શકાય?
વિસ્થાપિતો અવસર બની શકે છે એવા તમામ નિર્દેશ ઇતિહાસ, ભૌગોલિકતા, અર્થવ્યવસ્થા અને કોમન સેન્સમાંથી મળી આવે છે, પણ એના માટે પહેલી શરત શરણાર્થીઓને માણસ ગણવાની છે. અત્યારે જે રાજનીતિ પ્રચલિત છે તેણે આપણને આવી રીતે વિચારવાનું બંધ કરાવી દીધું છે. એક બની બનાવી દલીલ આપણા દિમાગમાં ઠોકી દેવામાં આવી છે અને આપણે એને સ્વીકારીને ધકેલપંચા દોઢસો કરતા રહીએ છીએ.
બાય ધ વે, તમને રેફ્યુજી ફિલ્મનું પેલું ગીત યાદ છે?
સરહદે ઇન્સાનો કે લિયે હૈ,
સોચો તુમને ઔર મૈંને ક્યા પાયા ઇન્સા હો કે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 24 સપ્ટેમ્બર 2017