
રવીન્દ્ર પારેખ
24 માર્ચને રોજ ગુજરાત UCC(યુનિફોર્મ સિવિલ કોડ)નું મુખ્ય મંત્રીશ્રીએ બિલ રજૂ કર્યું. આ પ્રકારનું બિલ પાસ થયું હોય એવું ઉત્તરાખંડ પછીનું ગુજરાત બીજું રાજ્ય છે. ગુજરાત વિધાનસભામાં 182માંથી ભા.જ.પ.ના જ 161 મતની જંગી બહુમતીથી બિલ પસાર થયું. પસાર કરાયેલ UCC બિલ સાડા સાત કલાકની ચર્ચા બાદ પસાર કરાયું હતું. સુપ્રીમ કોર્ટે પણ UCC સંદર્ભે કહ્યું કે પ્રસ્તુત બિલ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરશે. આ બિલ મુખ્યત્વે લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી પર ભાર મૂકે છે ને જે કોઈ તેમ કરવામાં નિષ્ફળ જશે, તેને 10,000 સુધીનો દંડ થઇ શકે છે. આ ઉપરાંત બળજબરીએ થયેલાં લગ્નને મામલે 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. કોર્ટના આદેશ સિવાયના કોઈ પણ છૂટાછેડામાં ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ બિલનો મુસદ્દો તૈયાર કરનારી પેનલને 20,00,000 સૂચનો મળ્યાં હતાં ને લાંબા પરામર્શનને અંતે તેનું આખરી સ્વરૂપ ઘડાયું હતું. સરકારનું UCC નક્કી કરવા પાછળનું એક કારણ ફ્રાંસ, જર્મની, નેપાળ, અઝરબૈજાન જેવાં મુસ્લિમ બહુમતી ધરાવતાં રાષ્ટ્રોમાં પણ સમાન કાયદો છે, તે છે, તો ગુજરાતમાં પણ એ શક્ય છે ને એ શક્ય બન્યું.
જો કે, કાઁગ્રેસે સરકાર પર એવો આરોપ મૂક્યો હતો કે ચૂંટણીનો લાભ લેવા બિલ ઉતાવળે લાવવામાં આવ્યું છે. બીજો વાંધો એ પડ્યો કે બિલ ધારાસભ્યોની સમિતિને મોકલવામાં આવ્યું નથી. તે મોકલવામાં આવે તે જરૂરી છે, જેથી તેનો અભ્યાસ થઈ શકે ને ચર્ચામાં તે અભ્યાસની મદદ મળે. ત્રીજો મુદ્દો એ થયો કે UCC બંધારણીય અધિકારો સાથે સુસંગત હોવું જોઈએ જે વિપક્ષને લાગતું નથી. એ સાચું છે કે બધા ધારાસભ્યોને બિલ મોકલાયું હોત તો તેનો અભ્યાસ શક્ય બની શકે. આમ તો બિલ મહિલા સશક્તીકરણ, સમાનતા અને ન્યાય પર કેન્દ્રિત છે. આ બિલ અંતર્ગત મહિલાઓને મિલકતમાં સમાન હક, 18 વરસે લગ્નની લઘુત્તમ વય, ફરજિયાત નોંધણી અને છૂટાછેડા બાદ 60 દિવસમાં ભરણપોષણ જેવા અધિકારો મહિલાઓને આપવામાં આવ્યા છે. તમામ ધર્મની મહિલાઓ માટે વારસાઈ હકો સમાન કરી દેવાયા છે. UCCમાં મહિલાઓને લગતી મુખ્ય જોગવાઈમાં દીકરીઓને દીકરા જેટલો જ હક મળશે. લગ્નની ઉંમર પુરુષ માટે 21 ને સ્ત્રી માટે 18ની છે ને લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે.
મુસ્લિમોમાં બહુ પત્નીત્વ પર પ્રતિબંધ મુકાયો છે, એટલું જ નહીં, છૂટાછેડા માટે પણ બધા નિયમો બધા માટે સમાન કરી દેવાયા છે. બિલનું રાજકારણ પણ જોવા જેવું છે. લગ્ન અને છૂટાછેડામાં સમાનતા લાવવાને લીધે ત્રણ તલાકવાળી પ્રથાનો પ્રશ્ન ઉકલી ગયાનું લાગે, પણ આ કાયદાથી લવ જેહાદ અટકી જશે એવું બનવાની શક્યતાઓ ઓછી જ છે. લવ જેહાદનું આખું રાજકારણ એ હિન્દુત્વના રાજકારણનો જ હિસ્સો છે. ભારતમાં જે રીતે ધર્મનું રાજકારણ ઘૂસ્યું છે અને કોમી ધ્રુવીકરણ થયું છે, એ જોતાં મુસ્લિમો આ કાયદા અંગે શંકા ધરાવે છે. તેમનું કહેવું છે કે નાની અમથી બાબતોમાં બુલડોઝર ફેરવતી સરકાર મુસ્લિમ મહિલાઓનું હિત વિચારે એ વાત ગળે ઉતારવાનું મુશ્કેલ છે.
એ ખરું કે 2,500 મહિલાઓના એક સર્વેક્ષણમાં 85 ટકા મુસ્લિમ મહિલાઓ ઇચ્છે છે કે બહુપત્નીત્વ પ્રથા નાબૂદ કરવામાં આવે. મુસ્લિમ પતિ બીજા લગ્ન કરે તેની જાણ ક્યારે ય ન કરાઈ હોય એવું 79 ટકા મહિલાઓનું કહેવું છે. 88 ટકા મહિલાઓનું કહેવું છે કે પતિએ બીજા લગ્ન કરતાં પહેલાં, પહેલી પત્નીની મંજૂરી લીધી નથી. એવું પણ બન્યું છે કે 54 ટકા પ્રથમ પત્નીઓને બીજા લગ્ન પછી છોડી દેવાઈ હોય ને તેમને કોઈ આર્થિક સહાય પૂરી પડાઈ ન હોય ને તેમણે માબાપને આશ્રયે રહેવું પડ્યું હોય. છૂટાછેડા બાદ 60 દિવસની અંદર ભરણપોષણના કેસનો નિકાલ લાવવાની જોગવાઈ પણ દાખલ કરાઈ છે.
બિલમાં વિશિષ્ટ લિવ-ઇન રિલેશનમાં રહેતી મહિલાની સુરક્ષા માટે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. 1 મહિનામાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે ને તે ઉપરાંત માતાપિતાને જાણ કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બિલનો હેતુ મહિલાઓને ધર્મ આધારિત ભેદભાવમાંથી બહાર કાઢવાનો અને સમાનતા પ્રદાન કરવાનો છે. જો કે, કેટલાકનું કહેવું છે કે લગ્નનાં રજિસ્ટ્રેશન માટે આપણી પાસે બબ્બે કાયદા છે જ, તો નવા કાયદાની જરૂર ન હતી. તેમનું એમ પણ માનવું છે કે નવું બિલ એટલે લાવવામાં આવ્યું કે હિંદુ અને મુસ્લિમો તથા આદિવાસીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે ભેદભાવ ઊભો થાય. UCCથી મહિલાઓને વારસાઈ હક મળશે તેવી સરકારની વાત સાથે એટલે સંમત થવાય એમ નથી કે ઇસ્લામમાં દીકરીઓને છોડવા પર 5 વર્ષ સુધીની સજા થઇ શકે છે અને કોઈ પણ યુગલને લગ્નનાં એક વર્ષ સુધી છૂટાછેડા નહીં મળે. UCC લાગુ ત્યારે જ થશે, જો લગ્ન માટે બેમાંથી એક વ્યક્તિ ગુજરાતનો રહેવાસી હોય. ઇસ્લામમાં વારસાઈ અધિકાર ઓલરેડી મળેલો જ છે. બીજું, જો UCC સમાન રીતે લાગુ પડતો હોય, તો આદિવાસીઓને તેમાંથી બાકાત કેમ રાખવામાં આવ્યા છે? ગુજરાતમાં 14-15 ટકા આદિવાસીઓ છે ને સરકારે વોટબેંક સાચવવા આદિવાસીઓને આ બિલમાંથી ઈરાદાપૂર્વક બાકાત રાખ્યા છે.
એક મત એવો પણ છે કે દરેક ધર્મ માટે અલગ અલગ કાયદા ન હોવા જોઈએ. આ બિલ માત્ર મુસ્લિમો માટે નથી, મુસ્લિમો કરતાં પણ અન્ય ધર્મીઓની સંખ્યા સારી એવી છે ને UCC તેમને પણ લાગુ પડે છે. ઘણાનું માનવું છે કે UCC એક હિંદુ એક્ટ છે ને તે મુસ્લિમ કાયદા પર થોપવાનો પ્રયાસ છે. એમ પણ કહેવાય છે કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ છે, પણ એક પત્ની પર કોઈ બીજી પત્ની કરીને કોઈ ત્યકતા કે વિધવાને ટેકો આપવા પરણે તો તેમાં ખોટું શું છે? લિવ ઈનને પણ માન્યતા આપવાનો ઘણાં વિરોધ કરે છે, તે એટલે કે તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. એનાથી સમાજમાં વ્યભિચાર વધશે.
UCC બિલ રજૂ થાય તે પહેલાં લાલદરવાજા, અમદાવાદ ખાતે એમ કહીને વિરોધ કરાયો કે UCC સંવિધાન મુજબ નથી, મહિલાઓએ એવો આક્ષેપ કર્યો કે UCC મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરે છે. આ બિલને કોઈ ચોક્કસ જાતિ કે ધર્મની વિરુદ્ધ જોવાને બદલે, એ રીતે જોવાય કે તમામ ધર્મ, પંથ, સમુદાયને સમાન કાયદા લાગુ કરવાને ઈરાદે લાવવામાં આવ્યું છે. ગુજરાત, ઉત્તરાખંડ અને ગોવા સિવાયના અન્ય રાજ્યોમાં સમુદાયો પ્રમાણે અલગ અલગ કાયદાઓ અમલમાં છે. આ બિલથી તમામ સમુદાયો એક જ છત્ર હેઠળ આવે એમ બને.
આ બિલ જરૂરી ખરું? એના વિરોધમાં ને તરફેણમાં બન્ને પ્રકારના મત ચર્ચામાં છે. તો સરદાર પટેલનું એક અને અખંડ ભારતનું સપનું સાકાર કરવા પણ ગુજરાત UCC અનિવાર્ય છે. સમાનતાની વાતો આપણે કરતા હોઈએ તો એક જ રાજ્યમાં સમાન કાયદા ને વિકાસની સમાન તકો હોય તે અપેક્ષિત છે. આ સમાનતાની વાતો કરવાની હોય ત્યારે સરકાર આદિવાસીઓને રાજકીય હેતુ સર બાકાત રાખે તે બરાબર નથી. UCCમાં બધા સમાન હોય. આદિવાસીઓ અપવાદ હોય તો મુસ્લિમોનો ને એમ અન્ય ધર્મીઓનો પણ અપવાદ કરવો પડે ને તો ધર્મ આધારિત અલગ કાયદાઓ છે, તે શું ખોટા છે?
ખરેખર તો કાયદામાં જ સાફસૂફી કરીને એક જ કાયદો લાગુ કરી શકાતો હોય તો તે અંગે વિચારાવું જોઈએ. એક જ વિષયને લગતા અલગ કાયદાઓ હોય જ ને તેમાં બીજો એક કાયદો ઉમેરાય તો ગૂંચ વધશે. અર્થઘટનો બદલાય એમ બને અને કાયદામાં અર્થઘટનને સ્થાન છે, અનર્થઘટનને નહીં !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 મે 2026
![]()

