ભાગવત ન્યુ યૉર્કમાં
એક એવું અવલોકન સામે આવ્યું છે કે ભાગવતના સંબોધનમાં સાવરકર–ગોળવલકરની સાંકડી નેળને બદલે વ્યાપક વલણની હિમાયત હતી. જો કે 2014થી 2026ના ભા.જ.પ. શાસનનો અને પક્ષપરિવારનો પ્રત્યક્ષ પ્રજાકીય અનુભવ આ સંબોધનને સવાલિયા દાયરામાં મૂકી આપે છે.

પ્રકાશ ન. શાહ
સરસંઘચાલક મોહન ભાગવતની ન્યુ યૉર્ક મુલાકાતને કેવી રીતે જોશું, વારુ ? આપણા વડા સત્તાપક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચેનો નાભિ-નાળ નાતો જોતાં આ પ્રશ્ન જાગવો સ્વાભાવિક પણ છે. તરુણ જનસંઘ સાંસદ વાજપેયી આશરે છ દાયકા પરની અમેરિકાની મુલાકાત વેળાએ તત્કાલીન સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકરનો વિવેકસર સંદેશ લઈને ગયા હતા. ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં ગુણાત્મક ફેર છે તે ભાગ્યે જ કહેવું પડે. આજે ભા.જ.પ. સત્તારૂઢ છે અને સંઘ પણ સત્તાબજારમાં કોઈ વડા આસામી કરતાં કમ હેસિયત ધરાવતો નથી. .હજુ થોડા વખત પર જ આ ગુરુદક્ષિણાજીવી સંગઠને અમેરિકામાં લોબીઈંગ માટે તોતિંગ ડોલરદક્ષિણા જોગવી હતી એ જોતાં એના હાલના મોભા અને વક્કરને સુસંગત એવી ભોંય કેળવવાની ગણતરી હોય એ સાફ વાત છે. તરાહ, તાસીર અને તેવરની રીતે જોતાં ન્યુ યૉર્ક પાછું છે પણ વિશ્વધાની. વડા પ્રધાનપદે તો શું પણ ગુજરાતના મુખ્ય મંત્રી બનતા પૂર્વે એક રાજકીય તાલીમાર્થી તરીકે નરેન્દ્ર મોદીનું અમેરિકા જવાનું ઠીક ઠીક બન્યું હતું એનો વહીવંચો આખો હમણેના મહિનાઓમાં મોદીનામાની સુપ્રતિષ્ઠ લેખિકા મધુ કિશ્વરે ખાસો ખોલ્યો પણ છે. સંઘ પરનો પહેલો અધિકૃત અમેરિકી અભ્યાસ સાતેક દાયકા પર આવ્યો અને એના લેખકો માટે સંઘ પોતાનો સ્રોત સુલભ કર્યો હતો તે મૂળે સી.આઈ.એ.ના સેવાદાર હતા. હાલનું સત્તાબજાર લક્ષમાં લઈએ ત્યારે આ પૃષ્ઠભૂ લક્ષમાં રહેવી જોઈએ.
અવિધિસરની વિશ્વધાની અને વિધિસરની રાજધાની, ન્યુ યૉર્ક અને વોશિંગ્ટન, વચ્ચે હાલ જરી જુવારું છે. સામાન્ય સંજોગોમાં કથિત નેશન ફર્સ્ટ બલકે અતિ કે સંકુચિત રાષ્ટ્રવાદને ધોરણે નવી દિલ્હી ને વોશિંગ્ટનને બનવું જોઈએ. પણ ટ્રમ્પની સામ્રાજ્યવાદી અને અસંતુલિત માનસિકતા એક જ ગોત્ર છતાં ન.મો. તંત્રને રાસ આવતી નથી. જો કે અત્યારે એ ચર્ચામાં જવાનો અહીં ખયાલ નથી. ન્યુ યૉર્કના મેયર મમદાની વિશ્વધાનીને શોભે તેમ વંશીય અને કોમી કે મજહબી ગણતરીઓથી ઊંચે ઉઠીને વ્યક્ત થવા સારુ જાણીતા છે. અને એ જ ભૂમિકાએથી એમણે ભાગવતના મેડિસન પાર્ક અવસર પૂર્વે કાંક આશંકાની રીતે વિચારો વ્યક્ત કરતાં સંકોચ અનુભવ્યો નહોતો. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની લોકશાહી પરંપરાનો અલબત્ત એ લિહાજ હતો કે વિરોધદેખાવોને પણ તક મળી અને પાંચેક હજારના સંઘસમુદાય સમક્ષના સંબોધનને પણ.
આ તબક્કે ભાગવતે વ્યક્ત કરેલા વિચારોને અનુલક્ષીને પણ થોડીકેક ચર્ચા જરૂર કરી લઈએ. માત્ર હિંદુઓ જ હોય અને મુસ્લિમો ન હોય એવી મારી હિન્દુત્વની સમજ નથી, એમ કહેવા સાથે એમણે જે વિચારો વ્યક્ત કર્યા એ લક્ષમાં લઇ પટણાની નેશનલ લૉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફાએ જાહેર ટિપ્પણી પણ કરી છે કે ભાગવતનું ભાષણ ચાલુ હિન્દુત્વથી હટીને દેશજનતામાં રહેલ વૈવિધ્યનો પુરસ્કાર કરતું હતું. સાવરકર અને ગોળવલકરની સીમિત અને સંકુચિત વ્યાખ્યાઓથી વાસ્તવમાં સરસંઘચાલક કઈ હદે ઊંચે ઊઠવા ચાહે છે, ખરેખર મથે છે તે અલબત્ત જોવું રહે છે. 2014થી 2026નો સંઘશાસનનો કે સંઘ નેતૃત્વનો એકંદર અનુભવ સરવાળે ભાગવતનાં વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો અગર તાજેતરના ન્યુ યોર્ક સંબોધનના મેળમાં મુદ્દલ જણાતો નથી. જાહેર મતના કોસ્મેટિક પ્રબંધનથી વિશેષ કોઈ ભોંય તો ભાંગશે ત્યારે ભાંગશે. સંગઠનની મનોબાંધણી શત્રુખોજ અને શત્રુબોધની પોતીકી સમજની સતત બંધાણી રહી છે. આથા વગર એ અસ્વસ્થ રહે છે.
કેનેડામાં ભાગવતે એવો સંકેત આપ્યાની છાપ છે કે અમે મોદીનો વિકલ્પ ઇચ્છીએ છીએ. સંઘ-ભા.જ.પ. વચ્ચે જે પણ નેતૃત્વ સમાધાન થાય અગર ન થાય; મુદ્દાની વાત તો એ હતી, છે અને રહેશે કે તમે દાયકાઓથી જે કુંડાળું સેવ્યું છે એની કળ ક્યારે વળશે. જયાં સુધી એની મૂર્છા ઊતરે નહીં ત્યાં સુધી ભોં નથી ભાંગવાની તે નથી ભાંગવાની. સેલ્ફ ઑડિટ વગરના ઉધામા સરવ ઠાલા તે ઠાલા ….સંઘે શક્તિ : કલૌ યુગે ???
02 સપ્ટેમ્બર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

