ઝૂમતી ચલી હવા યાદ આ ગયા કોઈ
બૂઝતી બૂઝતી આગ કો ફિર જલા ગયા કોઈ
ખો ગઈ હૈ મંઝિલેં, મિટ ગયે હૈં રાસ્તે
ગર્દિશેં હી ગર્દિશેં અબ હૈ મેરે વાસ્તે
ઔર ઐસે મેં મુઝે ફિર બુલા ગયા કોઈ
ચૂપ હૈ ચાંદ–ચાંદની, ચૂપ યે આસમાન હૈ
મીઠી મીઠી નીંદ મેં સો રહા જહાન હૈ
આજ આધી રાત કો ક્યોં જગા ગયા કોઈ
એક હૂક સી ઊઠી, મૈં સિહર કે રહ ગયા
દિલ કો અપને થામ કે આહ ભર કે રહ ગયા
ચાંદની કી ઓટ સે મુસ્કુરા ગયા કોઈ

શ્રી નાથ ત્રિપાઠી
માર્ચ મહિનામાં એક જાણીતા સંગીતકારનો જન્મદિન પણ છે અને પુણ્યતિથિ પણ. ના – ભૂલી, તેઓ સંગીતકાર જ નહીં; અભિનેતા, દિગ્દર્શક, પટકથાકાર, સંવાદલેખક પણ હતા અને દરેક ક્ષેત્રે સારું પ્રદાન કરી ગયા, ને તેમ છતાં તેમનું નામ ફિલ્મજગતની મહાન હસ્તીઓમાં ન મુકાયું. આ બહુમુખી છતાં કઇંક ઉપેક્ષિત પ્રતિભાનું નામ છે એસ.એન. ત્રિપાઠી.
મુંબઈ આવ્યા હતા તો અભિનેતા બનવા. 1636માં બોમ્બે ટૉકિઝની વિખ્યાત ફિલ્મ ‘જીવનનૈયા’ રિલિઝ થઈ. અશોકકુમારની પહેલી ફિલ્મ. નાયિકા દેવિકારાણી, સંગીતકાર સરસ્વતીદેવી. પચીસ વર્ષ પછી આ ફિલ્મનું અશોકકુમારે ગાયેલું ‘કોઈ હમદમ ન રહા’ કિશોર કુમારે ‘ઝુમરુ’ માટે ગાયું, જે આજે પણ આપણી ઉદાસ પળોનું સાથી છે. આ ‘જીવનનૈયા’ ફિલ્મમાં એસ.એન. ત્રિપાઠીએ પણ એક નાની ભૂમિકા કરી હતી. એમની પણ આ પહેલી ફિલ્મ હતી. પછીથી તેમણે સરસ્વતીદેવીના સહાયક તરીકે પણ કામ કર્યું હતું.
હોમી વાડિયાની એક ફિલ્મમાં હનુમાન બન્યા પછી એસ.એન. ત્રિપાઠીએ અનેક વાર હનુમાનના રોલ કર્યા. ચહેરો વાનર તરીકેના ગેટઅપ પાછળ ઢંકાઈ જાય, પણ ત્રિપાઠીજી સ્નાયુબદ્ધ શરીર અને વીર ભક્ત તરીકેની બોડી લૅંગ્વેજથી ઘણું વ્યક્ત કરી શકતા. પૌરાણિક ફિલ્મો, સંગીતકાર તરીકેની તેમની સફરનો પણ મહત્ત્વનો પડાવ બની રહી છે. આજે આપણે યાદ કરીશું એક ઐતિહાસિક-રોમેન્ટિક-મ્યુઝિકલ ફિલ્મ ‘સંગીતસમ્રાટ તાનસેન’ અને તેના મુકેશે ગયેલા અવિસ્મરણીય ગીત ‘ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ’ને. આ ફિલ્મના દિગ્દર્શક અને સંગીતકાર એસ.એન. ત્રિપાઠી હતા.
‘સંગીતસમ્રાટ તાનસેન’ 1962ની હિન્દી બાયોપિક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ હતી. તેમાં શૈલેન્દ્ર અણએ સ્વામી હરિદાસનાં ગીતો હતાં. રાગ સોહની પર આધારિત ‘ઝૂમતી ચલી હવા’ મુકેશે ભારત ભૂષણ માટે ગાયું હતું.
આ ફિલ્મ પ્રખ્યાત દરબારી ગાયક સંગીતકાર, સમ્રાટ અકબરના દરબારના નવરત્નોમાંના એક મિંયા તાનસેનની બાયોપિક છે. રામતનુ અથવા તનુ તરીકે ઓળખાતો તાનસેન જન્મથી જ મૂંગો છે, પરંતુ પાંચ વર્ષની ઉંમરે એક ચમત્કારથી તે બોલતો જ નહીં, ગાતો પણ થાય છે. વૃંદાવનના સ્વામી હરિદાસ તેને ધ્રુપદ શૈલીમાં પારંગત કરે છે. તાનસેન(ભરતભૂષણ)ને અહીં બાળપણની સાથી હંસા (અનીતા ગુહા) મળે છે. અનેક વિઘ્નો પછી તાનસેન અકબરના દરબારનાં નવરત્નોમાંનો એક બને છે અને અનેક મુસીબતો વેઠ્યા પછી તેને ફરીવાર તેની પ્રિય હંસા મળે છે.
તાનસેનના જીવનને દર્શાવતી બે ફિલ્મો બની હતી. પહેલી ફિલ્મ હતી કે.એલ. સાયગલ અભિનીત ‘તાનસેન’(૧૯૪૩) જેમાં ખુરશીદ બાનોએ લોકપ્રિય ગીતો આપ્યાં હતાં. બીજી ફિલ્મ ત્યાર પછી વીસ વર્ષે બની, ‘સંગીત સમ્રાટ તાનસેન’. ‘બૈજુ બાવરા’ ફિલ્મમાં સુરેન્દ્રએ તાનસેનની ભૂમિકા કરી હતી. તે બૈજુ સાથે સંગીત સ્પર્ધામાં ભાગ લે છે પરંતુ તેની સામે હારી જાય છે. આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. મધ્ય પ્રદેશની લોકકથાઓમાં તાનસેન રાણી રૂપમતી અને બાજબહાદુરના સંગીતને પરખવા ગુપ્ત વેશે આવ્યો હતો તેવી વાત પણ છે. ‘રાણી રૂપમતી’ ફિલ્મ પણ એસ.એન. ત્રિપાઠીનું સર્જન હતી. તેમાં ભરતભૂષણ બાજબહાદુર બન્યો હતો. ‘સંગીત સમ્રાટ તાનસેન’ ત્યાર પછી બની હતી.
ઇતિહાસ મુજબ બાજબહાદુરનો શાસનકાળ 1555-1562 છે. યુદ્ધ 1561માં થયું હતું. 29 માર્ચ 1561ના દિવસે બાજબહાદુર હારીને ખાનદેશ ચાલ્યો ગયો હતો. ત્યાંના સુલતાનની મદદથી તેણે આદમખાનને હરાવી માંડવગઢ પાછું મેળવ્યું ને ફરી ગાદી પર બેઠો. થોડા મહીનામાં અકબરે નવું સૈન્ય મોક્લ્યું. બાજબહાદુર લડ્યો, હાર્યો, ભાગ્યો ને પછી શરણે થઈ અકબરના સેવક તરીકે જીવ્યો. કહેવાય છે કે 1568માં મધ્ય પ્રદેશના સારંગપુરમાં અકબરે બાજબહાદુરનો મકબરો અને રૂપમતીની સમાધિ બનાવડાવી હતી.
ફિલ્મનો બાદશાહ અકબર રૂપમતીના સંગીત વિશે સાંભળી તાનસેનને છૂપા વેશે માંડવગઢ મોકલે છે. તાનસેન પોતાના સંગીતથી કમળ પર બેઠેલા ભ્રમરને ઊડી જવા પ્રેરે છે. રૂપમતી પોતાના સંગીતથી ભ્રમરને પાછો બોલાવે છે. તાનસેન પ્રસન્ન થાય છે ને પોતાની ઓળખ આપે છે. રૂપમતી-બાજબહાદુર ખૂબ માનસન્માન સાથે તેની આગતાસ્વાગતા કરે છે પણ લુચ્ચો આદમખાન અકબરના મનમાં ઠસાવે છે કે બાજબહાદુરે તાનસેનને કેદ કર્યો છે અને તેનો હુકમ મેળવી બાજબહાદુર પર આક્રમણ કરે છે. અંતે રૂપમતી-બાજબહાદુર મૃત્યુ પામે છે અને તાનસેન-અકબર આવા શ્રેષ્ઠ કલાકારોના અંતનું નિમિત્ત બનવા બદલ પસ્તાય છે. આદમ ખાનનો રોલ ગીતકાર ભરત વ્યાસના ભાઈ બી.એમ. વ્યાસે કર્યો હતો.
સંગીતસમ્રાટ તાનસેન’ અને ‘રાણી રૂપમતી’ આ બંને ફિલ્મો આજે પણ, ભારત ભૂષણ, નિરુપા રૉય અને અનીતા ગુહા જેવા સપાટ ચહેરાવાળા નાયક-નાયિકા હોવા છતાં જોવી ગમે. તેનાં બે કારણ છે. એક તો તેની રસપૂર્ણ વાર્તા અને બીજું એસ.એન. ત્રિપાઠીનું સંગીત. પહેલી ફિલ્મમાં બાર ગીતો હતાં. સોહિણી રાગ પર આધારિત ‘ઝૂમતી ચલી હવા’ શૈલેન્દ્રએ લખ્યું છે. આ ગીત સરળ છતાં સંગીતની દૃષ્ટિએ અને પ્રણયગીત તરીકે ઉમદા છે. સાંભળનારને સૂની રાત અને એકલી જાતની તરસનો અનુભવ થયા વિના ન રહે.
એસ.એન. ત્રિપાઠીએ બનાવેલાં ઉત્તમ ગીતોમાંથી બેચારની માત્ર ઝલક જોઈએ તો પણ ખુશ થઈ જવાય. જેમ કે ‘લાલ કિલા’ના યમન રાગ પર આધારિત ‘લગતા નહીં હૈ દિલ મેરા ઊજડે દયાર મેં’ અને શિવરંજની પર આધારિત ‘ન કિસી કી આંખ કા નૂર હૂં’. ‘જરા સામને તો આઓ છલિયે’ પણ એમનું.
‘સંગીતસમ્રાટ તાનસેન’માં એસ.એન. ત્રિપાઠીએ ફિલ્મના દિગ્દર્શન અને સંગીત નિર્દેશન સાથે બાદશાહ અકબરનો રોલ પણ કર્યો હતો. મન્ના ડે અને મહંમદ રફીએ ગાયેલું ‘સપ્તસૂરન તીન ગ્રામ’ સ્વામી હરિદાસની રચના છે અને રાગ યમન કલ્યાણ(અથવા અદ્દભુત કલ્યાણ)માં સ્વરબદ્ધ છે. બધાં જ ગીતો શાસ્ત્રીય રાગો પર આધારિત છે. ‘રાની રૂપમતી’ની શરૂઆત રાગ ભૈરવીની ‘બાટ ચલત નઈ ચુનરી રંગ ડારી’ કૃષ્ણરાવ ચોણકર-મહમ્મદ રફીની સુંદર જુગલબંધીથી થાય છે. શાસ્ત્રીય સંગીત પર એસ.એન.ની જબરી પકડ હતી. આ ફિલ્મોમાં તેમની આ પ્રતિભાને મોકળું મેદાન મળ્યું છે. ‘ઉડ જા ભંવર’માં દરબારી અને ‘ઝનન ઝનન’ તેમ જ ‘આ લૌટ કે આ જા મેરે મીત’માં સારંગના પ્રકારોનો જાદુ છે. આ એક એક ગીતની માત્ર સ્વરરચના પર એક એક લેખ થઈ શકે. અત્યારે તો એમની જ રચનાથી એમને યાદ કરી લઈએ: ‘હાય રે કલાકાર, જાને ન સંસાર, હર રાગ મેં પીર હૈ કિસકે મન કી, સુધ બિસર ગઈ આજ અપને ગુણન કી, આ હી ગઈ બાત બીતે દિનન કી’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 20 માર્ચ 2026
![]()

