
આશાજીનાં ગીતોની યાદી, તેમની ગાવાની શૈલીની જેટલી વાતો થાય એટલી ઓછી છે પણ વાસ્તવિકતા એ છે કે જિંદગીની કડવાશને ફરિયાદમાં નહીં, સૂરોમાં ફેરવીને જીવી શકાય એ કદાચ તેમનાં થકી જ શીખી શકાય.
એક બહુ જાણીતું ગીત છે જેમાં ગાયક એવી વસ્તુઓની યાદીનું ગીત ગાય છે જે તેને એ પુરુષ પાસેથી પાછી જોઇએ છે, જેને તેણે એક સમયે પ્રેમ કર્યો હતો. આ યાદીમાં ઘરેણાં કે વચનોની વાત નથી. એને વરસાદી દિવસો, હાથે લખેલા કાગળમાં લપેટાયેલી રાત અને પ્રેમની ઉષ્માથી ગરમાઈ ગયેલી રાત ઓલવીને પાછી જોઇએ છે. આ એવાં સ્મરણો છે જે પીડામાં ઝબોળાયેલાં છે. “વો રાત બુઝા દો, મેરા વો સામાન લૌટા દો ...” એ રાત ઓલવી નાખ, મને મારો સામાન પાછો આપ. સપાટી પરથી જોતાં આ બધી સામાન્ય અરજ લાગે પણ ખરેખર તો પ્રેમમાં સાથે વહેંચેલી આ ક્ષણોના કોઈ કાળે પરત કરવી શક્ય નથી. 1987માં ગુલઝારે ‘ઇજાઝત’ ફિલ્મ બનાવી અને તેનું આ ગીત, ‘મેરા કુછ સામાન, તુમ્હારે પાસ પડા હૈ …’ આશાજીએ ગાયું અને આ ગીત ગાવા બદલ તેમને તેમનો બીજો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. જે પણ વ્યક્તિ ગુલઝારે લખેલા આ ગીતના શબ્દોની આરપાર કે આર.ડી. બર્મને સ્વરબદ્ધ કરેલી આ પંક્તિઓને સોંસરવી સમજી શક્યું હશે તેને આ ગીત ગાનાર સ્ત્રી વિશે પણ કદાચ સમજાયું હશે. આ ગીત આશા ભોસલે સિવાય કોઈ પણ બીજી ગાયિકાએ ગાયું હોત તો તેમાં આ દર્દ, આ તૃષ્ણા અને તમામ યાદો સાથે દફનાઈ જવાની ચાહ ગીતના સ્થાયી ભાવ તરીકે સાંભળનારને હૈયે સોંસરવી ન ઉતરી હોત.

ચિરંતના ભટ્ટ
92 વર્ષની વયે, 12 એપ્રિલના રોજ આશાજીનું નિધન થયું. 12 હજારથી વધુ ગીતો, આઠ દાયકાની ગાયકી, મોટાં બહેન લતા મંગેશકરનો પ્રભાવ, આર.ડી. બર્મનનાં સાથી, કેબ્રે ક્વીન, ગઝલની મલિકા – આ બધું તેમને વિશે લખાયેલી બધી જ સ્મરણાંજલીમાં લખાયું. આ બધું જ સાવ સાચું છે. આ બધું જ તેમની ઓળખ ઘડનારી બાબતો છે પણ છતાં ય અપૂરતું છે એમ કહેવું પડે. આશાજી એક એવો અવાજ, એક એવું માધ્યમ અને એક એવી સ્ત્રી, જેણે દરેક પસાર થતા દિવસની શરૂઆતે જાતને કહ્યું કે જિંદગી ભલે કસોટી લે પણ અવાજના માધુર્યને વાસ્તવિક કઠોરતાની કડવાશ કરતાં વધારે મહત્ત્વ આપવાનું છે. આવા વ્યક્તિત્વને વર્ણવવા માટે માહિતી કે આંકડાનું કોઈ કેટલૉગ ન હોઈ શકે. તેમની સિદ્ધિઓ કે વ્યક્તિત્વના કેટલૉગ તો એ પોતાની ગાયક તરીકેની જિંદગીમાં પહેરેલાં અનેક ચહેરા મહોરાં માટે સાથે રાખતા પણ એ જે હતાં તે કંઇક અલગ જ હતાં.
શરૂઆત તેમનાં અવાજથી જ કરવી પડે કારણ કે જિંદગીની કૂંપળ જ ત્યાંથી ફૂટી. શાસ્ત્રીય સંગીતમાં ગાયકી – ગાવાની શૈલી, અભિગમ અને ગાયકની પસંદગીનું ઘડતર તથા અવાજ જે એક કાચું માધ્યમ છે એ મુખ્ય છે, પાયાની બાબતો છે. ઘણા ગાયકોનો અવાજ મધ જેવો મીઠો હોય છે અને ગાયકી પરંપરાગત હોય છે. બહુ ઓછા કલાકારો પાસે અવાજ અને શાસ્ત્રીય ઢાંચામાં પોતાની ઓળખ સમી ખડી કરેલી ગાયકી એમ બન્ને બાબતો હોય. પરંપરાગત રીતે જોઈએ તો આશાજી પાસે કદાચ આ બન્ને નહોતાં અને એટલે જ એ અસાધારણ ગાયક હતાં. કોન્સર્ટ હોલમાં ગાનારા સોપ્રાનો જેવો અણીશુદ્ધ મીઠાશ વાળો અવાજ એક ચોક્કસ ડિઝાઈન ધરાવે છે, તેમનો અવાજ એવો તો નહોતો. તેમના અવાજમાં એક ખરજ હતી, એક એવો જીવંત ગુણ જે બસ હતો. તેમના અવાજમાં અંદરની તરફની ગહેરાઈનું એવું ઘેરાપણું હતું જે મંદ્ર સપ્તકમાં જાય ત્યારે તાલીમ ઓછી અને અનુભવનું પરિણામ વધારે લાગે. જો લતા મંગેશકરના અવાજને આપણે ગાયકીમાં ખયાલ સાથે સરખાવીએ જે શુદ્ધ, શિષ્ટ, ઉન્નત અને મંચ માટે હતો તો આશાજીનો અવાજ ઠુમરી ગાયકી સમાન હતો; અંગત, સાકાર, આઝાદ અને એ વાત કહેવા તત્પર જેનો ઉલ્લેખ કરતાં બીજા પ્રકારની ગાયકી ખચકાય.
આશાજીએ તેમના આ તોફાની, આઝાદ, બેખોફ અવાજનો ઉપયોગ એ બધાં જ પ્રકારનાં ગીતો ગાવા માટે કર્યો જેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જરૂર તો હતી પણ એ જરૂર હોવાની કબૂલાત હંમેશાં કરાતી નહીં. મુજરો, કેબ્રે, મોડી રાત્રે ગવાતું ગીત, એવું ગીત જેણે તમને એ કહેવા કે કરવાની હિંમત આપી જેને તમારા મને હજી મંજૂરી નહોતી આપી. જ્યારે દિગ્દર્શકોને પડદા પર એવી સ્ત્રી દેખાડવી હતી જે ઇચ્છાને નજીકથી સમજતી – દૂરથી નહીં, થિયરીમાં નહીં પણ અંતરની ચાહની માફક ત્યારે તેમની પહેલી પસંદ હંમેશાં આશાતાઇનો અવાજ જ રહ્યો. શિષ્ટ શબ્દોમાં આડંબર કરી સુષ્ઠુ સુષ્ઠુ બોલતા સમાજમાં જે આઝાદ સ્ત્રીઓના રણકાને ગણતરીમાં ન લેવાતો, તેની નોંધ પણ ન લેવાતી તેવા અવાજને, તે લહેકાને આશાજીએ ઓળખ આપી. બિંધાસ્ત પણ ઋજુ, આઝાદ પણ પ્રેમમાં હાથે કરીને સપડાવા માગતા સ્ત્રીત્વને આશાજીએ ગાયું, તેને સ્વર આપ્યો, સૂર આપ્યો અને કાયમી બનાવ્યું.
વળી તેમના અવાજની આઝાદી અને અલ્લડપણાની જ નોંધ લઇએ તો ય બહુ મોટી ભૂલ થઈ જાય. 1981માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં સંગીત નિર્દેશક ખૈયામજીએ તેમની પીચને અડધા સૂર જેટલી નીચે લાવીને તેમની પાસે ગવડાવ્યું. આશાજીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પોતે આટલું અલગ રીતે ગાઈ શકશે તેની તેમને કલ્પના નહોતી. પરિણામ હતું એવી ગઝલો જેમાં દર્દની સ્થિરતા વર્તાઈ. એ અવાજ કોઈ સ્ટુડિયોમાંથી નહોતો આવ્યો બલ્કે શ્વાસ અને પીડા જ્યાં એક સાથે વસતા હોય એવા ગળામાંથી રેલાયો હતો. તેમના સૂરને સહેજ નીચો લાવવો કોઈ ટેક્નિકલ એડજેસ્ટમેન્ટ નહોતું પણ સૂરના મામલે એક નવો દરવાજો ખોલાયો હતો. એ દરવાજેથી જે પ્રવેશ્યું તેમાં એક હતો આશાજીને મળેલો પહેલો નેશનલ એવોર્ડ, એક એવો પુરાવો જેણે તેમના અવાજની રેન્જ માત્ર ક્ષિતિજ સમી સમાંતર નથી એ સાબિત કર્યું. જો કે એ પુરાવાની કંઈ જરૂર તો નહોતી જ. ઊંડી અને ઘેરી રેન્જ વર્ટિકલ હોય છે, અવાજનું ઊંડા ઉતરવું એક અલગ પ્રવાસ હોય છે. આ ક્ષમતા બધામાં નથી હોતી.
તેમનાં અવાજના આ ઊંડા અને ઊંચા આયામો તે જે જીવ્યાં તેમાંથી જ તેમણે મેળવ્યાં હશે. સોળ વર્ષની વયે પોતાનાંથી ઉંમરમાં ઘણા મોટા એવા ગણપતરાવ સાથે ભાગીને લગ્ન કરનારાં આશાજી સાથે પરિવારે છેડો ફાડ્યો. એ લગ્નમાંથી તે બહાર આવ્યાં ત્યારે તેમને બે સંતાનો હતા અને ત્રીજું ગર્ભમાં ઉછરી રહ્યું હતું. પુરુષપ્રધાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે સિંગલ મધર હતાં, બીજા બધાં ય કરતાં તે વધારે ગીતો ગાતાં હતાં. તે બહુ પ્રતિષ્ઠીત હતાં કે સ્ટાર બની ગયાં હતાં એટલે નહીં પણ તેમને કામની જરૂર હતી એટલે! તેમણે પોતાની જાતને આકસ્મિક ગાયક કહેલાં, એક્સિડેન્ટલ સિંગર જે ગીતો સાંભળીને, અન્યોને ગાતાં જોઈને જરૂરિયાત હોવાથી ગાતાં શીખ્યાં. અનિવાર્યતાને તેમણે નિપૂણતામાં એવી રીતે ફેરવી કે એ પરિવર્તન કયા વળાંકે થયું તે ક્યારે ય વર્તાયું નહીં.
એક બિન-ફિલ્મી આલ્બમ ‘દિલ પડોસી હૈ’નું એક ઓછું જાણીતું ગીત છે, ‘જાને દો મુઝે જાને દો’. આ આલ્બમ ગુલઝાર, આર.ડી. બર્મન અને આશાજી વચ્ચેનું એક મજાનું કોલાબરેશન હતું. આ ગીતમાં એક સંતાનો દ્વારા ત્યજાયેલી મા પોતાના છેલ્લા શ્વાસ લઈ રહી છે. શ્રધ્ધાંજલિ સભાઓમાં ક્યાં ય આ ગીત નથી વગાડાતું. આ ગીત તમે ત્યારે જ ગાઈ શકો જ્યારે તેમને ત્યજાઈ જવાની પીડા ખબર હોય. આશાજીને આ લાગણી સારી પેઠે ખબર હતી. આ પીડા, આ લાગણીની સમજથી જાતને બચાવી રાખવાને બદલે તેમણે પોતાના માઇક્રોફોન મારફતે તેને ગુંજવા દીધી, સંગીત અને સૂરના વાઘાં પહેરાવી તેમણે આ પીડા દુનિયાને પાછી આપી અને તેમણે આ પીડાને ફરિયાદમાં ક્યારે ય ન ફેરવાવા દીધી.
આ જીવનમાં વેઠેલા આઘાતને કારણે પ્રકૃતિમાં વણાયેલી બાબતો છે. સંવેદનશીલ વ્યક્તિ તે કળી શકે પણ કદાચ સમજાવી ન શકે એમ બને. તેમણે પોતાનાં દર્દને મલમલમાં લપેટીને કોઈ નવા રૂપે ગીતોમાં વણીને લોકોની સામે મૂક્યાં. દરેક ઇન્ટરવ્યુ, દરેક દાયકા, દરેક ઝલકમાં – આશાજી ખડખડાટ હસતાં, સરસ મજાના ઘરેણાં પહેરતાં, વાળમાં ફૂલો સજાવતાં, એંશીની વયે પણ લિપસ્ટિક કરીને માહોલ રણકાવતાં. તે ખુલ્લા દિલે મન મૂકીને વાત કરતાં, નિખાલસ રહેતાં, લોકોનું પેટ ભરાય એટલે પોતે મન ભરીને રાંધતા. તેમની પ્રતિભામાં લાગણીઓને નામને કંજુસાઈને કોઈ સ્થાન નહોતું. દર્દ સાચું હતું પણ કડવાશને સ્થાન નહોતું, જિંદગીને હતું. આ તેમની લયકારી હતી, મધુરપ ભરી પંક્તિઓ પર તાલની ચોક્કસ પકડ હતી, તેમને ખબર હતી ક્યાં વજન મુકવાની જરૂર હતી અને શું જતું કરવાનું હતું; માત્ર ગીતોમાં નહીં, જિંદગીમાં પણ.
ગુજરાતી સંગીતના રસિકો માટે એક અલગ આશાજી હતાં, રાષ્ટ્રીય સ્તરની શ્રદ્ધાંજલીઓમાં તેમણે આપણી ભાષામાં ગાયેલા ગરબા, ભજનો, લોક સંગીતના રસમાં ઘોળાયેલાં ગીતો અને ગુજરાતી ફિલ્મો માટે ગાયેલાં તેમનાં ગીતોનું ચાતુર્ય કદાચ એટલું ન ઘુંટાયું હોય જેટલી આપણને અપેક્ષા હોય. એક ગાયક તરીકે તેમનામાં ક્યાં ય પણ કવચ નહોતાં, તે જે ગાતા તેને પૂરી રીતે પોતાનું કરી દેતાં અથવા તો એમ કહીએ કે એ ભાષાનાં થઈ જતાં. તેમનાં મા ગુજરાતી હતાં અને આપણી ભાષા સાથે આશાજીનું જોડાવું સરળ હતું કારણ કે એ સંબંધ ગર્ભનાળ સાથે સર્જાયો હતો. કૌશલ્ય આલા દરજ્જાનું હોય છતાં ય સહજતાનું મૂળ કંઇક અનોખું જ હોય છે, જે તેમના કિસ્સામાં હતું.
તેમણે ઇજાઝત ફિલ્મનું ‘મેરા કુછ સામાન..’ ગાયું ત્યારે એ ગીતના સંગીતકાર આર.ડી. બર્મન તેમના જીવનસાથી હતા. આર.ડી. બર્મને આશાજીના અવાજને દાયકાઓ સુધી આશાજીના અવાજમાં નવા સરનામા શોધ્યા. ખુવાર થયેલી વ્યક્તિમાં ફરી વહી ન જવાનું એક નિયંત્રણ આપમેળે ઘડાય છે, એ આશાજીના અવાજમાં હતું તે આર.ડી. સારી પેઠે જાણતા હતા. તેઓ બંને સાથે હોવા છતાં ય આગવી રીતે પોતાનાં સહિયારાં વિશ્વમાં જીવતા હતાં. કલાને માથે સત્ય પીરસવાની જેટલી જવાબદારી હોય તેના કરતાં કંઇ વધુ જવાબદારી આર.ડી. અને આશાની જોડીએ પીરસી હતી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
1994માં આર.ડી. બર્મનનું નિધન થયું. આશાજીની દીકરી વર્ષાએ 2012માં દુનિયા છોડી અને દીકરા હેમંતનું 2015માં મૃત્યુ થયું. આટલી બધી ખોટ અને આઘાત જીરવી જનારાં આશાજીનાં મિજાજને, તેમનામાં જીવતા પરમાનંદને, તેમના સ્વરના સ્મિતને કોઈ ચળાવી નહોતું શક્યું. અમસ્તા નથી લખાયું કે, ‘દર્દ કા હદ સે ગુઝર જાના હૈ દવા હો જાના.’ તે છેક સુધી જાહેર જીવનમાં પ્રવૃત્ત રહ્યાં, હસતાં રહ્યાં, લોકોને જમાડતાં રહ્યાં, ગજરા અને ફૂલો સાથે મૈત્રી કેળવી રાખી. જિંદગીની અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલી એક એવી સ્ત્રી જે દરેક પીડા સાથે નવું, ધારદાર, ચમકદાર પાસું કેળવતી ગઇ.
સંગીતમાં ‘મીંડ’ એટલે બે સૂર વચ્ચેનું એક નાનકડું ચઢાણ, બે સૂર વચ્ચે જે જગ્યા હોય ત્યારે જે ધ્વનિ જન્મે એ – મીંડ આ બેમાંથી કોઈપણ એક સૂરની નથી હોતી, તે સફર કરે છે, બે સૂરની વચ્ચે. સુંદરતા જળવાય એ રીતે એ સફર માંડવી સહેલી નથી પણ આશાજીની મીંડ હંમેશાં માત્રને માત્ર તેમની જ રહી. સંપૂર્ણ કે પરફેક્ટ કહી શકાય એવી નહીં છતાં ય એટલી બધી તેમની કે અવાજ કાને પડે તે પહેલાં એ સૂર વચ્ચેની જગ્યા ઓળખાઈ જાય. આ બે સૂરો વચ્ચેની ચોકસાઈ જ ટકી જવાની તાકાત છે. કેટલાં ગીતો, કેટલા એવોર્ડ્ઝ અગત્યનાં નથી હોતાં. એક વ્યક્તિનો અવાજ, એક ચોક્કસ ક્ષણમાં જે હતું અને જે હશે તેની વચ્ચે ચઢાણ કરે છે, સરકે છે; બસ એ જ સત્ય છે.
બાય ધી વેઃ
કદાચ આશાજી જાણતાં હતાં કે બુઝાયેલી રાતો પાછી નથી મળતી પણ તેમને એ પણ ખબર હતી કે તેમાંથી કંઇક સાર્થક જડી શકે છે. આ જ 92 વર્ષની તેમની સફર હતી. આજે જે પણ સ્ત્રીઓ કોઈની પરવાનગી વિના, માફી માગ્યા વિના, ઇચ્છા અને પીડાઓ અને ચોક્કસ પ્રકારની એકલતા વિશે મીઠી મધુરી થયા વિના જો ગાઈ શકે છે તો તેમને ખબર પણ નથી કે તે કોનું ઋણ લઈ રહી છે. આશાજીએ કોઈ દરવાજા નહોતા તોડ્યાં, કોઈ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો શોર નહોતો કર્યો, તેમણે સમાજ અને લાગણીઓની સખત દિવારોની આરપાર ત્યાં સુધી ગાયું જ્યાં સુધી એ દીવાલોને સમજાયું નહીં કે આ અવાજ સામે પોતે નહીં ટકી શકે. લોકોની અપેક્ષા પ્રમાણે નહીં જીવેલી દરેક સ્ત્રી, જેણે દેકારો કર્યા વિના, ચોધાર આંસુએ રડ્યા વિના વધારે ઇચ્છ્યું, વધારે માગ્યું, વધારે અનુભવ્યું અને વધારે મેળવ્યું એ અવાજ માત્ર તેમનો નહોતો, આશાજીનો હતો. ‘
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઍપ્રિલ 2026
![]()

