Opinion Magazine
Number of visits: 9448792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિતની આઁહો સે કલેજા ઠંડા હો તેરા …

રિમ્મી વાઘેલા, રિમ્મી વાઘેલા|Opinion - Opinion|19 July 2017

૨૫મી જૂનની ઠંડી ખુશનુમા સાંજ હતી. પ્રકાશ ન. શાહ, રમેશભાઈ ઓઝા (મિડ ડે, ગુજરાતી), મુકુંદભાઈ પંડ્યા (ગુજરાત સમાચાર) અને સંજય શ્રીપાદ ભાવે, સાથેની ચાર દિવસીય કાશ્મીર મુલાકાતનો આજે છેલ્લો દિવસ હતો. રમેશભાઈ તો શ્રીનગરના અતિ સંવેદનશીલ ગણાતા ડાઉન ટાઉન વિસ્તારની મુલાકાતે ગયા હતા. તો અન્ય ત્રણ વડીલ સાથીદારોની રાહ જોતી હું, દાલ સરોવરની પાળીએ બેઠી હતી. વરસાદ પડ્યા પછી સંધ્યાના અનેક રંગોથી આકાશ છવાયેલું હતું. પણ પાછળ દાલ સરોવર તરફ સ્થિર નજરે જોવાની મારી જરા ય હિંમત નહોતી ચાલતી. તરત જ સાંભરી આવતું કે આ જ દાલ સરોવર પોતાની અંદર કેટલા ય નિર્દોષોની લાશો છુપાવીને બેઠું છે. અનેક ચિત્રો વણથંભ્યા મારા માનસપટ પરથી પસાર થતાં હતાં. ક્યારેક મને ‘હાફ મધર’(નવલકથા, લેખક : શહેના બશીર)નો ઈમરાન યાદ આવતો તો, ૨૦૧૧માં રાજ્ય માનવ અધિકાર પંચના આદેશથી ખોદી કાઢવામાં આવેલી સામૂહિક કબરોમાંથી મળી આવેલા ૨૦૦૦ કરતાં પણ વધુ અપરિચિત-વિકૃત મૃતદેહોનો અહેવાલ યાદ આવતા આખા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ જતી. બે વર્ષ પહેલાં જ્યારે કુનાન પોશપોરા ગામની મુલાકાત લીધી હતી ત્યારે ભોગ બનેલા લોકોના હતાશ-નિરાશ, ન્યાય માટે વલખાં મારતા ચહેરાઓ હું આજે ય નથી ભૂલી! તો, ૨૦૧૪માં પૂરના ૧૫ દિવસ પણ કેડસમાં પાણીમાં ડૂબેલું અને માંડ-માંડ ઊભા થવાનો પ્રયત્ન કરતું શ્રીનગર શહેર નજર સમક્ષ ખડું થઈ જતું!

‘જંગલી’. ‘કશ્મીર કી ક્લી’, ‘જબ જબ ફૂલ ખીલે’માં જોયેલી નૈસર્ગિક, સુંદરતાથી શરૂ કરીને ‘ઈન્શાલ્લાહ કાશ્મીર’, ‘જશ્ન-એ-આઝાદી’, ‘હારુન’, ‘તહાન’, ‘લમ્હેં’, ‘ઓશન ઑફ ટીઅર્સ’માં જોયેલાં દૃશ્યો વારંવાર સ્મૃિત પર દસ્તક દેતાં હતાં! પરી મહેલની સુંદરતા કરતાં વધુ ઇન્ટ્રોગેશન સેન્ટર નજર સામે દેખાતું. ઠેઠ-ઠેકાણે વર્દીમાં દેખાતા જવાનો, ગણી ન શકાય. એટલા ફેક એન્કાઉન્ટર્સ, હાફમધર-હાફ વીડો, આર્મીના ટોર્ચર સેન્ટરો, પેલો પાપા-૨ પર્વત હાથમાં ફોટા લઈને પોતાના ગુમ થયેલા પતિ-દીકરા-ભાઈને શોધતી, મૃતદેહની ઓળખ માટે પોલીસ સ્ટેશનોની બહાર લાઈનો લગાવતી મહિલાઓ, જેમની પાસે પોતાના પિતાનું નામ નથી તેવા અસંખ્યા બાળકો, ગયા વર્ષે બુરહાન વાનીના એન્કાઉન્ટર પછી જેમણે પેલેટના કારણે પોતાની આંખોથી રોશની સદા માટે ગુમાવી દીધી છે. એવા ત્રણસોથી વધુ બાળકો-કિશોરો … આવું કંઈક મનમાં ચાલી રહ્યું હતુ. ત્યાં જ મોટી ઉંમરના એક વડીલે મારી તંદ્રા તોડી.

‘શિકારા, કી-ચેઈન, ખરીદોગી, બેટી ?’

‘નહીં, ચાચા.’

પછી તો એ ચાચા મારી સાથે વાતો કરવા લાગ્યા.

‘કહાં સે આયી હો?’

‘ગુજરાત-અહમદાબાદ સે.’

‘હમારે ગુજરાતી ભાઈ તો પહેલે બહુત ઘુમને આતે થે, પર અબ નહીં આતે.’

‘હા, આપકી બાત સચ હૈ, હાલાત હી કુછ ઐસે હો ગયે હૈં.’

‘ક્યા હમ સભી આપકો આતંકવાદી દિખતે હૈ?’

સવાલ સાંભળીને હું થોડી ટટ્ટાર થઈ ગઈ. મેં જવાબ આપ્યો :

‘નહીં, નહીં ! બિલકુલ ભી નહીં.’

‘હમ ઐસે નહીં, જેસે ટીવી પર દિખાતે હૈ.’

મારી પાસે એમને જવાબ આપવા કોઈ શબ્દો નહોતા, ચાચા બહુ થાકેલા લાગતા હતા પણ આંખોમાં ખૂબ જ પ્રેમ હતો. કદાચ, રોજા ચાલતા હોવાને કારણે થોડીક નબળાઈ પણ લાગતી હતી. આ પ્રશ્ન માત્ર એમનો નહોતો. આ ચાર દિવસની ટૂંકી મુલાકાતમાં બધાંની આંખોમાં આ એક જ સવાલ હતો. ભારત પાકિસ્તાન બંને માટે કાશ્મીર રાજકીય લાભ ખાટવાનું અગત્યનું સાધન છે. એમાં ત્યાંના સામાન્ય લોકો રોજે રોજ મરી રહ્યા છે. કાશ્મીર ખીણ માટે આવકનું મુખ્ય સાધન પ્રવાસન ઉદ્યોગ છે તેને પણ માધ્યમોમાં સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે સતત નકારાત્મક પ્રચાર કરીને ભાંગી નાખવામાં આવેલ છે. કાશ્મીર પ્રશ્નના ઇતિહાસમાં હું જવા નથી માંગતી. એની જટિલતા આજે વધી છે. એક લેખમાં વર્ણવવી એ શક્ય પણ નથી. પણ અમુક વાતો કહેવાનું મન થાય. ૧૯૯૦થી શરૂ કરીને આજ દિન સુધી કોઈ પ્રવાસીની હત્યા થઈ હોય એવી એક પણ ઘટના નથી બની. અમે જે દિવસોમાં ત્યાં હતા એ દરમ્યાન પણ અહીંના છાપાઓમાં કાશ્મીરના સમાચાર પહેલા પાને મુખ્ય મથાળા સાથે આવતા રહ્યા તે અમે આવ્યાં પછી જોયું પણ ત્યાં એવો કોઈ ભયાનક માહોલ અમને જોવા મળ્યો નહીં. ઊલટાનું એક મહિલા તરીકે કાશ્મીર મને અમદાવાદ કરતાં પણ વધુ સલામત લાગ્યું છે. આ દિવસોમાં અમે વિવિધ પ્રકારના, વિવિધ વર્ગોમાંથી આવતા અનેક લોકો-અધ્યાપકો, વિદ્યાર્થીઓ, પત્રકારો, માહિતી અધિકાર કર્મશીલો, નાગરિકો, પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, વેપારીઓ, શિકારાવાળા, હાઉસબોટવાળાને મળ્યાં. એક એક વ્યક્તિ એટલે એક એક જીવતી જાગતી વાર્તા. દરેકે કંઈકને કંઈક ગુમાવ્યું છે. મારી તો લખવાની એટલી ક્ષમતા નથી. પણ એમની વેદનાની વાતો રડાવી મૂકે તેવી છે.

કાશ્મીરનું નામ લઈએ એટલે આપણને બે જ વાતો સહુ પહેલી યાદ આવે. એક તો એનું મને મોહી લેતું અદ્ભુત નૈસર્ગિક સૌંદર્ય અને બીજું યાદ આવે, ત્યાંનું તંગ વાતાવરણ! બંને કેવા એકબીજાના વિરોધાભાસી છે? કુદરતી સૌંદર્યમાં બેનમૂન એવા આ પ્રદેશને આપણી બિનસંવેદનશીલતાએ ક્યાં લાવીને મૂકી દીધા છે? મને સતત એ સવાલ થયા કરે કે એક લોકશાહી દેશમાં ‘આફ્સ્પા’ જેવો કાયદો આપણે કેવી રીતે સહન કરી શકીએ? શું વીતતી હશે એ બાળકના મન પર જેને એક એવા ટોણાથી ભણવાનું છોડી દેવું પડે છે કે તારા પિતાજી કોણ છે, એની તને ક્યાં ખબર છે? પોતાની નજર સામે પોતાના બાપ-ભાઈ કે દીકરાની ફટ-ફટ પડતી લાશો જોઈને એ મા, બહેન કે પત્નીની માનસિક હાલત શું થતી હશે? પોતાની છાતી પર સુવડાવેલી બે વર્ષની દીકરીને આંખમાં સીધો પેલેટ વાગતા એને પોતાની નજર સામે જ કાયમ માટે અંધ થતી જોનાર બાપ પર શું વીતી હશે? એ વ્યથાની કથા કહેવા માટે તો મારી પેન નાની પડે છે. આટઆટલી પીડાઓમાંથી પસાર થયા બાદ પણ કશ્મીરના લોકો, ભારતના લોકોની વિરુદ્ધમાં નથી. એ તો દમનખોર રાજ્યના વિરોધમાં છે.

કાશ્મીરના સંદર્ભમાં અનેક કમિશનોએ અનેક ભલામણો કરી છે. પડગાંવકર કમિટી, બાજપેયી શાસનમાં વર્ષો, છેલ્લે નિર્ભયા ઘટના સમયે બનેલ જસ્ટિસ વર્મા કમિટીએ આફ્સ્પા હટાવવા માટે કરેલ સૂચનો … આ કંઈ જ અમલમાં નથી આવ્યું. જે પણ લોકો મળ્યા, સૌની એક આશા હતી, આપણા સહુ પ્રત્યેની. કાશ્મીરના લોકો રાહ જુવે છે કોઈ જયપ્રકાશ નારાયણ જેવા નેતાની. મૃદુલાબહેન જેવા કર્મશીલની જે એમની વ્યથાને સાંભળે, એમને થોડો હાશકારો, થોડી હૂંફ આપી શકે. આખો દેશ જ્યારે ભાગલા વખતે કોમી તોફાનોની આગમાં બળતો હતો ત્યારે ગાંધીજીએ કાશ્મીરને એક માત્ર આશાનું કિરણ ગણાવ્યું હતું. આજે ય સામાન્ય કાશ્મીરી નાગરિક કોમવાદી નથી ત્યારે સવાલ એ થાય કે હું/આપણે એમની આશા/અપેક્ષાઓનો કંઈ સકારાત્મક પ્રતિભાવ આપી શકીએ ખરા? હું તો ઇચ્છું કે મારી માનવીય સંવેદના કોઈ ખોટા આંચળા પાછળ મરવી ના જોઈએ. પણ એક ભયંકર લાચારી પણ અનુભવાય છે. એ લાચારીમાંથી બહાર કેમ આવવું, એ મથામણ મનમાં સતત ચાલે છે. લોકોથી લોકોનું મિલન થાય તો કદાચ આ લાચારી દૂર થાય. સંવેદનાઓ ખીલતી રહે, કેળવાતી રહે તો કદાચ ઊંડા ઘાવો પર મલમનું કામ થઈ શકે. બાકી મને તો કાશ્મીરના નામ સાથે જ ફૈઝની નીચેની પંક્તિઓ સિવાય બીજું કંઈ વધુ મનમાં નથી આવતું.

“કિતનો કા લહુ ચહિયે, તુજે એ અહલે વતન,
જો તેરે રંગ એ બેજાર કો ગુલનાર કરે
કિતની આઁહો સે કલેજા ઠંડા કો તેરા,
કિતને આંસુ તેરે સહરાઓ કો ગુલઝાર કરે.”

E-mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ. 05-06 

Loading

19 July 2017 admin
← આર્ય-અનાર્યના નિરર્થક વિવાદમાં ડૂબતું આપણું ડહાપણ
આર્થિક પ્રવાહો વિશેની આગાહી : કેટલી ભરોસાપાત્ર? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved