Opinion Magazine
Number of visits: 9447110
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઐતિહાસિક પણ મૂંઝવણભર્યો ચુકાદો

ગિરીશ પટેલ|Opinion - Opinion|4 September 2017

તલાક-ઈ-બિદઅતને ગેરકાયદે ઠરાવતો સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો (ન્યાયમૂર્તિ નરીમાન, ન્યાયમૂર્તિ લલિત અને ન્યાયમૂર્તિ જોસેફ) ઐતિહાસિક અને આવકાર્ય છે તો તે જ કોર્ટનો બીજો બહુમતી ચુકાદો (મુખ્ય ન્યાયમૂર્તિ કેહર, ન્યાયમૂર્તિ નજીર અને તેમને સાથ આપતો ન્યાયમૂર્તિ જોસફનો ચુકાદો) થોડો ચિંતાજનક છે.

ભારતમાં જુદા જુદા સમાજો માટે પોતપોતાના ધાર્મિક કાયદા(પર્સનલ લૉઝ)ની માન્યતાની શરૂઆત બ્રિટિશકાળમાં થયેલી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં હિંદુઓ અને મુસલમાનો પોતપોતાની કાનૂની સમસ્યા પૌરાણિક હિંદુ લૉ અને કુરાનિક મુસ્લિમ લૉ લાગુ પાડીને ઉકેલવાનો નિયમ કરેલો અને હિંદુ મુસલમાન વચ્ચેની સમસ્યા પ્રતિવાદી (હિંદુ લૉ કે કુરાન લૉ) કાયદાથી ઉકેલાતી. ૧૮૫૭ પછી પણ બ્રિટિશ રાજ્ય દરમ્યાન હિંદુઓ અને મુસલમાનોને પોતપોતાના ધાર્મિક કાયદો  લાગુ પાડનારી પદ્ધતિ ચાલુ રાખવામાં આવી. આ ધાર્મિક કાયદાઓ મુખ્યત્વે લગ્નવિચ્છેદ, કૌટુંબિક સંબંધ, વારસો, બાળકોનો ઉછેર, કૌટુંબિક બાબતો પૂરતા મર્યાદિત છે. સામાન્ય નાગરિકના કાનૂની પ્રશ્નો માટે સામાન્ય સિવિલ કાયદો અને ક્રિમિનલ લૉ બનાવવામાં આવ્યો હતો. દા.ત. ઇન્ડિયન પીનલ કોડ, સિવિલ પ્રોસીજર કોડ, ક્રિમિનલ પ્રોસીજર કોડ, ઇન્ડિયન એવીડન્સ ઍક્ટ વગરે બ્રિટિશરોએ બનાવેલા. આ રીતે કાયદાના ક્ષેત્રમાં બે વિભાગો થયા. કૌટુંબિક અને વ્યક્તિગત પ્રશ્નો માટે ધાર્મિક કાયદાઓ અને આર્થિક, બિનધાર્મિક સંબંધો, ફોજદારી પ્રશ્નો માટે અલગ કાયદાઓ છે. દેશ આઝાદ થયો અને બંધારણ સભા સમક્ષ આ પ્રશ્નો ગંભીર રીતે ચર્ચાયેલા. મોટાભાગના સભ્યો માગતા હતા કે દેશમાં ધાર્મિક કાયદાઓ (પર્સનલ લૉઝ) ચાલુ ના રાખવા જોઈએ અને સારાયે દેશ અને બધા જ સમાજો માટે એકસરખો કાયદો (યુનિફોર્મ સિવિલ કોડ) બનાવવો જોઈએ. ધર્મોના આગ્રહી હિંદુ, મુસલમાન, ક્રિશ્ચિયન સભ્યોએ આનો સખ્ત વિરોધ કરેલો. છેવટે સમાધાન રૂપે બંધારણના ચતુરોએ નાગરિક સમાન કાયદો લાવવાનો રાજ્ય પ્રયાસ કરશે તેવો માર્ગદર્શક સિદ્ધાંત દાખલ કર્યો, જે કાયદાકીય બંધનકર્તા નથી. પરંતુ એક આદર્શ તરીકે રહ્યા.

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે આ પર્સનલ લૉઝ ધાર્મિક આસ્થામાંથી પેદા થયા છે. અને ધાર્મિક વારસા સાથે સંકળાયેલ છે. સાચું જોઈએ તો લગ્ન, લગ્ન પદ્ધતિઓ, કુટુંબ વ્યવસ્થા, વારસાગત નિયમો, બાળકોની ગાર્ડિયનશીપ વગેર બાબતો સામાજિક કે સાંસ્કૃિતક પ્રશ્નો છે અને ધાર્મિક કાર્યો કે આસ્થાઓ સાથે કાંઈ સંબંધ નથી.

આમ અત્યાર સુધી પર્સનલ લૉઝ અમલમાં ચાલતા રહ્યા. આઝાદી પછી હિંદુ કાયદામાં સુધારાઓ કરવા માટે પ્રયત્નો થયા. પંડિત જવાહરલાલ નેહરુ અને ડૉ. આંબેડકરે હિંદુ કોડ બિલ બનાવેલું પરંતુ રૂઢિવાદી હિંદુઓ જેવા કે ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી, આર.એસ.એસ. અને હિંદુ મહાસભાએ વિરોધ કર્યો. ડૉ. આંબેડકરે રાજીનામું આપ્યું. નેહરુ નિષ્ફળ રહ્યા. અંતે ચાર જુદા જુદા લગ્ન, વારસા, મિલકત, એડપ્ટેશન વગેરે વિશે કાયદાઓ બનાવવા પડ્યા. છતાં સ્ત્રીઓની સમાનતા મહદ્‌ અંશે આ કાયદાઓમાં સ્વીકારવામાં આવી. મુસ્લિમ લૉની બાબતમાં ૧૯૩૭ પહેલાં મુસ્લિમ લૉ વિવિધ પ્રકારની પરંપરાઓ, રૂઢિઓ, રિવાજો સાથે ચાલુ હતો. કેટલીય બાબતોમાં અમુક મુસ્લિમ સમુદાયો હિંદુ લૉ પણ અપનાવતા. ૧૯૩૭માં શેરીઆ કાનૂન દ્વારા કૌટુંબિક બાબતોમાં મુસલમાનોને સમાન રીતે માત્ર શેરિયત લૉ લાગુ પડશે તેવી જોગવાઈ કરવામાં આવી. આમ ભારતમાં બહુમતી મુસલમાનોને કે મુસ્લિમ લૉની હનફી સ્કૂલ મુજબ શરીયત લાગુ પડે છે.

બધા જ ધાર્મિક અથવા પર્સનલ કાયદાઓમાં સ્ત્રી-પુરુષની સમાનતા કદી સ્વીકારવામાં આવી નથી. લગ્નમાં બંધનો, છૂટાછેડા, વારસાગત અધિકારો, બાળકોની ગાર્ડિયનશીપ વગેરે બાબતોમાં પુરુષોનું આધિપત્ય સ્વીકારવામાં આવ્યું છે, અને સ્ત્રીઓના સ્વતંત્ર વ્યક્તિત્વને સ્વીકારવામાં આવ્યું નથી. બધા સમાજો પણ પુરુષપ્રધાન રહેલ છે. હિંદુ લૉમાં સુધારાઓ પછી પણ સ્ત્રીઓના પ્રશ્નો તો બાકી જ રહે છે. અને સમાનતાં સ્વીકારતા કાયદાઓનું અમલીકરણ થતું નથી.

મુસ્લિમ સમાજમાં પણ બે પ્રશ્નો સ્ત્રીઓ માટે ગંભીર રહ્યા છે. એક, મુસલમાનોમાં બહુપત્નીત્વ પોલિગેમી અને બે, પતિ દ્વારા એકપક્ષીય છૂટાછેડા. સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો એકપક્ષીય છૂટાછેડાને લગતો છે. આ સ્ત્રીઓના અધિકારો સ્વીકારવા તરફનું આગોતરું પગલું છે.

એક દૃષ્ટિએ જોઈએ તો લગ્ન અંગેનો મુસ્લિમ લૉ મૂળ હિંદુ લૉ કે ક્રિશ્ચિયન લો કરતાં વધારે ઉદાર અને પ્રગતિશીલ ગણી શકાય. મુસ્લિમો મુજબ લગ્ન (નિકાહ) એ સ્ત્રીપુરુષ વચ્ચે બાળકો પેદા કરવા અને તેને ‘લેજિટિમેટ’ બનાવવા માટેનો માત્ર કરાર-કોન્ટ્રેક્ટ છે, અને તેથી લગ્નની મંજૂરી બંને પક્ષો માટે જરૂરી છે. એ લગ્ન વખતે સ્ત્રીને ત્રણ વખત પૂછવામાં આવે છે કે લગ્ન મંજૂર છે. બીજું લગ્ન વખતે પુરુષ માટે પહેરામણી(મેહર)ની નક્કી કરવામાં આવે છે’, જે લગ્ન વખતે અડધી રકમ સ્ત્રીને આપવાની હોય છે. અને બાકીની રકમ જે પુરુષ છૂટાછેડા આપે તેણે આપવાની હોય છે. આ એક મનસ્વી તલાક ઉપર પ્રકારનું નિયંત્રણ છે. ત્રીજું, આ નિકાહનામામાં સ્ત્રી એ જ પ્રકારની શરતો મૂકી શકે છે. દા.ત. જો પુરુષ બીજું લગ્ન કરે તો સ્ત્રી છૂટાછેડા માંગી શકે.

મુસ્લિમ કાયદામાં જુદા જુદા પ્રકારના તલાક છે. (૧) પતિ, દ્વારા આપવામાં આવેલ તલાક. (૨) પત્ની દ્વારા અપાયેલા ખૂલા અને (૩) બંનેની સંમતિથી લેવાયેલ તલાક. પતિ આપતા તલાક ત્રણ પ્રકારના છે : (૧) તલાક-ઈ-અહેસાન જેમાં પતિ એ વખતે સ્પષ્ટ રીતે તલાક આપવાનો ઈરાદો જાહેર કરે. અને ત્યાર પછી ત્રણ મહિના ઇદ્દત સુધી પત્નીથી અલગ રહે એટલે ત્રણ મહિને એ તલાક આખરી ગણાય. તે દરમ્યાન સમાધાન પણ થઈ શકે છે. (૨) તલાક-ઇ-હસન – જેમાં પતિ દર મહિને તલાક બોલે અને એમ ત્રણ મહિનામાં ત્રણ વખત તલાક બોલે અને ત્યારપછી તે તલાક આખરી થાય. પહેલાં બે મહિના સુધી પતિ તલાક પાછો ખેંચી શકે છે. આ બંને તલાકોમાં સમજૂતી અને મધ્યસ્થીને અવકાશ છે. (૩) તલાક-ઈ-બિદઅત – એક વખત પત્નીની હાજરીમાં અને સાક્ષીઓ વચ્ચે ત્રણ વખત આખરી તલાક બોલે કે તરત અમલમાં આવે.

અત્યાર સુધી આ એકપક્ષીય તલાક-ઈ-બિદઅતની કાયદેસરતા વિષે અનેક પરસ્પર વિરોધી ચુકાદાઓ અપાયેલા છે. છેક ૧૯૩૨માં પ્રીવી કાઉન્સિલે આ પ્રકારની તલાકની કાયદેસરતા સ્વીકારેલી. ત્યાર પછી ઘણી હાઈકોર્ટ તેને અમાન્ય ગણેલી. ૧૯૯૭માં અવાજ સંસ્થાએ મુસ્લિમોને ફેરફારો માટે પીટીશન કરેલી, પરંતુ સર્વોચ્ચ અદાલતે માથું મારવાની ઈન્કાર કરેલો, ૨૦૦૨માં શમીમઆરાના કેસમાં અભણ સાક્ષીઓની હાજરી કે ગેરહાજરીમાં અનિશ્ચિતતા વચ્ચે સર્વોચ્ચ અદાલતે એમ ઠરાવેલું  કે આ તલાક તલાકે – ઈ – બિદઅત નહિ પરંતુ ત્રણમાંથી એક તલાકના ઈરાદે ગણાવવો અને બીજા તલાક જરૂરિયાત સ્વીકારાયેલ.

છેક ૨૦૦૫માં સુધારા પછી હિંદુ સ્ત્રીના મિલકતના અધિકાર અંગેના કેસમાં સર્વોચ્ચ અદાલતે અધિકાર નહીં સ્વીકારતાં કહ્યું હતું કે મુસ્લિમ કાયદામાં પણ ઘણા ભેદભાવો છે અને તે અંગે પી.આઈ.એલ. કરવી જોઈએ. ત્યાર પછી કેટલીક મુસ્લિમ બહેનોએ અને સંસ્થાઓએ સર્વોચ્ચ અદાલતમાં એકપક્ષીય બધા જ પ્રકારના તલાકને પડકારતા કેસો કરવામાં આવેલા અને ભા.જ.પ.ની સરકારે આક્રમક વલણ બતાવી મુસ્લિમ લૉની આવી બધી જોગવાઈની વિરુદ્ધ એટર્ની-જનરલ રોહતગીએ દલીલ કરી. આ કેસમાં ચુકાદો હમણાં આવ્યો. અલગઅલગ ધર્મોના પાંચ ન્યાયમૂર્તિની બેન્ચ બનાવવામાં આવી અને તેમણે ચુકાદો આપ્યો.

આ ચુકાદાના બે પાસાઓ છે, એક ન્યાયમૂર્તિ નરીમાન અને ન્યાયમૂર્તિ લલિતનાં જજમેન્ટો જેમણે તલાક-ઈ-બિદઅતને ગેરબંધારણીય ગણી. જ્યારે ન્યાયમૂર્તિ જોસેફે અલગ જજમેન્ટથી તેને કુરાનના વિરોધી હોવાથી માત્ર ગેરકાનૂની ગણી પહેલા બે ન્યાયમૂર્તિઓએ ચુકાદાના કારણમાં ઠરાવ્યું કે શેરીઅત ઍક્ટ ૧૯૩૭ દ્વારા મુસ્લિમ કાયદાને કાયદાકીય સ્વરૂપ મળેલું છે અને તેથી મુસ્લિમ લૉ માત્ર ધાર્મિક કે પર્સનલ લૉ તરીકે નહીં ગણતા તેને સ્ટેચ્યુટરી ગણ્યો. મુસ્લિમ લૉનો તલાક-ઇ-બિદઅત એ ભાગ હોવાથી તેને બંધારણના મૂળભૂત અધિકારોની કસોટીમાંથી પસાર થવું પડે. તલાક-ઈ-બિદઅત એ એકપક્ષીય અને ‘આર્બિટ્રરી’ અને ‘ઇરેશનલ’ છે અને કલમ મુજબ તે ગેરબંધારણીય બને છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે તલાક-ઈ-બિદઅત ગેરબંધારણીય છે તે નિર્ણયનો પાયો મનસ્વી કલમ ૧૪ છે, નહીં કે બંધારણને સ્વીકારેલા સ્ત્રી-પુરુષની સમાનતા જેન્ડર ઇક્વૉલિટી છે. ન્યાયમૂર્તિ જોસેફ બંધારણીય કાયદાની કસોટી લાગુ ના પાડી. પરંતુ શેરીઅત કાનૂનને કુરાનની કસોટીએ ચઢાવી તલાક-ઈ-બિદઅતને ગેરકાનૂની ઠેરાવી. એટલે અલગ અલગ સિદ્ધાંતો મુજબ તલાક-ઈ-બિદઅત ગેરકાયદેસર બને છે જ.

જ્યારે બીજી બાજુએ મુખ્યન્યાયમૂર્તિ કહેર અને ન્યાયમૂર્તિ નજીરની બેન્ચે એમ ઠેરવ્યું કે પર્સનલ લૉ એ ધાર્મિક કાયદો છે અને તેથી આસ્થાનો વિષય છે. અને બંધારણ મુજબ અપાયેલી ધાર્મિક સ્વતંત્રતા-રાઈટ ટુ પ્રોફેસ, પ્રેકટાઈઝ અને પ્રોપેગટ-માં પર્સનલ લૉઝનો સમાવેશ થાય. એટલે કે પર્સનલ લૉ અને મૂળભૂત અધિકાર સમકક્ષ છે. અને તેથી તેમાં ફેરફાર કરેલ હોય તો મર્યાદા મુજબ કાયદો બનાવી સુધારી શકે આર્ટિકલ ૨૫ સિવાય પાર્લામેન્ટ પર્સનલ લૉને અડી ના શકે. કોર્ટે ટકોર કરી કે સમગ્ર પ્રશ્ન સરકાર અને પાર્લામેન્ટ હોવા છતાં સર્વોચ્ચ અદાલત ઉપર છોડી દીધો એ યોગ્ય નથી. ૬ મહિનામાં પાર્લામેન્ટમાં કાયદાકીય નિર્ણય લેવાય ત્યાં સુધી આર્ટિકલ ૧૪૨ની સત્તા વાપરી તલાક-ઈ-બિદઅત પર પ્રતિબંધ મૂકો. સાથે બે ન્યાયમૂર્તિઓએ તલાક-ઈ-બિદઅતને ઈસ્લામની ૧૪૦૦ વરસથી ચાલી આવતી એસેન્શ્યલ રિલિજિયસ પ્રેક્ટિસ ગણાવી. આ બે ન્યાયમૂર્તિઓની સાથે ન્યાયમૂર્તિ જોસેફ પર્સનલ લૉના સ્ટેટસ વિષે સંમત થયા, પરંતુ તલાક-ઇ-બિદઅતને ઇસ્લામિક કાયદાની એસેન્શ્યલ રિલિજિયસ પ્રેક્ટિસ ગણી નહીં.

પરિણામે આ ચુકાદાથી બે સિદ્ધાંતો સ્વીકારાયા. (૧) તલાક-ઈ-બિદઅત ગેરકાયદે છે – બે જુદા જુદા કારણે – બંધારણ અનુચ્છેદ ૧૪ મુજબ એ કુરાન વિરુદ્ધ શેરીઅત કાયદાની જોગવાઈ હોવાથી (૨) પર્સનલ લૉનું સ્ટેટસ બંધારણના મૂળભૂત અધિકાર જેટલું છે. અને આર્ટિકલ ૨૫ હેઠળ ધાર્મિક સ્વતંત્રતામાં સમાવેશ થાય અને તેની મર્યાદાઓમાં રહીને પર્સનલ લૉઝમાં સુધારા પાર્લામેન્ટ કરી શકે. સમગ્ર ચુકાદામાં ‘જેન્ડર ઇક્વૉલિટી’ની કસોટી લગાવાઈ નથી.

આ ચુકાદો એક રીતે ઐતિહાસિક કહેવાય. ઓછામાં ઓછું મુસ્લિમ સ્ત્રીઓને અન્યાય અને મનસ્વી ટ્રિપલ તલાકની ખુલ્લી જોગવાઈમાંથી મુક્તિ મળી છે. આ બહેનોને ટ્રિપલ તલાક-ઈ-બિદઅતથી રસ્તામાં રઝળતી કરી મુકાતી હતી. તેમાંથી મુક્તિ મળી. મુસ્લિમ લૉના સુધારા માટેની બહેનોની મુવમેન્ટને જબરદસ્ત ટેકો મળ્યો છે.

બીજું, અત્યાર સુધી પર્સનલ લૉ બંધારણના અનુચ્છેદ ૧૩(૨) હેઠળ કાયદો ગણાતો ન હતો. પરિણામે મૂળભૂત અધિકારોની મર્યાદાની બહાર ગણાતો હતો. તેમાં સર્વોચ્ચ અદાલતના બે ન્યાયમૂર્તિઓ શ્રી નરીમાન અને શ્રી લલિતે અનુ. ૧૪નો મૂળભૂત અધિકાર લાગુ પાડ્યો એટલે એક દરવાજો ખુલ્લો થયો કે પર્સનલ લૉ મૂળભૂત અધિકારોની કસોટીએ તપાસી શકાય એવી શક્યતા ઊભી થઈ છે.

ત્રીજું, આ ચુકાદો એક ભયજનક સિદ્ધાંત સ્થાપે છે. પર્સનલ લૉઝને આર્ટિકલ ૨૫ હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો દરજ્જો આપ્યો છે. તેનો અર્થ કે Personal Lawમાં કાંઈ પણ સુધારો કરવાનો હોય તો આર્ટિકલ ૨૫ની મર્યાદાઓમાં રહીને જ કરી શકાય. આમ પર્સનલ લૉને બંધારણીય દરજ્જો મળ્યો. આ એક પ્રતિગામી પગલું ગણાય.

ચાર, હજુ પણ સર્વોચ્ચ અદાલતના ઉચ્ચ કક્ષાના ન્યાયમૂર્તિ જેન્ડર ઇક્વોલિટી બાબતે સંમત નથી અને તે બતાવે છે કે બંધારણના મૂળભૂત મૂલ્યો વિષે પણ સ્પષ્ટ વલણ નથી.

આ ઉપરાંત આ ચુકાદામાં ઘણા બીજા મુદ્દાઓ વિચારવા જેવા છે.

(૧) આ ચુકાદાને જુદા જુદા દૃષ્ટિકોણથી તપાસી શકાય. – રાજકીય, સામાજિક, વ્યક્તિસ્વાતંત્ર્ય વગેરે રાજકીય દૃષ્ટિએ વિચારીએ તો હિંદુત્વને વરેલાઓ ઈસ્લામને ધિક્કારનારા ભા.જ.પ. અને સંઘ પરિવાર ચુકાદાને યુનિફોર્મ સિવિલ કોડના તેમના એજન્ડાની આગેકૂચ ગણે છે. સારા દેશમાં હુલ્લડો કરાવનારાઓ અને સ્ત્રીઓ પર અત્યાચાર કરનારા મુસ્લિમ બહેનોની દયા બતાવે અને જેટલો મોટો … શું હોઈ શકે. મુસ્લિમ બહેનો માટેની આ ચિંતા સ્ત્રીપુરુષ સમાનતા માટે નહીં પરંતુ તે મુસલમાનોને ઠેકાણે પાડવા હિંદુત્વના એજન્ડાને આગળ વધારવાની કોશિષ છે.

(૨) સામાજિક દૃષ્ટિએ જોઈએ તો આ ચુકાદો મુસ્લિમ બહેનોને મનસ્વી તલાકમાંથી મુક્ત કરે છે. અને એ રીતે સ્ત્રીસ્વાતંત્ર્યની દિશામાં એક આગે કદમ છે. પરંતુ હકીકતમાં મુસ્લિમ સમાજમાં તલાક-ઈ-બિદઅતના પ્રસંગોનું પ્રમાણ પણ ઘણું ઓછું છે. તેથી આ ચુકાદાની અસર ઘણી મર્યાદિત છે. અને હજી મુસ્લિમ લૉમાં સ્ત્રી-પુરુષની સમાન અને બીજા ધર્મમાં પણ સમાનતા માટે કૂચ ઘણી લાંબી છે.

(૩) રાજ્ય, કોમ્યુિનટીઓ અને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હોવો જોઈએ તે મુદ્દો પણ મહત્ત્વનો છે. દરેક ભારતીય નાગરિક છે અને તેમનું બનેલું રાજ્ય સાર્વભૌમ છે. આમ રાજ્ય અને નાગરિક તરીકેનો સંબંધ દરેક ભારતીય માટે ઉચ્ચ કક્ષાનો સંબંધ છે. તે સિવાયના બધા સંબંધો અને સંસ્થાઓ આવા લોકશાહી રાજ્યની સર્વોચ્ચતા સ્વીકારે છે. તેનો સંબંધ ધર્મ કે નાતના સંબંધ કરતા ઊંચો છે. એટલે રાજ્ય સિવાય બીજી કોઈ સંસ્થા કે સમુદાયો વ્યક્તિના મૂળભૂત અધિકારોને ઝૂંટવી ના શકે, સિવાય કે બંધારણ સ્વીકારેલી મર્યાદાઓ. અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ કહેર, ન્યાયમૂર્તિ નજીર અને ન્યાયમૂર્તિ જોસેફનો નિર્ણય પર્સનલ લૉને આર્ટિકલ ૨૫ હેઠળ વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાના ભાગ રૂપે ગણે છે અને તેથી પર્સનલ લૉ અથવા ધાર્મિક કાયદા ગણે છે. ધર્મ દરેક વ્યક્તિને માટે બંધનકર્તા છે. આમ આ ચુકાદો રાજ્ય અને નાગરિક વચ્ચે ધર્મ અને સમુદાય ઊભો કરે છે.

(૪) ધાર્મિક સ્વતંત્રતામાં શેનો સમાવેશ થાય તે પ્રશ્ન પણ વિચારવા જેવો છે. સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ મુજબ ધર્મસ્વતંત્રતામાં માત્ર આસ્થા જ નહીં પરંતુ તેના રિવાજો, અને રૂઢિઓ એસેન્શ્યાલ ગણાય તો તેનો સમાવેશ થાય છે. સવાલ એ છે કે ધર્મમાં આસ્થા આવે અને તેના ક્રિયાકાંડો આવી શકે. પરંતુ લગ્ન, લગ્નવિચ્છેદ, કુટુંબ વ્યવસ્થા, મિલકતનો વારસો, બાળકોના ભરણપોષણની સંસ્થાઓ બદલાતી રહે છે. આના જેવી સેક્યુલર સંસ્થાઓ અને પ્રેક્ટિસને ધર્મના ઈસેન્સ સાથે શું લેવાદેવા? બંધારણ અને મૂળભૂત અધિકારોના પાયામાં માનવ ગૌરવ રહેલું છે. અને તેના જુદા જુદા પાસાઓ સ્વતંત્રતા, ન્યાય, બંધુત્વના અધિકારો પાયારૂપ છે. તેમાં સ્ત્રીપુરુષની માનતા- જેન્ડર ઇક્વોલિટી પણ આવી જાય. આમ સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો સર્વોપરી ગણાવા જોઈએ, નહિ કે ધાર્મિક કે સામાજિક રીતરિવાજો કે સંસ્થાઓ.

ટૂંકમાં, સ્ત્રીઓ અને પુરુષોની વ્યક્તિસ્વાતંત્ર્ય અને ન્યાય સાથે સમાનતા માટેની લડત ઘણી લાંબી અને અધૂરી છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017; પૃ. 05-07

Loading

4 September 2017 admin
← મુસ્લિમ ઉમ્માહ એટલે શું? … ભારતીય મુસ્લિમોમાં વ્યાપેલ સામાજિક સ્તરીકરણ અને સામાજિક ચળવળો
સલામ, અવની ! →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved