Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય પરંપરાની સમૃદ્ધ ઉદારતા અને લચીલાપણું પુરુષપ્રધાન અને સવર્ણપ્રધાન છે. એમાં દલિતો ને સ્ત્રીઓનો સમાવેશ નથી થતો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 May 2017

એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની ને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટ્રિપલ તલાકના મુદ્દે કોઈ પક્ષે રાજકારણ ન કરવું જોઈએ. તેમણે બીજી વાત એ કહી છે કે ભારતીય દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી વખતોવખત જરૂરી સુધારા થતા રહે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય પરંપરાને અનુસરીને અને બદલાયેલા સમયની જરૂરિયાત પારખીને મુસ્લિમ સમાજ પોતે જ ટ્રિપલ તલાકનો અંત લાવશે અને મુસ્લિમ બહેનોને ન્યાય મળશે. વડા પ્રધાનની વાત સાચી છે. કોઈ રાજકીય પક્ષે ધર્મનું રાજકારણ ન કરવું જોઈએ. વડા પ્રધાન આવું બોલે છે ત્યારે ઘડીભર વ્હાલ વકરી લેવાનું મન થઈ આવે છે, પરંતુ ત્યાં તો બીજા દિવસે ગાંવ મેં યદિ કબ્રસ્તાન હો સ્મશાનભૂમિ ભી હોની ચાહિએ એવું કથન સાંભળવા મળે છે અને મન ખાટું થઈ જાય છે. દેશના ભવિષ્ય વિશે ચિંતા થવા લાગે છે. ઓછામાં ઓછી વડા પ્રધાન પાસેથી એટલી અપેક્ષા રહે છે કે તેઓ તત્ત્વનો ખીલો પકડી રાખે જે રીતે જવાહરલાલ નેહરુ ગમે એવી સ્થિતિમાં પકડી રાખતા હતા. નેહરુની મહાનતા આ કારણે છે.

જે દિવસે વડા પ્રધાને મીઠીમધુરી વાત કહી એ દિવસે જ ઉત્તર પ્રદેશના એક પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે કામાંધ મુસલમાનો વાસના સંતોષવા ટ્રિપલ તલાકનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના આ એક પ્રધાન બહુ મોટી હસ્તી છે. તેઓ BJPના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ હતા અને તેમના નેતૃત્વમાં BJPને ઉત્તર પ્રદેશમાં ભવ્ય વિજય મળ્યો હતો. તેઓ મુખ્ય પ્રધાન થતાં-થતાં રહી ગયેલા માણસ છે. આવાં તો બીજાં અનેક કથનો ટાંકી શકાય એમ છે અને એવાં કથનો કરનારાઓમાં ખુદ નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. આનો દેખીતો અર્થ એ થયો કે વડા પ્રધાન પોતે અને BJP સમયે-સમયે જરૂરિયાત મુજબ ધર્મનું રાજકારણ કરે છે. પ્રમાણ જોઈએ તો એક નહીં હજાર મળી શકે એમ છે.

યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારા લોકોએ બંધારણસભામાં આ પ્રશ્ન કઈ રીતે હાથ ધરવામાં આવ્યો હતો એના પર એક નજર કરવી જોઈએ. એ પ્રશ્નને ધર્મની એરણે, સુધારાઓની એરણે, સ્ત્રીઓને મળવા જોઈતા ન્યાયની એરણે અને ભારતની એકતા તેમ જ ભવિષ્યની એરણે તપાસવામાં આવ્યો હતો. સાંગોપાંગ અભ્યાસ કર્યા પછી એટલો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધર્મના નામે અન્યાય કરવાનો કોઈને અધિકાર નથી. જો અન્યાયી રિવાજ, કાયદો કે વિધિવિધાન કાયમ રાખવા માટે ધર્મની આડ લેવામાં આવતી હોય તો સંબંધિત સમાજને સમજાવવો જોઈએ અને યોગ્ય સમયે ભવિષ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવામાં આવે.

પુરુષોને ફાયદો કરી આપનારા કાયદાઓ અને રિવાજોને ટકાવી રાખવા માટે પુરુષો દ્વારા ધર્મની આડ લેવામાં આવે છે એ એક હકીકત છે. એ અર્થમાં એ પ્રશ્ન ધાર્મિક છે એમાં કોઈ શંકા નથી. કોઈ સમાજનો સ્થાપિત વર્ગ ધર્મનો દુરુપયોગ કરતો હોય તો બીજા લોકોને એનો વિરોધ કરવાનો અધિકાર છે. અધિકાર નહીં, એ તેમની ફરજ બને છે. એ ફરજ બને છે એટલે તો બંધારણસભામાં એ વિશે ચર્ચા થઈ હતી. સવાલ એ છે કે એ વિરોધ ન્યાયકેન્દ્રી હોવો જોઈએ કે ધર્મકેન્દ્રી? જો ન્યાયની ખેવના હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય અને જો ધર્મ કેન્દ્રમાં હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય.

વાચકોએ નોંધ્યું હશે કે ન્યાયની ખેવના ધરાવનારા લોકો જ્યારે યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ કરે છે ત્યારે તેમની દલીલો અને ભાષા શરિયતના કાયદાઓનો બચાવ કરનારા મુસ્લિમ પુરુષોની અને સંઘપરિવારની દલીલો અને ભાષા કરતાં જુદાં પડે છે. ધર્મને કેન્દ્રમાં રાખીને શરિયતનો બચાવ કરનારાઓની દલીલો અને ભાષા જુનવાણી હોય છે જ્યારે ધર્મને કેન્દ્રમાં રાખીને યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારાઓની દલીલો અને ભાષા કોમી હોય છે. એટલે તો સ્વામી પ્રસાદ મૌર્યે કોમી અને અભદ્ર ભાષામાં યુનિફૉર્મ સિવિલ કોડની વકીલાત કરી છે. આ સંઘપરિવારની વૈચારિક પરંપરા છે અને વડા પ્રધાને જે કહ્યું છે એ અપવાદ છે. આપણે આશા રાખીએ કે વડા પ્રધાને કરેલી દલીલો અને વાપરેલી ભાષા અપવાદ મટીને સંઘપરિવારમાં નિયમ બને, નવી પરંપરા બને.

ભારતની દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી આપોઆપ સુધારાઓ થતા રહે છે એ વડા પ્રધાને કહેલી બીજી વાત આંશિક પ્રમાણમાં સાચી છે. એમાં કોઈ શંકા નથી કે ભારતમાં અનેક સામાજિક સુધારાઓ સ્થળકાળની જરૂરિયાત મુજબ થતા આવ્યા છે. સુધારાઓમાં ધર્મ આડો આવતો હોય અને મોટા પ્રમાણમાં સમાજ વિગ્રહ થયો હોય એવું ભારતમાં બન્યું નથી જેવું પશ્ચિમના દેશોમાં અને અન્યત્ર બન્યું છે. વાચકોને મારે એટલું જ કહેવું છે કે વીતેલા યુગમાં અને આધુનિક ભારતમાં સુધારાઓના પક્ષે કરવામાં આવેલી દલીલો અને ભાષાનું સ્વરૂપ કેવું હતું એના પર એક નજર કરી જાય. એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને સૂફીઓની, આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની અને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય. 

આમ છતાં કેટલાક સુધારાઓ નહોતા થયા એ નહોતા જ થયા. ન્યાય, માનવતા અને કરુણાસભર દલીલોની લાંબી પરંપરા હોવા છતાં ખાસ કરીને દલિતો અને સ્ત્રીઓ સાથે ન્યાય કરવામાં નહોતો આવ્યો. આ કામ છેવટે બંધારણસભાએ અને એ પછી હિન્દુ કોડ બિલ લાવીને ભારત સરકારે કરવું પડ્યું હતું. એ સમયે કૉન્ગ્રેસના જુનવાણી વિચારો ધરાવનારા નેતાઓએ અને સંઘપરિવારે એનો વિરોધ કર્યો હતો. જો એ સમયે હિન્દુઓએ એનો વિરોધ ન કર્યો હોત તો કદાચ એ સમયે જ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો હોત. ભારતના વિભાજન પછી મુસલમાનો શરિયતના કાયદાઓ માટે આગ્રહ કરવાની સ્થિતિમાં નહોતા. આમ ભારતની દાર્શનિક પરંપરા લચીલી અને સમૃદ્ધ છે એમાં કોઈ શંકા નથી, પરંતુ એ એટલી પણ લચીલી અને સમૃદ્ધ નથી કે રાજ્યે હસ્તક્ષેપ ન કરવો પડે. મુસલમાનો સાત દાયકા પછી પણ સ્વૈચ્છિકપણે સ્ત્રીઓને ન્યાય આપવાની પહેલ કરતા નથી એટલે રાજ્યે હસ્તક્ષેપ કરવો પડે છે. એનો અર્થ એ થયો કે ભારતીય પરંપરાની સમૃદ્ધ ઉદારતા અને લચીલાપણું પુરુષપ્રધાન અને સવર્ણપ્રધાન છે. એમાં દલિતો અને સ્ત્રીઓનો સમાવેશ નથી થતો.

વડા પ્રધાન ભૂલ્યા ત્યાંથી ફરી ગણવા માગતા હોય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ. અહીં માત્ર વાસ્તવિકતાનો અરીસો સામે રાખવામાં આવ્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 મે 2017

Loading

2 May 2017 admin
← India’s Kashmir Policy: Way Forward
સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી : ટર્કીના પ્રમુખ એર્ડવાને ભારતને સલાહ આપતાં પહેલાં એક નજર ઘરઆંગણે કરવી જોઈએ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved