Opinion Magazine
Number of visits: 9449547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારો વાલો ગાંધીડો : કંઈક તો છે એમાં કે મારવા છતાંય મરતો નથી, કોઈ મારવાનો રસ્તો બતાવો

રમેશ ઓઝા|Gandhiana|30 January 2017

શા માટે ગાંધીજી જે કહી ગયા છે એનો એ જ અર્થમાં સ્વીકાર કરવામાં આવતો નથી? ગાંધીજીને કોઈ ગાળો દે તો એની પીડા થતી નથી એવો અનુભવ તમને નથી થતો? આવું શા માટે બની રહ્યું છે? તમે ક્યારે ય આ વિશે વિચાર્યું છે?

ગાંધીજી નસીબદાર તો ખરા જ. કોઈ તેમના પર કબજો નથી જમાવતું કે કોઈ તેમના પર દાવો નથી કરતું. શિવાજી, લોકમાન્ય ટિળક, મહાત્મા ફુલે, ડૉ. આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરે પર તેમની કોમના કે પ્રાંતના લોકોએ કબજો જમાવ્યો છે અને માલિકીપણાનો દાવો કરી રહ્યા છે; પરંતુ ગાંધીજી આમાં બચી ગયા છે. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા એ પછી ઘણા સમય સુધી ભારતના નેતાઓને ગાંધીજી સમજાતા જ નહોતા. એવો તે કેવો નેતા જે ધર્મ, કોમ, જ્ઞાતિ કે પ્રાંતની વાત જ નથી કરતો અને જો કોઈ વાત કાઢે તો એનો અસ્વીકાર કરે છે? માનવ વિશેષ (જ્ઞાતિ, ધર્મ, પ્રાંત, ભાષા, દેશ જે વિશેષતા વહાલી હોય એ) માટે રાજકારણ કરવાનું હોય, સકલ માનવજાત માટે રાજકારણ થોડું હોય! અધ્યાત્મ પણ સકલ માનવજાત માટે રહેવા દીધું નથી, જ્યારે આ માણસ તો રાજકારણમાં સકલતા લાવવા માગે છે.

જરૂર આ કોઈ ધૂર્ત માણસ હોવો જોઈએ. એ સમયના નેતાઓના એક જૂથે ગાંધીજી વિશે આવું અનુમાન કર્યું હતું. નહીં, નહીં, આ માણસ ભોળો સંન્યાસી છે જેને રાજકારણનું ભાન નથી એવું અનુમાન એ સમયના રાજકારણીઓના બીજા જૂથે કર્યું હતું. બીજા તો ઠીક, લોકમાન્ય ટિળકને આ કોયડાનો ઉકેલ જડતો નહોતો. તેમણે તેમના એક ખાસ વિશ્વાસુ સાથીને કહ્યું હતું કે અલ્યા, તપાસ તો કર આ કઈ જ્ઞાતિનો છે? આ માણસ નથી બહુજન સમાજની ભાષામાં બોલતો, નથી સવર્ણોની ભાષામાં બોલતો, નથી જહાલોની ભાષામાં બોલતો કે નથી મવાળોની ભાષામાં બોલતો. તે અંગ્રેજોની પણ ટીકા કરે છે તો દેશીઓની પણ ટીકા કરે છે, તે મંદિરમાં નથી જતો; પણ સવાર-સાંજ પ્રાર્થના કરે છે, તે બૅરિસ્ટર છે પણ દેશી ખેડૂત જેવાં કપડાં પહેરે છે, તે મેલું ઊંચકે છે અને ફાંકડું અંગ્રેજી બોલી જાણે છે. આખરે આ માણસ છે કોણ? કઈ જ્ઞાતિ કે ધર્મ આવાં લક્ષણો ધરાવે છે જેમાંથી આવો માણસ પેદા થઈ શકે?

ખોજ ગાંધીની નહોતી કરવામાં આવતી, ગાંધીનાં મૂળ અને કુળની કરવામાં આવતી હતી. આ જગતમાં એવી કઈ જાત છે જે આવો માણસ પેદા કરી શકે. જાતિ-ધર્મનાં ઓળખી શકાય અને પકડી શકાય એવાં કોઈ લક્ષણો આ માણસ ધરાવતો જ નથી. એ ખોજ ત્યારે કરવામાં આવી હતી એવું નથી, ગાંધીજીના ભારતઆગમન પછીથી આજે સો વર્ષેય આ ખોજનો અંત નથી આવ્યો. જાતિ-ધર્મનાં ઓળખી શકાય અને પકડી શકાય એવાં કોઈ પ્રકારનાં લક્ષણો નહીં ધરાવતો માણસ હોઈ શકે જ કઈ રીતે અને જો હોય તો તે રડ્યો ખડ્યો સંન્યાસી હોય; જ્યારે આ માણસે તો રાજકારણમાં પોતાની જગ્યા બનાવી છે અને લોકોનાં દિલ જીત્યા છે. જરૂર આ માણસ ધૂર્ત છે. ધૂર્ત નહીં, મહાધૂર્ત છે એમ પણ કેટલાક લોકોને લાગતું હતું અને આજે પણ લાગે છે.

એ ટકલુ (ગાંધીજી માફ કરે) દલિત વિરોધી હતો. જોતા નથી આખો દિવસ રામ-રામ કરતો હતો અને ડૉ. આંબેડકર પાસે ધરાર પુનાનો કરાર કરાવ્યો હતો. એ ધૂર્ત સંન્યાસીના વેશમાં હિન્દુ વિરોધી કામ કરતો હતો. વિલાયતીઓનો એજન્ટ હતો એટલે એવા માણસનો તો વધ જ કરવો જોઈએ. વો નંગા ફકિર તો ફકિર કે લિબાસ મેં કાફિર થા, મુસલમાન કાફિર પર કૈસે ભરોસા કર સકતા હૈ? અરે વો તો ઐયાશ બુઢ્ઢા થા. દો-દો લડકિયોં કો દોનોં તરફ રખ કર ઘૂમતા થા વગેરે-વગેરે. તમે પણ આમાંનો કોઈ એક અભિપ્રાય ધરાવતા હશો અને જો ન ધરાવતા હો તો તમારે સત્વરે મનોચિકિત્સક પાસે જવું જોઈએ.

આવું શા માટે બની રહ્યું છે? શા માટે ગાંધીજી જે રીતે જીવ્યા એને એ રીતે અપનાવવામાં આવતા નથી? શા માટે ગાંધીજી જે કહી ગયા છે એનો એ જ અર્થમાં સ્વીકાર કરવામાં આવતો નથી? ગાંધીજીને કોઈ ગાળો દે તો એની પીડા થતી નથી એવો અનુભવ તમને નથી થતો? આવું શા માટે બની રહ્યું છે? તમે ક્યારે ય આ વિશે વિચાર્યું છે?

મન તો થાય છે કે આ પ્રશ્નો આ જ રીતે ઊભા રાખીને લેખ પૂરો કરું અને ઉત્તર શોધવાની જવાબદારી તમારા પર નાખું, પરંતુ બીજો વિચાર આવે છે કે મારે મારો ઉત્તર આપી દેવો જોઈએ.

મારો ઉત્તર એવો છે કે જ્ઞાતિ, ધર્મ અને બીજી ઓળખના DNA ગાંધીજીમાં જડતા નથી એને કારણે આપણે પરેશાન છીએ. ગાંધીજીમાં નિર્ભેળ નર્યા માણસનાં DNA છે જે સ્વીકારવામાં આપણને તકલીફ પડે છે. લાખો વર્ષ પહેલાં માનવી માનવના DNA લઈને જ જન્મ્યો હતો અને એ રીતે જ જીવતો હતો. કેટલાંક હજાર વર્ષ પહેલાં માણસે સમાજની રચના કરી અને પોતપોતાના સમાજની ઓળખનાં લક્ષણો વિકસાવ્યાં. આ લક્ષણો માનવીએ વિકસાવેલાં છે, જન્મજાત નથી. પેઢી-દર પેઢી આપણે એ લક્ષણોને એટલી હદે ઘનીભૂત કર્યા છે કે હવે એ આપણને જન્મજાત લાગવા માંડ્યાં છે; પરંતુ વાસ્તવમાં એ કુદરતી નથી, માનવીય છે. માણસ અંગત સ્વાર્થની લડાઈમાં એકલો ન પડી જાય એ માટે ઓળખનાં લક્ષણોનો આશરો લઈને તે સમાજની ઓથ લે છે. નોંધી લો; સમાજ ઓથ માત્ર છે, ખરી લડાઈ તો અંગત સ્વાર્થની અને ગમા-અણગમાની છે.

ગાંધીજી આમાં નોખા નીકળ્યા. તેમની અંદર તો નિર્ભળ માનવીના DNA હતા. માનવીને જ વફાદાર રહ્યા અને સકલ માનવજાતની ઉપાસના કરી. તેઓ ત્યાં પહોંચી ગયા જ્યાં આપણે પહોંચી શકતા નથી અને પહોંચવા માગતા પણ નથી. શા માટે? કારણ કે ડર લાગે છે. ત્યાં હરિનો મારગ છે શૂરાનો જેવી સ્થિતિ છે. આપણને માફક આવતા અને હૂંફ આપનારાં સુપરિચિત ઓળખનાં લક્ષણો આધારિત સમાજની ઓથ ત્યાં નથી. ગાંધીજીએ સુરક્ષા આપનારી ઓળખની ઓથ ઝૂંટવી લીધી અને એનાથી ઉપર રહેલા માનવીને જગાડ્યો. બીજા શબ્દોમાં કહીએ તો આપણી સ્વાર્થની અને ગમા-અણગમાની લડાઈમાં ગાંધીજી કામમાં તો આવતા નથી, ઊલટું આડા આવે છે.

માનવીની અંદર રહેલા માણસને ઓળખવાની અને જગાડવાની વાત ગાંધી પહેલાં બીજા અનેક દાર્શનિકોએ કરી છે અને એ બધાને આપણે આદરપૂર્વક યાદ કરીએ છીએ. કેટલાકને તો મંદિરોમાં બેસાડીને પૂજીએ પણ છીએ. ગાંધીજી પણ જો આટલેથી અટકી ગયા હોત તો તેમને પણ પૂજવામાં આવતા હોત. ગાંધીજીનો અપરાધ એ હતો કે તેમણે માનવકેન્દ્રી સમાજકારણ દાખલ કર્યું, જે ચિરપરિચિત ઓળખ આધારિત સામાજિક ઓથના ભાંગીને ભુક્કા કરી નાખે છે. ભગવાં પર્હેયા વિના અને સમાધિ લગાવ્યા વિના લોકોની વચ્ચે રહીને, લોકોના પ્રશ્નો ઉઠાવીને, લોકોને આંદોલિત કરીને, લોકોને નિર્વ્યાજ પ્રેમ કરીને શુદ્ધ અદ્વૈત સાધી શકાય છે એ ગાંધીજીએ પહેલી વાર જગતને બતાવી આપ્યું. ગાંધીજી આંગળી પકડીને માનવીને ઓશન ઑફ હ્યુમેનિટી સુધી લઈ ગયા, જ્યાંની વ્યાપકતા જોઈને જ આપણને ડર લાગે છે.

એટલે તો ઐયાશ બુઢ્ઢા ટકલુનો આજના દિવસે વધ કરવામાં આવ્યો હતો અને એ પછી પણ નડતા રહે છે એટલે આપણે ગાળો દઈને રોજેરોજ વધ કરીએ છીએ. સિતાંશુ યશન્દ્ર કહે છે એમ મારો વાલો ગાંધીડો જિંદગીની વાટમાં ભટકાયા જ કરે છે અને કહો તો આડો આવે છે અને કહો તો રસ્તો બતાવે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 30 જાન્યુઆરી 2017

Loading

30 January 2017 admin
← ભારત-અમેરિકા ભાવવિશ્વ : ચાર દાયકે
લાલુ અને જૉલી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved