Opinion Magazine
Number of visits: 9448838
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાણિયા કૉલિંગ વાણિયા

સુદર્શન આયંગાર|Opinion - Opinion|4 July 2017

રાયપુરમાં છત્તીસગઢની ઉદ્દાત્ત વ્યક્તિઓની બેઠકમાં ભારતીય જનતાની પક્ષના અધ્યક્ષ  અમિત શાહે ગાંધીજીને એક ‘ચતુર વાણિયા’ તરીકેના કરેલા વિધાનની સામે ઘણી પ્રતિક્રિયાઓ આવી. પરંપરા મુજબ કૉંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોએ નારાજગી દર્શાવી માફી માગવા જણાવ્યું. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ યોગ્ય જ જણાવ્યું કે અમિત શાહની ચતુર વાણિયાની ટિપ્પણી અભદ્ર અને અશોભનીય શબ્દછાયા ધરાવતી છે. અંગ્રેજી અખબારોમાં આ મુદ્દે ટીકા-ટિપ્પણી ચાલુ છે, જેમાંનો મુખ્ય સૂર ભાજપ જ્ઞાતિગત રાજનીતિ છોડી નથી શકતી તે રહ્યો છે. પરંતુ અમિત શાહની આ ટિપ્પણીના કેટલાક નિહિતાર્થો પણ છે, તેથી એક વાણિયાભાઈ બીજા વિશે કયા સંદર્ભે અને અર્થમાં કહે છે તે જોઈએ. એક ચોખવટ જરૂરી છે. અમિત શાહના ઉચ્ચારો લેખિત નથી. તેઓ લખેલું ભાષણ નહોતા વાંચતા. જે બોલ્યા તે પૂર્વકલ્પના વગરના ઉદ્‌ગારો જણાય છે. તેઓ હિંદીમાં બોલ્યા છે. તે ઉદ્‌ગારો ઇન્ડિયન ઍક્સપ્રેસમાં ઉતારવામાં આવ્યા છે.

“કૉંગ્રેસ કિસી એક વિચારધારા કે આધાર પર, કિસી એક સિદ્ધાંત કે આધાર પર બની હુઈ પાર્ટી હી નહીં હૈ, વો આઝાદી પ્રાપ્ત કરને કા એક સ્પેશલ પર્પસ વેહિકલ હૈ, આઝાદી પ્રાપ્ત કરને કા એક સાધન થા. ઔર ઇસિલિયે મહાત્મા ગાંધીને દૂરંદેશી કે સાથ, બહુત ચતુર બનિયા થા વો, ઉસકો માલૂમ થા આગે ક્યા હોનેવાલા હૈ, ઉસને આઝાદી કે બાદ તુરંત કહા થા, કૉંગ્રેસ કો બિખેર દેના ચાહિયે. મહાત્મા ગાંધી ને નહીં કિયા, લેકિન અબ કુછ લોગ ઉસકો બિખેર ને કા કામ સંપન્ન કર રહે હૈં. ઇસિલિયે કહા થા ગાંધી ને, ક્યુંકિ કોઈ ઇડિયોલૉજી હી નહીં થી, સિદ્ધાંતો કે આધાર પર બની હુઈ પાર્ટી નહીં થી, દેશ ચલાને કે, સરકાર ચલાને કે કોઈ સિદ્ધાંત હી નહીં થે.”

ભાજપનું મૂળ નિશાન કૉંગ્રેસ છે. ‘કૉંગ્રેસમુક્ત ભારત’ કરવા કૉંગ્રેસને નેસ્તનાબૂદ કરવી રહે. તેમ કરવામાં ભાજપનો તાપ-તપ ઓછો પડતો લાગે છે. આટઆટલી વિજયપતાકા લહેરાવ્યા બાદ પણ દેશ કૉંગ્રેસમુક્ત નહીં થઈ જાય તેવી આંતરિક ભીતિથી પક્ષ પીડાતો હોય તેવો આભાસ તેમના ઉચ્ચ નેતાના ઉદ્‌ગારો પરથી થાય છે. આજે પણ કદાચ ભાજપ કૉંગ્રેસના પુનઃજન્મની આશંકા સેવી રહ્યું છે, કેમ કે જમીની હકીકત બદલાઈ રહી છે. વશીકરણ ઓગળી રહ્યું છે. લોકોને પણ જણાઈ રહ્યું છે કે તેમની સાથે જે રમત રમાઈ રહી છે, તેમાં કોઈ ફરક નથી. શૈલી જુદી છે, તેથી ભાત જુદી પડતી હોય તેવો ભાસ થાય છે, પણ રમત તો એ જ છે, રાજ્યનો અંકુશ જુદી રીતે વધી રહ્યો છે. અને બજાર વંચિત અને સંચિત વચ્ચેની વધતી જતી ખાઈ કઈ રીતે પૂરશે, તેનો અંદાજ આવતો નથી. બેરોજગારીનો અંત આવે એવી કોઈ શક્યતા જણાતી નથી. ખેડૂતોના આપઘાત રોજની દુર્ઘટના બની રહી છે. જ્ઞાતિવાદી સમીકરણોએ જોર પકડ્યું છે, તેથી હવે પછી વિભિન્ન રાજ્યોમાં ચૂંટણીનો જે દોર ચાલશે અને ૨૦૧૯ની દેશની ચૂંટણીમાં કદાચ કૉંગ્રેસ પાછી આવે અથવા પોતાનું સ્થાન મજબૂત કરે, તેવી ભીતિ ભાજપની નેતાગીરીમાં સેવાઈ રહી છે. પરિણામે કૉંગ્રેસની પ્રતિષ્ઠાને ધક્કો વાગ્યા જ કરે તે હેતુથી ગાંધીજીનો આશરો લેવાઈ રહ્યો હોય, એવું લાગે છે. રમત સરદાર પટેલના નામ સાથે શરૂ થઈ. સમસ્યા એ છે કે ભાજપ ગાંધીના નામને ભૂંસી શકે તેમ નથી. ગાંધીજી વિશ્વના નેતા છે અને શાંતિ તથા અહિંસાના વિચાર સાથે ગાંધી વિશ્વફલક પર પુનઃસ્થાપિત થયા છે. ગાંધીજીને યાદ કરીને ભાજપ કૉંગ્રેસથી ગાંધીજીને અલગ કરવા ઇચ્છે છે. એ તો પહેલેથી સ્પષ્ટ થયું કે જ્યારે ભાજપના એકમાત્ર નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતાને અંજલી આપતા ૧૫મી ઑગસ્ટ, ૨૦૧૪ના દિવસે લાલકિલ્લા પરથી દેશને સ્વચ્છ બનાવવાનું રણશિંગું ફૂંક્યું. એમણે તો સ્વચ્છતા માટે ગાંધીજીનાં ચશ્માંથી ચલાવી લીધું છે. હવે પક્ષપ્રમુખનો વારો આવ્યો હોય એવું લાગે છે. તેઓ ગાંધીજી વિશે બોલે છે, તે શૈલી અને વિચાર એમના અને તેમના પક્ષના વિચારકોનું માનસ દર્શાવે છે. દુર્ભાગ્યે, આ પ્રકારના વિધાન દ્વારા અમિત શાહની દેશ અને વિશ્વ સમક્ષ ખરડાતી છાપનો અહેસાસ તેમને હોય તેવું લાગતું નથી. તેમના વિધાન દ્વારા ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસ અને ગાંધીજીના કૉંગ્રેસ સાથેના સંબંધ અંગેનું તેમનું ઘોર અજ્ઞાન પ્રગટ થાય છે. એમને કોઈએ સ્મરણ કરાવવું જોઈએ કે તેઓ જિલ્લા પંચાયત કે રાજ્યકક્ષાના પ્રમુખ નથી, અને રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે બોલે છે, તે શબ્દશઃ દેશ-દુનિયામાં પ્રસરે છે.

કૉંગ્રેસ કોઈ એક વિચારધારા કે સિદ્ધાંત કે આધારિત પક્ષ ન હતો અને નથી; અને આઝાદી પ્રાપ્ત કરવા માટે એક સાધનરૂપ જ હતો એવું જણાવીને શાહ મહાત્મા ગાંધીને દૂરંદેશી કહે છે. તેઓ આગળ જણાવે છે કે એક ચતુર વાણિયાની જેમ ભાવિને અંદાજી આઝાદી પછી તરત કૉંગ્રેસને વિખેરી નાખવાની વાત કરી. શાહ ફરીથી પ્રતિપાદિત કરવાની મિથ્યા કોશિશ કરે છે કે ગાંધીજીનો વિચાર શાહના વિચાર સાથે સમાનતા ધરાવે છે. ગાંધીજી પણ કૉંગ્રેસ વિશે અમિત શાહ જેવું વિચારતા હતા તેવું માની લેવું અને દુનિયાને એવું જણાવવું હાસ્યાસ્પદ જ થાય અને એવું કહેનાર પોતાનું અજ્ઞાન જ દર્શાવે છે. વધુમાં અમિત શાહ દ્વારા ‘ચતુર’ શબ્દનો પ્રયોગ ગાંધીજીના વલણમાં ધૂર્તતા અભિપ્રેત કરે છે. નોંધપાત્ર છે કે અમિત શાહ ગાંધી બોલતાપૂર્વે મહાત્મા શબ્દ ઉમેરે છે! પણ ચતુર એટલે ધૂર્ત એવું કહી ગાંધીજી પ્રત્યેનો ઊંડો વ્યક્તિગત અણગમો વ્યક્ત કરે છે, પરંતુ ભાજપની આ વર્તમાન રાજકીય વિડમ્બના છે. મહાત્માને દૂર કરી શકતા નથી. ભારતીય લોકમાનસમાં ગાંધી ઊંડે જઈને વાસ કરે છે. ભારતની સંસ્કૃિતમાં મહાત્મા ક્યારે ય શઠ કે ધૂર્તના અર્થમાં ચતુર હોઈ શકે નહીં. સરળ અને નિર્મળ વ્યક્તિને લોકો મહાત્મા કહે છે. મહાત્મા સઘળાથી પર, નિખાલસ, સ્પષ્ટવક્તા, ઈમાનદાર, નેકદિલ અને કરુણામય હોય છે. ગાંધીજીને ‘ચતુર વાણિયો’ કહી અમિતભાઈ લોકલાગણી અને લોકમાનસને પણ ઠેસ પહોંચાડે છે. આમાં કયા ‘વાણિયા’ શઠ પુરવાર થાય? 

કૉંગ્રેસને વિખેરી નાખવાના સૂચનમાં ગાંધીજીની દૂરંદેશી જરૂર હતી. આઝાદી મેળવ્યા બાદ કૉંગ્રેસપક્ષ પાસે નેતા અને કાર્યકર્તા એમ બે વર્ગ હતા. એક વર્ગમાં મુખ્યત્વે રાજકીય ઉદ્દેશ્ય ધરાવતા લોકો હતા, જ્યારે બીજા વર્ગમાં ગાંધીજીના દર્શનનું નવું ભારત ઘડવા માટે નિષ્ઠા ધરાવનાર સેવકો હતા. ગાંધીજી રચનાત્મક કાર્યકરોને જુદા તારવી ભારતનાં ગામડાંઓની સામાજિક પુનઃરચના કરી ગ્રામ સ્વરાજ લાવવા ઇચ્છતા હતા. યાદ રાખવું જરૂરી છે કે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ની સવારમાં ગાંધીજીએ કરેલાં મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય લોક સેવક સંઘ(સામાજિક પુનઃરચના માટે પ્રસ્તાવિત કરેલું સંગઠન)ના બંધારણના મુસદ્દાને અંતિમ રૂપ આપવાનું હતું. આ સંગઠનના બહુમતી સભ્યો કૉંગ્રેસના કાર્યકરો હતા, કારણ કે ગાંધીજી અનૌપચારિક અને નૈતિકપણે મહાનાયક હતા. જો લોહિયાળ ભાગલાના કારણે ઘણા લોકો દૂર ન થયા હોત, તો યુવા અને નિષ્ઠાવાન કાર્યકરોની નવી સેના ગાંધીજી સાથે જોડાઈ હોત. તેઓ કૉંગ્રેસપક્ષને ગ્રામસ્વરાજ માટે કામ કરવાના નિસબત ધરાવતા પક્ષ તરીકે જોવાની ઇચ્છા ધરાવતા હતા.

કૉંગ્રેસની સ્થાપના કેટલાક વિદ્વાન અંગ્રેજ અને ભારતીયોએ મળીને કરી હતી, જેઓ દેશમાં સામાજિક અને રાજકીય સુધારા લાવીને ભારતને આધુનિક બનાવવા ઇચ્છતા હતા. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ કૉંગ્રેસને આઝાદીની લડતની નેતાગીરી માટે એક રાષ્ટ્રવાદી પક્ષ તરીકે પરિવર્તિત કર્યો. તે કાળમાં લોકમુખે કૉંગ્રેસ એટલે દેશમાં આવેલી શાંત ક્રાંતિ અને કૉંગ્રેસી એટલે નૈતિકતાનું બિંબ અને ગાંધીનો સચ્ચો સિપાહી. સ્વતંત્રતાપૂર્વેના અંતિમ દિવસો દરમિયાનના બધા જ રાજકીય દાવપેચ સાથે પણ કૉંગ્રેસ જ એક એવો પક્ષ હતો કે જેના બધા જ ધર્મો અને સમાજો સાથે સમાન વલણ અંગે નાગરિકોમાં ભરોસો હતો. પક્ષની આ શક્તિનો ઉપયોગ ગાંધીજી ગ્રામ-પુનઃનિર્માણ માટે કરવા માંગતા હતા. જમીની કાર્યોમાં ભાગીદાર થયા વિના રાજકીય સત્તા કૉંગ્રેસને બિન-સંપોષિત વિકાસ તરફ લઈ જશે તેવી ગાંધીજીને ફિકર હતી. ગાંધીજીની આ દૂરદૃષ્ટિ અમિત શાહથી જોજનો છેટે રહી.

ઉપર્યુક્ત સ્પષ્ટતા અને આપણા પૈકીના કેટલાકના પ્રતિભાવો છતાં પણ અમિત શાહનું ભાષણ રાજકીય કાર્યસાધકતાના હથિયાર રૂપે કામ કરી ગયું છે અને ભાજપે તેનો ગેરલાભ ખાટી લીધો છે. લોકોની યાદશક્તિ બહુ ટૂંકા ગાળાની હોય છે. લોકો માની પણ લે કે ગાંધીજી કૉંગ્રેસ વિશે એવું જ માનતા જેવું ભાઈ અમિતભાઈ કહે છે અને દેશની કોઈ પણ હાલાકી અને સમસ્યા માટે એક માત્ર કૉંગ્રેસ જ જવાબદાર છે. મહાત્મા ગાંધીએ પણ વર્ષો પહેલાં કૉંગ્રેસને નાપસંદ કરીને વિખેરી નાખવાનું કહ્યું હતું. નુકસાન થઈ ચૂક્યું છે. આ અપપ્રચારે જનતારૂપી બ્રાહ્મણના ખભે બકરી નહીં, કૂતરો જ છે. એવું ઠરાવી દેવામાં આવી રહ્યું છે. ભાજપ એક જ ભારતવર્ષનો સાચો પક્ષ છે, એવું ફલિત કરાવવા માગે છે. સ્વસ્થ લોકશાહી માટે આવું વલણ અનિષ્ટ છે. કૉંગ્રેસમાં મૂલ્યહ્રાસ અને તેથી તેનો કરુણ રકાસ પણ જમીની સચ્ચાઈ જ છે. કૉંગ્રેસે પુનઃપ્રતિષ્ઠા મેળવીને ભવિષ્યમાં મજબૂત વિકલ્પ તરીકે વિકસવું હોય, તો મૂલ્ય પુનઃસ્થાપનાની સાથે બીજા ફેરફાર ધરમૂળથી કરવા પડે એમ છે. લોકોમાં ફરી વિશ્વાસ જગાવી ગાંધીજીની મૂળ વિભાવનાની નજીક લોક સેવક સંઘની પેઠે કામ કરવાની તાકીદની ટકોર છે.

Email : sudarshan54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 03-04 

Loading

4 July 2017 admin
← ભારતીય સંસ્કૃિતમાં કામનું ‘સ્ખલન’
Decoding new India →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved