Opinion Magazine
Number of visits: 9449310
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાનના માનવધર્મી ગુજરાતી સેવક: અબ્દુલ સત્તાર એધી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|17 July 2016

સાંપ્રદાયિક હિંસા, ત્રાસવાદી ગતિવિધિઓ અને કટ્ટરતાથી ખદબદતા પાકિસ્તાનમાં છ દાયકાથી કોઈ એક હકારાત્મક બાબત અવિચળ અને અફર રહી હોય, તો એ હતી એધીસાહેબની સેવાપ્રવૃત્તિ

કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના યુવા આતંકવાદી બુરહાનની અંતિમ યાત્રામાં હજારો લોકો ઊમટ્યા અને લાહોરના ગદ્દાફી સ્ટેિડયમમાં રખાયેલી અબ્દુલ સત્તાર એધીની અંતિમ વિધિમાં હજારો લોકો આવી પહોંચ્યા. માંડ બે-ત્રણ દિવસના આંતરે જોવા મળેલાં આ બન્ને દૃશ્યો વચ્ચે સંખ્યાત્મક તફાવત ખાસ નહીં હોય, પણ ભાવનાત્મક તફાવત બહુ મોટો હતો. બુરહાન પ્રત્યેનો લોકોનો ભાવ ભારતીય સૈન્ય-ભારત સરકાર તરફના ધિક્કારની ફસલ હતો, જ્યારે એધીસાહેબ પ્રત્યેનો લોકોનો આદર શુદ્ધ સેવાભાવ-માનવપ્રેમનો પરિપાક હતો.

સાંપ્રદાયિક હિંસા, ત્રાસવાદી ગતિવિધિઓ અને કટ્ટરતાથી ખદબદતા પાકિસ્તાનમાં છ દાયકાથી કોઇ એક હકારાત્મક બાબત અવિચળ અને અફર રહી હોય, તો એ હતી એધીસાહેબની સેવાપ્રવૃત્તિ. પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝિયા પ્રેરિત કટ્ટરવાદ હોય કે કરાચીની સ્થાનિક ગુંડાટોળકીઓ વચ્ચેની લડાઈ, અબ્દુલ સત્તાર એધી અને તેમની વ્યાપક સમાજસેવાને સૌ તરફથી વણલખ્યું અભયવચન હતું. પાકિસ્તાની અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, હિંસાખોરી ચાલતી હોય ત્યારે પણ લાલ રંગના અક્ષરમાં, ઉર્દૂ અને અંગ્રેજીમાં ‘એધી’ લખેલી ઍમ્બ્યુલન્સ રસ્તા પર નીકળે ત્યારે એ હેમખેમ પસાર થઈ જાય ત્યાં સુધી હિંસા થંભી જતી હતી.

આફતો કુદરતી હોય કે કૃત્રિમ, એધી ટ્રસ્ટના કાર્યકરો અને એધી-દંપતી રાહતપ્રવૃત્તિમાં લાગી પડતું હતું – અને રાહતકાર્યો દ્વારા મેળવેલા સદ્‌ભાવનો તેમણે કદી અંગત સ્વાર્થ માટે કે રાજકીય-ધાર્મિક હેતુ માટે ઉપયોગ ન કર્યો. ચંદ્રકાન્ત બક્ષીએ ‘મહાજાતિ ગુજરાતી’ પુસ્તકમાં મેમણો વિશેના પ્રકરણમાં ‘કહેવાય છે’ની રીતે ઉલ્લેખ કર્યો છે કે એધીસાહેબને જનરલ ઝિયાએ રોકડ સહાય આપવાની વાત કરી, ત્યારે તેમણે નમ્રતાપૂર્વક ઇન્કાર કર્યો હતો. તેમનું કામ સમાજ તરફથી મળતા દાન થકી જ ચાલ્યું અને અકલ્પનીય રીતે વિસ્તર્યું.

ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલી ભારતની મૂકબધિર યુવતી ગીતાની એધી ટ્રસ્ટે સંભાળ રાખી અને તેને સલામતીપૂર્વક ભારત પરત મોકલી આપી. વળતા વ્યવહારે વડાપ્રધાન મોદીએ એધી ટ્રસ્ટને એક કરોડ રૂપિયા દાનપેટે આપવાની જાહેરાત કરી, ત્યારે પણ એધીસાહેબે વિવેકપૂર્વક સરકારી સહાયનો ઇન્કાર કરીને, એ રકમ મૂકબધિરો માટે વાપરવા વિનંતી કરી હતી.

પાકિસ્તાન સાથે સંકળાયેલી અનેક નકારાત્મક બાબતો સામે હકારાત્મકતાની અડીખમ મિસાલ બની રહેલા અબ્દુલ સત્તાર એધીનો જન્મ જૂનાગઢ સ્ટેટના બાંટવામાં ૧૯૨૮માં થયો હતો. (સૌરાષ્ટ્રમાં આ અટક ‘એંધી’ તરીકે લખાય છે) નાનપણમાં માતાની બીમારી વખતે અબ્દુલ સત્તારે મન દઈને માની ચાકરી કરી. માએ શીખવ્યું કે બેટા, તારી પાસે બે પૈસા હોય, ત્યારે એક પૈસો તારા માટે વાપરજે અને એક પૈસો એવા કોઈ પાછળ ખર્ચજે, જેની સ્થિતિ તારાથી પણ ખરાબ હોય. માના સેવાભાવે બાળવયથી અબ્દુલ સત્તારના મનમાં ઊંડી અસર પાડી. ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં તે દેશભરનાં ગરીબગુરબાં, વંચિતો, નશામાં બરબાદ થયેલાઓ, તજી દેવાયેલાં બાળકો, વૃદ્ધો, આફતોનો ભોગ બનેલા લોકો જેવાં અનેક જરૂરતમંદોની ચાકરી કરવાનું આખું તંત્ર ઊભું કરી શકશે.

માંડ ત્રીજું ધોરણ પાસ થયલા એધી વિભાજન પછી પાકિસ્તાન ગયા, શરૂઆતમાં કાપડની ફેરી પણ કરી. પરંતુ બહુ ઝડપથી સેવાપ્રવૃત્તિનું જીવનકાર્ય તેમને ખેંચી ગયું અને છેવટ સુધી એ તેને સમર્પિત રહ્યા. શરૂઆતમાં બાંટવાના મેમણોએ પાકિસ્તાનમાં શરૂ કરેલી ‘બાંટવા મેમણ ડિસ્પેન્સરી’માં તે જોડાયા, પણ ત્યાંની સેવામાં મેમણો-બિનમેમણો વચ્ચેનો ભેદભાવ તેમને રુચ્યો નહીં. તેમણે એ સંસ્થા છોડીને ‘મેમણ વોલન્ટરી કોર’ નામે સેવાપ્રવૃત્તિની શરૂઆત કરી, જેમાં તમામ ધર્મના લોકોને એકસરખા ગણવામાં આવતા હતા.

૧૯૫૭માં એક ઍમ્બ્યુલન્સથી લોકસેવાની શરૂઆત કરનાર એધીસાહેબે ૧૯૭૪માં અબ્દુલ સત્તાર એધી ટ્રસ્ટની સ્થાપના કરી અને ૧૯૯૪માં એધી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન પણ સ્થપાયું. પાકિસ્તાનનું સૌથી મોટું સેવાભાવી ઍમ્બ્યુલન્સ નેટવર્ક ચલાવનાર એધી ફાઉન્ડેશન માત્ર કરાચીમાં આઠ હોસ્પિટલ અને બે બ્લડબૅન્ક ચલાવે છે. તેમની સંસ્થાઓએ હજારોની સંખ્યામાં અનાથોને અપનાવ્યા, હજારો નવજાત બાળકોને ઉછેર્યાં, હજારો સ્ત્રીઓને નર્સની તાલીમ આપી, જેનો મહિમા કેવળ આંકડાથી પામી શકાય એમ નથી.

એધીસાહેબને અંજલિ આપતાં ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ સહિતનાં ઘણાં અખબારોએ તેમને ‘ફાધર ટેરેસા’ અથવા ‘પાકિસ્તાનના મધર ટેરેસા’ તરીકે ઓળખાવ્યા છે. આવી બાબતોમાં સરખામણી ઇચ્છનીય કે ઉચિત નથી હોતી. એક પાકિસ્તાની લેખકે નોંધ્યું છે કે એધીસાહેબનો અભિગમ મધર ટેરેસાની જેમ ગરીબીનો મહિમા કરવાનો ન હતો. તેમાં ઉમેરો કરીને કહી શકાય કે, એધીસાહેબે ધર્મપ્રચાર-પ્રસારને કે ધાર્મિક ઉત્સાહને કદી સેવા સાથે ન જોડ્યો. તેમના માટે ધર્મમાં સેવા નહીં, સેવામાં જ ધર્મ હતો. પરંપરાગત અર્થમાં તે રૂઢિચુસ્તોની અપેક્ષા જેટલા ધાર્મિક ન હતા. એ બાબતે તેમની ટીકા પણ થતી હતી. છતાં, પોતાની સેવાના પ્રતાપે તે ‘મૌલાના એધી’ તરીકે ઓળખાયા.

તે પાકિસ્તાનમાં લઘુમતી ગણાતા ખ્રિસ્તી અને હિંદુઓની પણ કોઈ ભેદભાવ વિના, એટલા જ પ્રેમથી સેવા કરતા હતા. તેને કારણે એધીસાહેબની અંતિમવિધિના દિવસે પાકિસ્તાનનાં કેટલાંક ચર્ચમાં પણ તેમના માટે પ્રાર્થનાઓ યોજાઈ. આખી જિંદગી સાદગીપૂર્વક વિતાવનાર આ લોકસેવકની અંતિમવિધિ ક્રિકેટના સ્ટેિડયમમાં પૂરા રાજકીય સન્માન સાથે યોજાઈ. તેમની દફનવિધિ કરાચીથી થોડે દૂર આવેલા ‘એધી વિલેજ’ નામના વિશાળ સેવાસંકુલમાં, વર્ષો પહેલાં ખોદી રાખેલી પોતાની કબરમાં જ કરવામાં આવી. (ખોદાઈ રખાયેલી કબરની અંદર સૂઈ જઈને અહેવાલ આપવા બદલ એક ઉત્સાહી ટીવી પત્રકાર ભારે હાંસી અને ટીકાને પાત્ર પણ બન્યા.)

આખા પાકિસ્તાનમાં એધીસાહેબ અને તેમનાં પત્ની બિલ્કીસનું ભારે માનપાન હોવા છતાં અને તેમને અઢળક દાન મળતું હોવા છતાં, એધી-દંપતીનું જીવન એકદમ સાદગીભર્યું રહ્યું. દાન ઉઘરાવવા માટે તે રસ્તાની કોરે પાથરણું પાથરીને બેઠા હોય, એવાં દૃશ્યોની પણ પાકિસ્તાનવાસીઓ માટે નવાઈ ન હતી. પાકિસ્તાનમાં રસ્તા પર તજી દેવાયેલાં બાળકોની સમસ્યા બહુ મોટી હતી. એવાં બાળકો માટે અનાથાશ્રમો ખોલીને તેમને ઉછેરવા ઉપરાંત, એધી ટ્રસ્ટે રસ્તા પર ઠેકઠેકાણે પારણાં મુકાવ્યાં હતાં, જેથી બાળકને તજી દેનાર તેને ગમે ત્યાં ફેંકી દેવાને બદલે પારણામાં મૂકી શકે.

આ પગલાંનો વિરોધ થયો અને રૂઢિચુસ્તો તરફથી એવા આરોપ પણ થયા કે એધી ટ્રસ્ટ અનૈતિક સંબંધોથી બાળકો પેદા કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. પરંતુ મનુષ્યમાત્રની સેવાની લગની ધરાવતા એધીસાહેબ કે તેમના ટ્રસ્ટને કોઈ નુકસાન કરી શક્યું નહીં. બે વર્ષ પહેલાં એધી ટ્રસ્ટની ઑફિસમાંથી ધોળા દિવસે લૂંટ થઈ ત્યારે તેમને જ નહીં, પાકિસ્તાનમાં ઘણા લોકોને પણ આંચકો લાગ્યો હતો. તાલિબાની કટ્ટરતાને લીધે છેલ્લાં થોડાં વર્ષોમાં એધીસાહેબ પર હુમલાની નિષ્ફળ કોશિશો થઈ હતી, પણ તેમના સેવાસંકલ્પને એ ડગાવી શકી નહીં.

બહુચર્ચિત પુસ્તક ‘માય ફ્‌યુડલ લૉર્ડ’નાં લેખિકા તેહમિના દુરાનીએ લખેલી એધીસાહેબની જીવનકથા ‘અ મિરર ટુ ધ બ્લાઇન્ડ’ ૧૯૯૮માં પ્રગટ થઈ. પરંતુ અબ્દુલ સત્તાર એધીનું સેવાકાર્ય તેમના વિશે લખાયેલા તમામ શબ્દોને ક્યાં ય આંબી જાય એટલું મોટું છે. લાહોરના ‘ગદ્દાફી સ્ટેિડયમ’ને ‘એધી સ્ટેિડયમ’ નામ આપવાથી માંડીને બીજાં અનેક સૂચન થઈ રહ્યાં છે, પણ તેમનું સાચું તર્પણ અને સાચું સ્મારક તેમનાં કાર્યોને યથાશક્તિ આગળ વધારવામાં છે.

ઇસ્લામને અત્યારે અબ્દુલ સત્તાર એધી જેવા રોલમોડેલની તાતી જરૂર છે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 17 જુલાઈ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-nava-juni-by-urvish-kothari-in-sunday-bhaskar-5374422-NOR.html

Loading

17 July 2016 admin
← અરાજકીય બૌદ્ધિકો
A World Gripped by the Cancer of Terror →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved