Opinion Magazine
Number of visits: 9446638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગતમાં કોઈ દેશને મળી નથી એટલી અનુકૂળતાને પ્રતિકૂળતામાં ફેરવી નાખનારા મૂરખાઓનો આ દેશ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 August 2016

આપણા દેશ પાસે વિશાળ માર્કેટ છે અને જગતમાં સૌથી મોટું યુવાધન છે. આપણો દેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોવાના કારણે બારેમાસ, લગભગ ૩૬૫ દિવસ અને ઓછામાં ઓછા દિવસના ૧૦ કલાક કામ થઈ શકે એવી મોસમની અનુકૂળતા છે. જગતના બહુ ઓછા દેશો આવું નસીબ ધરાવે છે. વાત અહીં પૂરી થતી નથી. ભારતને કુદરતે જેટલી કુદરતી સંપત્તિ આપી છે એટલી જગતના બીજા કોઈ દેશને આપી નથી. ભારત પર કુદરત જાણે ઓવારી ગઈ છે અને છતાં આપણે પછાત છીએ

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST), એનો પહેલી વાર પ્રસ્તાવ આવ્યો એ પછી ૧૨ વર્ષે અને ભારતે આર્થિક સુધારાઓ કરવાનું શરૂ કર્યું એ પછી પચીસ વર્ષે ભરવામાં આવેલું મહત્ત્વનું કદમ છે. કલ્પના કરો કે જો આ ઝડપે ભારતમાં કામ થશે તો જાગતિક અર્થકારણમાં ભારત ચીનનો મુકાબલો કેવી રીતે કરી શકશે? મુકાબલો તો દૂરની વાત રહી, ભારતની ખાસ ગણના જ નહીં થાય. જગતને ભારતનું આકર્ષણ એટલા માટે છે કે ભારત પાસે વિપુલ માત્રામાં ઉપભોક્તા છે એટલે એ અર્થમાં ભારત વિશાળ માર્કેટ છે. ભારત માટે આકર્ષણનું બીજું કારણ એ છે કે ભારત યુવાનોનો દેશ છે. ભારતની કુલ વસ્તીમાં ૩૫ વરસથી નીચેના યુવાનોનું પ્રમાણ ૬૫ ટકા છે અને પચીસ વરસથી નાની વયના યુવાનોનું પ્રમાણ ૫૦ ટકા છે. ભારત જગતનો એકમાત્ર દેશ છે જેની કુલ વસ્તીમાં સરેરાશ ૭૦ ટકા હાથ ઉત્પાદક છે અને એ અર્થમાં ભારત ઉત્પાદકક્ષમતા ધરાવનારો દેશ છે. વિશ્વનું બીજા ક્રમનું વિશાળ માર્કેટ અને પહેલા ક્રમની ઉત્પાદકક્ષમતા ધરાવનારો આ નસીબદાર દેશ છે.

આ દેશ પાસે માત્ર યુવાનો અને વિશાળ માર્કેટ છે એવું નથી. આપણો દેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોવાના કારણે બારેમાસ, લગભગ ૩૬૫ દિવસ અને ઓછામાં ઓછા દિવસના ૧૦ કલાક કામ થઈ શકે એવી મોસમની અનુકૂળતા છે. જગતના બહુ ઓછા દેશો આવું નસીબ ધરાવે છે. વાત અહીં પૂરી થતી નથી. ભારતને કુદરતે જેટલી કુદરતી સંપત્તિ આપી છે એટલી જગતના બીજા કોઈ દેશને આપી નથી. ભારત પર કુદરત જાણે ઓવારી ગઈ છે. ખનિજ તેલ અને કુદરતી ગૅસ સહિત બધી ચીજ ઓછાવત્તા પ્રમાણમાં ભારતની ધરતીમાં છે.

ભારત સમશીતોષ્ણ કટિબંધમાં છે એને કારણે અને વિપુલ માત્રામાં જળ, જમીન, જંગલ અને ધરતીના પેટાળમાં સંપત્તિ હોવાના કારણે બે માનવીય વિશેષતાઓ ભારતને હાથ લાગી છે. જીવન પ્રમાણમાં આસાન હોવાના કારણે ભારતમાં સમૃદ્ધ સભ્યતા વિકસી છે. સંસ્કૃિતઓનો અને સભ્યતાઓનો વિકાસ થવા માટે જીવન ઓછું સંઘર્ષમય અને આસાન હોય એ જરૂરી છે. એટલે તો પ્રાચીન સભ્યતાઓ એવા જ દેશોમાં વિકસી છે જ્યાં જીવન પ્રમાણમાં આસાન હતું. જ્યાં જીવન આસાન હોય ત્યાં વિવિધતાઓ પણ વિકસે છે, પછી એ કુદરતી હોય કે માનવીય. અનેક ફૂલોવાળો રંગબેરંગી બગીચો વિકસાવવો હોય તો ફળદ્રુપ માટી અને માફકસરની મોસમ જરૂરી છે. કુદરત મહેરબાન હોવાના કારણે અંગ્રેજીમાં જેને બાયો-ડાઇવર્સિટી કહેવામાં આવે છે એ કુદરતી વૈવિધ્ય ભારતને સહજ મળ્યું છે અને કુદરતની મહેરબાનીથી જીવન આસાન હોવાના કારણે વિવિધતાવાળી સભ્યતા વિકસી છે. જ્યાં અસ્તિત્વનો સંઘર્ષ હોય ત્યાં અસ્તિત્વ ટકાવી રાખવા બીજાનું અસ્તિત્વ મિટાવી દેવું જરૂરી હોય છે; પછી એ પશુ હોય, પક્ષી હોય, બીજા જીવો હોય, વનસ્પતિ હોય કે માનવ હોય. બીજી બાજુ જો અસ્તિત્વનું સંકટ માથે ન હોય તો સહઅસ્તિત્વ આસાન બને છે; પછી એ પશુ હોય, પક્ષી હોય, બીજા જીવો હોય, વનસ્પતિ હોય કે માનવ હોય.

આમ વિવિધતા એ ભારતને મળેલું અનિવાર્ય વરદાન છે. મેં વરદાનની આગળ અનિવાર્ય શબ્દ વાપર્યો છે એને લક્ષમાં લેવાની જરૂર છે. ભારતમાં અબજો વનસ્પતિ છે, અબજોની સંખ્યામાં પૃથ્વી પર વિચરતા જીવો છે, એટલી જ માત્રામાં સમુદ્રમાં વિચરતા જીવો છે, આકાશમાં વિચરતાં પક્ષીઓ છે એમ એક માનવી છે. માનવી પણ જમીન પર વિચરતા જીવોમાંનો એક જીવ છે. જો દરેક જીવ કુદરતે આપેલા અનિવાર્ય વિવિધતાના આર્શીવાદનો સહર્ષ સ્વીકાર કરતો હોય તો એક માનવી એ અનિવાર્યતા મિટાવવાનો શા માટે પ્રયત્ન કરે છે? આ ધરતી પર જે જીવ અત્યંત બુદ્ધિમાન છે એ બુદ્ધિ વિનાનું કામ શા માટે કરે છે? આપણા કરતાં તો પશુઓ સારાં જેઓ ઓછી બુદ્ધિ હોવા છતાં આપણા કરતાં વધારે વિવેકપૂવર્‍ક જીવે છે.

તો નૈસર્ગિક અને માનવીય એમ બન્ને પ્રકારની વિવિધતા એ ભારતને મળેલું અનિવાર્ય વરદાન છે. ભારતમાં વિવિધતા છે એ પહેલી વાસ્તવિકતા છે. એ અનિવાર્ય છે એ બીજી વાસ્તવિકતા છે. તમારે તો માત્ર એટલું જ નક્કી કરવાનું છે કે એને વરદાન સમજવું કે અભિશાપ? બેમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો છે, આમાં કોઈ વચલો ત્રીજો વિકલ્પ નથી. કાં વરદાન સમજો કાં અભિશાપ. બાકીના દરેક પ્રકારના વૈવિધ્યને અમે આર્શીવાદ તરીકે સ્વીકારવા તૈયાર છીએ, માત્ર માનવીય સામાજિક વૈવિધ્ય કબૂલ નથી એવો અભિપ્રાય ધરાવો છો? ઘણા લોકો આવો અભિપ્રાય ધરાવે છે. તેઓ એમ માને છે કે વડલાએ પીપળા સાથે જીવવું જોઈએ, પણ હિન્દુ-મુસલમાન સાથે ન જીવી શકે. એમાં તો લઘુમતીએ બહુમતીમાં ઓગળી જવાનું. ખૂબીની વાત એ છે કે બન્ને માનવી છે. માનવીએ સમાજ વિકસાવ્યો એ પછી એના ભાગરૂપે નાત, જાત, ધર્મના ચહેરા માનવીએ વિકસાવ્યા છે; એ ઈશ્વરદત્ત નથી.

તમને કદાચ થતું હશે કે GSTને અને આર્થિક સુધારાઓને આ લાંબા વિવેચન સાથે શું સંબંધ? સંબંધ છે. વિશાળ માર્કેટ છે, વિશ્વનું સૌથી મોટું યુવાધન છે, બારેમાસ સરેરાશ ૧૨ કલાક કામ કરી શકાય એવી મોસમ છે, વિપુલ માત્રામાં કુદરતી સંપત્તિ છે અને છતાં આપણે જગતમાં પાછળ છીએ. વિશ્વના મહામૂર્ખ દેશનું બિરુદ જો કોઈ દેશને આપવું હોય તો એ ભારતને આપી શકાય. માનવીય સામાજિક વિવિધતા કબૂલ નથી એટલે આપણે પાછળ છીએ. સહઅસ્તિત્વ કબૂલ નથી એટલે આપણે પાછળ છીએ. સહિષ્ણુતા કેળવવી નથી એટલે આપણે પાછળ છીએ. જે પરિવારમાં કંકાસ હોય એ પરિવાર આર્થિક રીતે સુખી થતો નથી, ઊલટાનું સુખી પરિવાર કંકાસના કારણે પાછળ પડી ગયા હોય એવા ઘણા દાખલા તમારી નજરમાં હશે. એવા પરિવારોના લોકોને તમે મૂર્ખ તરીકે ઓળખાવતા હશો, તેમની હાંસી ઉડાવતા હશો અને જો તમે ભલા હશો તો દયા ખાતા હશો. જગતનો ભારત વિશેનો દ્રષ્ટિકોણ પણ લગભગ કંઈક આવો જ છે.

જે લોકો ભારતની વાહ-વાહ કરે છે એ લોકો આડકતરી રીતે એમ કહે છે કે હવે લડતા બંધ થાઓ, દરવાજા ઉઘાડો એટલે અમે અંદર પ્રવેશી શકીએ અને સાથે મળીને કંઈક કામધંધો કરીએ. તેમને જાણ છે કે કંકાસિયા ઘરમાં કેટલી સંપત્તિ છે અને કેટલી તકો છે. જે વેપારી કે શાસકો નથી એવા સમાજશાસ્ત્રીઓમાંથી કેટલાક ભારતની દયા ખાય છે, કેટલાક ભારતની હાંસી ઉડાવે છે અને એ સાથે બન્ને ભારતને સલાહ આપે છે કે લડતા બંધ થઈને ક્ષિતિજ પર જે ઊજળી તકો ઊભી છે એના તરફ નજર કરો. એને માટે ભારતે શું કરવું જોઈએ એના ઇલાજો સૂચવે છે. ઇલાજો બન્ને સૂચવે છે; જેમને ભારતમાં આર્થિક હિતો માટે પ્રવેશ કરવો છે એ પણ અને જેમનો અંગત સ્વાર્થ નથી એવા સામાજિક-આર્થિક સમીક્ષકો છે એ પણ. ક્યારેક નજર કરી જુઓ જગત આપણા તરફ કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યું છે. આપણે આપણી જાતને મહાનતાનાં સર્ટિફિકેટો આપી દઈએ એટલે જગત એનો સ્વીકાર કરી લેશે એવું નથી. જગતમાં ભારતની ઇમેજ આંતરિક પ્રશ્નોને સમયસર હલ ન કરી શકનારા દેશ તરીકેની છે.

દરેક પ્રકારનું સદ્નસીબ ધરાવનારો દેશ રાજકીય રીતે કમનસીબ છે. દેશની સામાજિક વિવિધતાઓને એકબીજાની સામે લડાવીને આ દેશના રાજકારણીઓ રાજકારણ કરે છે. કૉન્ગ્રેસ અને સામ્યવાદી પક્ષોને છોડીને બાકીના પક્ષોની સ્થાપના જ ચોક્કસ સમાજવિશેષ માટે કરવામાં આવી છે. કોઈ પક્ષ તામિલો માટે છે, કોઈ મરાઠીઓ માટે છે, કોઈ સિખો માટે છે, કોઈ મુસલમાનો માટે છે, કોઈ હિન્દુ માટે છે તો કોઈ યાદવો, દલિતો કે કુર્મીઓ માટે છે. ચોક્કસ વર્ગવિશેષ જાગૃત થાય, સંગઠિત થાય, તેનું સશક્તિકરણ થાય, તે અન્યાય સામે સંઘર્ષ કરે એ આવકાર્ય છે; પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ વર્ગવિશેષના હિતના રાજકારણને વોટબૅન્કના રાજકારણમાં ફેરવી નાખે છે.

આવું વોટબૅન્કનું રાજકારણ કરનારાઓ નસીબદાર દેશને કમનસીબ દેશ તરીકે નિષ્ફળ બનાવી રહ્યા છે.

૧૯૯૧માં વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવ અને તેમના નાણાપ્રધાન ડૉ. મનમોહન સિંહે આર્થિક સુધારાઓ કર્યા અને નવો મૂડીવાદી માર્ગ અપનાવ્યો એને પચીસ વરસ થયાં છે એટલે સ્વાભાવિકપણે એનાં લેખાંજોખાં થઈ રહ્યાં છે. એકંદરે કરવામાં આવેલા સુધારાઓનું સ્વાગત થઈ રહ્યું છે. મારા જેવા એ સમયે સુધારાઓનો વિરોધ કરનારાઓ પણ પચ્છમ બુદ્ધિ સુધારાઓને જરૂરી હતા એમ માનતા થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આર્થિક સુધારાઓ વિશે જે કેટલાક લેખો વાંચવામાં આવ્યા છે એમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રભાત પટનાયક નામના અર્થશાસ્ત્રીનો લેખ મને મનનીય લાગ્યો છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રહેલા પ્રભાત પટનાયક ડાબેરી અર્થશાસ્ત્રી છે. તેમણે પોતાના લેખમાં લખ્યું હતું કે ‘૧૯૯૧માં જે સુધારાઓ થયા એ આર્થિક સુધારાઓ હતા અને એ રીતે જ એને ઓળખાવવામાં આવે છે, પરંતુ રાજ્યને નિષ્ફળ બનાવનારા રાજકીય સુધારાઓ ક્યાં? એ કેમ નથી કરવામાં આવતા? શાસકીય સુધારાઓ વિનાના આર્થિક સુધારાઓ આપણને ત્યાં લઈ ગયા છે જ્યાં આપણે આજે છીએ.’

ડૉ. મનમોહન સિંહે તેમના હાથે થયેલા આર્થિક સુધારાઓ વિશે કહ્યું હતું કે ૧૯૯૧માં સ્થિતિ જ એવી હતી કે આર્થિક સુધારા કર્યા વિના ચાલે એમ નહોતું, ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા અને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો. તેમણે મંડલ, કમંડલ અને કાશ્મીરના પ્રશ્ને ઝઘડતા ઘરના દરવાજા ખોલી નાખ્યા હતા. ડૉ. મનમોહન સિંહ લખે છે કે બીજો વિકલ્પ જ નહોતો. પહેલી વાત તો એ છે કે જો સમયસર રાજકીય-શાસકીય સુધારાઓ કર્યા હોત તો ૧૯૯૧ની ઘડી આવી જ ન હોત. શ્વાસ લેવો મુશ્કેલ બન્યો અને દરવાજા ખોલી નાખવા પડ્યા એ સ્થિતિ જ ન પેદા થઈ હોત. ગણતરીપૂવર્‍ક આયોજનબદ્ધ રીતે આર્થિક સુધારાઓ થયા હોત તો ઝઘડતા ઘરની સંપત્તિ ક્રોની કૅપિટલિસ્ટો લૂંટી ગયા એ ન બન્યું હોત.

કમનસીબે એવું બન્યું નહીં. ૧૯૯૧માં આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા એનાં પચીસ વરસ પહેલાં નાત-જાત, કોમ અને પ્રદેશના વોટબૅન્કનું રાજકારણ શરૂ થયું હતું અને આજે આર્થિક સુધારા પછી પચીસ વરસે પણ એ અમર તપે છે, બલ્કે વધારે વિકૃત થયું છે. રાજકીય સુધારાના અભાવની પહેલી પચીસીનું પરિણામ ૧૯૯૧ના ઘડિયાં લગ્ન જેવા આર્થિક સુધારા છે અને રાજકીય સુધારાના અભાવની બીજી પચીસીનું પરિણામ આજની લૂંટ છે અને ગરીબ-અમીર વચ્ચે વધતી ખાઈ છે. એટલે તો પ્રભાત પટનાયકે પ્રશ્ન પૂછ્યો છે કે ૧૯૯૧માં ભારતના શાસકવર્ગને આર્થિકની જગ્યાએ અથવા સાથે-સાથે રાજકીય-શાસકીય સુધારાઓ કરવા જોઈએ એમ કેમ ન લાગ્યું? ૧૯૯૧નો મૂંઝારો શેનું પરિણામ હતું એ શું તેઓ નહોતા જાણતા? બીજી બાજુ શાસકીય સુધારાઓ કર્યા વિનાના આર્થિક સુધારાઓનાં શા પરિણામો આવી શકે એની તેમને કોઈ કલ્પના નહોતી?

બધાને બધી જ ખબર હતી; પરંતુ રાજકીય પક્ષોના ટેકેદાર આપણે, એટલે કે ભારતના નાગરિકની અંદર હિન્દુ બેઠો છે, બ્રાહ્મણ બેઠો છે, મુસલમાન બેઠો છે, દલિત બેઠો છે, મરાઠી બેઠો છે; માત્ર ભારતીય બેઠેલો જોવા નથી મળતો. વિશાળ માર્કેટ છે, વિશ્વનું સૌથી મોટું યુવાધન છે, બારેમાસ સરેરાશ ૧૨ કલાક કામ કરી શકાય એવી મોસમ છે, વિપુલ માત્રામાં કુદરતી સંપત્તિ છે અને છતાં આપણે જગતમાં પાછળ છીએ; કારણ કે આપણી અંદર ભારતીય હોવાપણાનો અભાવ છે. જગતમાં કોઈ દેશને મળી નથી એટલી અનુકૂળતાને પ્રતિકૂળતામાં ફેરવી નાખનારા મૂરખાઓનો આ દેશ છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સનડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉગસ્ટ 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-07082016-15

Loading

8 August 2016 admin
← બેગેરત શાહો
જિજ્ઞેશ મેવાણી ‘હાર્દિક પટેલ’ નથી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved