Opinion Magazine
Number of visits: 9483381
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતા

જુગલકિશોર વ્યાસ|Samantar Gujarat - Samantar|28 February 2013

સંસ્થાઓ અનેક પ્રકારની હોય છે. સંસ્થાના સ્થાપક દ્વારા કોઈ ચોક્કસ હેતુ કે હેતુઓ માટે થઈને એની સ્થાપના થઈ હોય છે. આ સંસ્થાઓમાં કેન્દ્રસ્થાને એના સ્થાપકો હોય અને તેના સંચાલનમાં પણ તે સ્થાપકોનું મહત્ત્વ હોય તે સહજ છે. પરંતુ સંસ્થાનું લક્ષ્ય હેતુસિદ્ધિ જ ગણાય અને તે હેતુસિદ્ધિ માટે થઈને જ સર્વ રચના–યોજના–સંચાલન થાય તે અનિવાર્ય હોય છે.
સ્વાભાવિક છે કે જ્યાં સુધી સ્થાપકોની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી સંચાલન તેમના હાથમાં રહે. સ્થાપકો પોતે જ આગળ જતાં સંચાલકોની નવી પેઢી તૈયાર કરીને પોતે સ્વેચ્છાએ નિવૃત્તિ લે તો તેવી વ્યવસ્થા ઉત્તમ ગણાય. એનાથી બે લાભો મળે છે. એક તો, નવી પેઢીને તૈયાર કરવાનો અવસર સ્થાપકોને મળી રહે છે અને બીજો લાભ એ છે કે સ્થાપકો કે જેઓની દૃષ્ટિ સમક્ષ મૂળભૂત હેતુઓ સચવાયેલા હોય છે તેને ધ્યાનમાં રાખીને બીજી પેઢીમાં પણ તે હેતુઓ કેન્દ્રસ્થાને રખાવી શકાય છે.
સંસ્થાના લાંબાગાળાના અસ્તિત્વ માટે હેતુસિદ્ધિ અનિવાર્ય હોઈ સંચાલકોમાં હેતુસિદ્ધિનું લક્ષ્ય સચવાઈ–જળવાઈ રહે તે પણ ખૂબ જ જરૂરી છે. સંસ્થાના અસ્તિત્વ માટે છેવટે તો સંચાલકો કરતાં ય વધુ મહત્ત્વનું છે તે હેતુઓનું જળવાઈ રહેવું. કારણ કે સંસ્થાના સ્થાપકો–સંચાલકો–વ્યવસ્થાપકો તો અનિવાર્યપણે બદલાતા જ રહેવાના છે. વ્યક્તિ કાયમી નથી, જ્યારે હેતુ તો અનિવાર્યપણે કાયમી હોય છે.
અલબત્ત સંસ્થાઓમાં સમયને અનુરૂપ કેટલાક ફેરફારોની આવશ્યકતા હોય જ. સમયનો પ્રવાહ સમાજની માંગમાં ફેરફારો લાવે છે; નવીનવી શોધખોળો દ્વારા સાધનો અને માધ્યમો –કાર્યપદ્ધતિઓમાં પરિવર્તનો જરૂરી બનાવે છે અને એ રીતે સંસ્થાઓના બાહ્યસ્વરૂપમાં કેટલાક ફેરફારોને અનિવાર્ય બનાવી દે છે. જો કે મૂળભૂત હેતુઓને કોઈ ખાસ અસર ઉપરોક્ત કારણોસર થતી નથી. ઘણી વાર આવા અનિવાર્ય બાહ્ય ફેરફારોને લીધે સંસ્થા બદલાઈ ગઈ હોય તેવો ભાસ પણ કેટલાકને થાય, છતાં હકીકતે એવું હોતું નથી. લક્ષ્યશુદ્ધિ હોય છે ત્યાં સુધી હેતુસિદ્ધિને કોઈ તકલીફ રહેતી નથી. સમયનો પ્રવાહ ભલે બાહ્ય ફેરફારો લઈ આવે, પણ મૂળભૂત હેતુ તરફનું લક્ષ જ્યાં સુધી અચૂક રહે છે ત્યાં સુધી સંસ્થાનો પ્રાણ એવા હેતુઓ ટકી રહે છે.
સવાલ છે તે લક્ષ્ય તરફનું લક્ષ. લક્ષ્ય સ્થિર અને કાયમી છે પરંતુ તે તરફ લક્ષ આપનાર વ્યક્તિ કાયમી નથી. અરે, એક જ વ્યક્તિનું લક્ષ પણ આજે છે તે કાલે ન પણ રહે. વ્યક્તિ પોતે જ એક સંકુલ રચનાનો ભાગ છે. એનાં મન–વિચાર–કર્મમાં સુક્ષતમ ફેરફારો સહજ થતા રહે છે. પરિણામે લક્ષ ક્યારેક કાં તો સહેજ ઘટે છે કે ક્યારેક ચુકાય છે. આ ક્યારેક ક્યારેક ઘટવા–ચુકાવાની ગતિવિધિઓ દરમિયાન જ સંચાલક વ્યક્તિની આસપાસ વીંટળાયેલી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ નાનીમોટી બખોલો તૈયાર કરી નાખે છે, કે ક્યારેક નવી લપસણી કેડી તૈયાર કરી આપે છે. આ લક્ષ–શિથિલતા સંચાલકોના ફેરબદલા વખતે તો ખાસ્સી વધી જતી હોઈ લક્ષ્ય સુધ્ધાંને ન સુધરી શકે તેવું નુકસાન કરી બેસે છે.
સ્થાપકો, નવી પેઢીના સંચાલકો, સમયના પ્રવાહો, વિજ્ઞાનની શોધખોળો/સગવડો, સમાજની બદલાતી રહેતી માંગ, સાધનો/પદ્ધતિઓમાંના ફેરફારો અને આ સૌની ઉપર, સૌથી મહત્ત્વનું તે લક્ષ સંસ્થાઓનું ભવિષ્ય ઘડે છે. સ્થાપકની હયાતીનો સમય–ગાળો, તેની લક્ષ્યલક્ષી નિર્ધારિતતા–અડગતા, સમજપૂર્વકની નિવૃત્તિ અને નવી પેઢીને કાર્યસોંપણી વગેરે દ્વારા સ્થાપકો પોતાની હયાતી ઉપરાંત બીજી પેઢી સુધી પણ સંસ્થાને લક્ષ્યસિદ્ધ રાખી શકે છે.
પરંતુ એની લક્ષ્યલક્ષિતા કેટલા પ્રમાણમાં અને ક્યાં સુધી બીજી પેઢી સાચવી–જાળવી શકશે તે બહુ મોટો અને ચિંતાભર્યો સવાલ છે.
ઘણી વાર તો ઘણીબધી પેઢીઓ વહી જાય છે. સંસ્થા અને વિચાર જાણે મર્યાં કે મરશે એવી ભીતિ અનુભવાય છે. શું સામાજિક વ્યવસ્થાઓ, શું ધાર્મિક સંસ્થાઓ/સંપ્રદાયો કે શું રાજકીય વ્યવસ્થાતંત્રો – બધાંને આ ચિંતાભર્યા સવાલો ભોગવવાના આવે છે જેના જવાબો આપવાનું સહેલું નથી હોતું.
છતાં સમયની એ પણ બલિહારી (કોઈ એને ઈશ્વરકૃપા કહે કે કુદરતની લીલા) છે કે, આ સંસ્થા, વિચાર, પંથ કે સંપ્રદાયને ક્યારેક અણધારી રીતે મૂળભૂત હેતુઓને અનુકૂળ–અનુરૂપ કોઈ વ્યવસ્થા મળી રહે છે; કોઈ વ્યક્તિજૂથ સાંપડી રહે છે કે કોઈ સિદ્ધહસ્ત, ચોટડૂક લક્ષક્ષમ, લક્ષ્યવેધી મળી આવે છે જે સમયાંતરે વિગલિતલક્ષ્ય બનેલ સંસ્થાને, વિચારને, કે સંપ્રદાયને નવેસરથી પાટા પર લાવી દે છે. આને કહેવો હોય તો ચમત્કાર કહી શકાય. પણ એ શક્ય છે, સહજ પણ હોઈ શકે છે.
આપણે શિક્ષણના માણસો ચારેબાજુથી ઘેરાએલાં હોઈએ છીએ. ‘ઘેરાએલાં’ એ અર્થમાં કે શિક્ષણ પોતે જ જીવનનાં બધાં પાસાંની સાથે સંબંધ ધરાવે છે. જીવનનું કોઈ એકાદ પાસું પણ કોરાણે રાખીને શિક્ષણ સાર્થક કહેવાતું/થતું/ રહેતું નથી. એ બધાં જ જીવનપાસાંથી ઘેરાએલું છે એમ કહેવું તેના કરતાં એમ કહેવું વધુ યોગ્ય રહેશે કે, શિક્ષણ પોતાની આસપાસનાં બધાં જ અંગોને સ્પર્શનારું, એનાથી વીંટળાયેલું હોય છે. શિક્ષણનો આંશિક સ્પર્શ પણ જે–તે પાસાને, અંગને, પ્રકાશ આપવા સક્ષમ હોય છે. એ આ બધાં અંગોથી ઘેરાએલું રહે એમાં જ એની સાર્થકતા છે.
અને એટલે જ શિક્ષણની સંસ્થા સ્થાપવાનું કામ કાચાપોચાનું નથી. બીજી પ્રવૃત્તિઓ કરતાં કરતાં શિક્ષણસંસ્થા ચલાવવી શક્ય નથી. ફૅક્ટરી ચલાવવા માટે શ્રમિકો, સુપરવાઇઝરો, મેનેજરો, મશીનો અને ક્વૉલિટીકંટ્રોલ વિભાગ વગેરે હોય તો ઘેરબેઠાં પૈસા પૂરા પાડીને તે ચલાવી શકાય છે. કારણ કે એનું લક્ષ્ય વેપાર–ઉદ્યોગ ‘ચલાવવાનું’ હોય છે. એના દ્વારા પૈસો રળવાનો હોય છે. ઉદ્યોગપતિનું લક્ષ્ય આમ, સાંકડું અને મર્યાદિત હોય છે. એટલે બહાર રહીને, અન્ય કાર્યો કરતાં કરતાં તેના પર લક્ષ આપી શકાય છે. જ્યારે શિક્ષણસંસ્થાનું લક્ષ્ય અત્યંત સંકુલ, અત્યંત સૂક્ષ્મ અને અનેકવિધ પરિણામોને પ્રાપ્ત કરવા તાકનારું હોય છે. એ કોઈ એકાદ પક્ષીની એકાદ આંખ વીંધવા પૂરતું નથી હોતું.
શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થી છે; તેનું કુટુંબ છે; સમાજ પણ છે અને સમગ્ર જીવનવ્યવસ્થા પણ છે. આ બધાંને પહોંચવા માટે કેન્દ્રિત થતું ધ્યાન – લક્ષ – સાધારણ હોઈ શકે જ નહીં. શિક્ષણક્ષેત્રનો માણસ અસાધારણ લક્ષક્ષમ હોય, એની ધ્યાનકેન્દ્રિતતા યોગીની નહીં પણ શતાવધાનીની હોય. ધ્યાનમાં મનને એક વિષય પર કેન્દ્રિત કરવાનું હોય છે. સમાધિની ઉચ્ચોચ્ચ સ્થિતિ તો નિર્વિકલ્પતાની હોય છે. જ્યારે શતાવધાની તો સો કેન્દ્રો ઉપર એક સાથે કેન્દ્રિત રહે છે. આ વિકેન્દ્રિત થતું લાગતું ધ્યાન – લક્ષ – ને ‘નહીં કેન્દ્રિત’ એ અર્થમાં નહીં લેતાં ‘વિશેષ કેન્દ્રિત’ કે ‘વિવિધ કેન્દ્રી’ એ અર્થમાં લેવાનું રહે છે. અને તેથી જ શિક્ષણસંસ્થાના સ્થાપક કે સંચાલકે સંસ્થામાં રહીને જ, એમાં સર્વાંગ સમર્પિત થઈને કાર્ય કરવાનું રહે છે.
કોઈ પણ સંસ્થાના સ્થાપકે પોતાની હયાતીમાં નવી પેઢીને તૈયાર કરવાનું; નવી પેઢીના સંચાલકે આવી મળેલી કામગીરી–જવાબદારી પ્રત્યે પૂરતું લક્ષ આપીને લક્ષ્યસંધાન અકબંધ રાખવાનું; સમયના પ્રવાહોને સાચવતાં રહીને અનિવાર્ય ફેરફારો કરતાં છતાં મૂળભૂત હેતુઓની સિદ્ધિ માટે મથતાં રહેવાનું હોય છે.
અને એમ જ, સૌએ પછીની પેઢીને પણ લક્ષ્યલક્ષિતા સહિતનું બધું જ સોંપીને સ્થાપકોને પરમ સંતોષ પહોંચાડવાનો હોય છે.

e.mail : jjugalkishor@gmail.com

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)

 

Loading

28 February 2013 admin
← ગધના − ગધનીનાં ગીત …
FARMERS’ DISTRESS AND HEALTH IN INDIA →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved