વૈકલ્પિક વિમર્શબોધ વગર, ચીસોટા લટકા કરે ચીસોટા સામે, એ તો કંઈ મત અને અભિપ્રાયની માવજતનો માર્ગ નથી
પ્રાઇમ ટાઇમ ટીવી પર કેમ જાણે એકે અવાજે (ખરું જોતાં, એકે ઘાંટેઘોંઘાટે) અમલ ચલાવતા અર્ણવ ગોસ્વામી હવે ‘ટાઇમ્સ નાઉ’થી સ્વતંત્રપણે મીડિયાકર્મ હાથ ધરવા ઇચ્છે છે, એ સમાચારને કેવી રીતે જોશું? અર્ણવની અદામાં કહીએ તો ધ નેશન વોન્ટ્સ ટુ નો. આ કળા અર્ણવ ગોસ્વામીએ ઠીક ઠીક ખીલવી હતી – અને યુ.પી.એ. શાસનની ઘણી વાતો ખુલ્લાણમાં આણી હતી. પ્રિન્ટ મીડિયામાં ‘ટેલિગ્રાફ’ અને ત્યાર પછી ઇલેક્ટ્રોનિક મીડિયામાં એન.ડી.ટી.વી.ની કામગીરી બાદ ‘ટાઇમ્સ નાઉ’ના એ આરંભકાર બની રહ્યા, અને એમાં પણ ડીબેટ ઉર્ફે મીડિયા ટ્રાયલ એ એનો ફ્લેગશિપ કાર્યક્રમ બની રહ્યો. 2006થી 2016ના આ દસકામાં આપણે ‘ટાઇમ્સ નાઉ’ અને અર્ણવ ગોસ્વામીને એકમેકના પર્યાયરૂપ ઉભરતાં જોયાં – અને ટીવી ક્ષેત્રે કુરુક્ષેત્રે બ્રાન્ડ અર્ણવની પ્રતિષ્ઠા પણ થતી જોઈ. પણ બ્રાન્ડ અર્ણવનો પહેલો અને બીજો તબક્કો, હમણે લગીના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ કદાચ સામસામે મૂકીને જોવાપણું છે. અથવા તો, બને કે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ જેટલા સામસામે જણાય છે એટલા જ સાથે સાથે વસ્તુત: છે કે કેમ એ તપાસવાપણું પણ લાગે.
2006 પછીનાં પાંચ સાત વરસ જોનારને મજા પડી ગઈ હતી, અને ચેનલને તડાકો પડી ગયો હતો. યુ.પી.એ. શાસનના ભ્રષ્ટાચારોની પરત પર પરત ખુલતી આવતી હતી – આવી વાતોમાં અલબત્ત વાસ્તવિકતા કરતાં ‘પરસેપ્શન’ વધુ મહત્ત્વનું બની રહેતું હોય છે. એક વાર ચૂંટી મોકલ્યા પછી પાંચ પાંચ વરસ સુધી જે પકડ્યા પકડાતા નથી એમને નાને પડદે તો નાને પડદે, વર્ચ્યુઅલ તો વર્ચ્યુઅલ, જે ધોકાધીબ ઠમઠોરવાનો મોકો મળે એનું સુખ કંઈ ઓછું નથી હોતું. એ દિવસોમાં ‘નેશન વોન્ટ્સ ટુ નો’ એ તારસ્વર જાણે કે હર કોઈની હૃદયવીણાને ઝંકૃત કરતો પણ અનુભવાતો હશે. એક ઍન્ટિ-એસ્ટાબ્લિશમેન અવાજ તરીકે અર્ણવનો ચોક્કસ દબદબો પણ ત્યારે બન્યો.
પણ આ પ્રક્રિયામાં જે ન સમજાયું તે એ હતું કે લોક વતી ‘નેશન વોન્ટ્સ’નો નારો બુલંદ કરતે કરતે આ પ્રતિભાને પોતે જ નેશન હોવાનો વહેમ આભડી ગયો. આવી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાનો એમને ખુદને વહેમ સરખોયે ન પડ્યો હોય એવું પણ બની શકે. અથવા તો, આ શૈલી દર્શકપ્રેક્ષકવિસ્તરણમાં ખાસી પરિણામદાયી અનુભવાયાથી એ રસ્તે લોકપ્રિયયતાથી માંડી ધંધાદારી સફળતાનો ચસકો પણ વળગી તો શકે.
કદાચ, આ મુદ્દાને આટલો ખેંચવાનું થોડાં વરસ પર ન પણ સૂઝયું હોત. પણ યુ.પી.એ.થી એન.ડી.એ.માં જે શાસન સંક્રાન્તિ થઈ તે પછી ‘નેશન’ અને ઍન્ટિ-એસ્ટાબ્લિશમેન અભિગમ બેઉ એકાકાર થઈ ગયાં. 1992 વખતે તો વીર અર્ણવ હજુ નોકરી ધંધે વળગ્યા નહોતા, પણ 1995 થી પૂરા એક દસકા દરમ્યાન ટેલિગ્રાફ – એન.ડી.ટી.વી. દિવસોમાં એમને બીજાં વાનાં સહિત કથિત રાષ્ટ્રવાદની રાજનીતિ પણ સમજાતી હશે. રાષ્ટ્રવાદ ત્યારે ચોક્કસ વિપક્ષનો ઇજારો હતો, અને કોમવાદની પૂરા કદની એ રાજકીય વિચારધારાનાં ટીકાત્મક પાસાં ન તો અર્ણવથી ઓઝલ હતાં, ન તો એમનાં અણગાયાં – અણઝિલાયાં પણ હતાં. એ રીતે સપન દાસગુપ્તા અને ચંદન મિત્રા જેવા કરતાં એ ભલે અંશત: પણ જુદા પડતાયે હોઈ શકતા હતા. અહીં કોઇ ઝીણી તપાસ કરવાનો ખયાલ નથી, પણ જે એક જાડું અવલોકન ઊપસી રહે છે તે આ છે.
તાજેતરનાં વરસોમાં અર્ણવ ગોસ્વામીએ આતંકવાદનો મુદ્દો જે રીતે ઊંચક્યો એ આ સંદર્ભમાં જોવા તપાસવા જેવો છે. એમણે તારસ્વરે, નૈષ્ઠિક દેશભક્તિપૂર્વક, પાકિસ્તાનમાંથી કાર્યરત આતંકવાદીઓનો મુદ્દો એવો તો ઊંચક્યો કે સરકારે હજુ ત્રણેક અઠવાડિયાં પર જ એમને ‘વાય’ સિક્યૉરિટી આપવાનો નિર્ણય કર્યો છે. એમની હરેક હલચલને, સલામત અંતરેથી, વીસ-વીસ રક્ષકોનાં રખોપાં હવે સુલભ છે. પણ ‘વાય’ સુરક્ષા પ્રાપ્ત અર્ણવ કેટલીક બાબતોમાં મીડિયાકર્મી કને અપેક્ષિત ‘વાય?’ (‘કેમ?’ ) એ ઇન્દ્રિય જાણે કે ગુમાવી બેઠાં છે.
કથિત ગુજરાત મોડલમાં જે બધા વીર વેશો નભી ગયા, એ રાષ્ટ્રીય સ્તરે પણ હવે બસંત બહાર તબક્કામાં છે … જરીક જુદો અવાજ, અને તમે રાષ્ટ્રવિરોધી! અર્ણવ ગોસ્વામીના ‘નેશન વોન્ટ્સ ટુ નો’ એ ચીસોટા હવે રાષ્ટ્રભકિતનો અવાજ નહીં પણ અવેજ હોય એમ બહાર આવી રહ્યા છે. પાકિસ્તાની કલાકારોને નામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જે ખંડણીખોર ટપોરી ખેલ પાડ્યો એના સમર્થનમાં ‘ટાઇમ્સ નાઉ’ના ચીસોટા તે હમણાં તરતનો દાખલો છે. મધ્યપ્રદેશના તાજા એન્કાઉન્ટર પ્રકરણમાં કેટલાક પાયાના પ્રશ્નો ઉઠાવી શકાય એમ છે. પણ ‘દેશભકિત’ તેમ કરવાની રજા નથી આપતી. હવે કોઈ આરોપી નથી. વગર કામ ચલાવ્યે, વગર ન્યાય તોળ્યે તે પરબારા આતંકવાદી છે.
હમણાં ‘ઘાંટે ઘોંઘાટે’ એમ આપણા પટનાયકની તારીફ કરી. એમાં જે વાનું અભિપ્રેત છે તે ચોખ્ખું કરી દેવું જોઇએ. આ ઢબની ચર્ચા વસ્તુત: ચર્ચા જ નથી રહેતી. મુદ્દાની ઊંડી તપાસ, વિશદ વિગતકારી, નુઆન્સ કહેતાં અર્થ અને ભાવની સૂક્ષ્મ છટાઓ અને નજાકત, કશાને એમાં અવકાશ નથી રહેતો. થોરોના શબ્દોમાં ‘વિચારોની પાવન રણભૂમિ સમું’ ચિત્ત એની વચ્ચે તર અને તમનો વિવેક ગુમાવી બેસે છે … એકંદરે ‘ફોકસ’ (સ્પષ્ટતાબિન્દુ) તહસનહસ અને ‘રૉકસ’ (કર્કશ કકળાટ) રંગે મોં!
એક રીતે, અર્ણવે ઇલેકટ્રોનિક મીડિયામાં એવી કામગીરી બજાવી છે જેવી અડવાણીએ રાજકારણમાં. બંને કહી શકે કે અમે જે આખો વિમર્શ લેફટ-લિબરલ-સેક્યુલર ધારામાં નેહરુના વારાથી ચાલતો હતો તે પલટાવી નાખ્યો છે. આ દાવો પોતાને ઠેકાણે તપાસલાયક છતાં ઠીક હોઈ શકે છે, પણ એ પલટાવીને તમે આપ્યું શું? ગાંધીનેહરુપટેલ એકંદરમતી ત્રણેને વારાફરતી સામસામા મૂકીને તોડ્યા પછી આજે જે વ્યામોહ વિમર્શને નામે સામે આવ્યો છે એમાં પૂછવા લાયક પ્રત્યેક પ્રશ્ન નેશન, નેશન એ દેકારા તળે દબાઈ જાય છે. ગાંધીનેહરુપટેલ એકંદરમતી વિમર્શને નવા સંદર્ભમાં ચોક્કસ તપાસ જરૂરત હોઈ શકે છે, એને અંગે સંસ્કારક (કરેક્ટિવ) વિચારચર્ચા પણ જરૂરી હોઈ શકે છે- જેમણે એકલા નેહરુને આગળ કર્યા એમની સામે એકલા પટેલનો પેચ ચાહો તો લડાવી શકો છો. પણ આંબેડકરસાહ્યા બંધારણમાં અભિપ્રેત એકંદરમતી વિમર્શનો અવેજ તો એ નથી.
અર્ણવ કહે છે કે હું પશ્ચિમી મીડિયાની ઇજારાશાહી દાદાગીરી તોડવા માગું છું. મારું મીડિયાકર્મ અભિપ્રાય અને મત ઘડવાનું છે … હું કોઈ પી.આર. પત્રકારિતાનો જીવ નથી. એમનું કહેવું આંખમાથા ઉપર. પણ વીરા મોરા, વૈકલ્પિક વિમર્શબોધ વગર, ચીસોટા લટકા કરે ચીસોટા સામે, એ તો કંઈ મત અને અભિપ્રાયની માવજતનો માર્ગ નથી. ‘ટાઇમ્સ નાઉ’ પછી ઉદ્યોગ સાહસી રાજકારણી રાજીવ ચંદ્રશેખર સાથે કે મીડિયામાર્તંડ રુપર્ટ મરડોક સાથે અગર તો ફોક્સ ન્યુઝ સાથે કે અન્યથા તમે નવપ્રસ્થાન વિચારતા હો ત્યારે તમને શું કહેવું, શિવાસ્તે પન્થાન: કે ઘોંઘાટાસ્તે કર્ણકંઠાન:?
નક્કી નથી કરી શકતો એમ કહું તો ક્ષમા કરશો.
———
સૌજન્ય : ‘મહત્ત્વનો ફરક’, “દિવ્ય ભાસ્કર”, 05 નવેમ્બર 2016