પ્રકાશકો, મોદીજી અને તેમની એજન્સીઓથી ડરી રહ્યા છે. લોકોએ શું વાંચવું કે શું છાપવું તે હવે RSS / મોદીજી નક્કી કરે છે.
સોનિયા ગાંધીની આત્મકથા – ‘બિલોંગિંગ : અ જર્ની ઓફ લવ ઇન ઇન્ડિયા’ પ્રકાશન કંપની પેંગ્વિન દ્વારા છપાવાની હતી અને 10 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થવાની હતી.
પેંગ્વિને ‘હસ્તપ્રત’માં ચોક્કસ ફેરફારો કરવા કહ્યું; પરંતુ સોનિયા ગાંધીએ સૂચિત ફેરફારોને નકારી કાઢ્યા, એટલે હવે પેંગ્વિને આ પુસ્તક છાપવાનો ઈન્કાર કર્યો છે.
પુસ્તકમાં રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના મૃત્યુ સહિત સોનિયા ગાંધીના જીવનને આકાર આપતી દુર્ઘટનાઓનો ઉલ્લેખ છે. તેણીએ રાજનીતિમાં તેમના અંતિમ પ્રવેશ, કાઁગ્રેસના પ્રમુખ તરીકેના તેમનાં વર્ષો અને 2004ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નેતૃત્વ હેઠળના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન દ્વારા જીત્યા પછી વડા પ્રધાન પદનો ઇનકાર કરવાના તેમના નિર્ણય અંગે લખ્યું છે.
20 ઓગસ્ટ 2026ના રોજ, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર તેમની માતાના સંસ્મરણોનું સ્વાગત કર્યું, અને કહ્યું કે ‘હું ખુશ છું અને ગર્વ અનુભવું છું.’
પેંગ્વિનનો ઇતિહાસ ડરના કારણે પાણીમાં બેસી જવાનો રહ્યો છે.
મારું હંમેશાં માનવું છે કે પ્રકાશક ફક્ત પુસ્તકો વેચતો વેપારી નથી. પ્રકાશક, મૂળભૂત રીતે યાદો, અસમતિ અને લેખક સત્યને જે રીતે જુએ છે તે રીતે તેને રજૂ કરવાના લેખકના અધિકારનો રક્ષક છે. તેથી જ પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા સોનિયા ગાંધીના સંસ્મરણો પ્રકાશિત કરવાના નિર્ણયમાં પીછેહઠથી મને ખૂબ જ ચિંતા થાય છે.
પેંગ્વિન ઇન્ડિયા દ્વારા હસ્તપ્રતના એક ભાગમાં માંગવામાં આવેલા ‘સંપાદકીય ફેરફારો અને કાઢી નાખવા’ અંગે સોનિયા ગાંધી સહમત ન હતાં. પેંગ્વિન હવે ભારતમાં પુસ્તક પ્રકાશિત કરવાથી દૂર થઈ ગયું છે. અમને હજુ સુધી ખબર નથી કે પુસ્તકમાંથી શું કાઢી નાખવાનું હતું. પરંતુ સોનિયા ગાંધીએ ઈન્કાર કર્યો તે માટે, હું તેમને સલામ કરું છું.
મને સોનિયા ગાંધી સાથે અસહમત થવામાં કોઈ મુશ્કેલી નથી. મને તેમની રાજનીતિની ટીકા કરવામાં, તેમના નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવવામાં અથવા કાઁગ્રેસના રાજકીય વારસાને પડકારવામાં કોઈ મુશ્કેલી નથી. લોકતંત્રમાં આ બધું જરૂરી છે. પરંતુ અસહમતિનો અર્થ એ નથી કે કોઈનો અવાજ દબાવી દેવામાં આવે. એક રાજકીય નેતા, ખાસ કરીને જેમણે સ્વતંત્ર ભારતના કેટલાક સૌથી ઊથલપાથલ ભરેલા અને દુ:ખદ દાયકાઓ જોયા છે, જીવ્યા છે તેમને પોતાની કથા પોતાના અવાજમાં કહેવાનો પૂરો અધિકાર છે.
સોનિયા ગાંધીની જિંદગી સામાન્ય રાજકીય જીવનચરિત્ર નથી, જેને બસ સુરક્ષિત રીતે પ્રકાશિત કરવા તૈયાર કરવામાં આવ્યું હોય. તે પ્રેમ, સ્થળાંતર, લગ્ન, માતૃત્વ, સત્તા, હત્યા, દુઃખ, રાજકીય જવાબદારી અને ત્યાગ દ્વારા એક અસાધારણ માનવ યાત્રા છે. તેણી ભારતના સૌથી શક્તિશાળી પરિવારોમાંના એકમાં, યુવાન ઇટાલિયન મહિલા તરીકે પ્રવેશી હતી જે ભાગ્યે જ તેની રાહ જોતા તોફાનોની કલ્પના કરી શકતી હતી. તેણીએ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના હિંસક મૃત્યુ જોયાં. તેણીએ ખાનગી જીવનને જાહેર જીવનમાં રૂપાંતરિત કરીને જીવ્યાં. તેણી દાયકાઓ સુધી ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહ્યાં અને 2004માં એક નિર્ણાયક ક્ષણે, વડા પ્રધાન ન બનવાનો અસાધારણ નિર્ણય લીધો.
કોઈ તેમની પ્રશંસા કરી શકે છે. કોઈ તેમને નફરત શકે છે. કોઈ ઘટનાઓની બાબતે તેમના વિચારો બાબતે અસહમત થઈ શકે છે. પરંતુ કોઈને એ નૈતિક અધિકાર નથી કે તેણીની યાદોને પોતાની મરજી મુજબ બદલવા કે તેમને આજ્ઞાકારી બનવા માંગ કરે.
2014માં, પેંગ્વિને વર્ષોનાં કાનૂની દબાણ પછી Wendy Donigerની ‘The Hindus: An Alternative History’ પાછી ખેંચી લીધી. આ નિર્ણયથી સ્વ-સેન્સરશિપ અને બૌદ્ધિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાની પ્રકાશકોની જવાબદારી અંગે ભારે ચર્ચા થઈ.
ફેબ્રુઆરી-2026માં, પેંગ્વિને કહ્યું હતું કે તેણે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેનાં સંસ્મરણ ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ પ્રકાશિત કર્યું નથી! જો કે પુસ્તકની હાર્ડ કોપી રાહુલ ગાંધી દ્વારા સંસદમાં પ્રદર્શિત કરવામાં આવી હતી!
જૂન-2026માં, પેંગ્વિને 2013ના મુઝફ્ફરનગર રમખાણો પરના ગ્રાફિક નવલકથાકાર Joe Sacco’ના ‘The Once and Future Riot’નું વિતરણ કરવાનું પણ પાછું ખેંચી લીધું હતું!
દરેક કેસની પોતાની અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે. તેને એક ત્રાજવે તોળી ન શકાય. પરંતુ આ બધી બાબતો એક બેચેન કરનારો પ્રશ્ન ઊભો કરે છે: ‘શું પ્રકાશકો એવાં પુસ્તકોથી વધુને વધુ ડરી રહ્યા છે, જે સત્તાને નારાજ કરી શકે છે, વિવાદ ઊભો કરી શકે છે અથવા અનિચ્છનીય ધ્યાન આકર્ષિત કરી શકે છે?’
ભારતમાં આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જ્યાં અસહમતિ માટે જગ્યા પહેલાથી જ વધુને વધુ ઘટતી જાય છે.
અઘોષિત કટોકટી; જરૂરી નથી કે રસ્તાઓ પર સૈનિકો હોય અથવા અખબારો ઔપચારિક રીતે બંધ હોય; ક્યારેક તે વધુ ચૂપચાપ આવે છે. તે ન્યૂઝરૂમમાં સાવધાની તરીકે પ્રવેશ કરે છે. તે પ્રકાશન ગૃહમાં કાનૂની ચિંતા તરીકે પ્રવેશ કરે છે. તે યુનિવર્સિટીમાં સ્વ-સેન્સરશીપ તરીકે પ્રવેશ કરે છે. તે લેખકના મનમાં એ વાક્ય તરીકે આવે છે જેને ક્યારે ય લખી શકાતું નથી.
અને છેવટે, આપણે જાતે જ આપણા પર રોક લગાવી દઈએ છીએ, ભલે કોઈએ આપણને આવું કરવાનું કહ્યું પણ ન હોય!
આ આજ્ઞાકારી હોવાનું સૌથી ખતરનાક સ્વરૂપ છે.
પ્રકાશકને લેખકની વાત સાથે સંમત થવાનું જરૂરી નથી. પ્રકાશક માટે કોઈ રાજકીય દલીલને સમર્થન આપવાની જરૂર નથી. પરંતુ જ્યારે કોઈ હસ્તપ્રત કાયદેસર રીતે પ્રકાશિત કરવા લાયક હોય, ત્યારે કોઈ અસહજ કરનાર હિસ્સા પર સાચી પ્રતિક્રિયા એ નથી કે તેને હટાવી દેવો, સાચો પ્રતિભાવ એ છે કે તેને પ્રકાશિત કરવો. તેની ઝીણવટભરી તપાસ થાય, તેના પર ચર્ચા થાય અને વાચકોને નિર્ણય લેવા દેવામાં આવે.
જે પુસ્તક આપણે પસંદ કરતા નથી, તેનો જવાબ બીજું પુસ્તક છે. જે દલીલને આપણે નકારીએ છીએ તેનો જવાબ એક મજબૂત દલીલ છે. યાદશક્તિનો જવાબ પ્રતિ-સ્મૃતિ છે. વાતોનો જવાબ વધુ વાતો છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ જ છે.
અને તેથી, આજે, મને એ વાતમાં રસ નથી કે સોનિયા ગાંધીએ જે કંઈ લખેલું છે તેની સાથે હું સહમત છું કે નહીં; પણ મને એમના એ શબ્દો લખવાના અધિકારનો બચાવ કરવામાં રસ છે.
ઝૂકવાનો ઇનકાર કરવા બદલ હું એમને સલામ કરું છું.
કોઈ પ્રકાશક તેમના અસાધારણ જીવનને બદલી શકે નહીં. કોઈ સંપાદકીય ડેસ્ક તેમણે સહન કરેલા દુઃખને ભૂંસી શકે નહીં. કોઈ કાપીકૂપીને તેમણે જોયેલા ઇતિહાસને ફરીથી લખી શકે નહીં. અને કોઈ પણ સંસ્થા, ગમે તેટલી શક્તિશાળી હોય, બીજા માનવીની યાદો પર પોતાનો હક કરી શકે નહીં.
કોઈ પુસ્તકનું એડિટિંગ ચોકસાઈ, સ્પષ્ટતા અને ભાષા માટે થઈ શકે. તેની કાનૂની રીતે તપાસ થઈ શકે. તેની આકરી ટીકા થઈ શકે છે. પરંતુ જ્યારે કોઈ લેખક કહે છે કે, ‘આ મારી યાદો છે અને હું તેમને છોડીશ નહીં’, ત્યારે હું માનું છું કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ.
ખાસ કરીને હવે. કારણ કે આઝાદીની ખરી કસોટી એ નથી કે આપણે એવી વાતનો બચાવ કરીએ જે આપણને ખુશ કરે.
સવાલ એ છે કે શું આપણે બોલવાના અધિકારનો બચાવ ત્યારે પણ કરીએ છીએ, જ્યારે આપણી વાતો સત્તાને અસહજ કરી દે છે?
આજે, સોનિયા ગાંધી પ્રત્યે મારો આદર એટલા માટે નથી કે તે સોનિયા ગાંધી છે, એટલા માટે નથી કે તે કાઁગ્રેસનાં છે, અને એટલા માટે પણ નથી કે હું તેમની રાજનીતિથી સહમત છું.
હું તેમનો આદર કરું છું કારણ કે, જ્યારે તેમને કોઈ એવી ચીજ છોડી દેવા કહેવામાં આવ્યું જે તેમની અનુભવ કથાનો હિસ્સો છે, જે તેમણે ઈન્કાર કરી દીધો.
આજના સમયમાં, જ્યારે ચારેબાજુ બસ આજ્ઞા માનવાની જ બોલબાલા છે, ત્યારે એ નાનકડો શબ્દ હિમ્મત દેખાડનારો છે.
અને ક્યારેક, એક નાગરિક સત્તાની સામે સૌથી શક્તિશાળી વાત કહી શકે , તે બસ એટલી જ છે: ‘No. I will tell my own story.-ના, હું પોતાની આત્મકથા ખુદ કહીશ
[સૌજન્ય: KA Shaji, પત્રકાર, Thiruvananthapuram, 28 ઓગસ્ટ 2026]
29 ઑગસ્ટ 2026
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

