
રવીન્દ્ર પારેખ
વિશ્વનું અને ભારતનું હવામાન પૂરી રીતે ખોરવાઈ ચૂક્યું છે. ભારતની જ વાત કરીએ તો થોડાં વર્ષો પર શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુ સ્પષ્ટ રીતે અલગ પડતી હતી, પણ છેલ્લાં થોડાં વર્ષોથી બદલાયેલાં હવામાને ઋતુઓની સેળભેળ કરી નાખી છે. ઘણીવાર તો એક જ દિવસમાં ત્રણે ઋતુનો અનુભવ ભારતમાં થાય છે અને એક જ દિવસમાં સ્વેટર, પહેરણ અને રેઈનકોટ પહેરવાં પડે એવી હાલત પણ થાય છે. હમણાં થોડા દિવસથી તાપ અને વરસાદનો એક સામટો અનુભવ થાય છે. ક્યાંક તો કરા પડ્યાના સમાચાર પણ છે. ટૂંકમાં, ભારતમાં ઋતુચક્ર ખોરવાયું છે ને તે વૈશ્વિક હવામાનમાં આવેલા પલટાનું પરિણામ છે. હમણાં ચોમાસું ક્યારે બેસશે એ અંગે પણ દ્વિધા છે. કેરળમાં બે’ક દિવસ પર ચોમાસું બેસવાના સમાચાર હતા, પણ એ તો આગાહીઓ છે ને તે સાચી ન પણ પડે એમ બનવાનું. પણ, હવેની વૈશ્વિક હવામાનની ઘણી આગાહીઓએ દુનિયાને ડરાવી દીધી છે. ધારો કે આગાહીઓ પ્રમાણે થાય છે તો અનેક જીવો પર સંકટ ઊભું થાય એમ બને. જાનમાલનાં અનેક પ્રકારનાં નુકસાન માટે દુનિયાએ તૈયાર રહેવું પડે.
ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) તો આગાહી કરી જ છે, તેમાં વિશ્વ હવામાન સંસ્થા (ડબ્લ્યુ.એમ.ઓ.)એ એવી ચેતવણી આપી છે કે પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલાં દરિયાઈ પાણીને કારણે ‘અલનીનો’ની સ્થિતિ ફરીથી વકરી રહી છે. માત્ર ભારતે જ નહીં, દુનિયાએ તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડે એમ છે. ભારતમાં ઋતુઓનું ચક્ર તો ખોરવાયું જ છે, તેમાં અલનીનોનો ઉત્પાત વેઠવાનું વધશે તે નફામાં !
આ અલનીનો વિષે એટલો ખ્યાલ ઘણાંને હશે કે પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય વિસ્તારમાં દરિયાઈ પવનો નબળા પડે છે, ત્યારે દક્ષિણ અમેરિકાના દરિયા કાંઠાનું પાણી કલ્પના બહાર ગરમ થવા લાગે છે. પાણીની આ ગરમીને જ ‘અલનીનો’ કહે છે. આ કુદરતી ઘટના છે, પણ તે માનવ સર્જિત નથી જ એમ કહી શકાશે નહીં. આ વૈશ્વિક પવનો વાદળોની નિર્ધારિત ગતિને બદલીને વિશ્વભરનાં હવામાનને વેરવિખેર કરી દે છે.
ડબલ્યુ.એમ.ઓ.ના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સમુદ્રનાં નીચલાં સ્તરનું પાણી સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ વધારે જોવા મળ્યું તે ચિંતાજનક છે. સમુદ્રમાં જમા થયેલી વધારાની આ ગરમી સમુદ્રની ઉપલી સપાટીને ગરમ કરી રહી છે અને તે વિશ્વ આખાં પર અનેક જોખમો ઊભાં કરી શકે એમ છે.
સંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)ની હવામાન એજન્સીના મતે જૂનથી ઓગસ્ટના ત્રણ મહિના દરમિયાન અલનીનો બનવાની આશંકા 80 ટકા છે, જયારે નવેમ્બર 2026 સુધી અલનીનોનાં ચાલુ રહેવાની શક્યતા 90 ટકા કે તેથી વધુ છે. આગાહી તો એવી પણ છે કે અલનીનો ઓછામાં ઓછી મધ્યમ તાકાત ધરાવતો હશે, જે આગળ જતાં વધુ તીવ્ર બનવાની સંભાવના છે. અલનીનો સુપર અલનીનો થવાનાં ચાન્સ નથી જ એવું નથી. અલનીનોથી બીજા દેશો કરતાં ભારત વધુ પ્રભાવિત થવાની શક્યતાઓ છે. અલનીનોથી ભારત ઉપરાંત વિશ્વભરમાં દુષ્કાળ, રેલ, દરિયાઈ અને જમીની હીટવેવ તથા હવામાનનાં આત્યંતિક સ્વરૂપો જોવા મળે એમ બને. આમ પણ વિશ્વ અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે એ સ્થિતિમાં અલનીનોનો તાપ ઉમેરાય તો વાત ક્યાં જઈને પહોંચે તેની કલ્પના કરવાની રહે છે. આ પહેલાં 2023-‘24માં અલનીનોની તીવ્ર અસરો ઇતિહાસની પાંચ સૌથી શક્તિશાળીઓમાંની એક હતી. આ અલનીનોએ 2024માં વૈશ્વિક તાપમાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા ને અનેક સ્તરે વિનાશ વેર્યો હતો. હવે પછી પણ તેની શક્યતાઓ છે જ, તો તેની ચિંતા કરીને ઉપાયો વિચારવાના રહે.
અલનીનોની સીધી અસરોમાં ચોમાસું નબળું પડે એ વાત મુખ્ય છે. ચોમાસું બગડે તો દુષ્કાળનો સામનો કરવાનો આવે ને ઉનાળો લાંબો ચાલે, એટલે દેશના ઘણાં વિસ્તારોમાં લૂ લાગવાની ઘટનાઓ વધે. વરસાદ ઘટે તો ખેતી પણ બગડે ને તે સંજોગોમાં અનાજ, શાકભાજી, અન્ય ખાદ્ય પદાર્થો મોંઘાં થાય. નબળાં ચોમાસાને લીધે સિંચાઇની અછત સર્જાય ને તેને લીધે પાક બગડે એ પણ ખરું. વળી ખેડૂતોની ખેતી બગડે એ ઉપરાંત અન્ય આર્થિક મુશ્કેલીઓનો પણ પાર ન રહે. ભારતનાં લગભગ 70 ટકા જળ સંસાધનો ચોમાસું પાણી પર નિર્ભર છે, તે સ્થિતિ અલનીનોનાં પરિણામો સમજાવવા માટે પૂરતી છે.
ડબલ્યુ.એમ.ઓ.ના જણાવ્યા પ્રમાણે અલનીનો હોવા છતાં, ભારતમાં ચોમાસું સચવાઈ જાય એમ છે. એને માટે બે પદ્ધતિઓ સક્રિય હોવી ઘટે. ઇન્ડિયન ઓશન ડાઇપોલ (આઈ.ઓ.ડી.). તે હિન્દ મહાસાગરના અલનીનો તરીકે પણ ઓળખાય છે. જો તેનો ક્રેઝ પોઝિટિવ હોય તો તે અલનીનોનાં દુષ્કાળના પ્રભાવને બધી રીતે ખતમ કરીને આખા ભારતમાં સારો વરસાદ લાવી શકે છે ને એ રીતે ચોમાસું બચે એમ બને. બીજી પદ્ધતિ છે – મેડન જુલિયન ઓસિલેશન (એમ જે ઓ ). આમ તો આ પવનો અને વાદળોનું એક વૈશ્વિક ચક્ર છે. તે ભારત પરથી પસાર થાય છે, ત્યારે નબળા ચોમાસામાં પણ ભારે વરસાદનો તબક્કો લઈને આવે છે. આ બે પદ્ધતિઓ સક્રિય રહે તો ચોમાસું બગડતું અટકે.
એ તો થાય ત્યારે ખરું, અત્યારે તો આફતના અણસાર વર્તાઈ રહ્યાં છે. આને થોડું વિગતે જોવા જેવું છે. એટલાન્ટિક વાવાઝોડાની ઋતુ જૂનથી નવેમ્બર સુધી ચાલે છે, જેમાં સપ્ટેમ્બરના મધ્યમાં તોફાનની ગતિવિધિઓ ટોચ પર પહોંચે છે. અલનીનો એ મધ્ય અને પૂર્વીય પેસેફિક મહાસાગરમાં દરિયાની સપાટીનાં તાપમાનમાં સમયાન્તરે થતો વધારો છે. જે વરસાદની નિયમિતતાને પ્રભાવિત કરે છે ને તેને પરિણામે પૂર, દુષ્કાળ અને ગરમીમાં વધારો થઈ શકે છે. આ બધાંને લીધે સરેરાશ વૈશ્વિક તાપમાન વધે છે.
અલનીનો જેવી ઘટનાઓ દર બેથી સાત વર્ષે થાય છે ને તેની અસર 9થી 12 મહિના રહે છે. આમ તો અલનીનો પેસેફિક મહાસાગરમાં ઉદ્ભવે છે, પણ તેની અસરો દુનિયાભરમાં વર્તાય છે. ભારત, ઓસ્ટ્રેલિયા દક્ષિણ અને મધ્ય આફ્રિકા, યુનાઈટેડ સ્ટેટ્સ અને એમેઝોન બેસિનમાં ભારે ગરમીનો અનુભવ થાય છે ને જંગલોમાં આગ પણ લાગી શકે છે. ભારતની વાત કરીએ તો વરસાદ ને પાક ઘટી શકે છે ને ગરમી પણ અસહ્ય બની શકે છે. આમ પણ ભારતમાં તાપમાન વધી જ ગયું છે, એમાં અલનીનો જીવવાનું વધારે અઘરું બનાવશે એમ લાગે છે.
આમ તો આવા સંકટોમાં મનુષ્ય દયાને પાત્ર લાગે, પણ આ પરિસ્થિતિમાં મુકાવાનું એક કારણ તે પોતે પણ છે. તેણે પ્રકૃતિનો ભારે અપરાધ કર્યો છે. મકાનો, રસ્તાઓ જરૂરી છે એ સાચું, પણ અમર્યાદ સંપત્તિની લાલચે ને સગવડે માણસ પ્રકૃતિનો દોષી છે. તેણે વત્તે ઓછે અંશે પંચ તત્ત્વ સાથે જ ચેડાં કર્યાં છે. તેણે જંગલોનો વિનાશ કર્યો છે, નદીઓને અકુદરતી વિકાસ માટે ભ્રષ્ટ કરી છે, આકાશ અભડાવ્યું છે, વાયુને વિકૃત કર્યો છે, ધરતીનાં રસકસ છીનવ્યાં છે, અગ્નિ તત્ત્વ સાથે છેડછાડ કરી છે. એમ મૂળ તત્ત્વો સાથે જ રમત કરી હોય તો તે નિર્દોષ કઈ રીતે હોય?
ટૂંકમાં, પંચતત્ત્વને નષ્ટભ્રષ્ટ કર્યાં છે, તો પ્રકૃતિ પણ બધું પંચમહાભૂતમાં કેમ ન મેળવે? યાદ રહે, પ્રકૃતિ કશું પણ ભૂલતી નથી. તે ઈર્ષાળુ છે ને થયેલા અન્યાયનો બદલો લીધા વગર કોઈને છોડતી નથી. વિકૃતિથી બચી શકાય, પણ પ્રકૃતિથી બચવાનું અશક્યવત છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જૂન 2026
![]()

