Opinion Magazine
Number of visits: 9449308
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં સંસ્મરણો આધારિત પુસ્તકોનો દુકાળ કેમ?

વિશાલ શાહ|Opinion - Opinion|23 March 2017

ભારતમાં ઉત્તમ કક્ષાના મેમોઇર્સ કેમ નથી લખાતા? મેમોઇર્સ અર્થાત્ સંસ્મરણો. મેમોઇર્સ શબ્દ ફ્રેંચ ભાષાના મેમોરિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. મેમોરિયા એટલે મેમરી. મેમરી એટલે યાદો કે યાદગીરીઓ. મેમોઇર્સમાં ઘટના પાછળની અજાણી ઘટનાની વાત હોય છે, જ્યારે ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથામાં સમગ્ર જીવનનું કથન હોય છે. સંસ્મરણો અને આત્મકથા, બે જુદા પ્રકારના 'સંભારણાં' છે. આત્મકથા કંટાળાજનક હોઇ શકે છે, પરંતુ સંસ્મરણોની પ્રાથમિક શરત છે કે તે રસપ્રદ હોવાં જોઈએ. મેમોઇર્સ ખરેખર એવા જ લોકોએ લખવા જોઈએ, જે ‘રસપ્રદ’ અને ‘અંદરની’ માહિતી ધરાવતા હોય. એટલે જ નવી અને અંદરૂની માહિતી પીરસતાં સંસ્મરણો આત્મકથા કરતા હંમેશાં વધારે લોકપ્રિય રહ્યાં છે. રાજકારણીઓ, ઉચ્ચ સરકારી હોદ્દેદારો, લશ્કરી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ કે ફિલ્મ સ્ટાર્સ સંસ્મરણો લખે ત્યારે આગામી પેઢીને 'શું કરવું અને શું ના કરવું' એનો બોધપાઠ મળે છે.

જો કે, ઉત્તમ કક્ષાનાં સંસ્મરણો વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં નહીં પણ અમેરિકા, યુરોપિયન દેશો અને એશિયામાં જાપાનમાં લખાયાં છે. અમેરિકામાં સેનેટર અને એટર્ની જનરલના હોદ્દે રહી ચૂકેલા રોબર્ટ કેનેડીએ લખેલું 'થર્ટીન ડેઝ: એ મેમોઇર ઓફ ધ ક્યુબન મિસાઇલ ક્રાઇસીસ' નામનું પુસ્તક કૉલ્ડ વૉરની વિગતો આપતું અત્યંત રસપ્રદ મેમોઇર્સ છે. આ પુસ્તકમાં રોબર્ટ કેનેડીએ ૧૬થી ૨૮મી ઓક્ટોબર, ૧૯૬૨ના કુલ ૧૩ દિવસ ચાલેલા ક્યુબન મિસાઇલ ક્રાઇસીસની દિલધડક વિગતો આપી છે. એ ૧૩ દિવસ અમેરિકા અને રશિયા ક્યુબાની ધરતી પરથી પરમાણુ યુદ્ધ ખેલવા સામસામે આવી ગયા હતા. સદ્દનસીબે, આ પરમાણુ યુદ્ધ ટળી ગયું હતું. ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ તરીકે જાણીતી આ ઘટના બની ત્યારે રોબર્ટ કેનેડી અમેરિકાના ૬૪મા એટર્ની જનરલ હતા, અને તેમના ભાઇ જ્હોન કેનેડી અમેરિકાના ૩૫મા પ્રમુખ. આ પુસ્તકમાં રોબર્ટ કેનેડીએ ક્યુબન મિસાઇલ ક્રાઇસીસના ૧૩ દિવસ વ્હાઇટ હાઉસમાં શું થયું? તેમ જ જ્હોન કેનેડીએ કોની કોની સાથે ચર્ચાવિચારણા કરી અને તેઓ શું વિચારતા હતા? – એ અંગે રજેરજની વિગતો આપી છે.

ભારતની મહત્ત્વની રાજકીય ઘટનાઓના આ પ્રકારનાં સંસ્મરણો છે? જવાબ છે, ના. ભારતમાં સામાજિક આગેવાનો અને અનેક વરિષ્ઠ પત્રકારો માટે મેમોઇર્સ લખવાનો ઘણો અવકાશ છે, પરંતુ હજુ સુધી આપણને ઉત્તમ મેમોઇર્સ મળ્યાં નથી. જેમ કે, પાકિસ્તાન કે ચીન સાથે અનેક તણાવભર્યા પ્રસંગોએ ભારતે કયા સંજોગોમાં, કેવી રીતે નિર્ણયો લીધા એ વિશેનું 'ઇનસાઇડર વર્ઝન' આપણને જાણવા મળતું નથી. એ નિર્ણયો લેવામાં કોની, કેવી ભૂમિકા હતી એ પણ આપણે નથી જાણતા. હા, ભારતમાં લશ્કરી અધિકારીઓએ ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધ તેમ જ સિઆચેન અને કારગીલમાં કરાયેલી લશ્કરી કાર્યવાહીનાં પુસ્તકો લખ્યાં છે, પરંતુ એ પુસ્તકો પણ 'અમારો વાંક નહોતો' એવું કહેવા લખાયાં હોય એવા વધારે છે.

કારગીલ યુદ્ધનું સૌથી ઉત્તમ પુસ્તક 'એરપાવર એટ ૧૮૦૦૦: ધ ઈન્ડિયન એરફોર્સ ઇન ધ કારગીલ વૉર' છે, પરંતુ એ ભારતીયએ નહીં બેન્જામિન લેમ્બેથ નામના વિદેશી લેખકે લખ્યું છે. આપણી પાસે જમ્મુ-કાશ્મીર, શ્રીલંકા, નાગાલેન્ડ અને મિઝોરમમાં કરાયેલી ઐતિહાસિક લશ્કરી કાર્યવાહીના પ્રમાણભૂત મેમોઇર્સ નથી. એવી જ રીતે, મુંબઇ હુમલા જેવી અત્યંત મહત્ત્વની ઘટના પર પ્રકાશ પાડતું 'ધ સીજ: ૬૮ અવર્સ ઇનસાઇડ ધ તાજ હોટેલ' નામનું પુસ્તક પણ એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામનાં બ્રિટિશ પત્રકાર દંપતીની દેન છે.

અહીં હાર્ડકોર હિસ્ટરી મતલબ નોન-ફિક્શનની વાત થઇ રહી છે. આત્મકથા કે સંસ્મરણો સત્ય ઘટના છે. એમાં કલ્પનાનું તત્ત્વ કેવી રીતે હોઇ શકે! આપણા પૌરાણિક ગ્રંથોમાં ઐતિહાસિક હકીકતો સાથે કલ્પનાઓનું પ્રચુર માત્રામાં મિશ્રણ છે. ઇતિહાસની ગંભીરતા ના સમજનારો સમાજ કલ્પનાઓને 'ઇતિહાસ' એટલે કે 'સત્ય ઘટના' માનતો જાય એમાં નવાઇ ના લાગવી જોઇએ. આ રીતે લોકપ્રિય થયેલો ઇતિહાસ માન્યતા બની જાય છે અને માન્યતાઓને લોકમાનસમાંથી ભૂંસવી ખૂબ અઘરું કામ છે.

ઇતિહાસની સાબિતીઓ ના મળે ત્યારે થિયરીઓનો પ્રવેશ થાય છે, પરંતુ થિયરી ખુદ એક તૂત છે. હજુ થોડા દિવસ પહેલાં જ રાજસ્થાન યુનિવર્સિટીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે, હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપ અકબર સામે હાર્યા હતા એવું પાઠ્યપુસ્તકોમાં નહીં દર્શાવવું જોઈએ! જો કે, ભારે વિવાદ થતાં રાજસ્થાન યુનિવર્સિટીએ બેકફૂટ પર આવવું પડ્યું અને ઇતિહાસની બલિ ચઢતા રહી ગઈ! આ તો ભારતીયોની ઇતિહાસ પ્રત્યેની બેદરકારીનું નાનું અને તાજું ઉદાહરણ માત્ર છે.

જાણીતા બ્રિટિશ લેખક ફ્રેન્ક હેરિસે (૧૮૫૫-૧૯૩૧) એક વાર મજાકમાં કહ્યું હતું કે, ''સંસ્મરણો ફિક્શનનો બહુ જાણીતો પ્રકાર છે.'' આવું નિવેદન કર્યા પછી હેરિસે 'માય લાઇફ એન્ડ લવ્સ' નામે સંસ્મરણો લખ્યાં હતાં, જેના પર દુનિયાના અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આ પુસ્તકમાં હેરિસે પોતાના અનેક સેક્સ્યુઅલ એન્કાઉન્ટરો વિશે દિલ ખોલીને લખ્યું હતું. જાત સાથે પ્રામાણિક રહીને લખાયેલાં પુસ્તકો લાંબા ગાળે ક્લાસિક બની જાય છે, પરંતુ ઇતિહાસની એરણે શંકાસ્પદ ઠરેલી આત્મકથાઓ કે સંસ્મરણોનું મૂલ્ય આપોઆપ ભૂંસાઇ જાય છે.

તાજેતરના ભારતના રાજકીય ઇતિહાસમાં પાંચેક મેમોઇર્સ લખાયાં છે, જે માત્ર થોડો ઘણો સમય રાજકીય ગરમાવો સર્જવામાં સફળ રહ્યાં હતાં. આજીવન કોંગ્રેસી રહેનારા નટવરસિંહે 'વન લાઇફ ઇઝ નોટ ઇનફ' નામે મેમોઇર્સ લખ્યાં છે. આ પુસ્તકમાં તેમણે દાવો કર્યો છે કે, સોનિયા ગાંધીને ૨૦૦૪માં વડાંપ્રધાન બનવું હતું, પરંતુ રાહુલ ગાંધીએ તેમને રોક્યા હતા. એ પછી સોનિયાએ કહ્યું હતું કે, નટવરસિંહને જૂઠા સાબિત કરવા હું પણ એક પુસ્તક લખીશ! એક રાજકારણી, લશ્કરી અધિકારી, ઉદ્યોગપતિ કે ફિલ્મ સ્ટારે પોતાના જીવનમાં બનેલી મહત્ત્વની ઘટના વખતે, કયો નિર્ણય-કયા સંજોગોમાં લીધો હતો, એ વિશે તટસ્થ મૂલવણી કરીને લખવું ઊંડી સમજ માગી લે છે.

સંજય બરુનું 'મનમોહન સિંહ: ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને પી. સી. પરખનું 'ક્રૂસેડર ઓર કોન્સ્પિરેટર: કોલગેટ એન્ડ અધર ટ્રૂથ્સ' નામનાં મેમોઇર્સે પણ ઘણી ચર્ચા જગાવી હતી. આ બંને લેખકોનાં પુસ્તકોમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વટાણા વેરી દેતી વિગતો રજૂ કરાઈ છે, પરંતુ તેની વિશ્વસનિયતા સામે પણ અનેક સવાલો ઊઠી ચૂક્યા છે. લાલકૃષ્ણ અડવાણીએ 'માય કન્ટ્રી, માય લાઇફ' નામે મેમોઇર્સ લખ્યાં છે, જેમાં તેઓ પોતાને લોહપુરુષ સાબિત કરવા મથામણ કરતા હોય એવું લાગ્યા કરે છે.

વર્ષ ૧૯૪૬થી નહેરુ સાથે કામ કરનારા એ.ઓ. મથાઇએ 'રેમિનિસન્સ ઓફ ધ નહેરુ એજ' અને 'માય ડેઝ વિથ નહેરુ' નામે બે મેમોઇર્સ આપ્યાં છે. આ બંને પુસ્તકો ભારતમાં પ્રતિબંધિત છે કારણ કે, તેમાં નહેરુ અને અન્ય રાજકારણીઓનું ‘અંગત જીવન’ પણ ઉજાગર કરાયું છે. પુસ્તકો વાંચ્યા વિના પ્રતિબંધો મૂકવાના બદલે તેની જાહેર ચર્ચા થવી જોઈએ. ફક્ત બીજાની માનહાનિ કરવાના ઇરાદે લખાયેલાં પુસ્તકો આપોઆપ ભૂલાઇ જ જતા હોય છે. જો કે, આપણે કોઇ સંત તો ઠીક, નેતાઓ અને ફિલ્મ સ્ટારને પણ ભગવાન બનાવી દઈએ છીએ. એ લોકો પણ આપણા જેવા માણસ જ છે અને ભૂલ કરી શકે છે એવી સીધીસાદી વાત પણ આપણે સ્વીકારી શકતા નથી.

ગાંધી, નહેરુ કે આંબેડકર જેવા ધરખમ નેતાઓની વાત કરતી વખતે પણ આપણે જજમેન્ટલ બની જઈએ છીએ અને વાંક તોળવા બેસી જઇએ છીએ કારણ કે, એનાલિટિકલ થિંકિંગની આપણને  ટેવ જ નથી. ગમે તેવી ગંભીર અને જટિલ બાબતોનું પણ ઓવર સિમ્પિલિફિકેશન ના કરીએ ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. આપણે સત્ય પણ સ્વીકારી શકતા નથી. થોડી જુદી વાત કરનારા સામે અસહિષ્ણુ થતા આપણને વાર નથી લાગતી. એક સરેરાશ ભારતીય ચર્ચા કરતી વખતે શાંતિથી સાંભળતો નથી, પણ ‘સામેવાળો ચૂપ થાય એટલે ઝડપથી મારો અભિપ્રાય આપું’ એની ફક્ત રાહ જોતો હોય છે!

આ પ્રકારના સમાજનું પ્રતિબિંબ ભારતના રાજકારણમાં પણ ઝીલાય છે. આપણા મોટા ભાગના રાજકારણીઓ અને ઉચ્ચ હોદ્દેદારોની તમામ શક્તિ એકબીજા સામે તમાશબીન રાજકારણ ખેલવામાં અને કૌભાંડોમાંથી હેમખેમ બહાર નીકળવામાં જ ખર્ચાઇ જાય છે. વળી, આઝાદ ભારતના રાજકારણમાં શરૂઆતથી જ ઉપરથી છેક નીચે સુધી ભ્રષ્ટાચાર, બદલાખોરી, ગુનાખોરી અને ટાંટિયાખેંચની બોલબાલા છે. ભારતની એકેય ભાષામાં ઉત્તમ મેમોઇર્સ નથી મળ્યાં એની પાછળના સૌથી મહત્ત્વનાં કારણો કદાચ આ છે.

આજના પશ્ચિમી સમાજમાં ઇતિહાસને ફક્ત ઇતિહાસની રીતે જોવાય છે. અમેરિકા, યુરોપ અને જાપાન એક સમાજ-જૂથ તરીકે પોતાની ભૂલો જાહેરમાં સ્વીકારતા ખચકાતા નથી. વિકસિત દેશોમાં કોઇ પણ વ્યક્તિની બોલીને કે લખીને ટીકા થઇ શકે છે. એવું કરવાથી કોઇ અસહિષ્ણુ કે દેશદ્રોહી નથી થઇ જતું. ટૂંકમાં, હોબાળો તો નથી જ મચી જતો. મેરિલ સ્ટ્રીપ જેવી દિગ્ગજ હોલિવૂડ સ્ટાર ઓસ્કાર સમારંભમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બોલી શકે છે, પરંતુ ભારતમાં ગમે તેવી લોકપ્રિય સેલિબ્રિટી ફક્ત કોઈ મુદ્દો ઉઠાવે તો પણ રાતોરાત વિલન બની જાય છે! આમિરખાનથી લઈને શાહરૂખ ખાન સુધીના અનેક ઉદાહરણો તાજા જ છે. મુદ્દો ઉઠાવવાની વાત તો ઠીક, જો કોઇ ફિલ્મસ્ટાર થોડો જુદો અભિપ્રાય આપે તો પણ આપણે તેને કઠેડામાં ઊભો કરીને, માફી મંગાવીને વિકૃત આનંદ લેતા ખચકાતા નથી. ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ‘સોફ્ટ ટાર્ગેટ’ છે કારણ કે, કોસ્મોપોલિટન, સેક્યુલર, મોડર્ન, ઓપન, બિન્દાસ અને ખુશમિજાજ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. 

ભારતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક રસપ્રદ મેમોઇર્સ મળ્યાં છે. પરંતુ જાહેર જીવનના ક્ષેત્રમાંથી સમયાંતરે ઉત્તમ મેમોઇર્સ મળતાં રહે એ આગામી પેઢીને ઇતિહાસ બોધ આપવા ખૂબ જ જરૂરી છે કારણ કે, ઇતિહાસ જ આપણને શીખવે છે કે, શું ન કરવું!

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2017/03/blog-post_21.html

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/magazine-shatdal-frankly-speaking-vishal-shah-15-march-2017

Loading

23 March 2017 admin
← UP Assembly Elections 2017: Deepening of Communal Polarization
Wanted by Anti-Romeo Squad, UP, India →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved